ગાંધીનગર, તા. 17
એક હિન્દી ફિલ્મનું ગીત હતું કે પાપા કહેતે હૈ બડા નામ કરેગા… આ ગીતના મુખડા પ્રમાણે જે રીતે બાળકો પર ભણતરનો બોજ નાંખવામાં આવે છે તેના કારણે નાસીપાસ થયેલા બાળકો આપઘાત કરવા સુધીના પગલાં ઉઠાવતાં અચકાતા નથી. અને આ માટે વાલીઓ તો જવાબદાર છે જ પણ આપણાં દેશ અને રાજ્યનું ભણતર પણ એટલું જ જવાબદાર છે. સ્પર્ધાત્મક યુગમાં અવ્વલ રહેવા માટે બાળક પર એટલો બોજ નાંખવામાં આવે છે કે તે તેનો ભાર સહન નથી કરી શકતો. આ મામલે હાલમાં જ નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરો (એનસીઆરબી) દ્વારા જારી કરાયેલા આંકડામાં ગુજરાત વિદ્યાર્થીઓના આપઘાતના મામલામાં સમગ્ર દેશમાં છઠ્ઠા ક્રમાંકે છે. આ મામલે વાલીઓએ ચેતવું જરૂરી બની ગયું છે અને સરકારે પણ આ મામલે ગહન ચિંતન કરવાનો સમય પાકી ગયો હોવાનું આ આંકડા પરથી ફલિત થાય છે. વર્ષ 1993માં પ્રા. યશપાલે રજૂ કરેલા ભાર વગરના ભણતરના અહેવાલને જો સરકાર અભેરાઈએથી ઉતારીને ધૂળ ખંખેરીને તેનો અમલ કરે તો ચોક્કસપણે વિદ્યાર્થીઓના આપઘાતના કિસ્સા નહિવત્ થઈ જશે
એનસીઆરબીનો અહેવાલ
એનસીઆરબી દ્વારા જારી કરાયેલા આંકડામાં ગુજરાતના વિદ્યાર્થીઓના આપઘાત કરવાના કિસ્સા વર્ષ 2016માં વધી ગયા હતા. અહેવાલમાં જે આંકડા આવ્યા છે તે ખરેખર ચોંકાવનારા છે. એનસીઆરબીના 2016ના અહેવાલમાં રાજ્યમાં કુલ 7735 લોકોએ આપઘાત કર્યા હોવાનું બહાર આવ્યું છે. જેમાં કુલ 556 વિદ્યાર્થીઓએ પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનું જણાવાયું છે. દેશભરના આંકડા પર નજર કરીએ તો વર્ષ 2016માં 9 હજારથી વધુ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. વિદ્યાર્થીઓના જીવન ટૂંકાવી દેવાના મામલે મહારાષ્ટ્ર સમગ્ર દેશમાં મોખરે છે, તો ગુજરાત છઠ્ઠા ક્રમાંકે આવ્યું છે.
દેશમાં કેટલા વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો?
એનસીઆરબીના વિદ્યાર્થીઓના આપઘાત મામલે જારી કરાયેલા અહેવાલમાં દર્શાવેલા આંકડા પર નજર કરીએ…
રાજ્ય આપઘાતના કેસ
મહારાષ્ટ્ર 1350
પ. બંગાળ 1147
તમિલનાડુ 981
મધ્યપ્રદેશ 843
છત્તીસગઢ 633
ગુજરાત 556
ક્યાં અને કોની ખામી?
આજે વિશ્વમાં સ્પર્ધાનો જમાનો છે ત્યારે દરેક માતા-પિતા પોતાનું સંતાન આ સ્પર્ધાત્મક યુગમાં અવ્વલ આવે તે માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. અને આ સંજોગોમાં તે પોતાના સંતાન પર ભણતરનો વધુને વધુ બોજ નાંખે છે. માતા-પિતા પોતાના સંતાનોને ભણાવવા પાછળ પોતાની જીવનભરની કમાણી ખર્ચી નાંખે છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે, માતા-પિતાના સપનાંને સાકાર કરવા માટે વિદ્યાર્થીઓનું જીવન કઈ દિશામાં જઈ રહ્યું છે? અને આવી સ્થિતિમાં આશાસ્પદ જીવનદીપ ઉગતાં પહેલાં જ બૂઝાઈ જાય છે. જો ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં કોઈ ચોક્કસ શિક્ષણ નીતિ છે જ નહિ. રાજ્યમાં શિક્ષણ નીતિ ન હોવાના કારણે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નીતનવા અખતરાં કરવામાં આવી રહ્યા છે અને તેના કારણે બાળક પર પણ ભણતરનો બોજ એક યા બીજા કારણોસર વધતો જાય છે. કોઈ નીતિ ન હોવાના કારણે ગુજરાતની વડી અદાલતે પણ અનેકવાર રાજ્ય સરકારની આકરી ટીકા કરીને એવી ટકોર કરી છે કે શિક્ષણમાં અખતરા ઓછા કરીને કોઈ ચોક્કસ નીતિ બનાવવી જોઈએ. પરંતુ વર્ષોથી રાજ્યમાં સત્તાનું સુકાન સંભાળી રહેલી ભાજપની સરકારને વિકાસ સિવાય કશું જ દેખાતું નથી અને તે આ મામલામાં કોઈ ચોક્કસ નીતિ નથી બનાવતું. અને તેના કારણે રાજ્યનો વિદ્યાર્થી આગળ વધવાના બદલે પોતાનું જીવન ટૂંકાવી દેવાનું નક્કી કરે છે.
ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ
રાજ્યની શિક્ષણ પદ્ધતિ એકદમ ખામીયુક્ત હોવાનું શિક્ષણવિદ્દોનું માનવું છે. શિક્ષણવિદ્દ પ્રા. હેમંતકુમાર શાહ કહે છે કે, વિદ્યાર્થીઓ ઉપર જુદાં જુદાં વિષયોનો બોજ નાંખવામાં આવે છે. દુનિયામાં કોઈપણ નવો વિષય આવે તે પછી ગ્રાહક સુરક્ષા હોય કે નેનો ટેક્નોલોજીનો વિષય હોય તેનો તમામ બોજ શાળાના વિદ્યાર્થીઓ પર નાંખી દેવામાં આવે છે. તેઓ આગળ કહે છે કે, જે પ્રકારે શાળાઓમાં ભણાવવામાં આવે છે તેમાં આજે એવા કોઈ નિષ્ણાત શિક્ષકો પણ નથી જે બાળકોને સારું શિક્ષણ આપી શકે. આ માટે સરકારે વિચારવું જોઈએ અને તે પ્રમાણે ચોક્કસ પગલાં લઈને બાળકો પર પડી રહેલા ભણતરના બોજને હળવું કરી તેમને આપઘાત તરફ વધતાં અટકાવવા જોઈએ.
1993ની ભાર વગરનાં ભણતરની નીતિ
વર્ષ 1993માં તત્કાલિન કેન્દ્ર સરકારે બાળકો પર વધી રહેલા ભણતરના બોજને હળવી કરવા માટે એક સમિતિની રચના કરી હતી. આ સમિતિની તે સમયના યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ પ્રા. યશપાલના નેતૃત્વમાં રચના કરાઈ હતી. આ સમિતિએ પણ પોતાના અહેવાલમાં સ્પષ્ટ કહ્યું હતું કે, બાળકો પર હાલમાં જે પ્રકારે ભણતરનો બોજ નાંખવામાં આવી રહ્યો છે તે તદ્દન ગેરવાજબી છે. સરકારોએ બાળકોના ભણતરમાં શાળામાં જ તમામ પ્રકારનો અભ્યાસ કરાવી દેવાનું સમિતિ દ્વારા તે વખતે સૂચન કરવામાં આવ્યું હતું. પરંતુ કમનસીબીની વાત છે કે આ અહેવાલ સુપરત થયા બાદ લગભગ અઢી દાયકા વિતી ગયાં પરંતુ હજુ સુધી કોઈ પણ કેન્દ્ર સરકારે આ અહેવાલનો અમલ કર્યો નથી. સરકારોએ માત્ર બાળકોના દફ્તરનો ભાર હળવો કરવાની નીતિ અમલમાં મૂકીને જાણે ભાર વગરનું ભણતર અમલી કરી દીધાનો સંતોષ માન્યો છે.
આપઘાતના મુખ્ય કારણો
રાજ્યમાં વર્ષ 2016માં 556 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. જેમાંથી 301 વિદ્યાર્થીઓ અને 255 વિદ્યાર્થીનીઓએ આપઘાત કરી હોવાનું એનસીઆરબીના અહેવાલમાં જણાવ્યું છે. વિદ્યાર્થીઓના આપઘાતના કારણો પર નજર કરીએ તો…
પરીક્ષામાં નિષ્ફળતા
પારિવારિક પ્રશ્નો
માનસિક નબળાઈ
વિજાતીય આકર્ષણના પ્રશ્નો
ખરાબ અને ખોટી સંગત
ઘાતક વીડિયો ગેમની આદત