પાટણ, તા.08
પાટણમાં ભાઇ અને ભત્રીજીને ધતુરાનો રસ અને સાઇનાઇડ આપી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનામાં મહિનાઓ પછી નવું વર્ષ શરુ થઇ ગયું પણ હજું ફોરેન્સિક લેબોરેટરીમાંથી રીપોર્ટ આવ્યો નથી. દરમ્યાન હત્યા કરનાર ડેન્ટીસ્ટ આરોપી કિન્નરી પટેલની જામીન અરજી સેસન્સ કોર્ટે નામંજુર કરી છે.
પાટણના રહીશ અને અમદાવાદ ખાતે રહેતા પરિવારની ડેન્ટીસ્ટ દિકરી કિન્નરી પટેલે તેને પરિવારમાં મહત્વ ન મળતું હોવાના કારણે પહેલાં તેના ભાઇ જીગરને ધતુરાના બીજ અને સાઇનાઇડની કેપ્સુલ આપી મોત નિપજાવ્યું હતું અને બાદમાં તેની ભત્રીજી માહીને પણ સાઇનાઇડથી મોતને ઘાટ ઉતારી હતી. આ ચકચારી કેસમાં કિન્નરી હાલે મહેસાણા જેલમાં છે તેની જામીન અરજી એડીશનલ સેસન્સ જજ એ.કે.શાહની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ એસ.એચ.પટેલ અને આરોપીના વકીલની રજુઆતો બાદ જામીન અરજી નામંજૂર કરી હતી. આ મામલે માહીના મૃતદેહના વિશેરા એફએસએલ લેબ ગાંધીનગરમાં મોકલી અપાયા હતા પણ હજુ તેનો રીપોર્ટ આવ્યો નથી.