9 હજાર કરોડનો વેરો આપતાં મોરબીમાં કોણ કોને ટાર્ગેટ કરી રહ્યું છે ?

ડીજીજીઆઈ, રાજકોટે ગુજરાતનાં મોરબીમાં ઇ-વે બિલો અને ટેક્સ ઇનવોઇસ વિના ટાઇલ્સનાં વેચાણનાં કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. 1 કરોડથી વધારે જીએસટીની ચોરી થઈ છે અને તપાસ દરમિયાન અત્યાર સુધી સ્થળ પર રૂ. 42 લાખની વસૂલાત કરવામાં આવી છે. જોકે વેપારીઓનાં સંકુલોમાંથી એકવાર તમામ પુરાવા હાથ લાગ્યા પછી આ કેસમાં રૂ. 5 કરોડથી વધારે કરવેરાની ચોરી થઈ હોવાની અપેક્ષા છે. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે. રાજકીય રીતે ચોક્કસ જ્ઞાતિના વેપારીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અહીં પાટીદીરોના કારખાના છે. ભાજપના નેતાઓ પાટીદારોને ટાર્ગેટ કરી રહ્યાં હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. મોરબીના આ ઉદ્યોગ સાથે જોડાયેલી હાલ નાની-મોટી આશરે 1200 ફેક્ટરીઓ છે. મોરબીનો આ ઉદ્યોગ 45,000 કરોડના બિઝનેસ સુધી પહોંચી ગયો છે. સરકારોને 9 હજાર કરોડનો વેરો આપે છે. તેના ચોક્કસ જ્ઞાતિના વેપારીઓને પરેશાન કરવામાં આવી રહ્યાં હોવાનો આરોપ છે.

ગૌરવ ખતમ કરવાનું કાવતરૂં

ટાઈલ્સ અને સિરામિક ઉદ્યોગમાં મોરબી આજે દુનિયામાં ચાઇનાના ગોંગડોંગ પછીનું બીજા નંબરનું સ્થાન ધરાવે છે. ભારતમાં સિરામિક અને ટાઈલ્સનું જે ટોટલ પ્રોડક્શન છે તેનું આશરે ૯૦ ટકા મોરબી અને આસપાસના વિસ્તારમાં થાય છે. લેટેસ્ટ ટૅક્નોલોજી અને હાઈ લેવલની ક્વૉલિટીને કારણે મોરબીની આ પ્રોડક્ટની વિશ્વભરમાં ડિમાન્ડ છે. મોરબી આ ઉદ્યોગમાં ગ્લોબલ હબ બન્યું છે. ગુજરાત જ નહીં, દેશનું ગૌરવ બન્યો છે. સ્થાનિક લોકોના સહયોગ અને ઉદ્યોગકારોની સાહસિકતાને કારણે મોરબીના સિરામિક અને ટાઈલ્સ ઉદ્યોગે હરણફાળ ભરી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે ચાઇનાની માર્કેટનો આજે વિશ્વના ઉદ્યોગકારોને ડર છે ત્યારે મોરબીનો ઉદ્યોગ ચાઈનાને હંફાવી રહ્યો છે. સ્લીમની નવી ટૅક્નોલોજી સાથે કામ કરતા દુનિયામાં ર૭ જેટલા યુનિટો છે તેમાં એકલા મોરબીમાં જ ૧૪ યુનિટો છે. આશરે રૃ. ર૦૦ કરોડના રોકાણ સાથે આ ટૅક્નોલોજીવાળું યુનિટ શરૃ કરી શકાય છે. જેને ખતમ કરવા માટે ચોક્કસ પ્રકારનું કાવતરૂં બનાવાયું છે.

