ખેડૂત વિરોધી 3 કાયદાઓનો વિરોધ વિરોધ દેશના 250 કરતા વધારે ખેડૂત સંગઠનો શા માટે કરી રહયા છે? ધોળા અંગ્રેજો પછી હવે ભગવા અંગ્રોજો આવ્યા

છેલ્લા એક દોઢ મહિનાથી ભારતના 250 કરતા વધારે ખેડૂત સંગઠનો એક સાથે “ખેડૂત સંઘર્ષ સમિતિ” બનાવી ભાજપની મૂડીવાદી નરેન્દ્ર મોદીની સરકાર સામે સતત લડી રહ્યા છે. બંધારણથી ઉપરવટ જઈ ખેડૂત વિરોધી એવા 3 કાયદા લોકસભા અને રાજ્યસભામાં જબરજસ્તીથી કાયદા પસાર કરી દીધા છે. વિશ્વની કંપનીઓ અને વૈશ્વિક વેપાર સંઠનના દબાણ હેઠળ આ કાયદાઓ વેપારીઓની તરફેણમાં કરી દેવાયા છે. જગતના તાત હવે મજૂર બની જશે અને વિદેશી અને દેશની કંપનીઓ ભારતની તાત બની જશે.

ગુજરાત કિસાન કોંગ્રેસના અધ્યક્ષ, ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયાએ નીચે મુજબ જણાવ્યું હતું.

બંધારણથી ઉપરવટ શા માટે ગયા…..??

ભારતમાં બંધારણ મુજબ જે સંઘીય ઢાંચો છે, તેમાં કેન્દ્ર સરકારને રાજ્ય સરકારને ચોક્કસ વિષય ફાળવેલા છે. અમુક વિષય રાજ્ય અને કેન્દ્ર સરકારના સયુંકત વિષય છે. કૃષિક્ષેત્ર એ રાજ્ય સરકારનો વિષય છે. તેમ છતાં કેન્દ્ર સરકારે તેમાં હસ્તક્ષેપ કરી તેના પર કાયદો બનાવ્યો છે. એટલું જ નહીં રાજ્યસભામાં આ કાયદા માટે કાયદેસર મતદાન કરાવ્યું હોત તો કદાચ પસાર ન થઈ શકે તેવી સ્થિતિ દેખાતા સરકારે મતદાન કરાવવાનું ટાળી તેની જગ્યાએ તાળીઓ પાડી ધ્વનિમત દ્વારા કાયદો પસાર કરી બંધારણ લોકશાહીની હત્યા કરી છે.

આ ત્રણ કાયદાઓ ક્યા ક્યા છે…???

1) માર્કેટિંગ યાર્ડ કાયદામાં સુધાર

જે મુજબ APMC એક્ટમાં સુધારો કરી માર્કેટને ખુલ્લું મુકવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવે છે ભારતમાં કોઇપણ ખેડૂત કોઈપણ જગ્યાએ પોતાનો માલ વેચી શકે છે.

2) આવશ્યક ચીજવસ્તુઓ ધારો

જે મુજબ ઘઉં, ડાંગર, જેવી ખાધાન્ય – આવશ્યક ચીજ વસ્તુ ગમે તે ખરીદી શકશે, વેચી શકશે એનો એની ઈચ્છા મુજબ સંગ્રહ કરી શકશે.

3) ફાર્મિંગ એકટ

જે મુજબ કોઈપણ વ્યક્તિ કે કંપની ખેતી ક્ષેત્રે જંપલાવી શકશે ખેડૂતો સાથે કોન્ટ્રાકટ કરી ખેતી કરી શકાશે, ખેતી કરાવી શકશે.

ફાયદાઓ શું

ફાયદો એક જ છે કે, ખેડૂત અને ગ્રાહક વચ્ચે વચેટીયાઓ છે એ હટી જશે. તેની જગ્યાએ મસમોટી જાયન્ટ કંપનીઓ આવશે. તે ખેડૂતોને સીધો ફાયદો આપશે. આના સિવાય બીજો કોઈ ફાયદો આ વિષયના જાણકારો પણ ગણાવી શકતા નથી.

