17 મહિનાની શીયા અને 8 મહિનાનો મહંમદ સાજા થઈ ઘરે ગયા, ગોત્રીમાં 55 ટકા સાજા થયા

વડોદરા, 10 મૅ 2020

8 માસનો મહંમદ હુસેન હાલોલના લીમડી ફળિયાનો છે, જ્યારે 17 માસની શીયા મિનેશ રાણા નાગરવાડાની છે. એમના પરિવારના વડીલો સંક્રમિત થતાં આ બાળકોને ચેપની અસર થઈ હતી. હવે કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા હતા.

શિયાના માતાએ જણાવ્યું કે મારી દીકરીના બધાં જ રિપોર્ટ સમયસર થયાં,નિયમિત ચેક અપ અને સારી સારવાર મળી, ભોજનની પણ કાળજી લેવામાં આવી હતી.

બાળરોગ વિભાગના ડો.ગૌતમ શાહે જણાવ્યું કે અત્યાર સુધીમાં કોરોના ની અસર પામેલા 8 ભૂલકાઓ દાખલ કરવામાં આવ્યા જે પૈકી 6 ને સાજા કરવામાં સફળતા મળી છે. હાલમાં એક સારવાર હેઠળ છે અને એક બાળકનું મરણ થયું છે.

અહીંના બાળરોગ વિભાગમાં ડો.નિમિષા પંડ્યા અને ડો.દિવ્યા દવે તેમજ મદદનીશ પ્રાધ્યાપકો ડો.રિતેશ પરમાર, ડો.લલિત નેઇનીવાલ, ડો. પૂતુન પટેલ અને ડો.ગૌતમ શાહ સહિત નર્સિંગ સ્ટાફ બાળકોની સારવાર અને જીવન રક્ષાનું કામ કરી રહ્યાં છે.

ગોત્રી ખાતેની વિશેષ કોવીડ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ અને શંકાસ્પદ બાળકોની સારવાર માટે ડો.નિમિષા પંડ્યાના નેતૃત્વમાં સારવાર ચાલે છે.

ગોત્રી ખાતે થી 4, સયાજીમાંથી 8, આજવા રોડ આઇ.ટી.આઇ.ખાતે થી 13,અને એચ.એસ.આર.ટી.આઇ.ખાતે થી 16 મળીને કુલ 41 કોરોના મુકતોને રજા આપવામાં આવી છે.  52 રોગમુક્ત ને રજા આપવામાં આવી હતી.આમ,કુલ 93 જણ બે દિવસમાં રોગમુક્ત થતાં રિકવરી દર 55 ટકા થયો છે. સારવાર હેઠળના લોકોનો દર 39 ટકા છે જ્યારે મરણ દર 6 ટકા છે.