108 ઈમર્જન્સી એમ્બુલન્સ મોડી આવતાં સીએમના ભાઈનું મોત

 રાજકોટઃતા:૦૯108 ઈમર્જન્સી સેવાના કારણે અનેક લોકોના જીવ બચવાના દાખલા આપણે જોયા છે, તો 108ની બેદરકારીના કારણે મોતના કિસ્સા પણ આપણે જોયા છે. જો કે આ વખતે 108ની બેદરકારીનો પરચો ખુદ મુખ્યમંત્રીને જ થઈ ગયો છે. 108ને કોલ કર્યા બાદ 45 મિનિટ મોડી પડતાં તેમના માસિયારા ભાઈ અનિલભાઈનું અવસાન થયું છે. સમગ્ર ઘટના જાણમાં આવતાં જ મુખ્યમંત્રી દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના માસિયારા ભાઈ અનિલભાઈ લાંબા સમયથી શ્વાસની બીમારીથી પીડાતા હતા. અનિલભાઈને એકાએક તકલીફ વધી જતાં પરિવાર દ્વારા 108ને ફોન કરવામાં આવતા હતા. શરૂઆતમાં 15થી 20 મિનિટ સુધી તો ફોન સતત વ્યસ્ત આવી રહ્યો હતો, જો કે બાદમાં લેન્ડલાઈન દ્વારા ફોન કરવામાં આવતાં 108 દ્વારા નોંધ કરવામાં આવી હતી.

જોવાનું એ છે કે 20 મિનિટ બાદ લાગેલા ફોનમાં ઓપરેટર દ્વારા સરનામું સમજવામાં ભૂલ થઈ ગઈ હતી, જેથી એમ્બુલન્સ અન્ય કોઈ એડ્રેસ પર જતી રહી હતી, જે બાદમાં અનિલભાઈ માટે 45 મિનિટ સુધી એમ્બુલન્સ પહોંચી શકી નહોતી. આખરે જ્યારે અનિલભાઈના એડ્રેસ પર એમ્બુલન્સ પહોંચી ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હતું. સારવાર મળે તે પહેલાં ઘરે જ અનિલભાઈનું અવસાન થઈ ચૂક્યું હતું.

મુખ્યમંત્રી તેમના ભાઈના પરિવારને જ્યારે સાંત્વના આપવા પહોંચ્યા ત્યારે સમગ્ર હકીકત સામે આવી હતી, અને તાત્કાલિક કલેક્ટરને તપાસના આદેશ આપ્યા હતા. મુખ્યમંત્રીના આદેશ બાદ તુરંત જ કલેક્ટર દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી હતી.

રાજકોટ 108 ઈમર્જન્સી સેવાના અધિકારી બિપીનભાઈના જણાવ્યા પ્રમાણે ગૂગલ મેપના કારણે આ ઘટના બનવા પામી છે. ફોન પર પરિવાર દ્વારા આપવામાં આવેલા એડ્રેસમાં મોદી સ્કૂલનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોવાનું એ છે કે રાજકોટ શહેરમાં 5 સ્થળે મોદી સ્કૂલ આવેલી છે, જે મુજબ અમને સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર-મોદી સ્કૂલનું એડ્રસ આપવામાં આવ્યું હતું, પરંતુ ગૂગલ મેપના કારણે ગાડી ઈશ્વરિયા ગામમાં મોદી સ્કૂલ તરફ પહોંચી હતી, જેથી દર્દીના ઘરે 108 એમ્બુલન્સ મોડી પહોંચી હતી.