રોજગારી આપવામાં નિષ્ફળ અને ટ્રાફિક નિયમોમાં સૂરી સરકારઃ ધાનાણી

ગાંધીનગર,તા:18

કેન્દ્ર સરકાર અને બાદ રાજ્ય સરકાર દ્વારા લાગુ કરાયેલા મોટર વ્હીકલ એક્ટ-2019નો કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ વિરોધ નોંધાવ્યો છે. વિરોધ નોંધાવી ધાનાણીએ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, ટ્રાફિકના નિયમોના ભંગ બદલ મંદી અને બેરોજગારીમાં પણ સામાન્ય માણસને મસમોટી રકમનો દંડ કરાઈ રહ્યો છે. સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ છે અને આ નવા નિયમના ભંગના નામે દંડ લઈ રહી છે.

વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું કે, આવા રોડ-રસ્તા વચ્ચે વાહન ફેરવવું મુશ્કેલ બની રહ્યું છે અને જંગી દંડનો વધારો થયો છે, જેને સંપૂર્ણપણે રદ કરવામાં આવે તથા ટોલટેક્સ બંધ કરવામાં આવે. શહેરમાં પૂરતા પાર્કિંગની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ નિયમ લાગુ કરવામાં ન આવે. પરેશ ધાનાણીએ સરકાર પાસે માગણી કરી છે કે, નબળા રોડ-રસ્તા માટેના જવાબદાર અધિકારીઓ પર ફોજદારી કાર્યવાહી કરવામાં આવે.

પરેશ ધાનાણીએ આક્ષેપ કરતાં કહ્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર આડેધડ નિર્ણય લઈ જનતાને મંદીમાં પણ મોટા મેમો ભરવા મજબૂર કરી રહી છે, ત્યારે પાર્ટીના કાર્યક્રમોમાં ઉપયોગમાં થતાં સરકારી વાહનોના ઉપયોગને બંધ કરવા આવે. પહેલાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સિગ્નલની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે, રસ્તાઓ પર પડેલા ખાડાઓને સુધારવામાં આવે. સરકારી કાર્યક્રમનો ખર્ચ લોકો પાસે દંડના સ્વરૂપે લેવામાં આવી રહ્યો છે.

ભારત સરકારના વાહનવ્યવહાર મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે, કેન્દ્ર દ્વારા અમલમાં કરવામાં આવેલા નિયમો કોઈપણ રાજ્ય ઘટાડી ન શકે, છતાં ભાજપ સરકારે પેટાચૂંટણીને ધ્યાને રાખીને કાયદાની અમલવારી મોકૂફ રાખી છે. કોંગ્રેસ દ્વારા ટ્રાફિકના નવા નિયમોની અમલવારી માટે મિસકોલ કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં કોંગ્રેસ વિરોધરૂપે સિગ્નેચર કેમ્પેઈન શરૂ કરશે.