દીપડો બાળકને ઉઠાવી ફાડી ખાધો

બગદાણાના માલપર ગામની સીમમાંથી મોડી રાત્રીએ ગાયોના અવાજ સાંભળતા માલધારીએ તપાસ કરતા દીપડાએ નિંદ્રાધીન બાળકને ઉપાડી જઈ શિકાર બનાવ્‍યો હતો. મહુવા તાલુકાના માલપર ગામની સીમમાં ગત રાત્રીના સુમારે દીપડાએ એક માસૂમ બાળકને ઉપાડી જઈ ફાડી ખાધો હતો. બગદાણાથી 7 કિ.મી.ના અંતરે માલપર ગામ આવેલું છે. અહીં રામભાઈ જેહીભાઈના ખેતરમાં ગઈકાલે સોમનાથ જિલ્‍લાના માલધારીઓના સમૂહે પોતાના પશુઓ સાથે પડાવ નાખ્‍યોહતો. જયાં સીમમાં રાત્રીએ દીપડો ત્રાટકતા લાલાભાઈ રાતડીયાનો પુત્ર 3 વર્ષનો મોહિતને લઈ જઈ દીપડાએ ફાડી ખાધો. જંગલ વિભાગે શોધખોળ આદરી હતી. જેમાં પરોઢીયે બાળકનો વિકૃત મૃતદેહ હાથ લાગ્‍યો હતો. આ બનાવના પગલે વન વિભાગ આર.એફ.ઓ. મહુવાથી નીરવ મકવાણા અને સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી ગયો.

ખુંખાર દીપડાઓ બાળકોને કેમ શિકાર બનાવી રહ્યા છે?

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સુડાવડ ગામની સીમમાં 4 ડિસેમ્બર 2018ના દિવસે અઢી વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો હતો. અશ્વિનભાઈ બચુભાઈ કોરાટની વાડીમાં રહેતા પરપ્રાંતીય પ્રભુભાઈ ડામોરના પરિવારની ઝૂંપડી પાસેથી દીપડો પ્રભુભાઈના પુત્ર મેહુલને માતાની પડખે સૂતો હતો ત્યારે ખેંચીને ઉઠાવી ગયો હતો. તેનો શિકાર કરી ગયો હતો. બાળકની બોડી પણ હજુ સુધી મળી નથી. વન વિભાગ અને પરિવારજનોએ બાળકની શોધખોળ આદરી હતી.

બાળકો અને વૃદ્ધો પર દીપડાના હુમલા વધી રહ્યાં હોવાથી ગુજરાતના લોકો હવે દીપડાને મોતને ઘાટ ઉતારી રહ્યાં છે.

ગયા અઠવાડીયે દાહોદ જિલ્લાના ધાનપુર અને વાંછીયા ડુંગરી રેન્જ ફોરેસ્ટ વિસ્તારના ગામોમાં માનવભક્ષી દીપડાનો આતંક વધી ગયો છે. ત્રણ લોકોનો શિકાર થતાં સાંજ પડતા જ ગામ સૂમસાન થઈ જાય છે.

5 નવેમ્બર 2018માં ગુજરાત સચિવાલય અને વિધાનસભા સંકુલમાં રાતના સમયે દીપડો ઘુસ્યો હતો. તેને શોધવા માટે વન વિભાગની 100 લોકોની ટીમ કામ પર લાગી હતી. અભિયાન એટલા માટે ચલાવાયું હતું કે, ત્યાં મુખ્ય પ્રધાન, પ્રધાનો, વિધાનસભાના અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતા, અધિકારીઓની કચેરીઓ આવેલી છે. બીજા દિવસે જ દરવાજા પર લોખંડની જાળી નાખી દેવામાં આવી હતી. જ્યારે ગામડાના ખેતરોમાં ઝુંપડામાં રહેતાં લોકોના બાળકોને દીપડાઓ ખાઈ રહ્યાં છે છતાં તેમની તકેદાકરી રાખવા માટે વન મંત્રી ગણપત વસાવા કંઈ કરી રહ્યાં નથી.

છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં દીપડાની વસતી ગણતરી મુજબ તેમની વસ્તીમાં 20.25% ની વૃદ્ધિ થઇ રહી છે. 2011માં ગુજરાતમાં દીપડાની વસ્તી 1,160 હતી અને 2016માં તે વધીને 1,395 થઈ ગઈ છે. 2008માં 1500થી 1600 દીપડા ગુજરાતમાં હોવાનો અંદાજ છે. 2017ના અંતમાં જુનાગઢ જિલ્લામાં 354 દીપડા હતા.

2016માં 34% એટલે કે 470 દીપડાઓ માનવીય વસવાટની નજીક રહેતાં જોવા મળ્યા હતા. અંદાજ મુજબ ડિસેમ્બર 2018માં 1500 દીપડામાંથી 40 ટકા દીવડાઓ માનવ વસતી નજીક આવી ગયા છે. જે લગભગ 610 દીપડા આવીને વસી ગયા છે.

સૌથી વધુ વસ્તી જૂનાગઢમાં 354 છે. બીજા નંબર પર ડાંગ 126 દીપડા છે. અમરેનીમાં 111 દીપડા છે જે ત્રીજા નંબરે છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં દીપડાની વસ્તી છે અને એ વસ્તીમાં ઝડપ થી વધારો થઇ રહ્યો છે.

દીપડાના શિકારમાં રોજ 1500 નાના મોટા પશુઓનો શિકાર કરીને પોતાનું પેટ ભરે છે. જંગલમાં ખોરાક ન મળે ત્યારે માનવ વસતી કે ખેતરોમાં બાંધેલા પશુઓનો શિકાર કરે છે. એક અંદાજ પ્રમાણે એક વર્ષમાં 200થી વધારે દીપડા જંગલ છોડીને માનવ વસતીમાં શિકાર કરવા આવે છે. દીપડા પાલતૂ દુધાળા કે ખેતીમાં કામ કરતાં બળદ કે વાછરડાનો શિકાર કરે છે. જેના કારણે બે હજારથી વધુ પશુના મોત થાય છે તેથી ખેડૂતોને વર્ષે 10 કરોડથી વધારાની કિંમત ધરાવતાં હોય એવા પશુ ગુમાવવા પડે છે. જેમાં બાળકો અને વૃદ્ધોને પણ શિકાર બનાવે છે.

85ના મોત

ગુજરાતમાં 2016મા 50 અને 2017માં 56 દીપડાની હત્યા થઈ હતી. જેમાં મોટા ભાગે માનવ અને પાલતુ પ્રાણી પરના હુમલાઓના કારણે થઈ હતી. ગીર-સોમનાથ, તાપી, ભાવનગર, અમરેલી, ડાંગ જિલ્લામાં દીપડાઓનો ત્રાસ વધતાં માણસો સાથે તે સંઘર્ષમાં આવી રહ્યાં છે. આદિવાસી વિસ્તારોમાં દીપડાના શિકાર રહ્યાં નથી. તેથી તે માનવ વસતીમાં આવીને પાલતૂ પ્રાણીઓનો શિકાર કરે છે. જેથી તેની હત્યા થાય છે.

દીપડાના હુમલા

ગુજરાતમાં ડિસેમ્બર 2018ના એક વર્ષમાં આદમખોર દીપડાના 50 હુમલા કર્યા હોવાની ઘટનાઓ અખબારોમાં આવી છે. જેમાં મોટાભાગે તો બાળકો અને અસક્ત વૃદ્ધોનો શિકાર કરે છે. જ્યારે પશુઓના શિકારનો કોઈ હિસાબ નથી. તેમ છતાં એક અંદાજ પ્રમાણે 200 જેટલાં દીપડા માનવ વસાહતમાં રોજ ભટકતાં હોય છે અને એટલા શિકાર કરે છે.

વિધાનસભાની વિગતો

ડિસેમ્બર 2017ની છેલ્લા બે વર્ષની સ્થિતીએ ગીર જંગલ વિસ્તારમાં હિંસક પ્રાણીના હુમલામાં 834 પ્રાણીઓ પશુઓના મોત નિપજયા હતાં. તેમાં ગીર સોમનાથ જંગલ વિસ્તારમાં છેલ્લા બે વર્ષમાં 728 પ્રાણીઓ અને અને માણસો પર હુમલા કે શિકાર કર્યાં હતા.

