ગુજરાતના પહેલા મુખ્ય પ્રધાનથી આજ સુધીનું રાજકારણ, વિક્રમ મહેતાની નજરે

ગુજરાતના પહેલા મુખ્ય પ્રધાનથી આજ સુધીનું રાજકારણ

લેખક – વિક્રમ મહેતા

ગુજરાત રાજકારણના ગલિયારાઓમાં ઘૂમીએ તો અહીં ઘણુંબધું રસપ્રદ બનતું જોવા મળે છે. અહીં પ્રથમ મુખ્યમંત્રી તરીકે જીવરાજ મહેતા શપથવિધિ કરી રહ્યા છે. અહીં ઘનશ્યામ ઓઝા સામે ‘પંચવટી ફાર્મ’માં મોરચો મંડાયો છે. અહીં ચીમનભાઈ પટેલના ભાલપ્રદેશ પર ‘નવનિર્માણ’ને કારણે પરસેવાની બુંદ બાજેલી છે. અહીં બાબુભાઈ જશભાઈ પટેલ એક હાથમાં થેલી પકડીને સરકારી બસમાં મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે. અહીં માધવસિંહ સોલંકી પોતાના જાડાં ચશ્માંના કાચ નીચે ‘ખામ થિયરી’નું ગણિત માંડી રહ્યા છે. અહીં કેશુભાઈ સામે શંકરસિંહ ખજૂરાહોથી બાંયો ચડાવે છે. અહીં નરેન્દ્ર મોદીનાં ઇસ્ત્રીટાઈટ ભાષણો સંભળાય છે. અહીં એક દિવસ ફેસબુકની દીવાલે આનંદીબેન પટેલનું રાજીનામું વાંચવા મળે છે. અહીં રૂપાણી અચાનક મુખ્યમંત્રી પદેથી વિદાય થઈને સરકારી ગાડી પરથી લાલબત્તી ઉતારી રહ્યા છે. અહીં થ્રિલની ફિલ આપતાં ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ છે. સત્તાને ઉથલાવી નાખતા દાવપેંચ છે. આજના ઓટીટી કલ્ચરના જુવાનિયાઓ જેના દીવાના છે એવી એક કલ્ટ પોલિટિકલ થ્રિલર વેબસિરીઝ બની જાય એવું મસાલેદાર પોલિટિકલ સ્ટફ ગુજરાત રાજકારણના ગલિયારાઓમાં ઘૂમતું જડી આવે છે.

‘આપ મુઝસે ક્યોં પૂછતે હૈ? જીસને યહ તય કિયા હૈ, ઉનસે પૂછીયે!’ દિલ્હીમાં જ્યારે પત્રકારોએ ગુજરાતમાં યોજાયેલી પેટાચૂંટણીના સંદર્ભમાં સવાલ પૂછ્યો તો આ હતો જવાહરલાલ નેહરુનો જવાબ. બળવંતરાય મહેતાને એક પેટાચૂંટણી દ્વારા વિધાનસભામાં લાવવામાં આવ્યા હતા. ભાવનગર જિલ્લાની સિહોર બેઠક પરથી. કોંગ્રેસી ધારાસભ્ય ભોગીલાલ લાલાણીએ રાજીનામું આપીને ખાસ બેઠક ખાલી કરી નાખી હતી. આ બેઠક પરથી બળવંતરાય મહેતા ચૂંટણી લડ્યા અને જીત્યા પણ ખરા. વર્ષ હતું 1963નું.

આ આખી ‘ટેબલ ટર્ન’ ગેમ હતી. એક એવી ગેમ કે જે સ્વંતત્ર ગુજરાતની પહેલી સરકારને પાડી દેવા માટે ખેલાઈ હતી. જીવરાજ મહેતાને હટાવીને બળવંતરાય મહેતાને ગુજરાતની ગાદી પર બેસાડવાની આ આખી રાજરમત પાછળ સૂત્રધારની ભૂમિકા હતી: મોરારજી દેસાઈની. જવાહરલાલ નેહરુનો ઈશારો મોરારજી દેસાઈ તરફ જ તો હતો.

ફ્લેશબેક… આઝાદી પછી દેશમાં ઘડાયેલા નવા બંધારણ મુજબ 1952ની પહેલી ધારાસભાની ચૂંટણીમાં કોંગ્રેસને જંગી બહુમતી મળી. ગુજરાત ત્યારે મુંબઈ રાજ્ય સાથે જોડાયેલું. સૌરાષ્ટ્ર અને કચ્છનાં અલગ એકમો હતાં. સમગ્ર ગુજરાતની 157 બેઠકોમાંથી 141 બેઠકો કોંગ્રેસે પોતાના ખાતે કરી. લોકસભાની ચૂંટણીમાં પણ એવો જ જ્વલંત વિજય. સમગ્ર ગુજરાતની કુલ 20 બેઠકોમાંથી 18 બેઠકો કોંગ્રેસના નામે થઈ.

વર્ષ 1952થી સૌરાષ્ટ્ર વિધાનસભા ચાલી સૌરાષ્ટ્ર રાજ્યપ્રમુખ તરીકે જામસાહેબે તો મુખ્યમંત્રી તરીકે ઉછરંગરાય ઢેબરે ધૂરા સંભાળી. 1956માં મહારાષ્ટ્ર ગુજરાતનું એક વિશાળ દ્વિભાષી રાજ્ય બન્યું. 1957ની ચૂંટણીમાં લોકસભાની 22માંથી 17 બેઠકો અને વિધાનસભાની 133માંથી 101 બેઠકો પર કોંગ્રેસની ભવ્ય જીત થઈ.

મહાદ્વિભાષી મુંબઈ રાજ્યનું વિભાજન થયું અને તારીખ 1 મે, 1960ના રોજ અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. 1 મે 1960થી 8 માર્ચ 1962 સુધી અમરેલીના ડૉ. જીવરાજ મહેતા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સત્તારૂઢ રહ્યા. કોંગ્રેસમાં આંતરિક યાદવાસ્થળીની શરૂઆત તો વર્ષ 1960થી જ થઈ ગઈ હતી. વર્ષ 1960થી જ કોંગ્રેસમાં બે જૂથ રચાઈ ગયાં હતાં. એક જૂથ ડૉ. જીવરાજ મહેતાનું હતું, તો બીજું જૂથ હતું ઠાકોરભાઈ દેસાઈનું. પ્રાદેશિક શાસન હાથમાં આવ્યું કે કોંગ્રેસમાં આંતરિક યાદવાસ્થળીની શરૂઆત થઈ ગઈ. ‘કામરાજ યોજના’ આવ્યા પછી તો જીવરાજ મહેતા સામે મોરચા મંડાવા લાગ્યા હતા.

હવે, આ ‘કામરાજ યોજના’ શું હતી? ભારતના તમિલનાડુના જાણીતા સ્વાતંત્ર્ય સેનાની, રાજનેતા અને મદ્રાસના બીજા મુખ્યમંત્રી એવા કે. કામરાજે સાઠના દાયકામાં નિરીક્ષણ કર્યું કે કોંગ્રેસની સ્થિતિ નબળી પડી રહી છે. એમણે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને સરકારી પદો પરથી રાજીનામું આપીને સંગઠનમાં જોડાવા સૂચન કર્યું, કે જેનાથી મંદ પડેલી કોંગ્રેસમાં એક નવી શક્તિનો સંચાર થાય અને પક્ષ મજબૂત બને. કે. કામરાજના સૂચનને સ્વીકારીને લાલબહાદુર શાસ્ત્રી, જગજીવનરામ, મોરારજી દેસાઈ, સદૌબા પાટીલ જેવા નેતાઓ પદ પરથી હટી ગયા અને સંગઠનમાં જોડાઈ ગયા. આ યોજના ભારતીય રાજકારણમાં કામરાજ યોજના તરીકે જાણીતી છે. એમ કહેવાય છે કે આ યોજનાથી કે. કામરાજનું કેન્દ્રમાં વજન વધ્યું. ત્યાં સુધી કે નેહરુના નિધન પછી લાલબહાદુર શાસ્ત્રી અને ઇંદિરાને પી.એમ. બનાવવામાં કે. કામરાજની કિંગમેકરની ભૂમિકા રહી.

‘કોંગ્રેસીઓ 10 વર્ષમાં સત્તા છોડો’ હવે.. ભાવનગરમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું. જવાહરલાલ નેહરુ અને મોરારજી દેસાઈ જેવા દિગ્ગજ કોંગ્રેસીઓની પણ એમાં હાજરી. અધ્યક્ષ નીલમ સંજીવ રેડ્ડીએ જણાવ્યું કે જેઓ 10 વર્ષથી સત્તામાં હોય એમણે સ્વૈચ્છિક રીતે પદ છોડી દેવું જોઈએ અને સંગઠનનાં કામમાં જોડાઈ જવું જોઈએ. કેન્દ્રીય ચૂંટણી સમિતિ પણ એક તૃતીયાંશ ધારાસભ્યો અને સાંસદોને સંગઠનમાં જોડી દેવાના નિર્ણય પર હતી. ગુજરાતમાં પણ દસ વર્ષનો નિયમ લાગુ પડતાં તીવ્ર પ્રત્યાઘાત પડવા સ્વભાવિક હતા. 40 કોંગ્રેસીઓ મુશ્કેલીમાં મુકાયા. 18 જણાએ અરજી કરી. મોરારજી દેસાઈએ અરજીપત્રક પાછું ખેંચી લેવા કહ્યું. દસ કોંગ્રેસીએ પત્રો પાછા ખેંચી લીધા, પણ જીવરાજ મહેતા સહિતના આઠ સંગઠનમાં જોડાવાને બદલે ચૂંટણી લડવા મક્કમ હતા. મોરારજી દેસાઈએ કહ્યું, ‘જો સર્વાનુમતે આ નિયમનું પાલન ન થાય તો હું ગુજરાતની ચૂંટણીમાં સક્રિય નહીં રહું.’ રતુભાઈ અદાણી અને રસિકલાલ પરીખ મળ્યા પછી મોરારજીભાઈએ ડૉ. જીવરાજના ઉમેદવારી પત્રક માટે મંજૂરી આપી, અને દસ વર્ષના નિયમ હેઠળ કોઈની અરજી રદ નહીં કરાય તેવી ખાતરી આપી.

સ્વતંત્ર ગુજરાતની પહેલી ચૂંટણી વર્ષ 1962 આવ્યું. શિયાળાની ટાઢ ઊડી ગઈ હતી અને વાતાવરણમાં માર્ચ મહિનાની ગરમીની શરૂઆત થઈ ગઈ હતી. ગુજરાતના રાજકારણમાં પણ ગરમી હતી. સ્વતંત્ર ગુજરાત રાજ્યની પહેલી ચૂંટણી યોજાવા જઈ રહી હતી. નવા મુખ્યમંત્રી તરીકે ઠાકોરભાઈ દેસાઈ અને બળવંતરાય મહેતાનાં નામ જોરશોરથી ચર્ચાઈ રહ્યાં હતાં. હવે આ વખતે તો જીવરાજ મહેતાનું પત્તું કપાશે-એવી અટકળે કોંગ્રેસના કાર્યકરોમાં વેગ પકડ્યો. મોરારજી દેસાઈની આત્મકથા પ્રમાણે જીવરાજ મહેતા 1960માં મુખ્યપ્રધાન થયા ત્યારે 1962ની ચૂંટણી સુધી જ મુખ્યમંત્રી તરીકે રહેવાનું એમણે સૂચવ્યું હતું.

