ગાંધીનગર, તા. 17
દેશભરમાં વન ટેક્સ વન નેશન અંતર્ગત જીએસટી લાગુ કરવામાં આવ્યો છે ત્યારથી રાજ્યના અંદાજે 6393 એકમો પાસેથી અંદાજે રૂ. 30 હજાર કરોડની જીએસટી-વેટ પેટે વસૂલવાની બાકી છે તો 10 લાખથી ઓછી રકમ બાકી હોય એવા એકમો પાસેથી રૂ. 50 હજાર કરોડ રૂપિયા વસૂલવાના છે.
આ સંજોગોમાં જવાબદાર વિભાગ દ્વારા આ એકમોને જરૂરી નોટિસ પાઠવીને તેમની પાસેથી વેરા પેટે વસૂલાત કરવાની કાર્યવાહી કરવાની હતી, પરંતુ રાજ્ય સરકારે હાલમાં જ વેરા સમાધાન યોજના લાગુ કરીને આવા એકમો પાસેથી મૂળ વેરાની રકમ જ વસૂલ કરવાનું નક્કી કર્યું છે. વેપારીએ ભરવાની થતી રકમના 10 ટકા રકમ ડાઉન પેમેન્ટ તરીકે 15મી જાન્યુઆરી 2020 સુધીમાં ભરી દેવાની રહેશે. બાકીની 90 ટકા રકમ ફેબ્રુઆરી 2020થી ડિસેમ્બર 2020 સુધી 11 સરખા માસિક હપ્તામાં ભરવાની રહેશે. તેમજ આ યોજના હેઠળ વેરો ભરવાના બાકી હોય એવા એકમો પાસેથી દંડ અને વ્યાજની રકમ નહિ વસૂલવામાં આવે. જેના કારણે બાકી વેરાની રકમ સરકારની મળી રહે. જોકે, આ પ્રકારની યોજનાથી સરકારની તિજોરી પર પણ બોજ પડવાનો છે. આ સંજોગોમાં જે વ્યાજ અને દંડની રકમ માફ કરાશે તે રકમ ક્યાંથી મળશે એ એક યક્ષ પ્રશ્ન છે.
30 હજાર કરોડની વસૂલાત બાકી
તાજેતરમાં ગુજરાત વિધાનસભાના છેલ્લા સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછાયેલા સવાલના જવાબમાં રાજ્ય સરકારે જીએસટી અને વેટની બાકી વસૂલાત અંગે કેટલાંક ખુલાસાઓ કર્યા હતા. જેમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે તે સમયે કહ્યું હતું કે, રાજ્યના 32 જિલ્લાઓમાં સેલ્સ ટેક્સ, વેટ અને જીએસટીની રકમ વસૂલવાની બાકી હોય એવા કુલ 48,132 એકમો છે. જે પૈકી વસૂલાતની રૂ. 10 લાખથી વધુ રકમ બાકી હોય એવા 6393 એકમો પાસેથી અંદાજે 30 હજાર કરોડ રૂપિયા વસૂલવાના બાકી છે. આ ઉપરાંત 10 લાખથી ઓછી રકમ બાકી હોય એવા એકમો પાસેથી રૂ. 50 હજાર કરોડ રૂપિયા હજુ સુધી વસૂલાયા નથી. આ પ્રકારના ખુલાસા બાદ રાજ્ય સરકાર ઉપરાંત આવકવેરા વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા હતા. અને ખૂબ જ માછલાં ધોવાયા હતા.
શું કહે છે અધિકારી?
આ મામલે જ્યારે જનસત્તાએ કોમર્શિયલ ટેક્સ વિભાગના અધિક કમિશનર હસમુખ પ્રજાપતિનો સંપર્ક સાધ્યો ત્યારે તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે આ એકમો પાસેથી જીએસટી અને વેટની રકમ વસૂલવા માટે એક યોજના બનાવી છે. કેન્દ્ર સરકાર દ્વારા જે યોજના બનાવાઈ છે તેની તર્જ પર જ વેરા સમાધાન યોજના રાજ્ય સરકારે કરી છે. જેના ભાગરૂપે કોમર્શિયલ ટેક્સ વિભાગ દ્વારા જે તે એકમોને આ યોજના મામલે જાણકારી આપીને તેમની ભરવાપાત્ર વેરાની રકમમાંથી વ્યાજ અને દંડ માફ કરીને મૂળ વેરાની રકમ ભરવા માટે કહેવામાં આવ્યું છે અને તેના ભાગરૂપે ઘણાં એકમો આ યોજનાનો લાભ લઈને તે ભરી રહ્યા છે. અને જે નહિ ભરે તે એકમો સામે આગામી દિવસોમાં વેરા વસૂલાતની કડક કાર્યવાહી કરવામાં આવશે.