દીપડાઓએ બાળકો પર ક્યાં હુમલા કર્યા

2018

28 માર્ચ – મેધા પીપળીયા ગામે દીપડાએ હુમલો કરી બાળકનું મોત નિપજાવ્યું.
28 માર્ચ – કુંકાવાવ પાસેના મેઘા પીપળીયા ગામની સીમમાં સુતેલા 6 વર્ષના બાળકને દીપડો લઈ ગયો હતો. મઘ્‍યપ્રદેશના વતની એવા ભરતસિંગ તથા તેમનો પરિવાર ગઈકાલે રાત્રે ગરમીના કારણે ખેતરના ખુલ્‍લા ભાગમાં સુતો હતો
29 જુલાઈ – છોટાઉદેપુરના રાયપુર નજીક ચાર માસના બાળક સાથે જઈ રહેલાં દંપતી પર દીપડાએ હુમલો કર્યો હતો.
2 ઓગસ્ટ, બાઈક પર જઈ રહેલાં દંપતી પર હુમલો કર્યો. જે બાળકને ઉઠાવીને ભાગવાં જતાં આમ થયું હતું.
7 ઓગસ્ટ – મહુવામાં મારણ કરી બાળકને ઉપાડી ગયો દીપડો.
29 માર્ચ – અમરેલીના કુંકાવાવમાં દીપડાના હુમલાથી બળકનું મોત.
12 નવેમ્બર – બગસરા તાલુકાના રફાલા ગામે 10 વર્ષના બાળક ઉપર દીપડો ત્રાટકયો હતો.
કિશોરની માતા કમલાબેને દીપડાને ભગાડી દીધો અને દીકરાને બચાવી લીધો હતો. દીપડાના હુમલામાં કિશોરને માથા, ગળા તેમજ વાસાના ભાગે ઇજા થવા પામી હતી.
17 નવેમ્બર – ધારીના આંબરડી ગામે મોડી ઘરના સભ્યો સુતા હતા ત્યારે રાત્રે દીપડાએ બાળક પર હુમલો કરતા બાળક ગંભીર ઇજાગ્રસ્ત થયો છે..
07 ઓગસ્ટ – જેસર વિસ્તારમાં કરજાળા ગામે કનુભાઈ રાઘવભાઈ બારૈયાના ખાટલામાં સુતેલા બાળકને ખેંચી દીપડો નાસી છુટતા પરિવારે તેનો પીછો કર્યો હતો. દરમિયાન વોકળામાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.
4 ડિસેમ્બર અમરેલીના સૂડાવડ ગામની સીમમાંથી બે વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો હતો.
કુકાવાવ તાલકાના મેઘા પીપળીયાની સીમ વિસ્તારમાંમા દીપડાનો આંતક છ વર્ષ ના બાળક પર રાત્રીના સમયે હુમલો કર્યો હતો જેમાં બાળકનું મોત થયું હતું.
5 ડિસેમ્બર – અરીઠિયા ગામે ફળિયામાં રમતાં બાળકો પર દીપડો ત્રાટક્યો હતો. 7 વર્ષના બાળકે 8 વર્ષના દોસ્તને દીપડાના મુખમાંથી છોડાવ્યો હતો. ઘરના આંગણામાં નિલેષભાઈ અભેસિંહભાઈ ભાલિયા અને જયરાજ અજીતભાઈ ગોહિલ રમતા હતા.
2017

