પતંગના કારણે સુરતના 100 પુલ પર બે પૈડાના વાહનો પર પ્રતિબંધ મૂકાયો

સુરત શહેરમાં ઉત્તરાયણ દરમિયાન પતંગના દોરાથી કોઈનું ગળું ન કપાય અને બીજી કોઈ ઘટના ના બને તે હેતુથી આગામી બે દિવસ એટલે કે 14 અને 15 જાન્યુઆરીના રોજ શહેરના તમામ ઓવરબ્રિજ પર ટુ-વ્હિલરની અવર-જવર પર પ્રતિબંધ મુકી દીધો છે. સુરતમાં 100 પુલ છે. અમદાવાદમાં 55 પુલ છે છતાં અમદાવાદ પોલીસ કમિશ્નર ક્યારેય પુલ પર ન જવાનું જાહેરનામું બહાર પાડતાં નથી.

સાયકલ લઈને સગા-સંબંધી કે મિત્રના ઘરે  જઈ સકશો પણ, ટુ-વ્હિલર લઈને બે દિવસ સુધી નહીં જઈ શકાય.  ફરજિયાતપણે ઓવરબ્રિજની નીચેથી જ જવું પડશે. જેને કારણે શહેરમાં વિવિધ જગ્યાઓ પર ટ્રાફિક જામની સમસ્ય સર્જાઈ શકે છે. પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામાના કારણે આગામી બે દિવસ શહેરીજનોએ ઘણી  મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

ઉત્તરાયણ દરમિયાન આકાશમાં ચગતા પતંગ જ્યારે કપાઈને નીચે આવે છે, તો ત્યારે તેની દોરી વાગવાને કારણે ઘણા અકસ્માતો સર્જાતા હોય છે અને ઘણા કિસ્સાઓમાં મોતની ઘટના પણ બનતી હોય છે. આથી, સાવચેતીના પગલાંરૂપે ઉત્તરાયણના બે દિવસ દરમિયાન શહેરના તમામ ઓવરબ્રિજ પરથી ટુ-વ્હિલરની અવર-જવરને બંધ કરવામાં આવી છે. ગયા વર્ષે આખા રાજ્યમાં દોરીથી અને પતંગથી 20 લોકોના મોત થયા હતા.