મોદીનો 100 સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ નિષ્ફળ માંડ 10 ટકા કામ થયું

100 સ્માર્ટ સિટી બનાવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજના સદંતર નિફ્ષળ રહી હોવાનો મત નિષ્ણાંતોએ વ્ક્ત કરીને જાહેર કર્યું છે કે 96 સમાર્ટ શહેરોમાં 10 ટકા પણ કામ થયું નથી. સુરત, પૂણે, ઈન્દોર, ભુવનેશ્વર સ્માર્ટ સિટી પ્રોજેક્ટો વિકસાવવામાં અન્ય શહેરોથી થોડા આગળ છે, જ્યારે બાકીના સ્માર્ટ સિટી વિકસાવવાની બાબતમાં માંડ દસ ટકા કે તેનાથી ઓછી પ્રગતિ થઈ છે. તેનો મતલબ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને ભ્રમમાં નાંખવા જ આ પ્રોજેક્ટ જાહેર ક્ર્યા હતા પણ તેનો અમલ તો થયો નથી. જેની પાછળ રૂ.1 લાખ કરોડનું રોકાણ થવાનું હતું. જે રૂ.10 હજાર કરોડ પણ થયું નથી.

તેના માટે બે કારણો જવાબદાર છેઃ કેપેસિટી બિલ્ડીંગ ટ્રેનિંગનો અભાવ હોવાથી પ્રોજેક્ટમાં કેવી રીતે આગળ વધવું તેની મૂંઝવણ અનેક શહેરો અનુભવી રહ્યા છે. બીજું વિવિધ પ્રોજેક્ટો માટે ભંડોળ કેવી રીતે ઊભું કરવું તેની પૂરતા પ્રમાણમાં જાણકારીનો અભાવ જોવા મળે છે. સ્માર્ટ સિટીના પ્રોજેક્ટોને વેગ આપવા ફંડના ઈનોવેટીવ ઉપાયોને અગ્રક્રમ આપવો જ પડશે, એવો મત ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ સ્માર્ટ સિટીઝના માનદ્ નિયામક પ્રો. રજનિકાન્ત પટેલે વ્યક્ત કર્યો હતો.

કેન્દ્ર સરકારે100 સ્માર્ટ સિટી જાહેર કર્યા અને દરેકને પાંચ વર્ષમાં રૂ.500 કરોડની ગ્રાન્ટ ફાળવવાનું નક્કી કર્યું અને રાજ્ય સરકારે એટલી જ ગ્રાન્ટ ફાળવવાની હોઈ કુલ રૂ.1000 કરોડ દરેક શહેરને મળે એવી વ્યવસ્થા વિચારાઈ હતી.

ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી સમયમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનાં જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, અમદાવાદ, વડોદરા અને સુરત શહેરને સ્માર્ટ સિટી બનાવવા પાછળ કરોડોનો ખર્ચ કરાયો છે. તેમજ આગામી વર્ષોમાં આ ત્રણેય શહેરો પાછળ અધધધ કહી શકાય તેટલો રૃ. ૭૦૯૮ કરોડનો ખર્ચ કરાશે. જેનાં વિવિધ પ્રકારનાં ૯૩ કામોનો સમાવેશ કરાયો છે. જો કે કરોડો રૃપિયાનો ખર્ચ થયા પછી પણ સ્થિતિ યથાવત જ રહી છે. સ્માર્ટ સિટી અંતર્ગત લોકઉપયોગી તમામ સેવાઓને વધુ સુદ્રઢ બનાવાઈ હોવાનો સરકાર દાવો કરી રહી છે. જેમ કે વાહન વ્યવહાર, ઇન્ટરનેટ કનેક્ટિવિટી, પાણી-ગટર સહિતનાં વિકાસનાં કામો કરવામાં આવે છે. અમદાવાદમાં આવાસ, ગટર વ્યવસ્થા, સ્માર્ટ કાર્ડ, નેટ સહિતનાં કામો હાથ ધરાયા છે. આગામી વર્ષોમાં અમદાવાદના ૧૧ કામો પાછલ રૃ. ૨૪૯૪ કરોડ, સુરતમાં ૩૯ કામો પાછળ ૨૫૯૭ કરોડ અને વડોદરામાં ૪૩ કામો પાછળ ૨૦૦૯ કરોડ ખર્ચાશે. કેન્દ્ર સરકાર દ્વારા પણ કુલ ખર્ચની રકમમાં ૫૦ ટકા જેટલી ગ્રાન્ટ આપવામાં આવે છે.

મુખ્ય શહેરો ઉપરાંત ગુજરાતનાં ૩૧ જેટલા નાના ગામડાઓ શહેરોને પણ ‘સ્માર્ટ’ બનાવવાની વાત છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, સ્માર્ટ સિટીના પ્રોજેક્ટોમાં અને ટેન્ડરો આપવાની પ્રક્રિયામાં મોટા ગોટાળા ચાલતા હોવાની ફરીયાદો છે. પોતાના લાગતા વળગતા કોન્ટ્રાકટરોને કરોડો રૃપિયાનું કામ આપી દેવામાં આવે છે. અન્ય કોઈ પાર્ટી કામ ન લઇ શકે અથવા તો ટેન્ડર જ ન ભરી શકે એ પ્રકારની શરતો રાખવામાં આવે છે. ઉપરાંત કરોડો રૃપિયાનો ખર્ચ કર્યા પછી પણ આ ત્રણેય શહેરોમાં સ્થિતિ સુધરી હોવાનું જમાતું નથી. શહેરનાં ઠેર ઠેર ગંદકીના કચરાના ઢગલા જોવ મળે છે. પાણી-ગટરની વ્યવસ્થામાં પણ ફરીયાદો છે. ઇન્ટરનેટ કનેકશનો કે વાઇફાઈની સુવિધા ક્યાંય મળી નથી. ટૂંકમાં પ્રજાના કરોડો રૃપિયા ખર્ચાઈ ગયા હોવા છતાં ‘સ્માર્ટ સિટી’નો કોઈ જ લાભ લોકોને મળ્યો નથી. ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય નેતાઓ ‘સ્માર્ટ સિટી’માંથી ખુબ જ સ્માર્ટ બનીને ‘મલાઈ’ ખાઈ રહ્યા છે.