અંજાર તાલુકાનાં સિનુગ્રા ગામ પાસે મોડી રાતે હિટ એન્ડ રનમાં અજાણ્યા વાહનચાલકે મોટર સાયકલ પર જતા યુવાનોને અડફેટે લેતા 3 યુવકોનાં મોત નીપજ્યાં છે. યુવાનનાં પરિવારનો આક્ષેપ છે કે અંજારની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોનાં અભાવે એક ઇજાગ્રસ્ત યુવાનનું મોત નીપજ્યું છે. જ્યાં સુધી અમને આ હોસ્પિટલમાં તબીબોની જગ્યા ભરવાની લેખિતમાં બાંહેધરી નહીં મળે ત્યાં સુધી અમે અમારા દીકરાનો મૃતદેહ નહીં સ્વીકારીએ.
ઘટનાની વિગત એવી છે કે, 24 વર્ષનાં વિરેન્દ્ર ઉર્ફે વિનોદ નાનજી મહેશ્વરી, 18 વર્ષનાં નીતિન મહેશ્વરી અને 18 વર્ષનાં અશ્વિન મહેશ્વરી બાઇક નંબર GJ-12 BE 1814 પર મોડી રાતે ગામની નજીક હાઇવે હોટલ પર ચા પીવા જતા હતાં. તે દરમિયાન અંજાર-મુંદરા હાઇવે પર અજાણ્યા વાહને તેમની બાઇકને ટક્કર મારી હતી. જેમાં ઘટના સ્થળે જ નીતિન અને અશ્વિનનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિરેન્દ્રને અંજાર રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
મૃતક વિરેન્દ્રનાં પરિવારજનોએ આક્ષેપ કરતાં જણાવ્યું છે કે મોડી રાતે રેફરલ હોસ્પિટલમાં વિરેન્દ્રને સમયસર યોગ્ય સારવાર ન મળતા મોત નીપજ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે આ હોસ્પિટલમાં પચાસ ટકાથી વધારે તબીબ અને સ્ટાફની ઘટ છે. પરિવારજનોએ એક અરજી કરીને અંજાર રેફરલ હોસ્પિટલમાં સ્ટાફ ભરવાની માંગ કરી છે. જેમાં તેમણે એમ.એસ. સર્જન, ઓર્થોપેડિક સર્જન, બાળરોગ નિષ્ણાંત, આંખનાં સર્જન, ફિઝિશીયન, એમ.ડી આ ઉપરાંત હોસ્પિટલમાં જરૂરી સાધન સામગ્રીની પણ માંગ કરી છે.