થેલેસેમિયાગ્રસ્ત બાળકોનો રેડક્રોસ સોસાયટી અડીખમ સહારો

અમદાવાદ, તા. 07

આખા દેશમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી માનવતાની સેવાનું કાર્ય કરી રહી છે. પરિવર્તનશીલ સંસારમાં જેને જન્મ લીધો છે તેનું મૃત્યુ નિશ્વિત છે. પણ ધન્ય છે એ લોકો જે જન્મ અને મૃત્યુની વચ્ચેનો સમય પરોપકાર, સેવા અને લોક કલ્યાણમાં પસાર કરે છે, આવા લોકો આવનારી પેઢી માટે પ્રેરણાનું કારણ બને છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પણ આ માધ્યમ થકી તાલુકા અને જિલ્લા સ્તર પર સેવાનું કાર્ય કરી રહી છે એવું ગુજરાતના રાજ્યપાલે જણાવ્યું હતું.

શહેરમાં આજે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આયોજિત ગુજરાત રેડક્રોસ સોસાયટી બ્રાન્ચની રાજ્યકક્ષાની કોન્ફરસમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, ગુજરાત રેડક્રોસ શાખા દ્વારા પ્રશંસનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે. એકપણ એવું ક્ષેત્ર નથી, જ્યાં રેડક્રોસ સોસાયટીએ પોતાની સેવાનો પરિચય ન આપ્યો હોય. થેલેસેમિયા એક ગંભીર બિમારી છે, જેમાં બાળકને જન્મતાની સાથે જ તેની સામે લડવું પડતું હોય છે. આવા સમયે આ બાળકો માટે કોઇ સહારો હોતું નથી. ત્યારે રેડક્રોસ સોસાયટી આ બાળકોનો સહારો બની છે, ત્યારે આ માનવતાનું મોટું કાર્ય રેડક્રોસ સોસાયટી દ્વારા કરવામાં આવી રહ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યુ કે, રક્ત એક જીવન છે. રક્તદાન આપનાર દરેક વ્યક્તિ એવું વિચારે છે, તેનું લોહી બીજા વ્યક્તિ માટે એક જીવન બની શકે છે. ત્યારે રેડક્રોસ સોસાયટી દ્વારા મોટી સંખ્યામાં બ્લડ બેંકોની સ્થાપના કરવામાં આવી છે, જે માનવતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય.

રાજ્યપાલે જણાવ્યું કે, રેડક્રોસ સાસાયટીની પ્રયોગશાળામાં સ્વાસ્થ્ય માટે જે શાનદાર સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે, તે અદભુત છે. ગરીબ જનતાને વ્યાજબી કિંમતે સ્વાસ્થ્ય લગતી સુવિધાઓ આપવામાં આવી રહી છે તે પ્રશંસાને પાત્ર છે. લોકોની ભલાઇના વિચારના ઉદ્દેશથી રેડક્રોસ સોસાયટી દેશ અને વિશ્વમાં આગળ વધી રહી છે.

નેશનલ હેડ ક્વાર્ટરના જનરલ સેક્રટરી આર.કે.જૈને જણાવ્યું કે, રેડક્રોસ સોસાયટીની નેશનલ ટીમ દરેક સ્ટેટની બ્રાન્ચ ટીમ સાથે મળીને કામ કરી રહી છે. પણ આનંદની વાત એ છે કે દરેક પ્રોગ્રામમાં ગુજરાત સ્ટેટ બ્રાન્ચની ટીમ સૌથી આગળ છે. આ ઉપરાંત રેડક્રોસ સોસાયટી દ્વારા દરેક જિલ્લા અને તાલુકા સ્તર પર વોલન્ટિયર્સનું એક વિશાળ નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે.