અમદાવાદ,રવિવાર
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના રિટર્ન ફાઈલ કરવા માટે સહજ, સુગમ અને નોર્મલ નામથી ત્રણ નવા ફોર્મ લોન્ચ કર્યા છે. સહજ અને સુગમના ફોર્મનો ઉપયોગ કરનારા વેપારીઓ તેમના કેટલાક ઇન્વોઈસ બતાવવાના ભૂલી જશે તો તેને માટે તેમને ત્યારબાદના રિટર્નમાં ટેક્સ ક્રેડિટ મળશે જ નહિ. આ ફોર્મ 2019-20ના નાણાંકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળાના રિટર્ન ફાઈલ કરવા માટે ઉપયોગમાં લેવાની જણાવવામાં આવશે. આમ પહેલી ઓક્ટબરથી ફાઈલ થનારા રિટર્ન માટે આ ફોર્મનો ઉપયોગ કરવા જણાવવામાં આવશે. જીએસટીઆર-2ના વિકલ્પ રૂપે સહજ અને જીએસટીઆર-3ના વિકલ્પ સુગમ નામના ફોર્મ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી રહ્યા છે. 2019-20ના પહેલા ત્રિમાસિક ગાળા માટે જીએસટીઆર-3બી(ખરીદ વેચાણની સમરી સાથેના) અને જીએસટીઆર-1 (ખરીદી) ફોર્મ ભરવાનું ચાલુ રાખવાનું રહેશે.
નવા સહજ અને સુગમ ફોર્મ અંગે વાતચીત કરતાં ભારતના ટોચના દસ જીએસટી કન્સલ્ટન્ટની કેટેગરીમાં આવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હેમ છાજેડનું કહેવું છે કે ટેક્સ જમા કરાવનારાઓને ટેક્સની ક્રેડિટ મળવી તે તેનો કાયદેસરનો અધિકાર છે. આ અધિકારને કોઈપણ જોગવાઈથી છીનવી શકાય જ નહિ. તેમ છતાંય સહજ અને સુગમના માધ્યમથી આ અધિકારને છીનવી લેવાની કોશિશ કરવામાં આવી છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ન ભરનારાઓ સામે ડિપાર્ટમેન્ટ પગલાં લઈ શકે છે. તે જ રીતે જીએસટી ભરનારાઓને ટેક્સ ક્રેડિટથી કોઈ જ વંચિત રાખી શકશે નહિ.
વાર્ષિક રૂા. 5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવનારાઓની મરજી હોય તો તેઓ નોર્મલ ફોર્મ જીએસટીઆર-1 ફાઈલ કરી શકે છે. પરંતુ રૂા. 5 કરોડથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવનારાઓ માટે જીએસટીઆર-1 ફાઈલ કરવું ફરજિયાત છે. કોઈપણ ત્રિમાસિક ગાળાના આરંભમાં વર્ષમાં એકવાર તેઓ સહજ કે સુગમ ફોર્મ ભરીને તેના પર શિફ્ટ કરી શકે છે. રૂા. 5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવનારાઓ માટે સહજ ભરવાનો વિકલ્પ ખોલી આપવામાં આવ્યો છે. રૂા. 5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવનારાઓ માટે સુગમ ફાઈલ કરવું પણ વૈકલ્પિક રાખવામાં આવ્યું છે. સહજ રિટર્નથી ક્વાર્ટરલી નોર્મલ રિટર્ન ફાઈલ કરવા માટે પણ કોઈપણ ત્રિમાસિક ગાળાના આરંભમાં વર્ષમાં એક વાર નોર્મલ ફોર્મ ભરવાનું રહેશે. આ જ રીતે સુગરમાંથી ક્વાર્ટરલી નોર્મલ રિટર્ન ફાઈલ કરવા માટે કોઈ પણ ત્રિમાસિક ગાળાના આરંભમાં વર્ષમાં એકવાર નોર્મલ ફોર્મ ભરવાનું રહેશે.
જોકે બિઝનેસ ટુ બિઝનેસ ડીલિંગ કરનારાઓએ જીએસટીઆર – 1 ફાઇલ કરવાનું છે. તેમને માટે સુગમ (જીએસટીઆર-3) ફાઈલ કરવાનો વિકલ્પ ખોલવામાં આવ્યો છે. બિઝનેસ ટુ કન્ઝ્યુમર સાથે વહેવાર ધરાવતા વેપારીઓ માટે નોર્મલ (જીએસટીઆર-1) સહજ (જીએસટીઆર-2) અને સુગમ (જીએસટીઆર-3) ભરવાનો વિકલ્પ ખુલ્લો રાખવામાં આવે છે. નિકાસકરનારાઓ માટે જીએસટીઆર-1 જ ફાઈલ કરવું ફરજિયાત છે. તેમને માટે સહજ કે સુગમનો વિકલ્પ છે જ નહિ. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન-એસઈઝેડમાં એકમ ધરાવનારાઓ માટે પણ જીએસટીઆર-1 ફાઈલ કરવું ફરજિયાત છે. તેમને સહજ કે સુગમ ફાઈલ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો નથી. ડિમ્ડ એક્સપોર્ટ કરનારાઓ માટે પણ સહજ અને સુગમ ફાઈલ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ નથી. ઇ- કોમર્સ ઓપરેટર્સ માટે પણ સહજ કે સુગમનો ઉપલબ્ધ નથી. તેમને માટે જીએસટીઆર-1 ફાઈલ કરવું ફરજિયાત છે. રિવર્સ ચાર્જ મિકેનિઝમથી જીએસટી ભરનારાઓ માટે જીએસટીઆર-1, સહજ કે સુગમ ત્રણેય વિકલ્પોનો ઉપયોગ કરવાની મંજૂરી આપેલી છે. તેવીજ રીતે સેવાની કે માલની આયાત કરનારાઓને સહજ કે સુગમનો વિકલ્પ આપવામાં આવ્યો નથી. તેવી જ રીતે એસઈઝેડમાંથી માલની આયાત કરનારાઓ માટે પણ આ વિકલ્પ ઉબલબ્ધ કરાવવામાં આવ્યો નથી.