રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં વધતા જતા કોરોના સંક્રમણને પગલે મુખ્યમંત્રીશ્રીએ તત્કાલ વિડીયો કોન્ફરન્સ યોજી

કલેકટર-મ્યુનિસિપલ કમિશનર-પોલીસ કમિશનર પાસેથી  જંગલેશ્વરની સ્થિતીનો તાગ મેળવ્યો

લોકડાઉનના ચુસ્ત અમલ અને રોગચાળા નિયંત્રણ સઘન બનાવવા માર્ગદર્શન આપ્યુ

જંગલેશ્વર વિસ્તારમાં કરફયુ જાહેર કરવા સૂચનાઓ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં વ્યાપકપણે વિસ્તરેલા કોરોના વાયરસ સંક્રમણને પગલે રાજકોટ કલેકટર, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર અને પ્રભારી શ્રી રાહુલ ગુપ્તા સાથે મહત્વપૂર્ણ વિડીયો કોન્ફરન્સ કરી હતી.
શ્રી વિજયભાઇ રૂપાણીએ વિડીયો કોન્ફરન્સ મારફતે મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી જંગલેશ્વર વિસ્તારમાં વધી રહેલા કોરોના દર્દીઓની સ્થિતીનો તાગ મેળવ્યો હતો.
તેમણે આ વિસ્તારમાં લોકડાઉનના ચુસ્ત અમલ તેમજ રોગચાળા નિયંત્રણના પગલાં વધુ સઘન બનાવવા જિલ્લા તંત્રવાહકોને માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમ, પોલીસ મહાનિદેશક શ્રી શિવાનંદ ઝા અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગીતા સિંહ પણ આ વિડીયો કોન્ફરન્સમાં મુખ્ય સચિવશ્રીના કાર્યાલયથી જોડાયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ જંગલેશ્વર વિસ્તારમાં લોકડાઉનના ચુસ્ત અમલ માટે શુક્રવાર મધ્યરાત્રિથી કરફયુ જાહેર કરવાની પણ સૂચનાઓ આપી હતી.