વેરા સમાધાન યોજનાના નિયમો
રાજ્ય સરકાર દ્વારા વેરા વસૂલાત માટે જે વેરા સમાધાન યોજના અમલી બનાવી છે તેના નિયમો આ મુજબ છે.
1. તમામ પ્રકારના બાકી વેરાની વસૂલાતોને આ યોજનામાં આવરી લેવામાં આવ્યા છે.
2. તમામ કાયદા હેઠળના વેરા, વ્યાજ અને દંડની માગણી વેપારી દીઠ 100 કરોડથી ઓછી હોય તેને આ યોજનાનો લાભ મળશે.
3. યોજનાની કટઓફ ડેટ 30મી જૂન 2017 રહેશે જે પ્રમાણે 30મી જૂન 2017 સુધીના ધંધાકીય વ્યવહારોને લગતી આકારણી, ફેરઆકારણી, રિવિઝન કે અપીલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
4. જે કેસોમાં ટેક્સ ક્રેડિટ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ હેઠળ આગળ લઈ જવામાં આવી હોય તેવા કેસોમાં કટઓફ ડેટ 31મી માર્ચ 2017 રહેશે.
5. આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા વેપારીઓએ 15મી સપ્ટેમ્બરથી 15મી નવેમ્બર સુધી અરજી કરવાની રહેશે.
6. અરજી મળે તે પછી વિભાગના સબંધિત અધિકારી દ્વારા વેપારીના કુલ બાકી લેણાંની વિગતો 30મી નવેમ્બર 2019 સુધીમાં વેપારીને પત્ર દ્વારા જણાવાશે.
7. વેપારીએ ભરવાની થતી રકમના 10 ટકા રકમ ડાઉન પેમેન્ટ તરીકે 15મી જાન્યુઆરી 2020 સુધીમાં ભરી દેવાની રહેશે. બાકીની 90 ટકા રકમ ફેબ્રુઆરી 2020થી ડિસેમ્બર 2020 સુધી 11 સરખા માસિક હપ્તામાં ભરવાની રહેશે.
8. આ માસિક હપ્તાની રકમ જે તે મહિનાની અંતિમ તારીખ પહેલાં ભરી દેવી પડશે.
9. કોઇપણ વેપારી ડાઉન પેમેન્ટ કર્યા બાદ હપ્તા ભરશે નહિ તેને આ યોજનાનો લાભ મળશે નહિ.
10. વેરાની સંપૂર્ણ રકમ ભરવામાં આવશે તો વ્યાજ અ દંડ સંપૂર્ણ માફ કરવામાં આવશે.
11. જે વેપારીએ યોજનાના અમલ પહેલાં ચૂકવણી કરી હશે તેને બાકી રહેતાં લેણાં પેટે ભરવાના થતાં વેરાની મહત્તમ 50 ટકા મર્યદામાં રેમિશન આપવામાં આવશે.
12. એન્ફોર્સમેન્ટ કાર્યવાહીના કિસ્સામાં વેરાની સંપૂર્ણ રકમ ભરાશે તો દંડ માફી મળશે, જ્યારે વ્યાજની રકમની 20 ટકા રકમ ભરવાની રહેશે.
13. આવા કિસ્સામાં યોજનાના અમલ પહેલાં બાકી લેણાં પેટે આંશિક રકમનું ચૂકવણું કર્યું હશે તેવા કિસ્સામાં ભરવાની થતી રકમના 25 ટકાની મર્યાદામાં વેરા સામે વધારાનું રેમિશન અપાશે.
