ગુજરાતના વિજ્ઞાની ડો.જ્યોતિએ ચેરના બેક્ટેરીયાથી બાયો પ્લાસ્ચટીક બનાવી વિશ્વને અચંબામાં મૂકી દીધું

જયેશ શાહ Jayesh Shah (09909944076)

ભૂજ-કચ્છ, તા.19

ગુજરાતના વૈજ્ઞાનિકોએ સીન્થેટીક પ્લાસ્ટિક સામે ‘બાયોપ્લાસ્ટિક’ની શોધ કરી છે. જો તેમની શોધ સફળ રહેશે તો સમગ્ર ભારતમાં પ્લાસ્ટીકનો રોજીંદો વપરાશ ભૂતકાળ બની જશે. પર્યાવરણને નુસાન કરતાં પ્લાસ્ટિકને પૃથ્વિ પરથી વપરાશ સદંતર ઘટાડી શકાય તેવો પડકાર ગુજરાતના વૈજ્ઞાનિકોએ ઝીલી લીધો છે. ગાઈડ સંસ્થાની પ્રયોગશાળામાં ચેરીયાના બેક્ટેરિયામાં મળેલાં ‘હેલોટોલરેન્ટ માઇક્રોબીઅલ એન્ડોપાઇટ્સ’ માંથી આ બાયોપ્લાસ્ટિક બનાવાયું છે. દુનિયાની સમસ્યાના ઉકેલ માટેની આ મહાન શોધથી વિશ્વના વિજ્ઞાનીઓ અચંબામાં મૂકાશે.

ચેર વૃક્ષના પાનના બેક્ટેરીટા પ્લાસ્ટીક બનાવે છે

કચ્છમાં પર્યાવરણ સુરક્ષા ક્ષેત્રે કામ કરતી જાણીતી સંસ્થા ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી (ગાઈડ) પર્યાવરણ ક્ષેત્રે એક નવી ક્રાંતિ સર્જી છે. દરિયાઈ વનસ્પતિ ચેરીયામાંથી પર્યાવરણને નુકસાન ન કરે તેવું ઇકો ફ્રેન્ડલી ‘બાયોપ્લાસ્ટિક’ બની શકે છે. “ગાઈડ” સંસ્થાના ડાયરેકટર અને વૈજ્ઞાનિક ડો. વિજયકુમારે જનસત્તાને જણાવ્યું હતું કે, દરિયાઈ ચેરીયામાંથી મળી આવેલા બેક્ટેરિયામાંથી ‘બાયોપ્લાસ્ટિક’ બની શકે છે. સતત ત્રણ વર્ષની સઘન મહેનત બાદ ચેરીયાના પાનમાંથી મળી આવેલા ‘માઇક્રોબ્સ’ (માઇક્રોસ્કોપમાં જ દેખાઈ શકે તેવા સૂક્ષ્મ બેકેરિયા)નું વૈજ્ઞાનિક ડો. જી. જયંતી દ્વારા સંશોધન તેમ જ વૈજ્ઞાનિક ડો. કે. કાર્તિકેય દ્વારા પરીક્ષણ કરાયા બાદ લેબોરેટરીમાં ‘બાયપ્લાસ્ટિક’ બનાવવામાં સફળતા મળી છે.

લેબ ટેસ્ટીંગ સફળ

ગાઈડ સંસ્થાની પ્રયોગશાળામાં ચેરીયાના બેક્ટેરિયામાં મળેલાં ‘હેલોટોલરેન્ટ માઇક્રોબીઅલ એન્ડોપાઇટ્સ’ માંથી આ બાયોપ્લાસ્ટિક બનાવાયું છે. ચેરીયામાંથી મળેલા કુલ નવ પ્રકારના બેક્ટેરિયાઓનું સંશોધન કરાયા બાદ જે બેક્ટેરિયામાંથી વધુ પ્લાસ્ટિક (PHA, પોલિહાઇડ્રોક્સી અલકાનોએટ) મળવાની શક્યતા છે, તે બેકટેરિયાના જિન (પ્રજાતિ) વિશે વધુ જાણકારી મેળવવા તેને પરીક્ષણ માટે GSBTM (ગુજરાત સ્ટેટ બાયો ટેક્નિકલ મિશન)ની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું છે.

