ગાંધીનગર, તા.18
રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દિવાળીના તહેવારો નજીક આવતાની સાથે જ મીઠાઈ બનાવતા એકમો પર તવાઈ શરૂ કરી દીધી છે. વિભાગ દ્વારા રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં અખાદ્ય બરફી બનાવતા 45 જેટલા એકમોને સીલ કરી દીધી છે તેમ જ આ એકમોને તેમનું લાઈસન્સ રદ્દ કેમ ન કરવું તે અંગેની નોટીસ પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ત્રણ વર્ષ ચાલવા દીધા બાદ કાર્યવાહી
દિવાળી તહેવાર પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અખાદ્ય બરફી બનાવતા 45 એકમોને 3 વર્ષ ખોટી રીતે ચાલવા દીધા બાદ કાર્યવાહી કરી છે. આવા 100થી વધુ બરફી કેન્દ્ર છે જે ફૂડ ઈન્સ્પેક્ટરને મહિને રૂ. 60 હજારનો હપ્તો આપતાં હતાં. તેથી ચાલવા દેવામાં આવતાં હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ પ્રકારે મહેસાણા જિલ્લામાં 21 એકમો, અમદાવાદમાં 8 મીઠી બરફી બનાવતી ફેકટરી, ગાંધીનગર જિલ્લામાં 6 એકમો, રાજકોટ 3, જૂનાગઢ 2, ભાવનગર 1, વડોદરા 1, સુરત 1 એકમ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ એકમો દ્વારા અખાદ્ય વસ્તુમાંથી માવો અને મીઠાઈ બનાવવામાં આવતી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. ગાંધીનગર જિલ્લાની બે ડેરી દ્વારા ટેલકમ પાવડર નાખીને માવો તૈયાર કરાતો હતો. જે માવો 14 રૂપિયામાં બનતો હોય તેને 45 રૂપિયામાં જથ્થાબંધ ભાવે વેચી 100 કે 520 રૂપિયે કિલોના ભાવે નકલી મીઠાઈનું વેચાણ કરવામાં આવતું હોવાનું પણ આ તપાસ દરમિયાન ખૂલ્યું હતું.
તહેવારો નજીક આવતા જ તવાઈ શરૂ
રાજ્યમાં દરેક તહેવાર સમયે મીઠાઈનું ચલણ સામાન્ય રીતે વધી જતું હોય છે. આવા તહેવારો દરમિયાન કેટલાંક લેભાગુ વેપારીઓ દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડાં થાય એવી મીઠાઈઓ બનાવવાનું શરૂ કરી દે છે. આ સંજોગોમાં રાજ્યના આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સઘન કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના નાયબ કમિશનર દિપીકા ચૌહાણે જનસત્તાને જણાવ્યું કે, તહેવારોમાં ગુજરાતની પ્રજા મીઠાઈ વધારે ખાતી હોય છે અને આ તકનો લાભ લેવા માટે રાજ્યમાં તકસાધુ જેવા વેપારીઓ રાહ જોઈને જ બેઠા હોય છે. આવી સ્થિતિમાં તેઓ અખાદ્ય ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને મીઠાઈ બનાવતા હોય છે. આ અંગે મળેલી માહિતીના આધારે વિભાગ દ્વારા તપાસ કરાતા રાજ્યના 45 એકમો દ્વારા મીઠાઈમાં ઘીના સ્થાને વેજિટેબલ ઓઈલ નાખીને તેને તૈયાર કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું. જેને લઈને આ 45 એકમોને નોટિસ આપવામાં આવી છે. અને કોઈપણ પ્રકારની મીઠાઈ બનાવવા અને વેચવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. જ્યારે જનસત્તાએ તેમને પૂછ્યું કે આ એકમોને સીલ કરાયા છે તો તેમણે સીલ કરવાની વાત નકારી કાઢી હતી અને માત્ર નોટીસ આપી હોવાનું જ રટણ ચાલુ રાખ્યું હતું.
કેટલા એકમોને અપાઈ નોટિસ
રાજ્યના વિવિધ જિલ્લાઓના 45 એકમોને સીલ કરાયા છે જે આ મુજબ છે.
જિલ્લો એકમો
મહેસાણા 21
અમદાવાદ (શહેર) 04
અમદાવાદ (ગ્રામ્ય) 04
ગાંધીનગર 05
રાજકોટ 03
જૂનાગઢ 02
ભાવનગર 01
વડોદરા 01
સુરત 01
કેમ કરવામાં આવ્યા સીલ?