ચૂંટણી જંગમાં એક તરફ કોંગ્રેસ હતી. સામે નેહરુની ડાબેરી વિચારધારાની સામે ઊભો થયેલો ભાઇકાકા, કનૈયાલાલ મુનશીનો જમણેરી સ્વતંત્ર પક્ષ, સમાજવાદી પક્ષ અને ઇન્દુલાલ યાજ્ઞિકનો ડાબેરી મોરચો મેદાને હતો. રસાકસીભર્યો જંગ હતો.

એક બેંક ક્લાર્કે CM ન બનવા દીધા! આખરે ચૂંટણી લડાઈ. અગેઈન જીતનો તાજ કોંગ્રેસના માથે. કોંગ્રેસ પક્ષને કુલ 154 બેઠકોમાંથી 113 બેઠકો મળી. વિરોધપક્ષને ફાળે આવી 41 બેઠકો. કોંગ્રેસ પક્ષ બહુમતીમાં હોવાના કારણે તેમણે સરકાર રચવાની હતી, પણ ખાટલે મોટી ખોટ એ હતી કે મુખ્યમંત્રી માટે ચર્ચાતાં નામોએ આ ચૂંટણીમાં પછડાટ ખાધી હતી. ઠાકોરભાઈ દેસાઈ ગણદેવી બેઠક પરથી હાર્યા. બળવંતરાય મહેતા ભાવનગરની બેઠક પરથી હાર્યા. બળવંતરાયને તો ભાવનગરના એક નવા યુવા બેંક ક્લાર્કે હરાવ્યા હતા! એનું નામ પ્રતાપ શાહ. કોઈ રસ્તો જ ન બચ્યો. વિરોધી જૂથને જીવરાજ મહેતાને કમને મુખ્યમંત્રી તરીકે સ્વીકારવા પડ્યા. ડૉ. મહેતાના કેબિનેટ મંત્રી તરીકે રસિકલાલ પરીખ, રતુભાઈ અદાણી, હિતેન્દ્ર દેસાઈ, વિજયકુમાર ત્રિવેદી, ઉત્સવભાઈ પરીખ, મોહનલાલ વ્યાસ ઉપરાંત નવ નાયબ મુખ્યમંત્રીઓ હતા. સામી તરફ સ્વતંત્ર પક્ષમાંથી ભાઇકાકા જીત્યા હતા અને વિધાનસભાના સૌપ્રથમ વિપક્ષ નેતા બન્યા હતા!

હવે, આંતરિક વિરોધના સામા પ્રવાહે જીવરાજ મહેતાની સરકાર તો બની, પણ પછી સંગઠન અને સરકાર વચ્ચે આંતરિક મતભેદ શરૂ થઈ ગયા. કોંગ્રેસી અગ્રણીઓનો આગ્રહ એવો કે જીવરાજભાઈએ રાજ્યની બાબતમાં એમને પૂછીને પાણીને પીવું જોઈએ. ગુજરાત કોંગ્રેસ કારોબારી મળે તો એમાં જીવરાજભાઈ પ્રધાનમંડળની ટીકાટિપ્પણી થાય.

અસંતોષની આગ ડૉ. મહેતાના વિરોધી જૂથ દ્વારા ઠાકોરભાઈ દેસાઈ, બળવંતરાય મહેતા અને બાબુભાઈ જશભાઈ પટેલને હરાવવા પાછળ રસિકભાઈ પરીખ અને રતુભાઈ અદાણીની ભૂમિકા હોવાનો આરોપ કોંગ્રેસ હાઈકમાન્ડ પાસે થયો. ડૉ. મહેતાનું વિરોધી જૂથ રસિકભાઈ પરીખ અને રતુભાઈ અદાણીની કાર્યપદ્ધતિથી નારાજ હતું. જીવરાજ મહેતાના બે અડીખમ સાથીદારોની સોગઠી ઉડાડીને જીવરાજ મહેતાને હટાવવાની આ પ્રથમ ચાલ હતી. ડૉ. મહેતાનું વિરોધી જૂથ એમને તો અને તો જ સ્વીકારવા તૈયાર હતું જો ડૉ. મહેતા આ બે મંત્રીઓને સરકારમાંથી બરતરફ કરે. સ્વભાવિક છે કે જીવરાજ મહેતા આ માટે તૈયાર ન જ થાય. ધારાસભ્યોએ દિલ્હી તરફ પ્રયાણ કર્યું અને હાઈકમાન્ડ સમક્ષ રસિકભાઈ પરીખ અને રતુભાઈ ઉપર જૂથબંધીનો આરોપ મૂક્યો. ડૉ. મહેતા આ બંને મંત્રીઓને હટાવવાની મનાઈ કરી એટલે જીવરાજ મહેતા પર આ બંને મંત્રીઓને બચાવવાનો આરોપ મૂક્યો.

કોંગ્રેસના બહુમતી ધારાસભ્યો જીવરાજ મહેતાથી અસંતુષ્ટ હતા. આ અસંતુષ્ટોની સહીવાળો પત્ર વિરોધી જૂથે દિલ્હી જઈને હાઈકમાન્ડ સામે રજૂ કર્યો હતો. પરિસ્થિતિ એવી ઊભી થઈ કે હાઈકમાન્ડે જાતે જ તત્કાલીન કોંગ્રેસ પ્રમુખ નીલમ સંજીવ રેડ્ડીને અમદાવાદ મોકલ્યા. જીવરાજ મહેતા મંત્રીમંડળના 90-95 જેટલા ધારાસભ્યોએ અસંતોષ વ્યક્ત કર્યો અને પ્રધાનમંડળ બદલાવવાની વાત કરી.

ડૉ. જીવરાજ મહેતાઃ ગુજરાતના સૌથી વધુ ભણેલા CM આખરે એ જ થયું. ડૉ. જીવરાજ નારાયણ મહેતાએ તારીખ 19 સપ્ટેમ્બર,1963ના રોજ રાજીનામું આપ્યું. જીવરાજ મહેતાની સરકાર પડી ભાંગી. ગુજરાત રાજનીતિનું એક તેજસ્વી પાત્ર છે જીવરાજ મહેતા. ગાંધીજી સાથે નિકટતાથી જોડાયેલા જીવરાજ મહેતાએ 1942 હિંદ છોડો આંદોલનમાં જોડાવા બદલ જેલવાસ ભોગવ્યો હતો, વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના ચીફ મેડિકલ ઓફિસર તરીકે પણ સેવા આપી હતી, 1952-60 સુધી મુંબઈ રાજ્યના નાણાપ્રધાન પણ રહ્યા હતા… કમનસીબે આવા ઓજસ્વી રાજનેતાની સરકાર આંતરિક મતભેદમા ધ્વંસ થઈ ગઈ. જવાહરલાલ નેહરુ વ્યથિત હતા. ડૉ. જીવરાજ મહેતા આ પછી બ્રિટન હાઈ કમિશનરના પદે નિમણૂક પામ્યા.

જીવરાજ મહેતાની શાસનકાળની સિદ્ધિઓ તરફ એક નજર દોડાવીએ તો ગુજરાતે ઔદ્યોગિક વિકાસ તરફ કદમ માંડ્યાં. પંચાયતી રાજની સ્થાપના, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર કંપનીની રચના, અંકલેશ્વરનું તેલ ક્ષેત્ર શોધાયું. પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગની સ્થાપના માટેનો માર્ગ જીવરાજ મહેતાના શાસનમાં મોકળો થયો. ખેતીની જમીન અને ગણોતધારા બાબત સુધારણા જેવા પ્રગતિશીલ નિર્ણયો પણ લેવાયા.

હંસાબેન ‘ધ ગ્રેટ’ મહેતા એક થોડી આડવાત પણ રસપ્રદ વાત. જીવરાજ મહેતાનાં જીવનસાથી એટલે હંસાબેન મહેતા. સમાજ સુધારક, સામાજિક કાર્યકર, સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષણવિદ્, સ્વતંત્રતા ચળવળકાર અને લેખિકા. એમના પિતા મનુભાઈ મહેતાએ વડોદરા અને ત્યારબાદ બિકાનેર રાજ્યના દીવાન તરીકે સેવા આપેલી. વડોદરામાં 1916થી 1927 અને બિકાનેરમાં 1927થી 1934. જન્મે નાગર બ્રાહ્મણ એવા હંસાબેને બાળકો માટે ગુજરાતીમાં ઘણાં પુસ્તકો લખ્યાં, ‘ગુલીવરની સફર’ જેવાં અંગ્રેજીમાંથી અનુવાદિત પુસ્તકો પણ આપ્યાં.

1926માં એમની પસંદગી બોમ્બે સ્કૂલ્સ કમિટીમાં થઇ હતી અને ઓલ ઇન્ડિયા વુમન્સ કોન્ફરન્સના પ્રમુખ બન્યાં હતાં. 1945થી 1960 દરમિયાન એમણે વિવિધ પદો સંભાળ્યાં, જેમાં SNDT વુમન્સ યુનિવર્સિટીનાં વાઇસ-ચાન્સેલર, ઓલ ઇન્ડિયા સેકન્ડરી બોર્ડ ઓફ એજ્યુકેશના સભ્ય, ઇન્ટર યુનિવર્સિટી બોર્ડ ઓફ ઇન્ડિયાના પ્રમુખ અને મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના વાઇસ-ચાન્સેલર રહ્યાં હતાં. ગુજરાતને પ્રથમ નવલકથા ‘કરણઘેલો’ આપનાર નંદશંકર તુલજાશંકર મહેતા એ હંસાબેનના દાદા થાય!

પાકિસ્તાને ગુજરાતના CMનું પ્લેન તોડી પાડ્યું હવે ફરી પાછા આપણે મુખ્ય ટ્રેક પર આવીએ. ડૉ. જીવરાજ મહેતાના રાજીનામા પછી, ગુજરાતના બીજા મુખ્યમંત્રી તરીકે બળવંતરાય મહેતાએ શપથ લીધા. ભાવનગર જિલ્લાના સિહોરની પેટાચૂંટણીથી જે ટેબલ ટર્ન કરવાની યોજના હતી તેનું આ અંતિમ પ્રકરણ હતું. બળવંતરાય મહેતા મૂળ ભાવનગરના. બળવંતરાય મહેતાનું વર્ષ 1965ના ભારત-પાક યુદ્ધ દરમિયાન પત્ની સરોજબહેન સાથે પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ થતાં બળવંતરાય સરકારમાં ગૃહમંત્રી રહેલા હિતેન્દ્ર દેસાઈએ ગુજરાતના ત્રીજા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. એમના પિતા કનૈયાલાલ દેસાઈ વર્ષો સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખપદે રહ્યા. ‘કાનજીકાકા’ એમનું હુલામણું નામ. વર્ષ 1966માં હિતેન્દ્ર દેસાઈએ રાજ્યમાં કોંગ્રેસનો પાયો મજબૂત કરવાનું કામ કર્યું.

