અમદાવાદ-વડોદરા-સુરત-રાજકોટ મહાનગરોમાં દવાઓ-તબીબી ઉપકરણો-શાકભાજી-કરિયાણુ-જીવન આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો-સંસ્થાઓ અને અન્ય જીવન આવશ્યક સેવાઓ સિવાયની તમામ દુકાનો-મોલ્સ રપ માર્ચ-ર૦ર૦ સુધી સંપૂર્ણ બંધ રહેશે
રાજ્ય સરકારની કચેરીઓ-બોર્ડ નિગમો-સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વર્ગ-ર થી ૪ ના કુલ કર્મચારી ગણના પ૦ ટકા કર્મચારીઓને ર૯ માર્ચ-૨૦૨૦ સુધી રોટેશનલ બેજીઝ પ્રમાણે ફરજ પર આવવાનું રહેશે
અમદાવાદમાં ૧ર૦૦ બેડ-સુરત-પ૦૦ બેડ- રાજકોટ-રપ૦ બેડ-વડોદરા-૨પ૦ બેડની ઇન્ફેકશન આઇસોલેશન હોસ્પિટલ કોરોના અસરગ્રસ્ત વ્યકિતઓની સારવાર માટે તાત્કાલિક ધોરણે કાર્યરત કરાશે
……
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે રાજ્યમાં સર્જાયેલી કોરોના વાયરસની પરિસ્થિતીની ઉચ્ચસ્તરીય કોર કમિટીની બેઠકમાં સમીક્ષા કરી સ્થિતીનો તકાજો મેળવ્યો હતો.
કોરોના વાયરસનો વ્યાપ સામાન્યત: બીજા અને ત્રીજા સ્ટેજમાં વધતો હોવાનો ટ્રેન્ડ વિશ્વમાં જોવા મળ્યો છે તે સંદર્ભમાં ગુજરાતમાં તેનો વ્યાપ વધુ ફેલાતો અટકાવવાની તકેદારી-સતર્કતા રૂપે આ બેઠકમાં કેટલાક અતિ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ આ બેઠકમાં જણાવ્યું કે, આ વાયરસનો ફેલાવો એકબીજાના સંપર્કમાં આવવાથી થતો હોવાથી રાજ્યના નાગરિકો ભીડભાડ વાળી જગ્યાએ કે જાહેર સ્થળોએ જઇને અન્યોના સંપર્કમાં ન આવે તે હેતુસર રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, આગામી બુધવાર, તા.ર૫ માર્ચ-ર૦ર૦ સુધી રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં દૂધ, શાકભાજી, ફળફળાદી, કરિયાણું, પ્રોવિઝનલ સ્ટોર્સ તેમજ મેડીકલ સ્ટોર્સ, દવાખાના, હોસ્પિટલ, લેબોરેટરી, મેડીકલ સાધનોની ઉત્પાદક કંપની, ફાર્મસી અને આરોગ્યલક્ષી સેવાઓ ચાલુ રાખી શકાશે.
આ ઉપરાંત અન્ય આવશ્યક સેવાઓ જેમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન, પંચાયત સેવાઓ, વિજળી અંગેની સેવાઓ, વીમા કંપની, ઇન્ટરનેટ, ટેલિફોન અને આઇ.ટી. સંબંધિત સેવાઓ બેન્ક, એ.ટી.એમ., બેન્કના કલીયરીંગ હાઉસ તથા સ્ટોક એક્ષચેન્જ અને તમામ આવશ્યક વસ્તુઓના ગોડાઉન તથા અન્ય અતિ આવશ્યક સેવાઓ, રેલવે, ટ્રાન્સપોર્ટ સેવા, પેટ્રોલ પંપ, પાણી પુરવઠો અને ગટર વ્યવસ્થા તંત્ર તથા મીડીયા સમાચારપત્રો, ખાદ્ય પદાર્થો અને ખાદ્ય સામગ્રી, દવાઓ, પેસ્ટકંટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા તથા તેને લગતા ઇ-કોમર્સ સાથે સંકળાયેલી દુકાનો-સંસ્થાઓ જ ચાલુ રહેશે.
