ગાંધીનગર કલ્ચરલ ફોરમના રજત જયંતિ વર્ષ ‘‘પ્રસન્નતાના 25 વર્ષ’’ અને પંચ દિવસીય ગ્રીષ્મ મહોત્સવનો પ્રારંભ થયો છે. ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાંત જ્હાએ જણાવ્યું હતું કે, સંસ્થાની 1995માં સ્થાપના થઇ ત્યારે 295 સભ્યો હતા. જે આજે વધીને 6000થી વધુ સભ્યોનો પરિવાર બન્યો છે. કલ્ચરલ ફોરમની પ્રવૃત્તિઓનો વ્યાપ હવે ગાંધીનગર પૂરતો નહીં પરંતુ ગુજરાત અને ગુજરાત બહાર પણ ખ્યાતિ પામ્યો છે. તે માટે કલ્ચરલ ફોરમની ટીમના સૌ સૂત્રધારોનો સામુહિક પરિશ્રમ રંગ લાવ્યો છે તેમ ઉમેર્યું હતું.
આ અવસરે સંગીત સાહિત્ય, નાટ્ય, ચિત્રકલા, નર્તન સહિતના વિવિધ 25 ક્ષેત્રોના સ્વનામધન્ય કલાકારો-કસબીઓ ઉપસ્થિત રહ્યા હતા અને 25 સામુહિક દિપ પ્રજવલનથી આ રજતજયંતિ સમારોહને નવી આભા આપી હતી.
ગાંધીનગરના 350 ઉપરાંત કલાકારો – બાળકલાકારોએ ગાંધીનગરના સ્થાપનાકાળથી લઇને વર્તમાન વિકાસની ઝાંખી કરાવતી ચતુષ્પરિમાણીય નૃત્યનાટિકા ‘‘હું છું ગાંધીનગર’’ પ્રસ્તુત કરી હતી. જેનો રસાસ્વાદ સૈા પ્રેક્ષકોએ મનભરી માણ્યો હતો.
ગાંધીનગરની વર્ષો સુધી સરકારી નગર તરીકેની ઓળખ હતી તેમાં કલા, સંગીત સાહિત્ય, નાટ્ય અને વિવિધ સમાજસેવી પ્રવૃત્તિઓથી સંસ્કારી નગર તરીકેની એક નવી ઓળખ મળી છે. જે માટે ગાંધીનગર કલ્ચરલ ફોરમે 1995થી સતત સેવા જ્યોત જગાવી છે. ગાંધીનગરમાં બાળ પેઢીથી માંડીને વરિષ્ઠ નાગરિકો સુધી સૌ કોઈને યથાયોગ્ય અને પોતાને ગમતી પ્રવૃત્તિઓ તથા રસ રુચિ અનુસાર મનોરંજન સાથે જ્ઞાન પૂરું પાડવાનું દાયિત્વ પણ કલ્ચરલ ફોરમએ તેના અધ્યક્ષશ્રી કૃષ્ણકાન્ત જ્હાના માર્ગદર્શનમાં નિભાવ્યો છે. કલા, સંસ્કૃતિ, સંગીત અને સાહિત્યના સાતત્યપૂર્ણ પ્રચાર-પ્રસાર માટે કામ કર્યું છે.
સમદર્શન ટ્રસ્ટના પરમ પૂજ્ય ગુરુમાં સમાનંદ સરસ્વતીજીએ આશીર્વચન પાઠવતા કહ્યું કે, ધર્મ અને સંસ્કાર સાથે સાંસ્કૃતિક ગતિવિધિઓને જોડીને કલ્ચરલ ફોરમ એ સ્પિરિચ્યુઅલ કલ્ચરલ એક્ટિવિટીનું એક નવું કોમ્બિનેશન સમાજ સમક્ષ મૂક્યું છે. ગાંધીનગર કલ્ચરલ ફોરમએ સંસ્થા નહીં એક પરિવાર બનીને પાટનગરને નવી વૈશ્વિક ઓળખ આપી રહ્યું છે.
મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ રજત જયંતી વર્ષની ઉજવણી નિમિત્તે કલ્ચરલ ફોરમ ના સૌ કાર્યકર્તાઓને સફળતાની શુભેચ્છા પાઠવી હતી.