નુકશાન શું….. ????

વચેટીયા એટલે કોણ….??? નાના નાના વેપારીઓ જેઓ આપણાં ખેતર પરથી માલ લઈ જાય છે, જેઓ માર્કેટિંગ યાર્ડમાં પોતાની દુકાનો ધરાવે છે, જેઓ નાના નાના શહેરોમાં મિલ કે ઉત્પાદનના કારખાના નાખીને બેઠા છે. એ જ વચેટીયા છે. હવે સરકાર એને હટાવી મોટી કંપનીઓને વેપાર કરવાની છૂટ આપે છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ કંપનીઓ ખેડૂતોની સેવા કરવા આવે છે કે નફો કમાવા….? જો નફો કમાવા આવતી હોય તો એ ખેડૂતોને માલામાલ કરી જ દેશે એની ગેરેન્ટી સરકાર આપવા તૈયાર નથી. ત્યારે ખેડૂતો સાથે રહી કરાર નહિ આત્મીયતાના સંબધોથી વેપાર કરતા નાના વેપારીઓની જગ્યાએ કરાર આધારિત આવતી કંપનીઓ ખેડૂતોને કેમ ફાયદો કરશે. એનો જવાબ કોઈ પાસે નથી. ટૂંકમાં ભૂત કાઢ્યું તો ચુડેલ, ડાકણ, જીન વળગ્યા જેવી સ્થિતિ ખેડૂતોની થશે.

ત્રણેય કાયદાઓ એકસાથે કંપનીઓને કેમ ફાયદો કરશે

APMC એકટ હટાવવાથી મોટી મોટી કંપનીઓ ગેમ ત્યાંથી ગમે તેટલો માલ ખરીદી શકશે આવશ્યક ચીજ વસ્તુ ધારો હટવાથી કંપનીઓ પોતાના મોટા મોટા ગોદામ ઉભા કરી એમાં એની ઈચ્છા મુજબ ચાહે એટલો માલનો સંગ્રહ કરી શકશે અને ફાર્મિંગ એકટથી ખેડૂતોના ખેતરમાં કંપનીઓ જ ઉત્પાદન કરશે.

એટલે થશે એ કે ખેડૂતોના ખેતરમાં કંપનીઓ વાવેતર પોતે કરશે અથવા ખેડૂતો પાસે કરાવશે એમાં ઉત્પાદન થયેલો માલ કે ખેડૂતો પાસેથી લીધેલો માલનો સંગ્રહ કરશે ને પોતાની મરજી મુજબ વેચશે એમાં સરકારનો કોઈ કંટ્રોલ નહિ હોય. 25 – 50 કંપનીઓ સાથે મળી એની ઈચ્છા મુજબ ભાવ આપી માલ ખરીદી કરી શકશે અને એની ઈચ્છા મુજબ રૂપિયા લઈ માલનું વેચાણ કરશે.

કંપનીઓનું પોતાનું માર્કેટ ઉભું થશે અને નાના અને મધ્યમ વર્ગના વેપારીઓ પાયમાલ થઈ જશે

કંપનીઓ પોતે ખેતી કરતી હશે અને પોતે પોતાની ઉભા કરેલા મોટા મોટા મોલ કે મોટી મોટી માર્કેટના માધ્યમથી માલનું વેચાણ કરશે. જેની સીધી અસર નાના નાના કે માધ્યમ ક્ષણ વેપારીઓ ઉપર પડશે તેઓ મોટી કંપનીઓ સામે હરીફાઈમાં ટકી શકશે નહીં. અને ખતમ થઈ જશે. પછી કંપનીઓ પોતાની મન મરજી મુજબ ગ્રાહકને પણ લૂંટશે. એટલે આ કાયદાઓથી ખેડૂત તો પાયમાલ પહેલા થશે.

