દેશભરના શહેરોમાં સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી કેન્દ્રના સ્વચ્છ ભારત મિશન દ્વારા શરુ કરવામાં આવી છે. જેમાં શહેરને ચોખ્ખું રાખવાની બાબતમાં પહેલા અને બીજા કવાર્ટરના પરિણામ જાહેર કરાયા છે. કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણ કરવામાં આવે છે અને સ્વચ્છતાના અલગ-અલગ રાજ્યોના શહેરોને નંબર આપવામાં આવે છે. 10 લાખથી વધારે વસ્તી ધરાવતા શહેરોના સ્વચ્છતા સર્વેક્ષણ દરમિયાન સતત ચોથી વાર મધ્ય પ્રદેશનું ઈન્દોર સૌથી સ્વચ્છ શહેર બન્યું છે.
આ સ્વચ્છતા સર્વેક્ષણમાં સૌથી સ્વચ્છ કહેવામાં આવતું સુરત શહેરને ટોપ 20માં 20મુ સ્થાન મળ્યું છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં આગળ વધવાના બદલે સુરત પાછળ આવી રહ્યું છે. સ્વચ્છતા સર્વેક્ષણ દરમિયાન દેશના સૌથી સ્વચ્છ શહેરમાં બીજા ક્રમાંકે રાજકોટ આવ્યું છે. ચોથા ક્રમ પર વડોદરા અને છઠ્ઠા ક્રમ પર અમદાવાદ આવ્યું છે. આ સ્વચ્છતા સર્વેક્ષણ એપ્રિલથી જૂનના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન કરવામાં આવ્યો હતો.
મહત્ત્વની વાત કહી શકાય કે, સ્વચ્છતા સર્વેક્ષણ 2019માં પ્રથમ 10 શહેરોમાં ગુજરાતના ત્રણ શહેરોનો સમાવેશ થયો છે. એપ્રિલથી જૂનના પહેલા પહેલા કવાર્ટરમાં થયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં સ્વચ્છ શહેરોમાં સુરત ત્રીજા ક્રમાંક પર આવ્યું હતું, રાજકોટ ચોથા ક્રમાંક પર આવ્યું હતું અને અમદાવાદ 7માં ક્રમાંક પર આવ્યું હતું.
સ્વચ્છતા સર્વેક્ષણ દરમિયાન અધિકારીઓની ટીમ એકાએક કોઈ પણ શહેરની સરપ્રાઈઝ મુલાકાતે આવે છે અને શહેરના અલગ-અલગ સ્થળોની મુલાકાત કરીને કચરો એકત્રિત કરવાની રીત અને તેના નિકાલ કરવાની બાબત, લોકોમાં સ્વચ્છતાને લઇને મહાનગરપાલિકા દ્વારા કેવી જાગૃતિ ફેલાવવામાં આવે છે, શહેરમાં રાખવામાં આવેલી કચરા પેટીની સ્થિતિ, કચરા માટે લેવામાં આવતો ચાર્જ આવી ઘણી બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે અને ત્યારબાદ શહેરને સ્વચ્છતાની કામગીરી બાબતે રેન્ક આપવામાં આવે છે.