લોકસભા-વિધાનસભા ચૂંટણી એકસાથે રાષ્ટ્રીય પ્રવાહો પણ જે તે રાજ્યના રાજનૈતિક પ્રવાહોને પણ અસરકારક બનતા રહ્યા છે. વર્ષ 1966માં રશિયાના તાશ્કંદ ખાતે પાક. પ્રમુખ ઐયુબખાન સાથે પરસ્પરની વાટાઘાટો માટે ગયેલા વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનું રહસ્મય સંજોગોમાં અવસાન થયું. કોંગ્રેસ મોવડીમંડળે ત્રીજા વડાપ્રધાન માટે પસંદગી પ્રક્રિયા શરૂ કરી. મોરારજી દેસાઈએ પોતાના અનુભવ અને સિનિયોરિટીનું કારણ આગળ ધરીને વડાપ્રધાનપદ માટે દાવેદારી નોંધાવી. કોંગ્રેસ મોવડીમંડળની પસંદગી ઈંદિરા ગાંધી હતાં. અહીંથી જ મોરારજી દેસાઈ અને ઈંદિરા ગાંધીનો અલગ ચોકો શરૂ થયો. કોંગ્રેસ પક્ષમાં પોતાના નેતા માટે જ ચૂંટણી થઈ. ઇંદિરા ગાંધીને 355 અને મોરારજી દેસાઈને 169 મતો મળ્યા. કેન્દ્રમાં શ્રીમતી ઇંદિરા ગાંધીની સરકાર વર્ષ 1966માં અસ્તિત્વમાં આવી.

એક વર્ષ પછી એટલે કે વર્ષ 1967માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજાઈ. લોકસભા અને રાજ્યોની ચૂંટણીઓ એકસાથે યોજાઈ હોય એવો આ છેલ્લો ઉપક્રમ. કેટલાંક રાજ્યોની વિધાનસભા પાંચ વર્ષ પહેલાં જ બરખાસ્ત થઈ જાય એટલે સ્વભાવિક છે કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે ન યોજી શકાય. ગુજરાત કોંગ્રેસને વિધાનસભામાં કુલ 168 બેઠકોમાંથી 93 બેઠકો મળી અને સ્વતંત્ર પક્ષને 66, પ્રજા સમાજવાદી પક્ષને 3, જનતા પક્ષને 2, જનસંઘને 1 અને અપક્ષને 3. સ્વતંત્ર પક્ષે આ ચૂંટણીમાં કોંગ્રેસને બરાબરની ટક્કર આપી હતી. લોકસભામાં પણ કોંગ્રેસને બહુ પાતળી બહુમતી મળી હતી. કોંગ્રેસ પક્ષનાં વળતાં પાણી હતાં. આ અસરમાં હિતેન્દ્ર દેસાઈની સરકારે ફરી સુકાન સંભાળ્યું. નવ પ્રધાનો અને છ નાયબ પ્રધાનો સહિત કુલ 15ની કેબિનેટ થઈ.

વર્ષ 1967ની ચૂંટણીઓ પછી પક્ષપલટાની પ્રવૃત્તિ વધી. ‘આયારામ-ગયારામ’ની વધતી પ્રવૃત્તિએ 1969માં તો ગુજરાત કોંગ્રેસ પક્ષની સંખ્યા વધીને 101 થઈ ગઈ અને સ્વતંત્ર પક્ષની સંખ્યા 55ના આંકડે આવી ગઈ.

ઇન્ડિકેટ વર્સિસ સિન્ડિકેટ 1967-1969નો સમયગાળો ઇંદિરા માટે કપરો હતો. કોંગ્રેસ પક્ષમાં મતભેદો તીવ્ર બન્યા. 1969ના જૂલાઈ માસમાં બેંગ્લોર ખાતે કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં કોંગ્રેસ પક્ષના આંતરિક મતભેદો સ્પષ્ટ બહાર આવી ગયા હતા. બેન્કોના રાષ્ટ્રીયકરણ અને રજવાડાંઓનાં સલિયાણાંના મુદ્દે કોંગ્રેસનો એક વર્ગ ઇંદિરા વિરુદ્ધ હતો. કોંગ્રેસની અંદર જ વિપક્ષ ઊભો થયો. આખરે એ જ થયું જેની આશંકા હતી. 1969માં કોંગ્રેસનાં બે ફાડિયાં થયાં. ‘ઇન્ડિકેટ’ અને ‘સિન્ડિકેટ’. એક જૂથ ઇંદિરાનું જે કોંગ્રેસ આઈ શાસક કોંગ્રેસ- ઇન્ડિકેટ તરીકે ઓળખાયું, તો બીજું જૂથ મોરારજી દેસાઈનું જે સિન્ડિકેટ- સંસ્થા કોંગ્રેસ તરીકે ઓળખાયું. બે બળદની જોડીવાળા અખંડ કોંગ્રેસના પ્રતીકની જગ્યાએ શાસક કોંગ્રેસનું પ્રતીક બન્યો હાથનો પંજો અને સંસ્થા કોંગ્રેસનું પ્રતીક ચરખો કાંતતી સ્ત્રી રહ્યું. સિન્ડિકેટમાં સદોબા પાટીલ, નીલમ સંજીવ રેડ્ડી, તત્કાલીન કોંગ્રેસ પ્રમુખ નિજલિંગપ્પા જેવા મજબૂત નેતાઓ હતા. સિન્ડિકેટની મહેચ્છા ઇંદિરા ગાંધીને પીએમની ખુરશી પરથી હટાવવાની પણ ખરી. 1969ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સિન્ડિકેટના નીલમ સંજીવ રેડ્ડીની સામે ઇંદિરા કોંગ્રેસના વી.વી.ગીરીની જીત થઈ. ઇંદિરાને ‘ગૂંગી ગુડિયા’ માનતા સિન્ડિકેટે ઇંદિરાને આંકવામાં કાયદેસરની થાપ ખાધી હતી.

ગુજરાતમાં પહેલીવાર રાષ્ટ્રપતિ શાસન આવ્યું હવે ગુજરાતમાં શું રાજકીય સિનારિયો હતો? ગુજરાતની ગાદી પર આરૂઢ હિતેન્દ્ર દેસાઈ સંસ્થા કોંગ્રેસ તરફી રહ્યા. પણ એમના પક્ષના પ્રધાનો શાસક કોંગ્રેસ તરફી હતા. કાંતિલાલ ઘીયા, રતુભાઈ અદાણી, ચીમનભાઈ પટેલે સંસ્થા કોંગ્રેસને રામરામ કર્યા અને ‘નમે સૌ ઊગતા સૂર્યને’ની જેમ શાસક કોંગ્રેસમાં જોડાઈ ગયા. આગળ જતાં જે ગુજરાતમાં ધૂરા સંભાળવાના હતા એ ઘનશ્યામ ઓઝા પણ પ્રવાહ સાથે જોડાયા અને શાસક કોંગ્રેસમાં જોડાયા. સંસ્થા કોંગ્રેસ પણ ઝડપથી તૂટવા માંડી. મહારાષ્ટ્ર કોંગ્રેસ આખી શાસક કોંગ્રેસમાં ભળી ગઈ હતી. જો ગુજરાતમાં આમ થયું હોત તો ચિત્ર જૂદું હતું. પણ આમ ન થયું. હિતેન્દ્ર દેસાઈએ શાસક કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો પણ બહુ મોડો. પહેલાં તો હિતેન્દ્ર દેસાઈ તૈયાર જ ન થયા. પરિણામ શું આવ્યું? શાસક કોંગ્રેસમાં જોડાઈ ગયેલા ધારાસભ્યોને કારણે હિતેન્દ્ર દેસાઈ સરકાર લઘુમતીમાં મુકાઈ ગઈ. રાજીનામું આપવું પડ્યું. શાસક કોંગ્રેસે સરકાર રચવાનો દાવો કર્યો. ચીમનભાઈ પટેલ અને ઇન્દુભાઈ પટેલ બંને સંસ્થા કોંગ્રેસના ધારાસભ્યોને શાસક કોંગ્રેસમાં લાવવા માટે સહી લઈ રહ્યા હતા. ગવર્નરની ચકાસણીમાં હિતેન્દ્ર દેસાઈના પક્ષે બહુમતી જોવા મળી. ફરી હિતેન્દ્ર દેસાઈની સરકાર બની. જોકે આ સરકાર લાંબું ન ટકી. ચીમનભાઈ વિપક્ષના નેતા બન્યા અને માત્ર 34 જ દિવસમાં હિતેન્દ્ર દેસાઈની સરકાર કડડભૂસ…રાષ્ટ્રપતિ શાસન આવ્યું. ગુજરાતે પ્રથમવાર રાષ્ટ્રપતિ શાસન જોયું. સમયગાળો હતો : 13-5-1971થી 17-3-1972.

કોમી રમખાણોની કાળી ટીલી હિતેન્દ્ર દેસાઈનો સમય બે ભાગમાં વહેંચી શકાય. સપ્ટેમ્બર 1965થી મે 1971 સુધી તેઓ મુખ્યપ્રધાનપદે રહ્યા. તેમાંથી 65થી 69 સુધીનો ચાર વર્ષનો સમયગાળો પૂર્વાર્ધ અને 1969-1971 સુધીનો સમયગાળો ઉત્તરાર્ધ. મક્કમતા અને મુલાયમતાના સમન્વયસમા હિતેન્દ્ર દેસાઈએ સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ગજબનાક રીતે સંતુલન જાળવી રાખ્યું, પણ વર્ષ 1969ના સપ્ટેમ્બર માસમાં એમના શાસનકાળ દરમિયાન થયેલાં કોમી રમખાણો એમની સરકાર માટે કાળી ટીલી સમાન સાબિત થયાં. આ કોમી રમખાણની આગમાં હિતેન્દ્ર દેસાઈની સરકારનો પાયો નબળો પડ્યો. સંસ્થા કોંગ્રેસ નબળી પડી..

મોરારજી દેસાઈની સાફ મનાઈ છતાં હિતેન્દ્ર દેસાઈએ તત્કાલીન પંચાયત મંત્રી ઠાકોરભાઈ દેસાઈના કહેવાથી ચીમનભાઈ પટેલને મંત્રીમંડળમાં સમાવિષ્ટ કર્યા હતા. એમને ક્યાં ખબર હતી કે આગળ જતાં ચીમનભાઈ પોતાની સરકાર તોડવામાં સૂત્રધાર બનવાના છે.
પંચવટી ફ્રાર્મ

ગાંધીનગરથી થોડે દૂર ‘પંચવટી ફાર્મ’ની જગ્યા. અસંતુષ્ટ ધારાસભ્યોની છાવણી ખોલવામાં આવી છે. સામે પક્ષે બીજી એક છાવણી ગાંધીનગર ખાતે પ્રધાનોના બંગલે ખોલવામાં આવી છે. સામસામે પડાવો ગોઠવાઈ ગયા છે. ઘનશ્યામ ઓઝાની સરકારને ગબડાવવાનો કારસો પાક્કા પાયે રચાઈ રહ્યો છે… ઘણા રાજકીય વિશ્લેષકો અહીંથી જ રાજકીય ઇતિહાસમાં ‘રિસોર્ટ પોલિટિક્સ’નો એકડો મંડાયાનું માને છે. આખરે કેમ ઘનશ્યામ ઓઝાની સરકારને પાડવા માટે ખેલ ખેલાઈ રહ્યો છે. કોણ છે આના સૂત્રધારો?