ગુજરાતનાં મોરબીમાં થોડા ટાઇલ્સ ઉત્પાદક એકમો એક વેપારી સાથે મળીને ગુપ્ત રીતે ઇનવોઇસ વિના અને ઇ-વે બિલો જનરેટ કર્યા વિના પણ પ્રીમિયમ ગ્રેડની ઉત્પાદિત ટાઇલ્સનું વેચાણ કરી રહ્યાં હતા, જેનાં પરિણામે જીએસટીની ચોરી થઈ રહી છે એવી ચોક્કસ બાતમીને આધારે રાજકોટનાં ડીજીજીઆઈ પ્રાદેશિક એકમે 20.11.2019નાં રોજ પ્રીમિયમ ગ્રેડની બનેલી ટાઇલ્સ લઈ જતી સાત ટ્રકોને આંતરી હતી. આ ટ્રકોમાં રહેલી પ્રીમિયમ ગ્રેડની ટાઇલ્સ માટેનું કોઈ ઇ-વે બિલો અને ઇનવોઇસ મળ્યાં નહોતા.
ટ્રકોની ચકાસણી કરતાં એવી જાણકારી મળી હતી કે, ટ્રક ડ્રાઇવરો પાસે વેપારીઓનાં સહી કર્યા વિનાના ઇનવોઇસ હતાં, જેમાં ટાઇલ્સને કમર્શિયલ ગ્રેડની દેખાડવામાં આવી હતી. જોકે હકીકતમાં ટાઇલ્સ પ્રીમિયમ ગ્રેડની હતી અને સહી કર્યા વિનાનાં ઇનવોઇસમાં ઉલ્લેખિત પ્રમાણ અને ટ્રકમાં રહેલા જથ્થામાં ફરક હતો. આ કારણસર ડીજીજીઆઈ રાજકોટ ક્ષેત્રીય એકમે પ્રક્રિયાને અનુરૂપ આ પ્રીમિયમ ગ્રેડ ટાઇલ્સનો જથ્થો જપ્ત કર્યો હતો અને વધારે તપાસ હાથ ધરી હતી.
વધારે તપાસમાં જાણકારી મળી હતી કે, ગુજરાતનાં મોરબીનાં એક વેપારીએ લાગુ જીએસટીની ચુકવણી કર્યા વિના ઉત્પાદકો દ્વારા નિર્મિત પ્રીમિયમ ગ્રેડની ટાઇલ્સનું ગુપ્ત રીતે પરિવહન કરવાની જવાબદારી લીધી હતી. આ વેપારીએ રજિસ્ટર્ડ સંકુલની જાહેરાત કરી હોવાની જાણકારી મળી હતી, પણ હકીકતમાં તે કોઈ ગુપ્ત જગ્યાએથી કામ કરતો હતો, જેની જાણકારી મળી હતી અને 21.11.19નાં રોજ એ દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી હતી.
તપાસમાં પુષ્ટિ થઈ હતી કે, વેપારી છેલ્લાં થોડાં સમયથી કથિત રીતથી જીએસટીની ચોરી કરવાની સુવિધા આપવામાં સંકળાયેલો હતો અને અવારનવાર એનાં વ્યવસાયનું નામ અને જીએસટિન બદલતો હતો. અધિકારીઓએ ગુનાહિત પુરાવા જપ્ત કર્યા છે, જેમાં વધારે તપાસ માટે ઇલેક્ટ્રોનિક પુરાવા સામેલ છે. આ પુરાવામાં છેલ્લાં થોડાં મહિનામાં જીએસટીની ચુકવણી કર્યા વિના કેટલાંક ઉત્પાદકો દ્વારા ક્લીઅર થયેલા માલ-સામાનની વિગત હોવાની શંકા છે.
ઉપરાંત જે ટાઇલ્સ ઉત્પાદકોનાં સંકુલમાંથી ટ્રકો ભરાઈ હતી એ સાત સંકુલો પર 22.11.19નાં રોજ દરોડા પાડવામાં આવ્યાં હતાં તેમજ પ્રસ્તુત ડોક્યુમેન્ટ અને ઇલેક્ટ્રોનિક પુરાવા જપ્ત કરવામાં આવ્યાં હતાં. તમામ ઉત્પાદક એકમોનાં અધિકૃત વ્યક્તિઓએ તેમનાં નિવેદનોમાં લાગુ જીએસટીની ચૂકવણી કર્યા વિના તેમજ ઇનવોઇસ અને ઇ-વે બિલ વિના પ્રીમિયમ ગ્રેડની ઉત્પાદિત ટાઇલ્સનો ગુપ્ત રીતે નિકાલ કરવાનો એકરાર કર્યો છે.

નળિયા ઉદ્યોગથી એક નવી ઓળખ મળી
મોરબીનું નામ એક સમયે નળિયા ઉદ્યોગથી વિખ્યાત હતું. મોરબી, વાંકાનેર વિસ્તારમાં લાલ માટી મળી આવતી હોવાથી મોરબી અને આસપાસના પંથકમાં નળિયા ઉદ્યોગ ખૂબ વિકસ્યો હતો. આ ઉદ્યોગથી રાજવી શહેરને એક ઔદ્યોગિક શહેર તરીકે ઓળખ મળી. આશરે ૧પ૦ નળિયાનું ઉત્પાદન કરતા એકમો હતા. ગુજરાતભરમાં મોરબીના નળિયા સપ્લાય થતા હતા. છતવાળા મકાનોનું બાંધકામ ચાલુ થતાં મોરબીના ઉદ્યોગપતિઓએ સમયની સાથે તાલ મિલાવવા નળિયાના બદલે મોઝેક ટાઈલ્સનું ઉત્પાદન શરૃ કર્યું હતું. નળિયા ઉદ્યોગને કારણે જે નેટવર્ક હતું તેનો લાભ કારખાનેદારોએ મોઝેક માટે લીધો હતો.

મોઝેકની સાથે સિરામિક ઉદ્યોગ પણ ડેવલપ થતો ગયો. સમયની સાથે મોરબીના ઉદ્યોગકારોએ ‘૯૦ના દશકામાં મોઝેક ટાઈલ્સમાં બદલાવ લાવીને ગ્લેઝ્ડ, વિટ્રીફાઈડ, વૉલ ટાઈલ્સ, ફ્લોરિંગ, ડેકોરેટિવ, ચાર્જડ ટાઈલ્સ અને હવે સ્લીમ ટાઈલ્સ સુધી આ ઉદ્યોગનો વિકાસ થયો છે.

