રાજકોટ કોંગ્રેસમાં અંદરો-અંદર વિખવાદ, છેવટે સોશિયલ મીડિયાનું વોટ્સએપ ગ્રુપ બંધ કરવું પડ્યું

રાજકોટ, તા:૧૬

થોડા દિવસ પહેલા અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર બે નેતાઓ વચ્ચે જાહેરમાં મારામારી થઇ હતી, તે વાત હજુ ચર્ચાનો વિષય છે, તેવામાં જ કોંગ્રેસનો વધુ એક વિવાદ સામે આવ્યો છે, રાજકોટમાં એક કોંગ્રેસી કાર્યકરે વોટ્સએપ ગ્રુપમાં ટિપ્પણી કરી હતી કે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર ફરીથી ભાજપમાં નહીં જતા રહે તેની શું ગેરંટી ? આ ટિપ્પણી બાદ વોટ્સએપ ગ્રુપમાં રિએક્શન ચાલુ થઇ ગયા હતા અને તુ તુ મે મે બાદ છેવટે આ ગ્રુપ બંધ કરી દેવું પડ્યું હતુ, પાર્ટીના કાર્યક્રમોમાં કોંગ્રેસ IT સેલના હોદ્દેદારો અને કાર્યકરોની ઉપેક્ષા થઇ રહી હોવાના આક્ષેપ બાદ શહેર કોંગ્રેસમાં ભડકો થયો છે.

બહાદુરસિંહ ઝાલા નામના કોંગ્રેસી કાર્યકરે આક્ષેપ કર્યો છે કે પક્ષના વિવિધ કાર્યક્રમોમાં આઈ.ટી.સેલના હોદેદારો સાથે યોગ્ય વર્તન પણ થતું નથી,તેમને એવી પણ ટિપ્પણી કરી હતી કે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર ફરીથી ભાજપમાં નહીં જાય તેની શું ખાતરી ? જો તેઓ સાચા કોંગ્રેસી હોય તો આ અંગે કોર્ટમાં સોગંદનામું કરાવે, જો કે અશોક ડાંગરે આ વિશે કંઇ જ ખબર ન હોવાનું કહ્યું છે, તેઓ થોડા સમય પહેલા જ ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યાં છે અને અઢી વર્ષ સુધી રાજકોટના મેયર પણ રહી ચુક્યાં છે.