ગાંધીનગર, 11 નવેમ્બર 2020
23 નવેમ્બર 2020થી શાળા-કોલેજો શરૂ કરવા નિર્ણય લેવાયો છે. ગુજરાત મંત્રીમંડળની બેઠકમાં કોલેજો અને યુનિવર્સિટીઝમાં પ્રથમ તબક્કે પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડીકલ અને પેરામેડીકલ વર્ગો શરૂ થશે. તેમજ અંડર ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક કક્ષા માટે માત્ર ફાયનલ ઇયરના જ કલાસ શરૂ કરવામાં આવશે. ઇજનેરી વિદ્યાશાખામાં પણ ફાયનલ ઇયર અને આઇ.ટી.આઇ. તથા પોલિટેકનીક કોલેજીસ પણ 23મી નવેમ્બરથી કાર્યરત થશે.
શાળા-કોલેજો દ્વારા જે ઓનલાઇન એજ્યુકેશન વ્યવસ્થા કરવામાં આવી છે તે યથાવત ચાલુ રાખવામાં આવશે. શાળા-કોલેજ સંકુલમાં વિદ્યાર્થીઓની ભીડભાડ ન થાય તે માટે વિદ્યાર્થીઓ તબક્કાવાર આવે તેવું આયોજન આચાર્ય-પ્રિન્સીપાલે ગોઠવવાની સૂચનાઓ પણ અનુસરવા તાકીદ કરવામાં આવી છે.
આ હેતુસર રાજ્ય સરકારે ઓડ ઈવન એટલે કે ધોરણ 9 અને 11 માટે અઠવાડિયામાં ત્રણ દિવસ અને 10 તેમજ 12 માટે ત્રણ દિવસ શાળામાં શિક્ષણ કાર્ય થાય તેવી વ્યવસ્થા પણ જરૂરિયાત મુજબ ગોઠવવા જણાવ્યું છે.
વિદ્યાર્થીઓ ક્રમાનુસાર અઠવાડિયામાં નિયત કરેલા દિવસોએ શાળામાં આવે અને બાકીના દિવસોમાં ઘરે બેઠાં એસાઇનમેન્ટ કરે તેવું આયોજન કરવા પણ સૂચવવામાં આવ્યું છે.
રાજ્યમાં આવેલી તમામ બોર્ડની બધી જ સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને સેલ્ફ ફાયનાન્સ સ્કુલ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તેમજ આદિજાતિ વિકાસ વિભાગની શાળાઓને આ એસ.ઓ.પી સમાન રીતે લાગુ પડશે.
આગામી તા.ર૩ નવેમ્બરથી રાજ્યમાં ધો-૯ થી ૧રની શાળાઓ તેમજ પી.જી, મેડીકલ-પેરામેડિકલ ઉપરાંત અંડર ગ્રેજ્યુએટ ફાયનલ ઇયરના વર્ગો શરૂ થશે.
બાકીના વર્ગો-ધોરણોના શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગે સમયાનુસાર યોગ્ય નિર્ણય લઇને સરકાર પછીથી જાહેરાત કરશે. વિદ્યાર્થીઓની હાજરી ફરજીયાત રાખવામાં આવી નથી.
શાળાએ આવવા માટે વિદ્યાર્થીના માતા-પિતા કે વાલીની લેખિત સંમતિ પણ સંસ્થાઓએ મેળવવાની રહેશે, તેવું પણ સૂચવાયું છે. દરેક વિદ્યાર્થી પોતાનું માસ્ક, પાણીની બોટલ, પુસ્તકો, નાસ્તો વગેરે ઘરેથી જ લાવે અને અન્ય છાત્રો સાથે આપ-લે ન કરે તે જોવા પણ જણાવવામાં આવશે.
વર્ગખંડમાં રિવાઇઝડ બેઠક વ્યવસ્થા મુજબ બે વિદ્યાર્થી વચ્ચે ઓછામાં ઓછું ૬ ફૂટનું અંતર રાખવું પડશે. જો કલાસરૂમનું કદ નાનું હોય તો કોમ્પ્યુટર હોલ, લેબોરેટરી, લાયબ્રેરીનો ઉપયોગ વિદ્યાર્થીની બેઠક વ્યવસ્થા માટે કરવાની પ્ણ શાળા-કોલેજોને SOP આપવામાં આવી છે.
શાળા-કોલેજીસ શરૂ કરતાં પહેલાં દરેક સંકુલમાં સ્વચ્છતા-સફાઇ સુવિધા, થર્મલ ગનથી વિદ્યાર્થીનું ચેકીંગ, સેનીટાઇઝર અને હાથ ધોવા માટે સાબુની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાની રહેશે. વર્ગખંડોમાં અને શાળા-કોલેજ સંકુલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય એટલું જ નહિ, માસ્કનો ફરજિયાત ઉપયોગ થાય તેમજ શાળા-કોલેજથી નજીકના અંતરે મેડીકલ સેવાઓ ઉપલબ્ધ હોય તેની પણ ખાતરી કરવી પડશે.
સામુહિક પ્રાર્થના – મેદાન પરની રમત-ગમત કે અન્ય સામુહિક પ્રવૃત્તિ ન કરવા પણ સૂચના આપી છે. વાલીઓ તેમના વ્યકિતગત ટ્રાન્સપોર્ટેશનનો જ ઉપયોગ બાળકને સ્કુલે જવા-આવવા કરે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ પબ્લીક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હોય તેમને પણ શાળા તરફથી સાવચેતી-સતર્કતાનું યોગ્ય માર્ગદર્શન અપાશે.
સ્કુલ બસ તરીકે ઉપયોગમાં લેવાતા વાહનને દિવસમાં ઓછામાં ઓછું બે વાર સેનિટાઇઝ કરવા તેમજ આવા વાહનની બારીના પડદા-કાચ ખૂલ્લા રાખવાની પણ સૂચનાઓનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે.
ભારત સરકારની SOPના અનુપાલન સાથે શાળા સંચાલકો, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમજ ડી.ઇ.ઓ ધ્યાન રાખશે.