પીએમ સાહેબ, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે દેશમાંથી તો પ્રવાસીઓ આવે છે પણ વિદેશમાંથી કયારે?

ગાંધીનગર, તા. 14

રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વેગવંતો બનાવવા સરકારે મોટા ઉપાડે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું લોકાર્પણ કર્યું. 2018 સુધીમાં આ સ્ટેચ્યૂને જોવા આવનારા પ્રવાસીઓની સંખ્યા 26 લાખ થઈ ગઈ છે. પરંતુ સરકારનો વિદેશી પ્રવાસીઓને આકર્ષવાનો હેતુ બર આવ્યો નથી. એની પાછળ મુખ્ય કારણ એવું છે કે, વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે જે પ્રકારનું પ્રમોશન કરવું જોઈએ તે સ્તર ઉપર કર્યું જ નથી. અત્યારસુધીમાં ખૂબ જ ઓછી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ આવતાં રાજ્ય સરકાર અને ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ઉધામા શરૂ કરવામાં આવ્યા છે.

2018માં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું લોકાર્પણ થયું

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર 31 ઓક્ટોબર 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું રંગેચંગે લોકાર્પણ કરવામાં આવ્યું. જ્યારે આ સ્ટેચ્યૂનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે વડાપ્રધાન મોદીએ ખુદે એવું કહ્યું હતું કે, આ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે ત્યારે તેને જોવા દેશ વિદેશમાંથી પ્રવાસીઓનો ભારે ધસારો થશે. વડાપ્રધાનના આ બોલ સાચા પડ્યા, પણ માત્ર દેશના પ્રવાસીઓ પુરતા જ તે સાચા ઠર્યા. બાકી વિદેશી પ્રવાસીઓ બહુ ઓછી સંખ્યામાં અહીં ડોકાયા છે.