રાજ્યના 45 એકમો દ્વારા અખાદ્ય બરફી બનાવવામાં આવતી હતી. અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં આ એકમો દ્વારા મીઠાઈમાં વેજિટેબલ ઓઈલ અને અન્ય અખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરવામાં આવતો હતો. ગાંધીનગરમાં પાંચ એકમો પૈકી 2 એકમોને સીલ કરી દેવામાં આવ્યા હોવાનું નાયબ કમિશનર દિપીકા ચૌહાણે જણાવ્યું હતું. તેઓ કહે છે કે ગાંધીનગર જિલ્લાની જય મા કૈલા ડેરી અને મા રાણાવાલી ડેરી દ્વારા ટેલકમ પાવડરનો ઉપયોગ કરીને માવો તૈયાર કરવામાં આવતો હતો. અને તે માવો રાજ્યના વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતો હતો. જેના આધારે વિભાગ દ્વારા આ ડેરીઓ દ્વારા જ્યાં માવો પહોંચતો કરવામાં આવ્યો છે તે વિસ્તારના મીઠાઈના વેપારીઓને ત્યાં પર દરોડા પાડવામાં આવ્યા છે. આ પ્રકારે ટેલકમ પાવડરમાંથી માવો બનાવતી બન્ને ડેરી પર સ્થળતપાસ દરમિયાન ટેલકમ પાવડર તેમ જ અન્ય અખાદ્ય ચીજવસ્તુઓ મળી આવતાં આ બન્ને ડેરીને સીલ કરી દેવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. તેઓ કહે છે કે, માવો કે મીઠાઈ બનાવવી ગુનો નથી બનતો, પણ તે બનાવવા દૂધનું ફેટ કે દૂધનો ઉપયોગ થવો જોઈએ. પરંતુ આ ડેરી દ્વારા જે રીતે ટેલકમ પાવડરનો ઉપયોગ કરીને માવો બનાવાતો હતો તે લોકોના આરોગ્ય સાથે સીધા ચેડાં સમાન હોવાથી તેને સીલ કરવામાં આવી છે.
48 રૂપિયે કિલોની મીઠાઈ 500 રૂપિયે વેચાય છે
48 રૂપિયે કિલોના ભાવે વેપારીઓ આ ટેલકમ પાવડરમાંથી બનાવેલો માવો લઈ જાય છે અને તેઓ તેમાંથી મીઠાઈ બનાવીને રૂ. 300થી 500ના કિલોના ભાવે વેચે છે. 2004થી આ રેકેટ ચાલતું હતું. પણ સરકાર કે ખોરાક કમિશનરના ધ્યાને જ આ વાત ન આવી તે જ બતાવે છે કે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઈન્સ્પેકટર ઉપરાંત કેટલાંક ઉચ્ચ અધિકારીઓની મીઠી નજર આ મીઠી મીઠાઈ બનાવનારાઓ ઉપર હતી.
સફેદ ઝેરના રૂપમાં બરફી
અત્યારે સ્પેશિયલ કે મીઠી બરફીનું ઉત્પાદન કરતાં એકમોમાંથી કેટલાક પાસે હેલ્થના લાઈસન્સ (એફએસએસઆઈના) પણ ન હોવાનું જાણવા મળ્યું છે. પ્રોપરાઈટરી ફૂડના નામે મેળવે છે અને પ્રોપરાઈટરી ફૂડની કોઈ ચોક્કસ વ્યાખ્યા ક્યાંય પણ દર્શાવવામાં નથી આવી. એફએસએસઆઈમાં તેના કોઈ સ્ટાન્ડર્ડ ન હોવાથી આ પ્રકારના ફૂડ મંજૂર કરાવીને બજારમાં મૂકી દે છે. તેમના આ પ્રોપરાઈટરી ફૂડમાં ખાંડ કે સાકર હોવા છતાંય કીડી પણ તે ખાતી નથી. લેબોરેટરીમાં માત્ર ખાંડ અને કલરની જ ચકાસણી કરવામાં આવે છે. દૂધ આર.એમ. વેલ્યુ 24થી 28ના બદલે 0.2થી 0.6ની આવી રહી છે. જે દર્શાવે છે કે તેમાં દૂધ નથી.
ફૂડ એન્ડ ડ્રગ્સ પાસે ફેક્ટરીઓના નામ પણ પગલાં ન લીધા
ગાંધીનગર, મહેસાણામાં સક્રિય સ્પેશિયલ બરફી બનાવતી દસ ફેક્ટરીઓના નામ સાથે 30મી ઓગસ્ટ 2018ના ફરિયાદ કરી હતી. રાધે બરફી-ગાંધીનગર, ગાયત્રી બરફી-મહેસાણા, ગોકુલ બરફી–મહેસાણા, કૃષ્ણા બરફી-નરોડા અમદાવાદ, રાધેકૃષ્ણ બરફી-અમદાવાદ, સહારા બરફી-ચીખલી મળીને આવી 155 જેટલી બરફી બનાવનારા છે એવું ફૂડ વિભાગના એક અધિકારીએ નામ ન લખવાની શરતે કહ્યું.