હિતેન્દ્ર દેસાઈની સરકાર ગબડી. પછી વર્ષ 1972ની ચૂંટણી આવી. પરિણામ તરફ નજર નાખીએ તો 168 બેઠકો પૈકી 139 બેઠકો ‘ઇન્ડિકેટ’ એટલે કે શાસક કોંગ્રેસને મળી, 16 સંસ્થા કોંગ્રેસને, 3 જનસંઘને, 1 સામ્યવાદી પક્ષને, 8 અપક્ષને.. ઇન્દિરાની ‘ગરીબી હટાવો’ વિચારધારા, 1971ના ભારત-પાક યુદ્ધમાં જ્વલંત વિજય… આ બધાં પરિબળોથી હવા કોંગ્રેસ તરફ બની હતી. ઇન્ડિકેટ કોંગ્રેસ (શાસક કોંગ્રેસ)ની ગુજરાતમાં આ પ્રથમ સરકાર બની રહી હતી. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે કોની પસંદગી કરવી એ સવાલ મોવડીમંડળ માટે અઘરો હતો. મુખ્યમંત્રી પદ માટે ટાંટિયાખેંચ શરુ થઈ. ઇન્દિરાજી પર નિર્ણય છોડાયો. ચીમનભાઈ પટેલનો ઉગ્ર વિરોધ કે ભાઈ, ગુજરાતના ધારાસભ્યો નેતા નક્કી કરે, દિલ્હી નહીં, પણ ચીમનભાઈનું કાંઇ ઉપજ્યું નહીં. કેન્દ્રમાં રાજયકક્ષાના ગૃહપ્રધાન ઘનશ્યામ ઓઝા પર કળશ ઢોળાયો.

ઘનશ્યામ ઓઝાની સરકારમાં એક હતા રતુભાઈ અદાણી. પીઢ રાજપુરુષ. વહીવટનો બહોળો અનુભવ. ભૂતપૂર્વ સૌરાષ્ટ્ર, મહા દ્વિભાષી રાજ્યમાં અને ગુજરાત રાજ્યમાં એમ ત્રણેય રાજ્યોમાં જુદાં-જુદાં ખાતાંઓમાં મંત્રી રહ્યા. રાજકારણના અઠંગ ખેલાડી, સ્પષ્ટ વક્તા અને મનમાં મુખ્યમંત્રીની કળાઈ ન શકે એવી મહત્ત્વાકાંક્ષા.. રતુભાઈને કૃષિ ખાતું સોંપાયું હતું.

કાંતિલાલ ઘીયા. સહકારી ક્ષેત્રના પીઢ અને કસાયેલા આગેવાન. ઇન્દિરા સમર્થક. શાસક કોંગ્રેસની શરૂઆતથી જોડાયેલા. હિતેન્દ્ર દેસાઈ સરકારના પતન પછી મુખ્યમંત્રી તરીકે રાજકીય વર્તુળમાં કાંતિલાલ ઘીયાનું જ નામ ચર્ચાતું હતું. પણ એકંદરે ભોળા રાજનેતાની છાપ ધરાવતા કાંતિલાલ ઘીયાના ભાગ્યમાં મુખ્યમંત્રીની ખુરશી લખાયેલી ન હતી! કાંતિલાલ ઘીયાના હાથમાં નાણાંખાતું આવ્યું.

ચીમનભાઈ પટેલ. કોંગ્રેસ પક્ષમાં વિદ્યાર્થી આગેવાન તરીકે શરૂઆત. 1967માં હિતેન્દ્ર દેસાઈના પ્રધાનમંડળમાં વાહનવ્યવહાર અને સાંસ્કૃતિક પ્રધાન તરીકે સૌ પ્રથમ નિયુક્ત થયા હતા. મોરારજી દેસાઈને ચીમનભાઈ ન ગમે. અતિમહત્ત્વાકાંક્ષી. શાસક કોંગ્રેસમાં જોડાયા ત્યારથી જ મુખ્યમંત્રીની ખુરશી પર નજર મંડરાયેલી, પણ મુખ્યમંત્રી પદને બદલે ચીમનભાઈના હાથમાં આવ્યું ઉદ્યોગ અને વીજળી ખાતું. આ ત્રણેય પાત્રોનાં મનમાં અધૂરાં રહી ગયેલાં મુખ્યમંત્રી પદનાં ઓરતાં રમી રહ્યાં હતાં. મોકાની રાહ હતી…

આ તરફ ઘનશ્યામ ઓઝાની સરકાર ચાલી રહી હતી. પડછંદ વ્યક્તિત્વના ધણી એવા ઘનશ્યામ ઓઝાએ માધ્યમિક શિક્ષણ મફત, નાના ખેડૂતોને મહેસુલમાંથી મુક્તિ, રુરલ હાઉસિંગ બોર્ડની રચના, શહેરી જમીનટોચ મર્યાદા કાયદાની રચના જેવા મહત્ત્વનાં વહીવટી પગલાં લીધાં. અલબત્ત, આ પગલાંઓ પૈકી માધ્યમિક શિક્ષણ મફત કરવાનો અને શહેરી જમીન ટોચ મર્યાદાનો કાયદો ઉતાવળિયું પગલું લેખાયું. ખાનગી શાળાઓનો બોજો સરકારી તિજોરી પર આવ્યો અને શહેરી જમીન ટોચમર્યાદાને કારણે નવાં બાંધકામો અટકી પડ્યાં.

કોંગ્રેસમાં અસંતોષનાં જૂથ ઘનશ્યામભાઈની સરકાર દરમિયાન શાસક કોંગ્રેસમાં બે જૂથ રચાયાં. રતુભાઈ અદાણી ધારાસભ્ય તરીકે ચૂંટાતાં કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું. પ્રમુખપદે આવ્યા ઝીણાભાઈ દરજી. આખાબોલા ઝીણાભાઈ ભવિષ્યમાં માધવસિંહની ‘ખામ થિયરી’ ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવવાના હતા. ઝીણાભાઈ-રતુભાઈ-સનત મહેતાનું જૂથ અને બીજી બાજુ કાંતિલાલ ઘીયા અને ચીમનભાઈનું જૂથ. ઝીણાભાઈના સ્વભાવને કારણે પછી તો રતુભાઈ અદાણી વર્સિસ ઝીણાભાઈનો પણ માહોલ બન્યો. ઝીણાભાઈના આગ્રહથી ઘનશ્યામભાઈએ ચીમનભાઈ પટેલને કારોબારીમાંથી દૂર કર્યા. અરે, ઉદ્યોગ ખાતું પણ લઈ લીધું. આપણા સર્જક ‘ધૂમકેતુ’ એમની પ્રખ્યાત ક્લાસિક વાર્તા ‘વિનિપાત’માં કહે છે એમ, પડે છે ત્યારે સઘળું પડે છે.

પક્ષમાં ઓલરેડી અસંતોષની આગ હતી જ. એમાં તત્કાલીન રાજકારણમાં ‘ચપટીક ચેવડા’ તરીકે જાણીતી ઘટના બની. સુરેન્દ્રનગરમાં જિલ્લા પંચાયતના એક ભોજન સમારંભમાં તત્કાલીન કલેક્ટર દ્વારા દરોડો પડ્યો. પ્રવર્તમાન મહેમાન અંકુશ ધારા હેઠળ જિલ્લા પંચાયતના પ્રમુખ સામે પગલાં લેવામાં આવતાં કોંગ્રેસીઓ અકળાયા. ગયા ઘનશ્યામભાઈ પાસે. કલેક્ટર સામે પગલાં લેવા માગ કરી. પણ ઘનશ્યામભાઈએ વિક્ષેપ ન કર્યો. કોંગ્રેસીઓ વિરુદ્ધ થયા. અસંતોષની આગમાં ઘી હોમાયું.

કોંગ્રેસ જૂથબંધીનો સંઘર્ષ તીવ્ર બની રહ્યો હતો. પક્ષને બદલે અંગત વ્યક્તિ તરફી વફાદારીની બોલબાલા હતી. જે ધારાસભ્યો મંત્રીમંડળમાં સ્થાન નહોતા પામ્યા એમને હજુ મંત્રીપદની આશા હતી. આ આશા એમને કાંતિલાલ ઘીયા-ચીમનભાઈ પટેલના જૂથમાં લઈ ગઈ. પટેલ-ઘીયા જૂથે પંચવટી ફાર્મ ખાતે બધા જ ધારાસભ્યોને એકઠા કરી લીધા. સત્તા જૂથે એમના ધારાસભ્યોને ગાંધીનગર ખાતે રાખ્યા હતા.

એન્ટર ધ ચીમનભાઈ પટેલ પટેલ-ઘીયા જૂથે બહુમતી હોવાનો દાવો કર્યો. કુલ 139માંથી 70 ધારાસભ્યોએ ઓઝાના મંત્રીમંડળમાં અવિશ્વાસ જાહેર કર્યો. કોંગ્રેસના પાંચ સંસદસભ્યોને નિરીક્ષક તરીકે રાખીને સિત્તેર ધારાસભ્યોની સહી લેવામાં આવી. સહીવાળો કાગળ દિલ્લી મોકલવામાં આવ્યો. ઘનશ્યામ ઓઝાને જાણ થતાં દિલ્લી જઈને મોવડીમંડળ સમક્ષ ચર્ચા કરી. પરંતુ બહુમતી ધારાસભ્યોનો મત ઓઝા વિરુદ્ધ પડતો હતો. વિશ્વાસમત લેવાનો કોઈ અર્થ સરતો ન હોવાનું જાણીને ઘનશ્યામ ઓઝાએ રાજીનામાનો પત્ર ઉમાશંકર દીક્ષિતને આપી દીઘો. ઉમાશંકર દીક્ષિત એટલે દિલ્હી મુખ્યમંત્રી એવાં સ્વ. શીલા દીક્ષિતના સસરા. ઘણા રાજકીય વિશ્લેષકો એવો મત દર્શાવે છે કે જો હિંમત કરીને ઓઝાએ વિશ્વાસ મત લીધો હોત તો છેવટે એક મતથી પણ ઓઝાને બહુમતી મળી હોત!

પણ રાજકારણ એ ઇતિહાસનો એક ભાગ છે અને ઇતિહાસ હંમેશાં જો અને તોની વચ્ચે લખાતો હોય છે! ગુજરાતના વધુ એક મંત્રીમંડળનું પતન થયું. રતુભાઈ અને ચીમનભાઈનો સંઘર્ષ એમાં મુખ્ય કામ કરી ગયો. ઓઝા સરકાર પડી ભાંગી. હવે નવી સરકાર રચાવા માટે ફરી પાછાં બે નામો સામસામે આવી જવાનાં હતા. એ બે નામો એટલે કાંતિલાલ ઘીયા અને ચીમનભાઈ પટેલ!

રાજકારણ એ મોકા પર ચોકો મારવાનો ખેલ છે. કાંતિલાલ ઘીયાના અસંતોષનો ફાયદો અદાણી-દરજી જૂથ લે એ રાજકારણમાં સ્વાભાવિક છે. અદાણી-દરજી જૂથે તો કાંતિલાલ ઘીયાને પોતાના જૂથના નેતા તરીકે પણ સ્વીકારી લીધા! કોંગ્રેસમાં નેતાપદ માટે ગુપ્તદાન થયું. ચીમનભાઈને મળ્યા 74 મત અને કાંતિલાલ ઘીયાને મળ્યા 64 મત. ગવર્નરે ચીમનભાઈને સરકાર રચવા નિમંત્રણ આપ્યું અને અત્યાર સુધીના સૌથી નાની ઉંમરના મુખ્યમંત્રી તરીકે 44 વર્ષીય ચીમનભાઈ જીવાભાઈ પટેલ ગુજરાતના પાંચમા મુખ્યમંત્રી તરીકે મુખ્યમંત્રીની ખુરશી સંભાળી.

