કલાકાર : સિદ્ધાર્થ રાંદેરિયા, યશ સોની, આરોહી પટેલ
નિર્દેશક : વિપુલ મહેતા
સ્ટોરીઃ રોડ ટ્રિપ, કોમેડી, ડ્રામા
શું છે ફિલ્મની સ્ટોરીઃ
હંમેશા કામમાં જ ગળાડૂબ રહેતાં વર્કોહોલિક આદિત્ય પારેખ (યશ સોની)ને તેના રિટાયર પિતા બિપિન ચંદ્ર પરિખ (સિદ્ધાર્થ રાંદેરિયા) જીવનને માણતાં શીખવાડવાનું નક્કી કરે છે.
આ માટે તેઓ ઉત્તરાખંડ જવાનું નક્કી કરે છે.
આ ટ્રિપ દરમિયાન તેમની મુલાકાત કેતકી (આરોહી પટેલ) સાથે થાય છે.
આ પછી ત્રણેયની આ રોડ ટ્રિપ દરમિયાન અવનવી ઘટનાઓ બને છે. જેનાથી ફિલ્મ મજેદાર બને છે.
જોકે, ફિલ્મમાં એવા ટ્વિસ્ટ છે. જે તમને સરપ્રાઈઝ આપી શકે છે. તે શું છે એ જોવા માટે તો તમારે થિએટરમાં જ જવું પડશે.
લાગણીઓથી છલકતી રોડ ટ્રિપ ફિલ્મ
‘કેરી ઓન કેસર’ અને ‘બેસ્ટ ઓફ લક લાલુ’ પછી વિપુલ મહેતાની આ ત્રીજી ફિલ્મમાં એ બધું જ છે.
જે એક ફિલ્મમાં હોવું જોઈએ. આ ફિલ્મ ડાયલોગ, એડિટિંગથી લઈ સિનેમેટોગ્રાફી, ધમાકેદાર મ્યૂઝિકનું કોકટેઈલ છે.
આ ઉપરાંત ફિલ્મની છેક સુધી જકડી રાખતી સ્ટોરી લાઈન એવું કહીને પૂરી થાય છે કે ‘છેલ્લા શ્વાસ સુધી જિંદગીને મન ભરીને માણી લેવી જોઈએ.’
ડિરેક્શનની કમાલ, અદ્ભૂત લોકેશન્સ
વિપુલ મહેતાએ આ ફિલ્મમાં હ્યુમન ઈમોશન્સને સારી રીતે વણી લીધાં છે.
ફિલ્મની સ્ટોરીને એ રીતે ગૂંથવામાં આવી છે. જે પ્રેક્ષકને ફિલ્મના અંત સુધી સીટ પર જકડી રાખે છે.
ફિલ્મમાં હ્યુમરને પણ અનોખો ટચ આપીને પીરસવામાં આવ્યું છે. જેથી ફિલ્મ ક્યાંય કંટાળાજનક હોવાનું લાગતું નથી.
ફિલ્માં ક્યાંક ક્યાંક દર્શકોને ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ની યાદ આવી શકે પરંતુ આ ફિલ્મમાં જે દેશી ટચ આપવામાં આવ્યો છે. તે ખરેખર કાબિલેતારીફ છે.
આ ઉપરાંત અમદાવાદ બહાર આ ફિલ્મનું શૂટિંગ ઉત્તરાખંડના લોકેશન્સ પર થયેલું છે. જેને સિનેમાના પડદા પર જોવું એ અદ્ભૂત લ્હાવો છે.
ફિલ્મના કલાકારો ઉપરાંત ઉત્તરાખંડ પણ ફિલ્મનું એક મુખ્ય કેરેક્ટર છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.
કેવું છે મ્યૂઝિક?
ફિલ્મની પ્રોડક્શન ક્વોલિટી ખૂબ જ ઉત્તમ છે. આ ઉપરાંત ફિલ્મમાં સિચ્યુએશન પ્રમાણે સચિન જિગર અને નિરેન ભટ્ટનું મ્યૂઝિક પ્રેક્ષકોનું દિલ જીતી લે છે.
ફિલ્મમાં જિગરદાન ગઢવીનું ગાયેલું ગીત ‘ચાંદ ને કહો’ અને સોનુ નિગમનું ‘પા પા પગલી’ વારંવાર ગણગણવું ગમે તેવું છે.
આ ઉપરાંત ઉત્તરાખંડની પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને અપાયેલો બેકગ્રાઉન્ડ સ્કોર પણ સારો છે.
કેવું છે સ્ટાર્સનું પર્ફોર્મન્સ?
જ્યારે વાત આવે પર્ફોર્મન્સની તો સિદ્ધાર્થ રાંદેરિયા પોતાની ગુજ્જુભાઈ અપીલથી દર્શકોને ખૂબ જ મજા કરાવી દે છે.
ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને દિલીપકુમારની મિમિક્રીથી હસાવવામાં સફળ રહ્યાં છે તો આરોહી પટેલે પણ ફિલ્મમાં ચુલબુલી યુવતી કેતકી તરીકે પોતાના પાત્રને સારી રીતે ન્યાય આપ્યો છે.
યશ સોનીએ પણ વર્કોહોલિક યુવા તરીકે કેરેક્ટરમાં જીવ રેડીને શાનદાર અભિનય કર્યો છે. ફિલ્મમાં ભલા તરીકે જગેશ મુકાતીએ પણ સારી એક્ટિંગ કરી છે.
આ ઉપરાંત પ્રેક્ષકો માટે એક સરપ્રાઈઝ એલિમેન્ટ્સ છે. જે થિએટરમાં જ ખબર પડશે.
ફિલ્મ જોવી જોઈએ કે નહિ?
‘ચાલ જીવી લઈએ’ ગળચટ્ટી લાગણીઓથી ભરેલી છે. જે પડદા પર એક પ્રકારનું સિનેમેટિક જાદૂ ઉત્પન્ન કરે છે.
ફિલ્મમાં ઋષિકેશથી લઈ કેદારનાથના હરિયાળી ભર્યા દ્રશ્યો આંખને ઠંડક પહોંચાડનારા છે તો ફિલ્મના ડાયલોગ હૃદય સોંસરવા ઉતરી જાય છે.
આમ બધું મળીને કહેવા જઈએ તો આ ફિલ્મ ફેમિલી સહિત માણવાલાયક ફુલ્લી એન્ટરટેઈનિંગ ડોઝ છે.