બીજા ક્રમે નાના અને મધ્યમ કક્ષાના વેપારીઓ અને છેલ્લે જનતા કે જેઓ ગ્રાહક છે તે લૂંટાઈ જશે. એક નહીં અનેક ઈસ્ટઈંડિયા કંપની ભગવા ભાજપે ભારત માતાને લૂંટવા છૂટ આપી. કાયદો બનાવી ને. કેમ કે મલ્ટિનશનલ કંપનીઓ અને વૈશ્વિક વેપાર સંગઠનનું દબાણ હતું. દબાણ એટલા માટે કે ભારત સરકાર હળવા વ્યાજે નાંણાં મેળવવા માંગે છે.

ખેડૂતને કેમ નુકશાન

ખેડૂતોને અનેક રીતે નુકશાન છે, પહેલા તો સરકારનો આ કંપનીઓ ઉપર કોઈ કંટ્રોલ નથી. કાયદાથી સરકારે આ કંપનીઓને છૂટો દોર આપ્યો છે. ટૂંકમાં કહું તો ખુલ્લા સાંઢની જેમ કંપનીઓ ખેડૂતોના ખેતર અને ખેડૂતોને ખાઈ જશે. સરકારે કંપનીઓ પર કાયદાથી કોઈ બંધન મુક્યા નથી. ઓછામાં ઓછા આટલા ભાવ ખેડૂતોને આપવા જ જોઈએ આવી કોઈ જોગવાઈ આ કાયદામાં નથી. કંપનીઓ ખેડૂતો સાથે કરાર કરે અને એમાં ખેડૂત અને કંપની વચ્ચે કોઈ તકલીફ ઊભી થાય, કોઈ વાંધો પડે તો ખેડૂત કંપની વિરૂદ્ધ ફોજદારી રાહે કાર્યવાહી કરી શકશે નહીં. આમ સરકારે કંપનીઓ પર કંટ્રોલ કરવાની જગ્યાએ ખેડૂતો પર કંટ્રોલ કરી દીધો છે.

બીજું કે કંપનીઓ અને ખેડૂતો વચ્ચે થયેલા કરાર અંગ્રેજીમાં હશે. બધા ખેડૂતો આ કરારની એક એક કલમ સમજવાના નથી. કંપનીઓ ધારશે ત્યારે કરાર રદ્દ કરી શકશે. ને ખેડૂત એવું નહિ કરી શકે. કારણ કે ખેડૂત તો કરારથી બંધાયેલો હશે.

ત્રીજું કે કંપનીઓ ખેડૂતો સાથે 20 – 25 વર્ષના કરાર ખેતર ભાડે લઈને કરશે. ખેડૂતોના ખેતરમાંથી ખેડૂતને નવરો કરી દેશે. આપણે આપણાં જ ખેતરમાં ખેત મજુર થઈ ને રહી જઈશું.

ચોથું એ પણ શકયતા નકારી શકાતી નથી કે, ખેડૂતોના ખેતર પર કંપનીઓ શરતોને આધીન લૉન ઉપાડશે. પછી 10 વર્ષ સુધી લૉન ન ભરી કંપનીઓ કરાર રદ્દ કરી ભાગી જશે. તો આ લૉનની ભરપાઈ કોણ કરશે….???

પાંચમું ગયા વર્ષનો પેપ્સીકો કંપની અને બટેટા ઉત્પાદક ઉત્તર ગુજરાતના ખેડૂતોનો કિસ્સો જગ જાહેર છે. પેપ્સીકો કંપનીએ ખેડૂતો પર 4.5 કરોડનો દાવો કર્યો. ભારતભરના ખેડૂત સંગઠનો ખેડૂતોની મદદે આવ્યા. હાઇકોર્ટમાં મામલો ગયો અને છેલ્લે કંપનીએ પાછું વળવું પડ્યું. અહીં તો ખેડૂતો સિવિલ કોર્ટમાં પણ નથી જઈ શકવાના તો ફરિયાદ ક્યાં જઈને કરશું.