ચીમનભાઈ પટેલ સરકારની કામગીરીએ શરુઆતના તબક્કામાં ઠીક-ઠીક અસર ઉપજાવી. પણ પરસ્પર ખેંચતાણ હજુ બંધ નહોતી થઈ. અદાણી-દરજી જૂથ ચીમનભાઈની સરકારને પાડી દેવાની ફિરાકમાં હતું. પટેલના મંત્રીમંડળમાં ઘણા ધારાસભ્યોને પોતાના ખાતા બાબતે અસંતોષ હતો. મંત્રીમંડળમાં એકસૂત્રતા ન રહી. ઘીયા-પટેલ વચ્ચેનો સંઘર્ષ વકરી રહ્યો હતો. અદાણી-દરજી જૂથ ચીમનભાઈની સરકારને તોડી પાડવા માટે જે તકની રાહ જોઈ રહ્યું હતું એ તક સામે આવી રહી હતી. ચીમનભાઈએ જે ઘનશ્યામ ઓઝા સાથે કર્યું એ જ તેમની સાથે થવાની અણી પર હતું..

‘નવનિર્માણ આંદોલન’ની આગ બરાબર આ જ માહોલમાં ગુજરાતના રાજકીય ઇતિહાસના મહત્ત્વના પ્રકરણ એવા ‘નવનિર્માણ આંદોલને’ આકાર લીધો. રાજકોટ જિલ્લાના મોરબી શહેરની લખધીરસિંહજી એન્જિનિયરીંગ કોલેજની હોસ્ટેલના વિદ્યાર્થીઓના મેસના બિલમાં વધારો કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓ હડતાળ પર ઊતર્યા. મોરબીને પગલે અમદાવાદની એલ. ડી. એન્જિનિયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ પણ હડતાળમાં જોડાયા. જોતજોતામાં આંદોલને ઉગ્ર સ્વરૂપ પકડ્યું. ‘નવનિર્માણ સમિતિ’ની રચના થઈ. વિદ્યાર્થી આંદોલનની આગ આખા ગુજરાતમાં પ્રસરી ચૂકી હતી. પથ્થરમારો, ગોળીબારી, આગજની, લૂંટફાટ…

જયપ્રકાશ નારાયણ અમદાવાદ આવ્યા. એક જાહેરસભા સંબોધી અને આ આંદોલનને સંપૂર્ણ ક્રાંતિ ગણાવીને એક વેગ આપ્યો. ચીમનભાઈએ શરુઆતમાં વિદ્યાર્થી આંદોલનને હળવાશથી લીધું તે હવે મહાન ભૂલભરેલું પગલું સાબિત થઈ રહ્યું હતું. ચીમનભાઈની ગુજરાતમાં નનામીઓ કાઢવામાં આવતી. કોઈ મુખ્યપ્રધાનનો આટલી નીચલી પાયરીએ વિરોધ થઈ રહ્યો હોય એવી આ પ્રથમ ઘટના હતી. અમદાવાદ શહેરમાં કર્ફ્યૂ લદાયો. શહેર લશ્કરને હવાલે સોંપાયું.

આ ઉગ્ર માહોલમાં 1974ના ફેબ્રુઆરી મહિનાની શરુઆતના દિવસોમાં પટેલ મંત્રીમંડળના ચાર પ્રધાનોએ પટેલ પર ભ્રષ્ટાચારનું તહોમતનામું તૈયાર કર્યું. હવે કોઈ આરો ન હતો. સત્તાશોખીન મંત્રીઓની સલાહ અવગણીને પણ આખરે ચીમનભાઈ પટેલે કમને મુખ્યપ્રધાન તરીકે તારીખ 9 ફેબ્રુઆરી, 1974ના રોજ રાજીનામું ધરી દીધું. 15 માર્ચ 1974ના રોજ ગુજરાત વિધાનસભા સસપેન્ડ કરવામાં આવી. કોંગ્રેસ મોવડીમંડળે ચીમનભાઈ પટેલને કોંગ્રેસ પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા. મહાગુજરાત આંદોલનમાંથી 1956માં નેતૃત્વ પાછલાં વરસોમાં ગુજરાતને મળ્યું. કેટલાયે અગ્રણી પ્રધાનો થયા પણ નવનિર્માણ આંદોલનમાંથી ભાવિ માટે કોઈ ખાસ નેતૃત્વ ન મળ્યું.

ઇમર્જન્સીએ બાબુભાઈ પટેલની સરકારનો ભોગ લીધો ગુજરાત વિધાનસભાની 1975માં યોજાયેલી ચૂંટણીમાં જનતા મોરચાના 86 સભ્યો ચૂંટાઈ આવ્યા હતા. 18 જૂન 1975ના રોજ બાબુભાઈ જશભાઈ પટેલ ગુજરાતના છઠ્ઠા મુખ્યપ્રધાન બન્યા. ઇન્દિરા ગાંધીએ બરાબર એક અઠવાડિયા પછી તારીખ 25 જૂન 1975ના રોજ કટોકટી લાદી અને દેશના રાજકારણમાં એક કાળો અધ્યાય લખાવાની શરુઆત થઈ. પ્રિન્ટ મીડિયાની સ્વતંત્રતા પર તરાપ મારવામાં આવી. ઇન્દિરા ગાંધીના વિરોધીઓને જેલમાં પૂરવામાં આવ્યા. પસાર કરેલા કાયદે ‘મીસા’ એટલે કે ‘મેઈન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યોરીટી એક્ટ’ના નામે પ્રચલિત થયો. કટોકટીની અંધાધૂંધી વચ્ચે પણ બાબુભાઈ પટેલે માર્ચ 1976 સુધી રાજ્ય સરકારને ચલાવી. ઇન્દિરાજીની નજર ગુજરાતમાં જનતા મોરચાની સરકાર પર હતી. ગુજરાતમાં સત્તારૂઢ બાબુભાઈની જનતા મોરચા સરકાર ઇન્દિરાને અકળાવી રહી હતી. આખરે ચીમનભાઈ પટેલના ‘કિમલોપ’ (કિસાન મજદૂર લોક પક્ષ)નો સાથ મળ્યો અને ચીમનભાઈએ બાબુભાઈની સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો. બાબુભાઈના જનતા મોરચામાંથી પક્ષપલટો પણ શરુ થયો. એ સમયમાં જીવનજરૂરિયાતની વસ્તુઓ સરળતાથી મળે. ખાંડ રૂ. 4.40 કિલો, તેલ રૂ.8.50… રેશનકાર્ડ અભેરાઈએ ચડ્યાં હતાં અને છતાં વિધાનસભામાં બજેટ સત્રમાં નાગરિક પુરવઠાની માગણીની ચર્ચામાં હાર થઈ. મતદાન 12 માર્ચ 1976ના રોજ થયું. બાબુભાઈની સરકાર પક્ષે 29 મત, કોંગ્રેસ સહિતના વિપક્ષને 87. બાબુભાઈની સરકારનું પતન થયું. એ જ દિવસે બાબુભાઈએ પ્રધાનમંડળમાંથી રાજીનામું આપ્યું.

બાબુભાઈ સરકારનું પતન થયું. વિધાનસભા મૂર્છિત કરાઈ. એક કાયદાકીય વાત સમજી લઈએ. સરકારનું પતન થાય ને બીજી સરકાર તરત રચાઈ શકે તેવું ન હોય તો ધારાસભા સંદર્ભે બે વિકલ્પો છેઃ (1) વિસર્જન (2) જેને સસ્પેન્ડેડ એનિમેશન કહેવાય. વિસર્જન એટલે ધારાસભા વિખેરી નાખવી અને નવી જ ચૂંટણી યોજવી. મૂર્છિત એટલે ધારાસભા મળે નહીં, પરંતુ સભ્યપદ ચાલુ રહે. દરમ્યાન રાષ્ટ્રપતિ શાસન હોય ગવર્નર રાજ થાય એટલે પછી નવી સરકાર રચવા બહુમતી મેળવવા પક્ષો પેરવી કરે. જો કેન્દ્ર રાજકીય શતરંજ રમે તો પોતાના પક્ષે બહુમતી આવે એની રાહ જોવા સમય લે. આ વખતે ઈન્દિરાજીની નેમ હતી કે પ્રથમ તો ગુજરાત જે અત્યાર સુધી બાબુભાઈના મુક્ત વાતાવરણમાં હતું તેને કટોકટીના શાસનની ભીંસમાં લેવા સમય કાઢવો. વળી શાસક કોંગ્રેસમાં પણ તડાં હતાં. તરત બહુમતી મળે એમ ન હતું. માધવસિંહ, કાન્તિલાલ ઘીયા, રતુભાઈ વચ્ચે મનમેળ નહીં. હિતેન્દ્રભાઈ સંસ્થા કોંગ્રેસમાં 12 જૂન 1975ના રોજ઼ રાજીનામું આપી છૂટા થયા અને 1 નવેમ્બરના શાસક કોંગ્રેસ પ્રમુખ થયા. પરંતુ તેમની તથા માધવસિંહ વચ્ચે અંટસ, કોણ મુખ્ય પ્રધાન થાય? એટલે ઈન્દિરાજીએ શાસક કોંગ્રેસમાં પૂરતી સંખ્યામાં ભરતી થાય તેવી પેરવી કરી.

પક્ષપલટાનો ભ્રષ્ટાચારને વળી કટોકટીની ધરપકડો ને પોલીસ રાજથી વિરોધ પક્ષના ધારાસભ્યોને ડરાવવાની પણ તેમની નેમ હતી. ધારાસભા રાજકીય સાધન તરીકે મૂર્છિત રખાવી. બીજી બાજુથી ગવર્નર શાસનથી વ્યાપક ધરપકડો શરૂ થઈ. બાબુભાઈ જશભાઈના લગભગ મોટાભાગના પ્રધાનોને પકડ્યા. બાબુભાઈ જશભાઈને 9મી ઓગસ્ટ 1975ના રોજ પકડાયા. સંસ્થા કોંગ્રેસ, જનસંઘના ઘણા અગ્રણીઓને કારાવાસમાં પૂર્યા. બીજા પક્ષોમાંથી પણ પકડાયા. પણ બાબુભાઈના પ્રધાન મંડળના સભ્યો ડગ્યા નહીં.

‘મહેમાન CM’ માધવસિંહ 1976નો અંત આવતો હતો. શાસક કોંગ્રેસમાં સામ, દામ, દંડ, ભેદના હથિયારથી મોટાપાયે ધારાસભ્યો જોડાઈ રહ્યા હતા. ડિસેમ્બર સુધીમાં શાસક કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 104 સુધી પહોંચી ગઈ હતી. મુખ્યપ્રધાનની ખુરશી માટે બે નામો ચર્ચાતાં હતાં: માધવસિંહ સોલંકી અને હિતેન્દ્ર દેસાઈ. બે ગજરાજોમાંથી એકની પસંદગી કરવાની હતી આખરે 23 ડિસેમ્બર 1976ના રોજ હિતેન્દ્ર દેસાઈ ગૃહપ્રધાન બન્યા અને મુખ્યપ્રધાનની ખુરશી પર બેઠા માધવસિંહ સોલંકી. 24 ડિસેમ્બર 1976ના રોજ માધવસિંહ સોલંકીની સરકાર અસ્તિત્વમાં આવી. પણ બહુ થોડા સમય માટે ટકી.

