ગાંધીનગર, દેશનાં મોડેલ સ્ટેટ ગણાતાં ગુજરાતનું આરોગ્ય દિવસેને દિવસે કથળી રહ્યું છે. અને પોષણહિન બાળકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં 1 લાખ 42 હજાર 142 બાળકો કુપોષણનો શિકાર હોવાનું રાજ્ય સરકારે સ્વીકાર્યું છે. જેમાં દાહોદમાં સૌથી વધુ 14,991 બાળકો કુપોષિત હોવાનું બહાર આવ્યું છે. આરોગ્ય મંત્રી તરીકે જ્યારથી નીતિન પટેલ આવ્યાં છે ત્યારથી રાજ્યનું આરોગ્ય વધુને વધુ કથળી રહ્યું છે. તાજેતરમાં જ નીતિ આયોગે પણ ગુજરાતનાં આરોગ્યની ટિકા કરતો અહેવાલ રજૂ કર્યો હતો અને દેશમાં આરોગ્ય ક્ષેત્રે ગુજરાતને 17મો ક્રમાંક આપ્યો હતો. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં મોડેલ સ્ટેટ તરીકે દેશમાં નામના થતી રાજ્ય દિવસેને દિવસે અસ્વસ્થ બની રહ્યું છે. મુખ્ય પ્રધાન રૂપાણીના રાજકોટમાં સ્થિતી ખરાબ છે. બાળકોને સારું ખાવાનું ગરીબ મહિલાઓ આપી શકતી નથી તેથી તેઓ શારિરીક નબળા છે.
કરોડોનો ખર્ચ પણ પરિણામ શૂન્ય
એકબાજુ સરકાર દ્વારા પ્રતિ વર્ષ ગુજરાતનાં સ્વાસ્થ્ય બાબતે કરોડોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર બેનરો, જાહેરખબરો પાછળ કરોડો ખર્ચવા છતાં પણ બાળકોનાં પોષણનાં મામલે સરકાર ઠેરની ઠેર ઊભી હોય એવું ફલિત થાય છે. આરોગ્ય મંત્રી નીતિન પટેલનાં રાજમાં રાજ્યનાં લોકોનું આરોગ્ય સુધરવાનાં બદલે વધુને વધુ કથળી રહ્યું છે. આ બાબતે તાજેતરમાં નીતિ આયોગનાં અહેવાલમાં પણ રાજ્યનાં આરોગ્ય બાબતે આકરી ટીકા કરવામાં આવી હતી. તેમ છતાં રાજ્યનું નિંભર આરોગ્ય તંત્ર હજુ સુધી ચિંતિત બન્યું હોય એવું લાગતું નથી.
રાજ્યમાં 1 લાખ 42 હજાર 142 બાળકો પોષણહિન
ગુજરાતમાં દિવસેને દિવસે કુપોષિત બાળકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. સરકાર દ્વારા કુપોષણ માટે ખાસ ઝૂંબેશ પણ ચલાવવામાં આવી રહી છે તેમ છતાં તેનું કોઈ નક્કર પરિણામ આવતું નથી. આજે ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં કુપોષણ મુદ્દે કોંગ્રેસે પૂછેલાં અલગ અલગ સવાલોનાં જવાબમાં રાજ્યમાં 1 લાખ 42 હજાર 142 બાળકો કુપોષણનો શિકાર હોવાનો ખુલાસો થયો છે. જ્યારે વર્ષ 2018માં વિધાનસભા સત્રમાં રાજ્ય સરકારે 1 લાખ 5 હજાર 938 બાળકો કુપોષિત હોવાનો સ્વીકાર કર્યો હતો. આમ જોઈએ તો માત્ર સત્તર મહિનામાં કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યામાં 36 હજાર 204નો વધારો થયો છે.
આદિવાસી વિસ્તારોમાં કુપોષણની સ્થિતિ ગંભીર
ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન કુપોષણનાં આંકડાઓ સામે આવ્યા છે. એક તરફ રાજ્ય સરકાર વિકાસની વાતો કરે છે ત્યારે બીજી બાજુ આ પ્રકારના આંકડા સરકારના વિકાસની વાતોના દાવા ઉઘાડાં પાડે છે. નર્મદા જિલ્લામાં 12667 બાળકો કુપષોણનો શિકાર છે, આદિવાસી વિસ્તારમાં કુપોષણનું પ્રમાણ વધારે જોવા મળે છે. જોકે, આ રેસમાં મહાનગરો પણ બાકાત નથી. શહેરોમાં સૌથી વધુ વડોદરામાં બાળકો કુપોષિત છે.
