બેઠાડું જીવનના કારણે રોગનો ભોગ બનતા બચવા નિયમિત કસરત જરૂરી

અમદાવાદ, તા. 10

વિશ્વમાં અન્ય પડકારોની સાથે સાથે બેઠાડું જીવન અને તેના પગલે ઊભા થતા રોગો પણ એક મોટો પડકાર છે. બદલાતી જીવનશૈલીને પરિણામે લોકોમાં અનેક પ્રકારના શારીરિક રોગો ઘર કરી ગયા છે, ત્યારે આપણી દૈનિક પ્રક્રિયામાં શારીરિક શ્રમની સાથે કસરતનુ પણ મહત્વનું બની ગયું છે. તેના ભાગરૂપે આજે અમદાવાદમાં એખ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં કે. ડી. હોસ્પિટલ અને રિલાયન્સના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી કે. ડી. મેરેથોનનું નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવતાં જણાવ્યું હતું કે, રાજરોગ તરીકે ઓળખાતો ડાયાબિટીસ રોગ એક સમયે માત્ર સાધન સંપન્ન કે અમીર પરિવારોમાં જોવા મળતો હતો. પરંતુ આજે આ રોગ નાના બાળકો યુવાનોમાં પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે.

રોગ માટે બેઠાડું જીવન જવાબદાર

આજના યુવાનોમાં શ્રમનું પ્રમાણ અત્યંત ઘટ્યું છે એટલું જ નહીં આજની યુવા પેઢી બેઠાડું જીવનની સાથે-સાથે સમય જાગૃતિના અભાવ વચ્ચે કસરત કરવાથી પણ દૂર રહી છે ત્યારે યુવાનોમાં જાગૃતિ આવે તે માટે આ પ્રકારની મેરેથોન એ સમયની માંગ છે.

રાજરોગને કારણે અન્ય રોગ પ્રવેશે છે

ડાયાબિટીસ એક એવો રોગ છે જેના પગલે શરીરમાં અન્ય રોગો પણ જન્મે છે અને ત્યારે આ રોગ જીવલેણ પણ પુરવાર થાય છે. નાયબ મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, ડાયાબિટીસને અટકાવવો હોય કે પાછો ઠેલવો હોય તો, તેનો સૌથી સરળ ઉપાય છે સ્વસ્થ જીવનશૈલી અને સ્વસ્થ જીવન શૈલીનું સૌથી મહત્વનું પાસું એટલે નિયમિત કસરત. આ કસરત શરીરમાં સુગરનું પ્રમાણ નિયંત્રણમાં રાખે છે, પરંતુ સાથે વજનને ઘટાડવામાં પણ મદદ કરે છે. આજે એક સાથે આટલા બધા લોકો મેરેથોનમાં સહભાગી થવા વહેલી સવારે ઉમટ્યા છે તે આનંદની વાત છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

અત્રે નોંધનીય છે કે, શહેરમાં 21, 10, અને 5 કિ.મીની દોડમાં યુવાનો ઉપરાંત અન્ય લોકો પણ જોડાયા હતા. આ પ્રસંગે ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદના મેયર બિજલબહેન પટેલ, રિલાયન્સના ગ્રૂપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી અને કે. ડી. હોસ્પિટલના ડો. કેતન દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.