1 ફેબ્રુઆરી – ધોરાજીના સુપેડી ગામે 8 વર્ષની આદિવાસી બાળકીને દીપડો ઉઠાવી ગયો હતો.
3 ફેબ્રુઆરી 2017ના દિવસે પણ અમરેલીના વડિયાના ઢોળાવા ગામે બાળકીને દીપડો ઉપાડી ગયો હતો.
4 ફેબ્રઆરી – ભેંસાણના ધોળવા ગામે ખેતમજૂર પર દીપડાનો હુમલો થયો હતો. એક બાળકીને ઉઠાવી જઈને મોતને ઘાટ ઉતારી હતી.
23 માર્ચ જુનાગઢના દિવસેચોકી ગામ નજીક 7 વર્ષની બાળકીને દીપડાએ ફાડી ખાધી હતી.
01 જૂલાઈ ખાંભાના ભાડ ગામે ત્રણ ભાઈઓ ઉપર દીપડાએ હુમલો કર્યો હતો.
01 એપ્રિલ – અમરેલીના રાજુલાના ચોત્રા ગામે ખેતરના બાળક પર દીપડાએ હુમલો કરતાં બાળકની માતાએ દીપડા પર પાણી ભરેલી ડોલ નાખી સામનો કરી ભગાડ્યો હતો.
23 માર્ચ – જૂનાગઢના ચોકી ગામે 7 વર્ષના બાળક પર હુમલો કરતાં દાહોદથી આવેલા આદિવાસી મજુરના બાળકનું મોત થયું હતું.
12 જુલાઈ – ખાંભામાં દીપડાએ દીકરી અને માં પર દીપડાનો હુમલો.
27 સપ્ટેમ્બર – ગીર સોમનાથ 7 વર્ષના બાળકે પોતાના મિત્રને દીપડાએ કરેલાં હુમલામાં બચાવ્યો હતો.
29 સપ્ટેમ્બર – તાપી જિલ્લાના વાલોડમાં માનવ વસતીમાં આવી 6 વર્ષના બાળક પર હુમલો કર્યો હતો.
ધોરાજીના સુપેડી ગામે 8 વર્ષની આદિવાસી બાળકીને દીપડો ઉઠાવી ગયો હતો, તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
28 જુલાઈ – ધોરાજીના છાડવાવદર ગામે મોડી રાત્રે મહારાષ્ટ્રથી ખેત મજૂરી કરવા આવેલ પરિવારનો પાંચ વર્ષનો બાળકો દીપડો ઉપાડી ગયો હતો. ત્યારબાદ બાળકનો સીમમાંથી માથું અને પગ વગરનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી.
2016

19 ઓગસ્ટ – અમીરગઢના વેરા ગામે દીપડાએ હુમલો કરતાં માતા અને પુત્ર ઘવાયા હતા.
02 નવેમ્બર – સુરતના માંગરોળમાં 7 વર્ષના બાળકનો શિકાર કર્યો હતો. બાળકીનું મોત.
21 ઓક્ટોબર 2016 – ઉમરપાડાના વાડી ગામના રહેણાંક વિસ્તારમાં સાંજના સમયે 12 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. બાળકે બૂમો પાડતા બાળકના પિતા મહેશભાઈ તેમજ ફળીયાના લોકો મદદે દોડી આવ્યા હતા. અને દીપડાના પંજામાંથી બાળકને છોડાવ્યો હતો.
2013

18 ઓગસ્ટ 2013 – કોડીનારના ફાચરીયાની સીમમાં શ્રમિક પરિવારના ઝુંપડામાં દીપડાએ ઘુસી આવી 8 વર્ષના બાળકને ગળાથી પકડી ઉપાડી જાય એ પહેલાજ પરિવારના સભ્યો જાગી જતાં તેનો જીવ બચી ગયો હતો.

2012

21 ફેબ્રુઆરી 2012 ઊનાના ખાપટ ગામની સીમમાં રાતના દેવીપૂજક નાનજીભાઈ વલકુભાઈ વાઘેલાના પરિવારની માતાની સોડમાં સૂતેલા ત્રણ વર્ષના બાળકને દીપડો ઉપાડી ગયો હતો.

તકેદારી રાખો

દીપડાના હુમલાથી બચવા બંધ મકાનમાં સૂવો.
માંસ-મચ્છી ખાનારા લોકોએ એઠવાડને બહાર ન ફેંકો.
ગંધથી આકર્ષાઈને દીપડાઓ મજૂરોના ઝૂંપડાંઓની આજુબાજુમાં આવી જતા રોકો.
(દિલીપ પટેલ)