વિદ્યાર્થીઓના નામ, જન્મતારીખ અને અટક જિલ્લા શિક્ષણાધિકારી બદલી શકશે

ગાંધીનગર, તા. 09

ગુજરાતી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ માટે રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અનુસાર હવેથી ધોરણ ૧૨ સુધીના વિદ્યાર્થીઓ પણ પોતાનું નામ તથા અટક અને જન્મ તારીખમાં સુધારો સ્થાનિક જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએથી જ કરાવી શકશે. અત્યાર સુધી આવો સુધારો વર્તમાન જોગવાઈ મુજબ ધોરણ ૧૦ની પરીક્ષા બાદ કરાવી શકાતો ન હતો.

આ અંગે ગુજરાત શિક્ષણ બોર્ડના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે, કેટલાય કિસ્સાઓમાં મહિલાઓ વિધવા થતી હોય છે અને આવી મહિલાઓ ફરીથી લગ્ન પણ કરતી હોય છે. આવા કિસ્સાઓ ફરીથી લગ્ન કરેલી મહિલાના બાળકો કે જે ધોરણ 11 અથવા તો ધોરણ 12માં અભ્યાસ કરે છે તેઓ પોતાની અટક નામ કે જન્મ તારીખમાં સુધારો કરી શકતા નહોતા. આવી સ્થિતિને કારણે આવા બાળકોને ભારે અન્યાય થતો હતો અને સામાજિક તથા આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.

વિદ્યાર્થીઓનાં નામ અટકમાં ફેરફાર અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ધોરણ 12 સુધી વિદ્યાર્થીઓનાં નામ, અટક અને જન્મ તારીખમાં લિવિંગ સર્ટિફિકેટમાં ફેરફાર કરવાની સત્તા સ્થાનિક જિલ્લા શિક્ષણ અધિકારીને સોંપવામાં આવી છે.

પરિપત્રમાં શું કહ્યું છે?
પરિપત્રમાં જણાવ્યા અનુસાર વિનિમય 12(ક)(6)ની જોગવાઇ ધ્યાને લેતાં વિદ્યાર્થી ખરેખર શાળામાં હાલ ધો.9 થી 12 પૈકી કોઇપણ ધોરણમાં અભ્યાસ ચાલુ હોય તેવા કિસ્સામાં શાળા છોડ્યાના પ્રમાણપત્રમાંની નોંધોમાં ફેરફાર કરવાની સત્તા જિલ્લા શિક્ષણાધિકારીને રહેશે. અગાઉ આ કામગીરી માટે પૂરતા પુરાવા સાથે કોર્ટમાં જવું પડતું હતું. કોર્ટના ઓર્ડર બાદ ડીઈઓ તેમાં ફેરફાર કરી આપતા હતા. જેમાં 3થી 6 મહિનાનો સમયગાળો લાગતો હતો.