14. જે કેસોમાં આદેશ પસાર થયો હતો તેમાં થયેલી ગણતરીને રિવાઈઝ કરવાની રહેશે અને તેમાં આવો વધારો 20 ટકા સુધીની મર્યાદામાં માન્ય રાખી ભરવાપાત્ર વેરો નક્કી કરાશે.
15. જે કેસોમાં આદેશ પસાર થવાનો બાકી હોય તેમાં આવો વધારો 20 ટકા સુધીની મર્યાદામાં માન્ય રાખી તે મુજબ ભરવાપાત્ર વેરો નક્કી કરાશે અને તેના પર વ્યાજ અને દંડની રકમની ગણતરી કરવાની રહેશે.
16. બાકી આકારણી કેસોમાં વેપારી સ્વમેળે પોતાની જવાબદારી જાહેર કરી યોજના હેઠળ લાભ લઈ શકશે પરંતુ તેની બાંહેધરી આપવી પડશે.
17. વધારાની માગણી માટે એસેસમેન્ટ, રિએસેસમેન્ટ કે રિવિઝનની આપેલી નોટીસના કેસોમાં પણ યોજનાનો લાભ મળશે.
18. અપીલના કેસોમાં વેપારીએ અપીલ પરત ખેંચવાની રહેશે.
19. વિભાગ દ્વારા ટ્રિબ્યૂનલ કે કોર્ટમાં અપીલ કરવામાં આવી હોય તેવા કેસોમાં વેપારી વિવાદીત રકમ સ્વીકારી યોજના પ્રમાણે રકમ ભરશે તો તેને લાભ મળવાપાત્ર થશે.
20. એક કરતાં વધુ આદેશો અન્વયે ડિમાન્ડ પૈકી અમુક આદેશો પ્રમાણે ડિમાન્ડ માટે લાભ લઈ શકાશે પરંતુ એક જ આદેશ અન્વયે અપીલના કેસો સિવાય લાભ મળવાપાત્ર રહેશે નહિ.
21. તમામ કાયદા હેઠળની બાકી માગણી પેટે યોજનાની તારીખ પહેલાં ભરેલી રકમ ગુજરાત મૂલ્ય વર્ધિત વેરાની કલમ પ્રમાણે પ્રથમ વ્યાજ સામે ત્યારબાદ પેનલ્ટી સામે સરભર કર્યા પથી બાકીની રકમ વેરા સામે મજરે આપવામાં આવશે.
22. માલની હેરફેર કર્યા વિના વેચાણ બિલ ઈસ્યૂ કરવામાં આવ્યા હોય (બોગલ બિલિંગ)ના કિસ્સામાં ભરેલો વેરો જપ્ત થયો હોય અથવા તો વેરા જેટલી દંડની રકમ હોય તેમાં લાભ મળશે નહિ.
23. ભારત સરકારે ભાગેડુ જાહેર કરેલી હોય તેવી વ્યક્તિઓની પેઢીને આ લાભ મળશે નહિ.
24. આ યોજનામાં કોઈપણ કારણે રિફંડ ઉપસ્થિત થાય તો તેવું કોઈ રિફંડ અપાશે નહિ.
25. યોજના હેઠળ લેવાયેલો નિર્ણય આખરી ગણાશે અને તેની સામે કોર્ટ સમક્ષ અપીલ કરી શકાશે નહિ.
26. માત્ર દંડના આદેશો કરવામાં આવ્યા હોય તેવા કિસ્સામાં આ યોજનાનો લાભ મળી શકશે નહિ.
27. યોજનાનો લાભ લેવા માટે નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે તેમજ તે લાભ લેવા માગતા હોય તેમાં ડિમાન્ડ નોટીસ રજૂ કરવી પડશે.
28. યોજના હેઠળ વેરા, વ્યાજ અને દંડની રકમ માફ કરવાની થાય તેવી રકમના માફીના આદેશો સબંધિત અધિકારીએ કરવાના રહેશે.
29. નિર્ણયના અનુસંધાને ભરવાપાત્ર વેરા, વ્યાજ અને દંડના રેમીશનની કાર્યવાહી વાણિજ્યિક વેરા કમિશનરે હાથ ધરવાની રહેશે.