ખેડૂતોની મશ્કરી, મગફળી ટેકાના ભાવની ખરીદીમાં રૂ.1.85 વધારાયો

દ્વારકા, 9 સપ્ટેમ્બર 2020

ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની જાહેરાત ગુજરાતની ભાજપની સરકારે કરી છે. તેનાથી ખેડૂતો છેતરાયા હોવાનું અનુભવે છે. સરકારના નિર્ણય પર લડાયક ખેડૂત નેતા પાલભાઈ આંબલિયાને પ્રતિક્રિયા આપી છે. તેમના મતે સરકારે ફરી એક વખત ખેડૂતોને છેતરી લીધા છે.

કિલોએ માત્ર રૂ.1.85નો ભાવ વધારાયો

પાલભાઈ આંબલીયા જણાવ્યું હતું કે સરકારે પ્રતી કવીંટલ 5275 એટલે કે પ્રતી મણ 1055 રૂપિયા મગફળીના ટેકાના ભાવ નક્કી કર્યા છે. ગયા વર્ષે મગફળીના ટેકાના ભાવ પ્રતી મણ 1018 રૂપિયા હતા. ગયા વર્ષની સરખામણી એ માત્ર 37 રૂપિયાનો વધારો જાહેર કરાયો છે. એક કિલોએ રૂ.1.85 નો વધારો ખેડૂતોની ઠઠ્ઠા મશ્કરી છે. ખેડૂતો આ ક્યારેય નહીં ચલાવે.

સરકારનો હિસ્સો શુન્ય

ખેડૂત પ્રત્યે સંવેદનશીલ સરકારનો દાવો કરતી રૂપાણીની રાજ્ય સરકારે પોતાનો ફાળો શૂન્ય રાખ્યો છે. રાજ્ય સરકારે પોતાનું બોનસ જાહેર કરવું જોઈએ જે નથી કર્યું.

રાજય સરકારના કૃષિ ભાવ પંચે મગફળીનો પ્રતી મણ ઉત્પાદન ખર્ચ 1040.60 રૂપિયા અંદાજયો છે

(કૃષિ ભાવ પંચ બાબતની વિગતો.)

જો સરકાર ઉત્પાદન ખર્ચ પ્રતી મણ 1040.60 રૂપિયા અંદાજતી હોય તો 1055 રૂપિયા ટેકાના ભાવે ખરીદી કરે તો ખેડૂતને ફાયદો માત્ર 15 રૂપિયા જ થાય. 1040 ખર્ચ સામે 1055 રૂપિયા સરકાર ભાવ આપે ને એને પણ પાછો ટેકો ગણાવે.