અમરેલી,તા:૦૬
અમરેલી જિલ્લાના બગસરા, ધારી, વિસાવદર અને ભેંસાણમાં દીપડાના હુમલાનો ભય ફેલાયો છે, ત્યારે સ્થાનિક સ્તરેથી દીપડાથી રક્ષણ માટે માગણી ઊઠી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના હુમલાના પગલે વિસાવદરના ધારાસભ્યએ મુખ્યપ્રધાન ને પત્ર લખી પોલીસ રક્ષણ માટે માગણી કરી છે.
દીપડાના ભયના પગલે સ્થાનિક ખેડૂતો રાત્રે ખેતરમાં પાણી વાળવા માટે જઈ શકતા નથી. ખેડૂતની સમસ્યા છે કે તંત્ર દ્વારા માત્ર રાત્રે જ થ્રી-ફેઝ પાવર મળે છે, જેથી ખેતરમાં પાણી માત્ર રાત્રે જ વાળી શકાય છે. જ્યારથી દીપડાનો ત્રાસ શરૂ થયો છે ત્યારથી રાત્રે ખેડૂતો ખેતરમાં જતા ડર અનુભવી રહ્યા છે. આ અંગેની સમસ્યા રજૂ કરતાં વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ મુખ્યપ્રધાનને દિવસે થ્રી-ફેઝ પાવર આપવા અંગે રજૂઆત કરી છે.
આ ઉપરાંત હર્ષદ રીબડિયાએ સ્થાનિક ખેડૂતોને દીપડાના ત્રાસ અંગે પોલીસ રક્ષણ આપવા પણ મુખ્યપ્રધાનને લખેલા પત્રમાં માગણી કરી છે.