ખેડૂતોએ રાતા પાણીએ રડવા સિવાય વિકલ્પ રહેવાનો નથી.

છઠું એ પણ શક્યતાઓ છે કે, કંપની તમારી પાસેથી માલ ખરીદશે એ માલ ખરીદનાર કંપની છે. એટલે બિલ આપશે. એટલે જીએસટી લાગશે જીએસટી પછી ખેડૂતો ઇન્કમટેક્ષના દાયરામાં આવશે. એટલે અત્યાર સુધી ઇન્કમટેક્ષ મુક્ત રહેલું ખેતી ક્ષેત્ર હવે ઇન્કમટેક્ષના દાયરમાં આવી જશે.

સરકાર પોતાની જવાબદારીમાંથી મુક્ત થશે અને ગરીબો રાસન લેવા કંપનીઓ પાસે જશે. ભગવા અંગ્રોજો કરતાં ધોળા અંગ્રેજો સારા હતા એ આ કાયદાઓએ પ્રસ્થાપિત કર્યું છે.

સરકાર આવશ્યક ચીજ વસ્તુઓ કે જે ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદી કરી એને ગરીબોમાં સસ્તા અનાજની દુકાનના માધ્યમથી વહેંચણી કરે છે. એવી પણ શકયતા નકારી શકાતી નથી કે હવે સરકાર આ ટેકાના ભાવે ખરીદી કરવાનું બંધ કરશે, ગરીબોને અનાજ કે આવશ્યક વસ્તુઓ સસ્તા અનાજની દુકાન મારફત આપવાનું બંધ કરી. ગરીબોના ખાતામાં રોકડા જમા કરશે અને કહેશે કે ગરીબો આ રોકડ મારફત કંપનીઓના માર્કેટમાં જઈ જરૂરી ચીજ વસ્તુ ખરીદી લે.

ખેડૂત, કંપનીના મજૂર, નાના અને મધ્યમ કક્ષાના વેપારીઓ અને ગરીબ એમ બધા જ પાયમાલ થશે.

આ ત્રણ કાયદાઓની ચેનલ બહુ જ બુદ્ધિપૂર્વક લઈ આવવામાં આવ્યા છે. જેમાં ઉપરોક્ત ત્રણેય વર્ગને પાયમાલી સિવાય કશું જ મળવાનું નથી. આમેય મોદી સાહેબનો ઇતિહાસ સાક્ષી છે, એણે જે જે યોજનાઓ જનતા માટે ગણાવી છે એમાં જનતાના ભોગે કંપનીઓને જ ફાયદો થયો છે. એમાં પ્રધાનમંત્રી પાકવીમાં યોજના હોય, નોટબંધી હોય કે આવી અનેક યોજના લખી શકાય કે જેમાં અંતે મરે તો સામાન્ય જનતા જ. છેલ્લે કંપનીઓને લીલા લહેર થાય છે.

ગુજરાતીમાં મોદીએ કંપનીઓને મદદ કરી હતી. ગૌચરની જમીનો વેચવાના હક્કો છીનવી પવન ચક્કી કે ઉદ્યોગપતિઓને આપી દીધી. ખેડૂત જ જમીન ખરીદી શકતા હતા, હવે બિન ખેડૂત એટલે કે કંપનીઓ આખા ગામ ખરીદી લેશે. ધોલેરા, ભરૂચ, મુંદ્રા તેના ઉદાહરણ છે.

પાઘડીનો વળ છેડે

જે સરકાર પોતાની જ કેબિનેટ મંત્રીને આ ત્રણ કાયદાઓના ફાયદાઓ ન સમજાવી શકી એ દેશને સમજાવે છે કે આ ત્રણ બિલ ખેડૂતો માટે ફાયદાકારક છે.

પાલભાઈ આંબલિયા
ચેરમેન
ગુજરાત કિસાન કોંગ્રેસ