ગાંધીનગરથી આરંભેલી કથાનો મોડ હવે થોડો દિલ્લી તરફ ઘુમાવીએ તો 1977ના જાન્યુઆરી મહિનામાં ઈન્દિરાજીએ કટોકટી દૂર કરીને લોકસભા વિસર્જન અને માર્ચમાં ચૂંટણીની જાહેરાત કરી. તારીખ 16થી તારીખ 20 માર્ચ મતદાનની તારીખ. મોરારજી દેસાઈ, અડવાણી, બાજપાઈ વગેરેને છોડી મૂક્યા. જયપ્રકાશને ખરાબ તબિયતને કારણે વહેલા છોડી મૂકવામાં આવેલા. ઇન્દિરાજીની ગણતરી એવી પણ ખરી કે વિપક્ષ નેતાઓ જેલમાં હોય તો ચૂંટણીની તૈયારી નહીં કરી શકે… પણ ઇન્દિરાનું ગણિત ખોટું પડ્યું.

દિલ્હીમાં મોરારજી, ગુજરાતમાં બાબુભાઈ 1977માં ઇન્દિરાની સામે સંસ્થા કોંગ્રેસ, જનસંઘ, સ્વતંત્ર પક્ષ અને સમાજવાદી પક્ષે જનતા મોરચો રચ્યો. ચૂંટણી યોજાઈ. પરિણામ આવ્યું. ઇન્દિરાજી રાયબરેલીમાંથી ચૂંટણી હાર્યાં. બહુ ખરાબ રીતે હાર્યાં. એમના શાસક કોંગ્રેસને મળી માત્ર 153 બેઠકો જ્યારે સામા પક્ષે જયપ્રકાશ નારાયણ, કૃપલાણી, મોરારજી દેસાઈના નેતૃત્વવાળા જનતા પક્ષને 271, જગજીવનરામના સીડીએસ પક્ષને 27 બેઠકો, કોમ્યુનિસ્ટ પક્ષની 22 બેઠકો, અકાલી પક્ષની 8 અને અન્ય 24 મળીને કુલ જનતા પક્ષને 352 બેઠકો મળી. ચૌધરી ચરણસિંહ અને જગજીવનરામના ચર્ચાઈ રહેલાં નામો વચ્ચે આખરે મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા. દિલ્હીની ગાદી પર હવે જનતા મોરચાની સરકાર હતી.

રાજકારણનો એક પાયાનો સિદ્ધાંત છે. સત્તામાં હોય એને સલામ હોય. દિલ્હીમાં આવેલી મોરારજી દેસાઈની સરકારથી ગાંધીનગરની માધવસિંહની સરકાર મુશ્કેલીમાં આવી. કેન્દ્રમાં જનતા મોરચાની સરકાર મજબૂત થઈ તો માધવસિંહ સોલંકીની શાસક કોંગ્રેસ ગુજરાતમાં નબળી પડી. માધવસિંહ સોલંકીની સરકાર લઘુમતીમાં મુકાઈ ગઈ. આખરે માધવસિંહ સોલંકીએ 8મી એપ્રિલે રાજ્યપાલને રાજીનામું ધરી દીધું. બાબુભાઈ જશભાઈ પટેલે 11મી એપ્રિલે પોતાનું પ્રધાનમંડળ રચ્યું. બાબુભાઈએ 1975ના પોતાના પ્રથમ પ્રધાનમંડળના મૂળ સાથીઓને સમાવિષ્ટ કર્યા હતા.

બાબુભાઈનું શાસન વર્ષ 1980 સુધી ટક્યું. વર્ષ 1979ની મોરબીની મચ્છુ જળ હોનારત, ભાવવધારો જેવા પ્રશ્નો બાબુભાઇ માટે અતિ કઠિન અને પડકારજનક રહ્યા.

ભારતીય જનતા પાર્ટીનો ઉદય 22 ઓગસ્ટ 1979ના રોજ ભારત સરકારનું પતન થતાં તત્કાલીન રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીએ લોકસભાનું વિસર્જન કરીને ડિસેમ્બરમાં ચૂંટણી જાહેર કરી. 525 બેઠકો પૈકી કોંગ્રેસને 353, જનતા પાર્ટીને 31, જનતા પાર્ટી (સેક્યુલર)ને 41 અને અન્ય પક્ષોને તથા સ્વતંત્ર ઉમેદવારોને 100 બેઠકો મળી. ફરી ઇન્દિરા ગાંધીએ શાસનની ધુરા સંભાળી. 17-02-1980ના રોજ ગુજરાતમાં બાબુભાઈના પ્રધાનમંડળને બરતરફ કર્યું અને વિધાનસભા ભંગ કરી રાષ્ટ્રપતિ શાસન જાહેર થયું. 1980ની એપ્રિલની છઠ્ઠી તારીખે જનસંઘ જનતા પક્ષથી અલગ થયો અને એણે ભારતીય જનતા પાર્ટી નામ રાખ્યું.

1980ના જૂનમાં વિધાનસભાની ચૂંટણી આવી. જનતાપક્ષ અને ભાજપને સખત હાર મળી. ઈન્દિરા કોંગ્રેસને મળી 141 બેઠકો. માધવસિંહ સોલંકી મુખ્યપ્રધાન બન્યા. 7-08-1980ના રોજ પ્રધાનમંડળની રચના થઈ. આમ, ગુજરાતમાં માધવસિંહની સરકાર બની.

અનામત આંદોલન
ગુજરાતમાં ભારે અજંપો છે. અમદાવાદના ડબરગરવાડમાં એક ઘરને આગ લગાડવામાં આવી છે. આઠ જીવો ભડથું બનીને રાખ થઈ જાય છે. પરિણામે વધુ 23 ઘરોને આગ લગાડવામાં આવે છે. આ તબક્કે એક વિશ્વકવિ ઘવાયેલાઓની સારવાર કરવા વાડીલાલ હોસ્પિટલમાં પહોંચે છે. શાંતિની અપીલ કરે છે. ટોળું ઉશ્કેરાઈ જાય છે. ‘શું શાંતિની અપીલ કરો છો’ એમ કહીને ટોળું એ વિશ્વકવિને ધક્કે ચડાવે છે. કપડાં ફાડે છે. પેલા વિશ્વકવિ જવાબ આપે છે: ‘મારા બલિદાનથી શાંતિ થતી હોય તો હું મારું બલિદાન આપવા તૈયાર છું.’ સન્નાટો પથરાઈ જાય છે. ટોળું વિખેરાય છે.

એ અનામત આંદોલનની આગ હતી. અને આ આંદોલનમાં એ વિશ્વકવિ ઉમાશંકર જોષી જેવા ઋજુહૃદયી સર્જકે સેવેલી વિશ્વ બંધુત્વની ભાવના બળીને ભસ્મીભૂત થઈ ગઈ હતી.. ચંદ્રકાંત બક્ષીએ એ સમયે ‘જન્મભૂમિ’માં લખ્યું હતું, ‘1981નો આરંભ ગુજરાત માટે સારો થયો નથી. ફરીથી એ જ રક્તપાત અને આગની રમત, પોલીસ અને ટીઅરગૅસ, લશ્કર અને ગોળીબાર, ફરીથી એ જ પાગલ તાંડવ, પણ આ વખતે આગનો રંગ કલાયો છે અને સડકના કલાકારો એક નાટકની રમી રહ્યા છે જેનું નામ? ચાલો રમીએ અનામત અનામત!’

1980નો દાયકો ગુજરાતના રાજકીય ઇતિહાસમાં માધવસિંહના નામે લખાયો હતો. માધવસિંહ એક વિચક્ષણ રાજપુરુષ. સ્કોલર પર્સનાલિટી. વિશ્વરાજકારણથી વિશ્વસાહિત્યના જાણકાર. 1962માં સૌ પ્રથમ ડૉ. જીવરાજ મહેતાના મંત્રીમંડળમાં નાયબ મંત્રી તરીકે જોડાયા હતા. ઘનશ્યામ ઓઝા સરકારમાં કેબિનેટ સ્તરના મંત્રી બન્યા હતા. ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખપદે પણ રહ્યા. શરૂઆતમાં એક અગ્રગણ્ય અખબારમાં 80 રૂ.ના પગારે નોકરી કરતા. આજે વર્ષ 1980માં તેઓ ગુજરાતની ગાદી પર બેઠા હતા.

માધવસિંહના પ્રધાનમંડળમાં સનત મહેતાને નાણાં ખાતું સોંપાયું હતું. પ્રબોધ રાવળને ગૃહ ખાતું સોંપાયું હતું. માધવસિંહની સરકારમાં પણ અસંતોષની ફરિયાદો તો હતી જ. 1981ના પ્રારંભે એક નવું રાજકીય આંદોલન શરૂ થયું. આ આંદોલનનાં કારણો તપાસીએ તો વર્ષ 1974માં કેન્દ્ર સરકારે રાજ્યોને મેડિકલ કોલેજોમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કક્ષાએ અનુસૂચિત જાતિ કે જનજાતિ માટે બેઠકોની વ્યવસ્થા રાખવા સૂચન કર્યું. આ પહેલાં 7+13 ટકા એમ 20 ટકા અનામત બેઠકો રાખવામાં આવી જ હતી. 1980માં જુલાઈમાં માધવસિંહની સરકારે બક્ષીપંચનો જે ફેંસલો 1976માં જાહેર થયેલો એમાં જણાવેલ 82 સામાજિક અને શૈક્ષણિક પછાત જાતિઓ માટે 5 ટકા અનામત બેઠકો દાખલ કરી. આમ અનામતની બેઠકો થઈ કુલ 25 ટકા.

અનામત બેઠકો માટે પૂરતા પ્રમાણમાં પછાત વર્ગના વિદ્યાર્થીઓ ન મળે તો કેરી ફોરવર્ડ પદ્ધતિ જાહેર થઈ. આ પદ્ધતિને કારણે સવર્ણ વિદ્યાર્થીઓમાં અસંતોષ ફેલાયો. 31 ઓગસ્ટ 1980ના રોજ વિદ્યાર્થીઓએ આવેદનપત્રો આપ્યાં. 9મી જૂન 1981ના રોજ સરકારે કેરી ફોરવર્ડ પ્રથા રદ કરવાની ફરજ પડી. પરિણામે પછાત વર્ગના વિદ્યાર્થીઓ રોષે ભરાયા. સામા પક્ષે સવર્ણ વિદ્યાર્થીઓએ પ્રતિકાર કર્યો. કોમી આગ ફેલાઈ.

KHAM થિયરીનો બોમ્બ ફાટ્યો 1980ની કેબિનેટમાં માધવસિંહે કોઈ પાટીદારને કેબિનેટમાં સ્થાન આપ્યું નહોતું. માધવસિંહ સામે અસંતોષ વધતો જતો હતો. ‘ખામ થિયરી’ પણ વિવાદાસ્પદ રહી. KHAM કે જેમાં K ફોર ક્ષત્રિય, H ફોર હરિજન, A ફોર આદિવાસી, M ફોર મુસ્લિમ સામેલ હતા. ઝીણાભાઈ દરજી-સનત મહેતા અને માધવસિંહ સોલંકીની ઊપજ એવી આ થિયરીએ વર્ગવિગ્રહને વેગ આપ્યો. માધવસિંહ સોલંકી કહે છે કે, ‘ખામ થિયરીનો સર્જક હું નથી, પરંતુ સનત મહેતા અને ઝીણાભાઈ દરજી છે.’ સનત મહેતા કે ઝીણાભાઈ દરજી ભલે આ વાતનો ઈનકાર કરે, પરંતુ ઘણા રાજકીય વિશ્લેષકો ખામ થિયરીના જનક ઝીણાભાઈ દરજીને માને છે. આ થિયરીના મૂળ સૂત્રધાર અંગે વાદવિવાદ હોઈ શકે, પણ ગુજરાતના સૌહાર્દમય માહોલમાં આ થિયરીએ ઊંડું વિષ ઘોળ્યું છે એ નિર્વિવાદ હકીકત છે.