કલ્ચર પ્રોસેસથી કરોડો બેક્ટેરીયા બની શકે

વૈજ્ઞાનિક ડો. કાર્તિકેય કહે છે કે, એક વાર બૅક્ટેરિયાનું નિર્માણ લેબોરેટરીમાં કલ્ચર પ્રોસેસ દ્વારા મોટી સંખ્યામાં થઈ શકે છે. બાયોપ્લાસ્ટિક બનાવવા માટે ગાઈડની ભુજની લેબોરેટરીમાં સફળ પ્રયોગ કર્યો છે. બાયોપ્લાસ્ટિકનું રો મટીરીયલ લેબોરેટરીમાં જ બેક્ટેરિયામાંથી બની શકશે.

મહિલા વિજ્ઞાની ડો.જયંતિ સફળ

બાયોપ્લાસ્ટિકની શોધ કરનાર મહિલા વૈજ્ઞાનિક ડો. જયંતિ કહે છે કે, આ નવું બાયોપ્લાસ્ટિક ‘ડિગ્રેડેબલ’ છે, એ વાતાવરણમાં પોતાની મેળે ઓગળી જાય છે. એટલે તે પર્યાવરણને નુકસાનકર્તા નથી. ચેરીયાના પાનમાંથી બેક્ટેરિયા મળી ગયા બાદ બીજા બેક્ટેરિયા લેબોરેટરીમાં બનાવવા શક્ય છે. એટલે ‘બાયોપ્લાસ્ટિક’ સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી છે. અત્યારે લેબોરેટરીમાં ‘બાયો પ્લાસ્ટિક’ની પોલીફિલ્મ બનાવાઈ છે.

વધું સંશોધન કરાશે

બાયો પ્લાસ્ટિકના વ્યવસાયિક ઉપયોગ કરવા માટે વધુ સંશોધનની જરૂરત ઉપર ભાર મુકતા ડો. વિજયકુમાર કહે છે કે, આ બાયોપ્લાસ્ટિકનો ઉપયોગ અત્યારે વપરાતા પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે સંપૂર્ણપણે થઈ શકે તેમ છે. અમે પ્રાથમિક સફળતા મેળવી છે, પરંતુ, તેના વ્યવસાયિક ઉપયોગના પરિક્ષણની પ્રક્રિયા અને ખર્ચ વધુ હોઈ તે માટે જો સરકાર દ્વારા પ્રયાસો થાય તો બાયોપ્લાસ્ટિકનું નિર્માણ અને વપરાશ દેશ દુનિયામાં પર્યાવરણ ક્ષેત્રે ક્રાંતિ આણશે. ગુજરાતના નિવૃત પૂર્વ વરિષ્ઠ સનદી અધિકારી સુધીર માંકડના ચેરમેન પદે કાર્યરત ગાઈડ સંસ્થાએ કચ્છમાં ચેરીયાના સંરક્ષણ તેમ જ બન્નીના ઘાસિયા મેદાનો ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે.

ચેરના વૃક્ષોમાં ગુજરાત બીજા નંબરે

ગુજરાત ઇકોલોજી કમિશન પ્રમાણે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં ભારતમાં ૩.૩ ટકા ચેર છે જેમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે છે. ચેરના વૃક્ષોમાં કાર્બન સ્ટોરેજ વેલ્યુ ૧૦ ટકા વધુ હોય છે, એટલે પર્યાવરણ, પ્રદૂષણ, ત્સુનામી, દરિયાઇ ખારાશ, લહેરો તેમજ સમુદ્રને આગળ વધતો અટકાવવા અને ગ્લોબલ વોર્મિંગને અટકાવે છે. પશ્ચિમ બંગાળ બાદ સૌથી વધુ ૧૧૪૦ ચો.કિ.મી. ચેર- મેન્ગ્રુવના જંગલોમાં ગુજરાત બીજો ક્રમ છે.