ગાંધીનગર, તા.૦૭
ભારતના દેશોની સરકારો માટે કિસાન આત્મહત્યા કરે એ વિકરાળ પ્રશ્ન બની ચૂક્યો છે. અને તેમાંથી આપણું ગુજરાત રાજ્ય પણ બાકાત નથી. આ સમયે મહાત્મા ગાંધીના શબ્દો યાદ આવે તે સ્વાભાવિક છે. ગાંધીજીની 150મી જન્મજ્યંતિ આખો દેશ ઉજવી રહ્યો છે ત્યારે દેશના વિવિધ રાજ્યોમાં કિસાનોની આત્મહત્યાના આંકડા ચોંકવનારા છે.
ચોંકાવનારી બાબત એવી સામે આવી છે કે, 2018ના વર્ષમાં એકલા મહારાષ્ટ્રમાં 60,000 આત્મહત્યા થઇ છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના અહેવાલ પ્રમાણે દેશમાં 2001 પછી અને 2018 પહેલાં 2,96,438 કિસાનોએ આત્મહત્યા કરી છે. જેમાં સૌથી વધુ દેવાંના કારણને લઈને થઇ છે. એ ઉપરાંત પાક નિષ્ફળ જવાના કારણે, નોનો ફાર્મિંગ એક્ટિવિટીના કારણે તેમજ બોરવેલ ફેઇલ થતાં આત્મહત્યાઓ થાય છે. ગુજરાતમાં ત્રણ વર્ષમાં 1800 કિસાનોએ આત્મહત્યા કરી છે.
મહાત્મા ગાંધીની ઇચ્છા હતી કે, એક કિસાન ભારતના વડાપ્રધાન બને. ગ્રામીણ ભારત માટે કામ કરવા માટે તેઓ શહેરના શિક્ષિત વર્ગ પર ભરોસો કરવા માગતા ન હતા. હત્યારાની ગોળી વાગી તે પહેલાં આગલી રાત્રિએ પ્રાર્થના સભામાં ગાંધીજીએ તેમની અંતિમ ઇચ્છા બાબતે કહ્યું હતું કે ભારતના વડાપ્રધાન તરીકે તેઓ કિસાનને જોવા માગે છે.
કિસાનનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું હતું કે, જો મારી પાસે મારો રસ્તો હોત તો અમારા ગવર્નર જનરલ કિસાન હોત અને વડાપ્રધાન પણ કિસાન હોત. તેમણે તેમના બચપનની કવિતાને યાદ કરીને કહ્યું હતું કે, હે કિસાન તુ રાજા છે, તુ આખી દુનિયાનો રાજા છે. મહાત્માએ કહ્યું કે જો કિસાન અન્ન પેદા ન કરે તો આપણે શું ખાઇએ.
આજે આપણે કિસાનને ગુલામ બનાવી દીધો છે. કિસાને બીએ અથવા એમએ જેવી ડીગ્રી મેળવવી જોઇએ તેવો સવાલ કરી તેમણે કહ્યું કે, જો કિસાન ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરશે તો તે બરબાદ થઇ જશે. પગ પર કુહાડી મારવા બરાબર છે. જો કિસાન ભારતનો વડાપ્રધાન બનશે તો ભારતનો ચહેરો બદલાઇ જશે.
મહાત્મા ગાંધીએ એવા સમયે વાત કરી હતી કે, જ્યારે સ્વતંત્ર ભારતમાં દુકાળ, અન્નની અછત અને ગ્રામીણ વિસ્તાર સંકટનો સામનો કરી રહ્યો હતો. 70 વર્ષ પછી ભારતનું કૃષિ સંકટ પ્રતિવર્ષ 12000 કિસાનોની આત્મહત્યા સાથે ખતરનાક સ્તર પર પહોંચી ગયું છે. નેશનલ ક્રાઇમ બ્યુરોના રિપોર્ટ પ્રમાણે 2015માં થયેલી આત્મહત્યાઓમાં 9.4 ટકા ખેતી ક્ષેત્રમાં કામ કરતા કિસાનોની હતી.
ગાંધીજીની હત્યા પછી દુર્ભાગ્યવશ આવેલી સરકારોમાં કિસાનોની સંખ્યા નહીંવત જોવા મળી છે. સરદાર પટેલ જન્મથી કિસાન હતા અને તેમને કૃષિનું જ્ઞાન હતું પરંતુ વ્યવસાયે તેઓ બેરિસ્ટર હતા. જવાહરલાલ નહેરૂ વિદ્વાન અને મહાન લેખક હતા પરંતુ ખેતીનું જ્ઞાન ન હતું. દેશની વસતીમાં 80 ટકા કિસાન છે. સાચા લોકતંત્રમાં દેશમાં કિસાનોનું શાસન હોવું જોઇએ પરંતુ કમનસીબે તે નથી.
ગાંધીજીનો વિચાર હતો કે આપણા કિસાન મંત્રી મહેલમાં નહીં પણ એક માટીના ઘરમાં રહેતા હોય. તેઓ જમીન સાથે નાતો ધરવતા હોય. આજે દેશનો કિસાન ગામડામાં સાધનોની અછત, વર્ષા આધારિત ખેતીની અનિશ્ચિતતા, કૃષિ ઉપજનું મૂલ્ય પરિવર્તન અને તેના જેવી સંખ્યાબંધ પરેશાની ભોગવી રહ્યો છે.
અમદાવાદના નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ફુડ શોર્ટેજ એન્ડ એગ્રીકલ્ચર પુસ્તકમાં બી. કુમારપ્પાએ ગાંધીજીના ભારતની કલ્પના અંગે દિલચસ્પ જાણકારી આપી છે. પુસ્તક પ્રમાણે ગાંધીજીએ કપાસ, એરંડા, મગફળી, ડાંગર અને શેરડી જેવા પાકો ઉપરાંત શાકભાજીને ભારતની કૃષિ તાકાત માની છે. આજે કેન્દ્ર અને રાજ્યોની સરકારોમાં કિસાનોનું સ્થાન ક્યાંય નથી. આજે દેશમાં દર 30 મિનિટે એક કિસાન આત્મહત્યા કરે છે. 2015 થઈ 2018ના વર્ષ દરમ્યાન એકલા મહારાષ્ટ્રમાં 12000
કિસાનોએ આત્મહત્યા કરી છે.
વિવિધ રાજ્યોમાં આત્મહત્યા
દેશના વિવિધ રાજ્યોમાં 2015ના વર્ષમાં 12602 અને 2016માં 11370 કિસાનોએ આત્મહત્યા કરી છે. એકલા ગુજરાતમાં 710 કિસાનોએ જીવ ટૂંકાવ્યા છે. સૌથી વધુ કિસાન આત્મહત્યા મહારાષ્ટ્ર,
મધ્યપ્રદેશ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને ગુજરાતમાં થાય છે. બ્યુરોના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં પ્રતિવર્ષ એકંદરે 100 કિસાન અને કિસાન મજૂર આત્મહત્યા કરે છે.
ભારતમાં કિસાનોની આત્મહત્યાના ચોંકાવનારા આંકડા…
2000 – 16603
2001 – 16415
2002 – 17971
2003- 17164
2004 – 18241
2005 – 17131
2006 – 17060
2007 – 16632
2008- 16196
2009 – 17368
2010 – 15964
2011 – 14027
2012 – 13754
2013 – 11772
2014 – 12360
2015 – 12602
2016 – 11370
Total – 262630