કોંગ્રેસે રિસોર્ટમાં 23 ધારાસભ્યો ભેગા કર્યા, માલિક સામે પોલીસ કાર્યવાહી

રાજકોટ,

કોંગ્રેસના 3 ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણી પહેલા હાલમાં જ પાર્ટી છોડી દીધી છે અને પોતાના તમામ પદો પરથી રાજીનામા આપી દીધા છે. કુલ 8 ધારાસભ્યો ટૂંકા ગાળામાં કોંગ્રેસ છોડીને ગયા છે, ત્યારે હવે કોંગ્રેસની સ્થિતી એવી છે કે શક્તિસિંહ ગોહિલ કે પછી ભરતસિંહ સોલંકી બંનેમાંથી એક જ ઉમેદવાર રાજ્યસભાની ચૂંટણી જીતી શકે તેમ છે.

આ સ્થિતીમાં કોંગ્રેસે પોતાના 23 ધારાસભ્યોને ભાજપથી બચાવવા રાજકોટના નિલસીટી રિસોર્ટમાં રાખ્યાં છે, કોરોનાની મહામારીમાં જાહેરાનામાનો ભંગ થયાના આરોપ સાથે આ રિસોર્ટના મેનેજર અને માલિક સામે પોલીસ ફરિયાદ થઇ છે.

યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં થયેલી ફરિયાદ મુજબ કોરોનાની મહામારીમાં હાલમાં રિસોર્ટ અને હોટલો બંધ છે, ત્યારે અહી કોઇ પણ જાતની મંજૂરી વગર મોટી સંખ્યામાં નેતાઓ ભેગા થયા છે, જે જાહેરાનામાનું ઉલ્લંઘન છે, જેથી રિસોર્ટના માલિક અને મેનેજર સામે પોલીસમાં ફરિયાદ કરાઇ છે.

આ રિસોર્ટ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનિલ રાજ્યગુરૂનો છે, રિસોર્ટ ખોલવા બદલા કલમ 188 અને 135 મુજબ પોલીસ ફરિયાદ દાખલ કરાઇ છે.