દાહોદમાં સૌથી વધુ કુપોષિત બાળકો
રાજ્યસરકારે વિધાનસભામાં જાહેર કરેલા આંકડા મુજબ સૌથી વધુ કુપોષિત બાળકો દાહોદમાં છે. દાહોદમાં 14191 બાળકો કુપોષિત છે, જ્યારે રાજ્યમાં કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા
આણંદ 6026,
વલસાડ 1582,
કચ્છ 2414,
પાટણ 4334,
બનાસકાંઠા 6071,
મહેસાણા 1248,
ખેડા 7021,
મહીસાગર 4098,
અમરેલી 2236,
બોટાદ 758,
જામનગર 2704,
દેવભૂમિ દ્વારકા 1618,
અમદાવાદ 1925,
ગાંધીનગર 4265,
સાબરકાંઠા 7797, અરવલ્લી 3551, છોટા ઉદેપુર 7031, નર્મદા 12673 સુરેન્દ્રનગર 5549, ભરૂચ 3560, નવસારી 1321, દાહોદ 14191, પંચમહાલ 6156, જૂનાગઢ 2278, પોરબંદર 469, તાપી 3194, ડાંગ 3324, મોરબી 1438,
રાજકોટ 3021, ગીર સોમનાથ 1076
ભાવનગર 7041,
વડોદરા 6854
સુરત, 5318 બાળકો કુપોષિત છે.
મહાનગરોમાં કુપોષણની સ્થિતિ ચિંતાજનક
ગામડાઓ કરતાં મહાનગરમાં કુપોષણની સ્થિતિ વધુ ચિંતાજનક છે. રાજ્યના મહાનગરમાં અમદાવાદમાં 1,925 બાળકો કુપોષણનો શિકાર છે, સુરતમાં 5318, મુખ્યમંત્રી રૂપાણીનાં રાજકોટમાં 3021, તો વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીનાં વડોદરમાં 6154 બાળકો કુપોષિત બાળકો હોવાનું સામે આવ્યું છે. એક બાજુ સરકાર મીડ ડે મીલ જેવા કાર્યક્રમો ચલાવી બાળકોને પૂરતું પોષણ આપવાનો દાવો કરે છે, પરંતુ રાજ્યના કુપોષણના આંકડા ચિંતાજનક છે.
મંત્રીઓને પણ રાજ્યની આરોગ્ય સેવાઓ પર ભરોસો નથી
રાજ્યની આરોગ્ય સેવા એટલી નિમ્ન કક્ષાની છે કે, મંત્રીઓ પોતે પણ પોતાની સારવાર કરાવવા માટે પડોશી રાજ્ય મહારાષ્ટ્રનાં મુંબઈ જાય છે. રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી પણ થોડાં સમય પહેલાં પોતાનાં પગનાં ઓપરેશન માટે મુંબઈની હોસ્પિટલમાં ગયા હતાં, જ્યારે અમદાવાદ પગનાં ઓપરેશન માટે ખૂબ જ પ્રખ્યાત છે અને દેશ વિદેશથી પણ લોકો અહીં પોતાનાં પગની સર્જરી કરાવવા આવતાં હોય છે. આ ઉપરાંત મહેસૂલ મંત્રી કૌશિક પટેલ, ભૂતપૂર્વ મત્સ્યોદ્યોગ મંત્રી પુરષોત્તમ સોલંકી, સહિત અનેક મંત્રીઓ પોતાની સારવાર કરાવવા માટે મુંબઈ ગયા હોવાનાં દાખલાં તાજા છે. ત્યારે એક વાત સ્પષ્ટ છે કે, જ્યારે રાજ્યનાં જ ચૂંટાયેલાં પ્રતિનિધિઓને પોતાનાં રાજ્યની આરોગ્ય સેવા પર ભરોસો ન હોય તો રાજ્યની પ્રજાને કેવી રીતે વિશ્વાસ બેસે.