1981ના વર્ષમાં જૂનમાં ગુજરાતમાં ભયંકર વાવાઝોડાથી તારાજી સર્જાઈ. 1980ની ચૂંટણી પછી માધવસિંહ અને રતુભાઈ અદાણીનાં જૂથો પરસ્પર વિરુદ્ધ થઈ ગયા હતા. માલદેવજી ઓડેદરાના મૃત્યુ બાદ મહંત વિજયદાસજી ગુજરાત કોંગ્રેસ પક્ષના પ્રમુખ થયા. રતુભાઈ અદાણી 1982માં કોંગ્રેસમાંથી છુટા પડીને રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરી.

હવે, રાજકારણના અઠંગ ખેલાડી માધવસિંહે એક સોગઠી મારી… શું કર્યું? 1978માં બક્ષીપંચની ટકાવારી 10 ટકા અનામતમાં વધી તેથી આગલા 21 વત્તા 10 એટલે કે 31 ટકા કુલ અનામત થયું. આ ટકાવારી જનતા સરકારમાં બાબુભાઈ હતા એ દરમિયાન થઈ હતી. એમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ ઉપરાંત 82 કોમોને જસ્ટિસ બક્ષીની ભલામણ અનુસાર અનામતના અનેક લાભો મળ્યા. પણ 20 એપ્રિલ 1981ના રોજ સામાજિક અને આર્થિક પછાત વર્ગ અંગેનું બીજું પંચ નીમાયું હતું. એના અધ્યક્ષ હતા ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત જજ સી. વી. રાણે. આ પંચે 31 ઓક્ટોબર 1983ના રોજ પોતાનો અહેવાલ રજૂ કર્યો. એમાં મુખ્ય બે ભલામણ કરવામાં આવી હતી. એક તો બક્ષીપંચ ઉપરાંત બીજી 63 સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને સરકારી લાભ મેળવવા પાત્ર બનાવાયા. બક્ષીપંચ ઉપરાંત 31 ટકાવારી હતી એમા 18 ટકાનું ઉમેરણ કરવું. (કુલ 49 ટકા અનામત વિચારાઈ). આ લાભો માટે વાર્ષિક કુલ 10,000ની મર્યાદા સૂચવવામાં આવી.

સોલંકીને ખબર હતી કે આ અહેવાલ આગામી ચૂંટણીમાં કેટલો કામમાં લાગવાનો છે. ચૌદ માસ સુધી અહેવાલ દબાવી રાખ્યો ને બરાબર ગુજરાત વિધાનસભાની ચૂંટણી માર્ચ 1985માં જાહેર થઈ કે 10 જાન્યુઆરી,1985ના રોજ એમણે અનામતની ટકાવારીમાં વધારો કર્યાની જાહેરાત કરી. પરંતુ માધવસિંહે આર્થિક પંચે સૂચવેલી આર્થિક મર્યાદા અવગણી અને પરિણામે કોઈ પણ શ્રીમંત પણ તેનો લાભ લેવા હકદાર બની ગયો. આ ચૂંટણીવ્યૂહનો જ એક ભાગ હતો. ખામ થિયરીનું જ વિસ્તરણ હતું. કારણકે તેમાં પછાત વર્ગ તરીકે બક્ષીપંચની અન્ય જ્ઞાતિઓને પણ જોડી દેવામાં આવી હતી.

માધવસિંહની એ જીતનો રેકોર્ડ ગુજરાતમાં હજુયે અકબંધ છે આની સીધી અસર થઈ 1985ની ચૂંટણીમાં. માર્ચ 1985ની ચૂંટણીમાં ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર કોંગ્રેસને વિક્રમસર્જક 149 બેઠકો મળી. ગુજરાતમાં કોઈ મુખ્યપ્રધાનને આટલી પ્રચંડ જીત મળી નથી. ગુજરાતના રાજકીય ઇતિહાસનું અભૂતપૂર્વ પરિણામ હતું આ. 41 હજાર મતોની લીડથી જીતીને માધવસિંહ સોલંકી ત્રીજીવાર ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા. 11 માર્ચ 1985ના રોજ એમની મુખ્યપ્રધાન તરીકે સોગંદવિધિ થઈ. ગુજરાત 1985ની વિધાનસભાની ચૂંટણી અને 1984ની ઇન્દિરાની રાજકીય હત્યા પછી યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને વધારે બેઠકો મળી જે કોંગ્રેસની લોકપ્રિયતાનો ગ્રાફ ઊંચો સૂચવે છે.

લોહિયાળ અનામત આંદોલન માધવસિંહ સોલંકીએ ગુજરાતમાં કન્યાકેળવણી યોજના, મધ્યાહન ભોજન યોજના અમલી કરી, જેનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. પરંતુ આ સાથે ગુજરાતમાં અનામત વિરોધી આંદોલન આરંભાયું. આખું ગુજરાત ભડકે બળ્યું. એવી ભયાવહ પરિસ્થિતિ સર્જાઇ કે સવારે નોકરી-ધંધે નીકળનાર વ્યક્તિ ઘરે પાછી ફરશે કે કેમ એ પ્રકારના ડરથી લોકો ભયભીત રહેતા. હિન્દુ-મુસ્લિમ વચ્ચે નફરત અને શંકાની દીવાલ ઊભી થઈ. એકબીજાનાં રહેણાંક પર ક્રુડ બોમ્બ નાખવા, સળગતા કાકડા ફેંકવા, હથિયારો લઇ હુમલા કરવા અને ખાસ કરીને એકલ દોકલ પર સ્ટેબિંગ ( છુરાબાજી)ની ઘટનાઓ ખૂબ બની. શાળા-કૉલેજો સંપૂર્ણ બંધ રાખવાં પડ્યાં. અનેક વિસ્તારો કર્ફ્યૂની જકડમાં આવ્યા. કર્ફ્યૂને કારણે ઘરમાં બંધ પ્રજા અનાજ, દૂધ-શાકભાજી વિના ટળવળી, બીમાર લોકો સારવારના અભાવે મૃત્યુ પામવા લાગ્યા. અનામતનાં તોફાનોને કાબૂમાં લેવા ગુજરાતના પોલીસવડા તરીકે જુલિયો રિબેરોની નિયુક્તિ કરવામાં આવી.

અને માધવસિંહની સરકાર ગઈ… અનામત આંદોલનને કારણે તારીખ 6 જુલાઈ 1985ના રોજ માધવસિંહે રાજીનામુ આપ્યું. સત્તા મેળવ્યાના માત્ર ચાર મહિના પછી જ! માધવસિંહ પછી આવ્યા અમરસિંહ ચૌધરી. ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યપ્રધાન. 18 અમરસિંહ ચૌધરીનું મુખ્યપ્રધાન થવું એ ઘણા માટે કલ્પના બહારનો વિષય હતો, પણ અમરસિંહની સરકારે ઘણા સરાહનીય અને મક્કમ નિર્ણયો લીધા. પહેલાં તો માધવસિંહની સરકારે કરેલો 18 ટકાનો વધારો સ્થગિત કર્યો. આખા ગુજરાતને ભડકે બાળનારા આંદોલનનો આખરે 190 દિવસે અંત આવ્યો. સરકારી નોકરિયાતોનું આંદોલન સમેટ્યું. આ આંદોલન 73 દિવસ સુધી ચાલ્યું હતું. એક મહત્ત્વનો નિર્ણય પોલિસ યુનિયનની માન્યતા રદ કરવાનો. પોલીસ દળમાં યુનિયન પ્રવૃત્તિને 1979માં બાબુભાઈની સરકારે માન્યતા આપી હતી જેમાથી ભારે અશિસ્ત સર્જાતી હતી. આ યુનિયનની માન્યતાનો નિર્ણય કરવો એ કાયદેસર સળગતું હાથમાં લેવા જેવું કામ હતું. બીજું કે ધારાસભ્યોને પેન્શનનું બિલ માધવસિંહના સમયમાં 1984માં ધારાસભમાં પસાર થયેલું. અમરસિંહના મતે આ પગલું પ્રજ વિરોધી હતું. એમણે કુશળતાથી તેના નિયમો ઘડ્યા જ નહી. 1990 સુધી પેન્શન યોજનાનો અમલ થઈ શક્યો નહીં એમાં અમરસિંહની ભૂમિકા છે. ગુજરાતમાં 85થી 87 એમ બે વર્ષ દુષ્કાળના રહ્યાં. આ સમયગાળામાં અમરસિંહના પ્રધાનમંડળે અથાગ કામગીરી કરી.

અમરસિંહે સત્તા સંભાળી અલબત્ત, આ ઉપલબ્ધિઓ સાથે અમરસિંહની કેટલીક વહીવટી ઊણપ પણ રહી. અમરસિંહે મુખ્યપ્રધાનની ખુરશી સંભાળ્યાના દોઢ જ માસમાં અનામત આંદોલન અને સરકારી નોકરિયાત આંદોલન પર પૂર્ણવિરામ મુકાયું, પણ સમાધાનને અંતે સરકારે નોકરિયાતોને બધા જ દિવસોનો પગાર આપ્યો. જેના કારણે એક ખોટો ચીલો પડ્યો. ઓક્ટ્રોય રદ કરીને એન્ટ્રી ટેક્સ દાખલ કરવા સરકારે વિચાર્યું હતું, પણ વેપારીઓએ હડતાળ પાડી. સરકારે નમતું જોખ્યું. વીજળી બિલમાં રાહત આપવા છતાં ખેડૂત આંદોલન યથાવત રહ્યું. વિદ્યુત બોર્ડના કર્મચારીઓની હડતાળ સમેટાઈ, પણ એનાથી 17 કરોડનો બોજો વધ્યો. રાજ્યુનું દેવું વધ્યું, લોકો પર કરવેરા વધ્યા, મોંઘવારી વધી. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી. 1988માં ગોંડલમાં સ્વાતંત્ર્ય પર્વના દિવસે જ ધારાસભ્ય પોપટ સોરઠીયાની હત્યા, વાંકાનેરના માજી ધારાસભ્ય મંજૂર હુસેન પીરઝાદાનું જુલાઈ 1987માં બોમ્બધડાકામાં મૃત્યુ, 1989માં આરોગ્ય મંત્રી વલ્લભભાઈ પટેલની હત્યા થઈ.

હિંદુત્વના અજેન્ડાએ ભાજપને જીત અપાવી દિલ્હીમાં કંઈક નવાજૂની થાય એટલે એના પડઘા ગુજરાતમાં પણ સંભળાય છે. રાજીવ ગાંધીએ વી. પી. સિંહ પાસેથી નાણાં ખાતું આંચકી લીધું અને સંરક્ષણ ખાતું સોંપ્યું. વી. પી. સિંહ નારાજ થયા. કોંગ્રેસમાંથી રાજીનામું આપીને પોતાનો પક્ષ જનમોરચો રચ્યો. ગુજરાતમાં વી. પી. સિંહના આ જનમોરચાની ધૂરા સંભાળી ભાવનગરના પ્રવીણસિંહ જાડેજાએ. 26 જુલાઈ 1988ના રોજ ભારતમાં જનતા પક્ષ, જનમોરચો, લોકદળ અને કોંગ્રેસ (એસ) એમ ચાર પક્ષો વિલીન થયા અને જનતા દળ રચાયું. ચીમનભાઈ પટેલ તેના પ્રમુખ રહ્યા.

