ધનસુરા, તા.૦૭
ધનસુરા તાલુકાના કેશરપુરા ગામના ગ્રામજનો શુક્રવારે ખડોલ ગામ નજીક પસાર થતી વાત્રક નદીમાં ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે ઉમંગ-ઉલ્લાસ સાથે પહોંચ્યા હતા. ગામના સાત યુવકો વાત્રક નદીના વહેણમાં તણાતા એક યુવકને સ્થાનિકોએ બચાવી લીધો હતો. છ યુવકો પાણીમાં ગરકાવ થઈ જતા મોત નીપજ્યું હતું. રાત્રી સુધી પાંચ યુવકોની લાશ મળી આવી હતી. જયારે શનિવારે સવારે એનડીઆરએફની ટીમે એક યુવકનો મૃતદેહ બહાર કાઢતા તમામ મૃતદેહને ધનસુરા સરકારી દવાખાને પીએમ માટે ખસેડી શનિવારે સાત યુવકોના મૃતદેહને અંતિમક્રિયા માટે ગામમાં લવાતા પરિવારજનોના હૈયાફાટ રૂદનથી સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ હતી. મોટી સંખ્યામાં લોકો અંતિમવિધિમાં ઉપસ્થિત રહી પરિવારજનોને સાંત્વના આપી હતી
કેશરપુરાના છ યુવકો ગણેશ વિસર્જનમાં વાત્રક નદીમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું. કેશરપુરા ગામે શનિવારે બપોરે એક સાથે છ યુવકોની અંતિમવિધિ કરવામાં આવી હતી. એક જ ગામમાંથી છ-છ અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું હતું. ભારે ગમગીની સાથે ગામના છ-છ યુવકો અકસ્માતમાં મોતને ભેટતા આખા ગામે સજ્જડ બંધ પાડ્યો હતો. ગામમાં કોણ કોને સાંત્વના આપે તેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી.
કેશરપુરા ગામના છ યુવકોના મોતથી સમગ્ર પંથકમાં ભારે ગમગીની છવાઈ હતી. સમગ્ર ગામ શોકમાં સરી પડ્યું હતું. ગણેશ વિસર્જન કરવા ગયેલા ગ્રામજનો અને વિસર્જન યાત્રમાં જોડાયેલા યુવકો તેમના પરિવાજનો કે ગ્રામજનોને આવી કલ્પના પણ નહિ હોય કે વિઘ્નહર્તા દેવના વિસર્જનમાં આ રીતે છ યુવકોની જિંદગીનો અંત આવી જશે. આ કરુણાંતિકા સર્જાતા બનાવના પગલે કેશરપુરા ગામમાં શુક્રવાર સાંજથી ચૂલા સળગ્યા ન હતા.