કોરોના વાયરસનું સંક્રમણ પ્રસરતું અટકાવવા હેતુથી આ બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્ય સરકારની તમામ કચેરીઓ, બોર્ડ-કોર્પોરેશનની કચેરી તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કચેરીઓમાં તા. ર૯ માર્ચ-ર૦ર૦ સુધી વર્ગ- ર થી ૪ ના કુલ કર્મચારીઓના પ૦ ટકા કર્મચારીઓ રોટેશનલ બેજીઝ પર ઓફિસ ફરજ પર ઉપસ્થિત રહેશે.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આવશ્યક સેવાઓના કર્મચારીઓ-અધિકારીઓ તેમજ આવશ્યક-તાત્કાલિક સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ-અધિકારીઓ અને કોરોના વાયરસના ચેપ નિયંત્રણ કરવાની કામગીરી સાથે સીધા સંકળાયેલા કર્મચારીઓને આ રોટેશનલ બેજીઝ પ્રથા લાગુ પડશે નહિ અને આ દિવસો દરમિયાન ફરજ પર રાબેતા મુજબ આવવાનું રહેશે.
આ વ્યવસ્થા સંબંધિત ખાતાના-વિભાગોના વડાઓએ પોતાની કચેરી-વિભાગના કાર્યભારણને અનુરૂપ કરવાની રહેશે. તેમ પણ નિર્ણય સેવામાં આવ્યો હતો.
આ વૈશ્વિક મહામારી સામે દ્રઢતાપૂર્વક લડત આપવા સાથે આ વાયરસની ઓછામાં ઓછી અસર થાય તેવા આગોતરા આયોજનને પણ બેઠકમાં ઓપ આપવામાં આવ્યો હતો.
તદ્દઅનુસાર, અમદાવાદમાં સિવીલ હોસ્પિટલ સંકુલમાં આવેલી ૧ર૦૦ બેડની નવિન હોસ્પિટલને કોરોના વાયરસના પોઝિટીવ કેસીસની સારવાર માટે ઇન્ફેકશન આઇસોલેશન હોસ્પિટલ તરીકે કાર્યરત કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો હતો.
આ હોસ્પિટલ આગામી સોમવારથી કાર્યરત થઇ જાય તે માટે મહેસૂલ અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારને વિશેષ જિમ્મેદારી સોપવામાં આવી છે.
આ ઉપરાંત રાજ્યના અન્ય ૩ મહાનગરો રાજકોટમાં રપ૦ બેડ, વડોદરામાં રપ૦ બેડ તથા સુરતમાં પ૦૦ બેડની હોસ્પિટલ ‘ઇન્ફેકશન આઇસોલેશન હોસ્પિટલ’ તરીકે ત્વરાએ કાર્યરત કરી દેવાની સૂચનાઓ પણ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
રાજ્યમાં કોરોના વાયરસની વર્તમાન સ્થિતીમાંથી જો ફેલાવો કે વ્યાપ વધે અને અસરગ્રસ્તોની સંખ્યા પણ વધે તો આવા સંક્રમિત રોગીઓના જરૂરી મેડીકલ ટેસ્ટ, સારવાર સુવિધાના અદ્યતન સાધનો, વેન્ટીલેટર્સ વગેરેની તાકીદની જરૂરિયાતોની ખરીદી માટે નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવશ્રીની અધ્યક્ષતામાં ૪ ઉચ્ચ સચિવોની હાઇપાવર કમિટીને આ માટેની સર્વગ્રાહી સત્તા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્ય સરકારની સજાગતા અને નાગરિક-સમાજોની સહભાગીતાથી કોરોના વાયરસનું વધુ સંક્રમણ ગુજરાતમાં હજુ સુધી થયું નથી.
આમ છતાં, આગોતરી તકેદારી રૂપે રાજ્ય સરકારે જીવન આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ સિવાયની દુકાનો, મોલ ચાલુ ન રાખવાનો નિર્ણય કર્યો છે તે જનતા જનાર્દનની આરોગ્ય સુખાકારીની ચિંતા કરીને લેવામાં આવ્યો છે.
તેમણે નાગરિકોને આ વૈશ્વિક મહામારી સામે મક્કમતાથી મુકાબલા માટે રાજ્ય સરકારના પગલાંઓમાં વધુને વધુ જનતા જનાર્દનનો સાથ-સહકાર મળતો રહેશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
કોર કમિટીની આ બેઠકમાં મુખ્ય સચિવ શ્રી અનિલ મૂકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, મહેસૂલ અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, શહેરી વિકાસ અધિક મુખ્ય સચિવ શ્રી મૂકેશ પૂરી, અગ્ર સચિવશ્રીઓ એમ. કે. દાસ, શ્રી કમલ દયાની, શ્રીમતી જ્યંતિ રવિ, સચિવ શ્રી અશ્વિનીકુમાર, હારિત શુકલા અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે ઉપસ્થિત હતા.
તબીબી સેવાઓના વરિષ્ઠ તજ્જ્ઞ તબીબો પણ આ બેઠકમાં જોડાયા હતા.