ગાંધીનગર,તા.07
ગુજરાતમાં ડુંગળીની અછત સર્જાઇ હોવાથી તેના દામ હજી પણ વધશે તેવી શંકા છે, હાલ છૂટક બજારમાં શાકભાજીનો ભાવ પ્રતિકિલોએ 90 રૂપિયા છે જે આગામી સપ્તાહ સુધીમાં 100 રૂપિયા થાય તેવી સંભાવના છે. ડુંગળીની જેમ અન્ય શાકભાજીના ભાવ પણ વધે તેવું એપીએમસી કહે છે. જો કે ખેડૂતોને વધેલા ભાવનો ફાયદો થતો નથી, માત્ર વેપારીઓ નફાખોરી કરી રહ્યાં છે.
ચોમાસાને કારણે ડુંગળીનો પાક તૈયાર નહી
સિઝનમાં માત્ર 10 રૂપિયે કિલોગ્રામના ભાવે વેચાતી ડુંગળી આજે પેટ્રોલના દામ કરતાં પણ વધી ગઇ છે, જ્યારે ટામેટાંના ભાવ પણ વધ્યાં છે જે ડુંગળીની કિંમતની આસપાસ જોવા મળે છે. રાજ્યમાં ચાર વાવાઝોડાં અને ભારે વરસાદના કારણે ખેડૂતોની ખેતી બરબાદ થઇ ચૂકી છે. ડુંગળીનું મુખ્ય મથક ભાવનગર છે પરંતુ આ વખતે મોડા ચોમાસાના કારણે ડુંગળીનો પાક તૈયાર થયો નથી તેથી રાજ્યના શહેરોમાં તેની અછત વર્તાઇ રહી છે.
શાકભાજી કરતા ફળો વધુ સસ્તા
ગુજરાતમાં ડુંગળીની જેમ લસણની કિંમત 300 રૂપિયા છે. ટામેટાં પણ 80 રૂપિયે કિલોના ભાવે વેચાઇ રહ્યાં છે. આદુનો ભાવ 160 રૂપિયે કિલો છે. સાવ સસ્તામાં મળતાં મૂળાંનો કિલોનો ભાવ પણ 80 રૂપિયા છે. શાકભાજીના બજારમાં આજે શાકભાજી કરતાં ફળો સસ્તાં મળી રહ્યાં છે. ડુંગળી કરતાં સફરજનનો ભાવ 30 રૂપિયા ઓછો છે.
રાજયમાં ડુંગળીની અછત
અમદાવાદની એપીએમસીના આંકડા પ્રમાણે ડુંગળીનું જથ્થાબંધ મૂલ્ય 55 રૂપિયા છે જે બજારમાં આવતા 90 રૂપિયા થવા જાય છે. ડુંગળીની અછત હોવાથી રાજ્યમાં તેના ભાવ વધી રહ્યાં હોવાનું નાગરિક પુરવઠા વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું. મહા વાવાઝોડાના કારણે ખેડૂતોએ હજી તેમની શાકભાજીના પાકને બજારમાં ઠાલવ્યા નથી તેથી ડુંગળી, ટામેટાં અને આદુ જેવા પાકોની અછત સર્જાઇ છે. જો કે બજારમાં 20 રૂપિયે 100 ગ્રામ મળતી કોથમરી નવો પાક આવતાં 10 રૂપિયે મળી રહી છે. ગુજરાતમાં ચાર વાવાઝોડાંને કારણે આવેલા કમોસમી વરસાદે પાકની સ્થિતિ બગાડી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે 25 ટકા સુધીના પાક નિષ્ફળ ગયા છે. રાજ્ય સરકારે 18 જિલ્લામાં પાક નુકશાનીનો સર્વે કરાવ્યો છે. ગુજરાતમાં સામાન્ય રીતે ડુંગળીનો પાક ભાવનગરના મહુવા, કર્ણાટક, મહારાષ્ટ્ર અને પાકિસ્તાનથી આવતો હતો પરંતુ મહુવાનો પાક હજી થયો નથી અને પાકિસ્તાન પર પ્રતિબંધ હોવાથી ડુંગળી આવતી નથી.
મહુવાની બજારમાં ડુંગળીના ભાવ પ્રતિકિલો 50 રુપિયા
ઉદ્યોગ વિભાગના સૂત્રો કહે છે કે રાજ્યમાં ડુંગળીની આપૂર્તિ માત્ર 40 ટકા હોવાથી ભાવમાં વધારો જોવા મળ્યો છે. મહુવાના બજારમાં પણ ડુંગળીની કિંમત 50 રૂપિયા જેટલી થવા જાય છે જ્યારે અમદાવાદ કે ગાંધીનગર જેવા શહેરોમાં તે 90 રૂપિયે કિલોગ્રામના ભાવે વેચાય છે. મહુવાની ડુંગળીની આવક આગામી વર્ષ 2020ના એપ્રિલ પહેલાં થાય તેવી સંભાવના નથી તેથી ડુંગળીના ભાવ ઘટવાની કોઇ શક્યતા અત્યારે જોવામાં આવતી નથી.