મોરબીના ઉદ્યોગકારો પાસે આજે એવી ટૅક્નોલોજી છે કે કોઈ ઑફિસ કે રૃમની દીવાલ માટે એક અથવા બે કટકામાં આખી દીવાલમાં થાય તેવી ટાઈલ્સ જોઈએ તો બનાવી આપે છે.

દુનિયામાં બીજા નંબરનું સ્થાન
મોરબીના આ ઉદ્યોગ સાથે જોડાયેલી હાલ નાની-મોટી આશરે 1200 ફેક્ટરીઓ છે. મોરબીનો આ ઉદ્યોગ આશરે 45,000 કરોડના બિઝનેસ સુધી પહોંચી ગયો છે. સરકારને 9 હજાર કરોડનો વેરો આપે છે. સિરામિક, ગ્લેઝ્ડ, વિટ્રીફાઈડ, વૉલ, ફ્લોરિંગ ટાઈલ્સમાં સમય મુજબની માગ સાથે લેટેસ્ટ ટૅક્નોલોજીની મદદથી પ્રોડક્શન કરવામાં આવે છે. ગુણવત્તાની બાબતમાં ચાઇના કરતાં મોરબીનો ભરોસો માર્કેટમાં વધારે છે. મોરબી અને આસપાસના એરિયામાંથી જે પ્રોડક્શન થાય છે તેની દુનિયાના ૧૧ર જેટલા દેશોમાં નિકાસ કરવામાં આવે છે. આમ સિરામિક અને ટાઈલ્સ ઉદ્યોગનું મોરબી ગ્લોબલ હબ બન્યું છે.

દસ લાખ લોકોને રોજગારી
રોજગારી આપવામાં પણ મોરબી મોખરે છે. સાડા ત્રણ લાખ જેટલા પ્રત્યક્ષ મળી આશરે ૧૦ લાખ લોકોને રોજગારી આપી રહ્યો છે. ખાસ કરીને આસપાસનાં ગામોમાંથી હજારો લોકો રોજગારી માટે મોરબી આવે છે. આ ઉપરાંત યુ.પી., બિહાર જેવા રાજ્યોમાંથી આવેલા લાખો મજૂરોને મોરબીનો ઉદ્યોગ રોજીરોટી આપે છે. ખાસ કરીને અનસ્કિલ લેબરને મોટા પાયે રોજગારી મોરબીના ઉદ્યોગમાંથી મળી રહી છે.

સેનિટરી પ્રોડક્ટના ૧૦૦ એકમો છે. ૧ લાખ પીસનું ઉત્પાદન થાય છે. સેનિટરી વૅર્સની ફેક્ટરીઓમાં આશરે પ૦ હજાર લોકોને રોજગારી મળી રહી છે. હાલ જીએસટીના ૧૮ ટકાના દાયરામાં આ ઉદ્યોગ આવે છે.  પરશુરામ પોટરી શરૃ થઈ ત્યાર બાદ મોરબી અને વાંકાનેરમાં સેનિટરી ઉદ્યોગ સતત ગતિ કરી રહ્યો છે.

ચાલીસ કિ.મી.ના એરિયામાં ક્લસ્ટર
મોરબી શહેરની આસપાસના આશરે ૪૦ કિ.મી.ના એરિયામાં સિરામિક, સેનિટરી અને ટાઈલ્સ ઉદ્યોગ ફેલાયો છે. ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થતાં તેને આનુષંગિક ધંધાઓ ટ્રાન્સપોર્ટેશન, હોટલ બિઝનેસ અને પેકેજિંગ ઉદ્યોગ પણ ડેવલપ થયો છે.

ઉદ્યોગપતિઓની વચ્ચે તંદુરસ્ત હરીફાઈ
મોરબીના ઉદ્યોગના વિકાસમાં એક મહત્ત્વનું કારણ એ છે કે પાટીદાર ઉદ્યોગકારો વચ્ચે સંકલન સારું છે અને તંદુરસ્ત હરીફાઈ છે. મોટા ભાગના પાટીદાર ઉદ્યોગકારો એકબીજાને મદદરૃપ થઈને બિઝનેસ કરવામાં માને છે. ચાઇના સામેની ફરીફાઈમાં પાટીદારોના કારણે  જ મોરબીનો ઉદ્યોગ ટક્કર લઈ શક્યો છે. સિરામિક, વૉલ ટાઈલ્સ, ક્લોક મેન્યુફેક્ચરિંગ, સેનિટરી વૅર્સ પ્રોડક્ટ બનાવતા અલગ-અલગ ડિવિઝનોના ચાર – પાંચ મોટાં એસોસિયેશન કાર્યરત છે.