1989 ડિસેમ્બરમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને અભૂતપૂર્વ જીત મળી. 1984માં માત્ર બે બેઠકો કબજે કરનારા ભાજપને આ ચૂંટણીમાં 86 બેઠકો મળી. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોમાંથી ભાજપને 12, જનતા દળને 11 અને કોંગ્રેસને માત્ર ત્રણ બેઠકો જ મળી હતી.

આમ શું કામ થયું? બહુચર્ચિત અને જાણીતું કારણ છે: 1985-1990ના ગાળામાં ભાજપે હિન્દુત્વનો અધ્યાય લખીને મતદાતાઓને આકર્ષવાની શરૂઆત કરી. ધાર્મિક મુદ્દાઓ, રેલીઓ, પદયાત્રાઓ, અડવાણીની રથયાત્રા, રામમંદિર જેવા હિંદુવાદી કાર્યક્રમો થકી ભાજપ બહુમતી હિન્દુઓની નજરમાં ઊપસ્યો. કોંગ્રેસની છબિ મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ કરતી પાર્ટી તરીકે, તો ભાજપની છબિ હિંદુઓની પાર્ટી તરીકે પ્રસ્થાપિત થવા માંડી. પરિણામે ભાજપ સત્તાસ્થાનની નજીક આવીને ઊભો રહી ગયો. ગુજરાતમાં કોંગ્રેસની પરંપરાગત મતબેંક હતી એમાં ભાજપના હિંદુત્વના કાર્ડથી ભંગાણ થયું. મુસ્લિમો સિવાય ક્ષત્રિયો, દલિતો, આદિવાસીઓનો ઝુકાવ ભાજપ તરફ વધ્યો. ખામ થિયરીના જ્ઞાતિવાદી સમીકરણનો રકાસ થયો.

ફરી માધવસિંહ 1989ની ચૂંટણીમાં લોકસભાની કારમી હારની નૈતિક હારની જવાબદારી સ્વીકારીને અમરસિંહે રાજીનામું આપી દીધું. અમરસિંહ પછી ગુજરાતના મુખ્યપ્રધાન કોણ થાય એ પ્રશ્ન ફરી આવીને ઊભો રહ્યો હતો. ત્રણ નામો ચર્ચાતાં હતાં: હરિસિંહ મહિડા, મહંત વિજયદાસજી અને વિધાનસભા અધ્યક્ષ નટવરલાલ શાહ. દિલ્હીથી તેડું આવ્યું. અખબારોએ તો નટવરલાલ જ મુખ્યપ્રધાન બનશે તેવી અટકળોને પવન આપ્યો. પણ રાજીવગાંધીના નજદીકી માધવસિંહ. રાજીવ ગાંધી સાથેની નજદીકી માધવસિંહને પછી રાજ્યસભામાં પણ દોરી ગઇ હતી. ચિત્ર સ્પષ્ટ હતું: નટવરલાલ શાહનું પત્તું કપાયું અને માધવસિંહે ચોથીવાર ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા. 13 ડિસેમ્બર, 1989માં મુખ્યપ્રધાન બનેલા માધવસિંહે 3 માર્ચ,1990 સુધી મુખ્યપ્રધાન તરીકે ગુજરાતનું સુકાન સંભાળ્યું.

માધવસિંહ મુખ્યપ્રધાન થયા, પણ પક્ષનો આંતરિક વિરોધ! નેહરુ શતાબ્દિ સમિતિ દિલ્હીના કાર્યકારી અધ્યક્ષ હિતેન્દ્ર દેસાઇએ રાજીનામું આપ્યું, સનત મહેતાએ નર્મદા નિગમ અને જશવંત મહેતાએ ગુજરાત વીજળી બોર્ડ એમ બંનેએ ચેરમેનપદેથી રાજીનામાં આપી દીધાં. અલબત્ત, પછી હિતેન્દ્રભાઈ સિવાય બંનેએ રાજીનામાં પાછાં ખેંચી લીધાં હતાં.

કેન્દ્રમાં વી. પી. સિંહ, ગુજરાતમાં માધવસિંહ લોકસભાની ચૂંટણી 1989માં પૂરી થઈ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં નગારાં વાગવાં શરૂ થઈ ગયાં. 20 ડિસેમ્બર 1989માં રાષ્ટ્રીય મોરચાની સરકાર વિશ્વનાથ પ્રતાપ સિંહના વડાપ્રધાનપદે ભારતમાં રચાઈ. અગાઉ જણાવ્યું તેમ તેનાં પરિણામ પછી અમરસિંહ ચૌધરીને બદલીને માધવસિંહ મુખ્યપ્રધાન થયા. ગુજરાત સહિતની ભારતનાં નવ રાજ્યો ને કેન્દ્રશાસિત પોંડિચેરી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં 1990ની 27મી ફેબ્રુઆરી મતદાન માટે જાહેર થઈ.

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષમાં આંતરિક સંઘર્ષ ઘણો હતો. ભારત કક્ષાએ રાજીવ ગાંધી કોંગ્રેસપ્રમુખપદે ચાલુ રહ્યા, પણ તેમની પ્રતિભા ખરડાયેલી રહી. જનતા દળ પક્ષે ગુજરાતના સુકાની ચીમનભાઈ પટેલ હતા ભાજપના કેશુભાઈ પટેલ ને શંકરસિંહ વાઘેલા અગ્રણી હતા. કોંગ્રેસે બધી જ બેઠકો લડી. માજી મુખ્યપ્રધાન બાબુભાઈ જશભાઈ પટેલ લોકસ્વરાજ મંચમાંથી ચૂંટણી લડ્યા. ભાજપ તેને ટેકો આપતું હતું.

જનતાદળ-ભાજપની મિશ્ર સરકાર ચૂંટણીનું પરિણામ આવ્યું: જનતા દળ 70, ભાજપ 67, કોંગ્રેસ 33, લોકસ્વરાજ મંચ 01, યુવા વિકાસ પક્ષ 01 અને અપક્ષ 10. આ ચૂંટણીમાં અમરસિંહ હાર્યા, માજી સ્પીકર અને કોંગ્રેસ પ્રમુખ નટવરલાલ શાહ હાર્યા, પ્રબોધ રાવળ હાર્યા. દિગ્ગજ નેતાઓ હાર્યા, સિવાય કે માધવસિંહ. આઠમી વખત તેઓ ચૂંટાયા હતા. માધવસિંહે પછી ગુજરાત વિધાનસભામાંથી રાજીનામું આપ્યું અને રાજ્યસભા દિલ્હીમાં ચાલુ રહ્યા. હવે પ્રશ્ન આવ્યો કે મુખ્યપ્રધાન કોણ થાય? માજી મુખ્યપ્રધાન બાબુભાઈ પટેલ ચૂંટાયા હતા. એમની મુખ્યપ્રધાન બનવાની ઇચ્છા ખરી. એમના લોકસ્વરાજ્ય મંચની સંખ્યાનો આંકડો હતો માત્ર એક. ઘણાને સાદગીના આગ્રહી બાબુભાઇનું વલણ અકળાવે એ સ્વભાવિક છે!

આખરે 1974ના નવનિર્માણ આંદોલને જે ચીમનભાઈને મુખ્યપ્રધાન પદેથી હટાવ્યા એ જ ચીમનભાઈએ 1990માં ફરી ગુજરાતની ધૂરા સંભાળી. ભાજપના ટેકાથી. ભાજપના તત્કાલીન સુરેશ મહેતાને ઉદ્યોગ, વજુભાઈ વાળાને શહેરી વિકાસ ખાતું સોંપાયું હતું. તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા મોહનસિંહ રાઠવા ત્યારે જનતા દળમાંથી ચૂંટાયા હતા એમને પંચાયત ખાતું સોંપાયું હતું. સી. ડી. પટેલને ગૃહ ખાતાનો સ્વતંત્ર હવાલો સોંપાયો હતો. કેશુભાઈ પટેલને ત્યારે નાયબ મુખ્યપ્રધાન પદ મળવાની અપેક્ષાને આકાંક્ષા ખરી, પણ ચીમનભાઈએ કેશુભાઈની આ મહેચ્છાને પૂરી ન થવા દીધી. કેશુભાઈ પટેલ તો મારા નજીકના સાથીદાર છે એમ કહીને નર્મદા જળસંપત્તિ ખાતું પકડાવી દીધું અને સત્તાનો સંપૂર્ણ દોર પોતાના હાથમાં જ રાખ્યો.

જનતાદળ અને ભાજપની આ મિશ્ર સરકાર હતી. બંને અલગ ધરા પર ઊભેલા પક્ષો છે. ભાજપનાં મૂળ RSSમાં છે તો જનતાદળનાં મૂળ બિનસાંપ્રદાયિક વિચારધારાને વરેલી હોવાનું દાવો કરતી કોંગ્રેસમાં છે. આ પરિસ્થિતિમાં 70 વત્તા 67ના બળાબળની સરકાર ચલાવવી એ ખાવાના ખેલ નહોતા.

મંડલ કમિશનની આગ આપણે અગાઉ પણ જોઈ ગયા કે દિલ્હીના પડઘા કેવી રીતે ગાંધીનગરમાં સંભળાતા રહ્યા છે. 1989માં વી. પી. સિંહની સરકારમાં હરિયાણાના દેવીલાલ નાયબ વડાપ્રધાન બન્યા. દેવીલાલની વડાપ્રધાનપદની મહત્ત્વાકાંક્ષામાં વી. પી. સિંહ આડે આવી ગયા. પરિણામે વી. પી. સિંહ અને દેવીલાલ વચ્ચે મતભેદની દીવાલ ઊભી થઈ. વી. પી. સિંહે દેવીલાલને નાયબ વડાપ્રધાનપદેથી દૂર કર્યા. ચીમનભાઈ પટેલ દેવીલાલના સમર્થક. નાયબ વડાપ્રધાનપદેથી દેવીલાલ દૂર થયા એટલે ચીમનભાઈએ દિલ્હીમાં રેલી કાઢવાની જાહેરાત કરી. ચીમનભાઈએ તો દિલ્હીમાં અગાઉ પણ મે માસમાં બાબા આમટેની નર્મદા વિરોધી રેલીની સામે નર્મદા બંધના ટેકામાં રેલી કાઢી હતી.

ચીમનભાઈ ફરી એક રેલી યોજવાની વેતરણમાં હતા. દેવીલાલના સમર્થનના ભાગરૂપે યોજેલી રેલીને નિષ્ફળ બનાવવા માટે વી. પી. સિંહે એક ખતરનાક ચાલ રમી. મંડલ પંચની ભલામણો સ્વીકારીને દલિતો અને આદિવાસીઓ માટેની 22.5 ટકા ઉપરાંત 27 ટકા અનામત બેઠકો વધારી. ભારત સરકારે જાહેર કર્યું કે રાજ્યો જો ઇચ્છે તો જ આ ટકાવારી અમલમાં મૂકી શકે છે. પણ પછી ભારતની સાર્વત્રિક જે પછાત વસ્તી આ ટકાવારીમાં આવી જતી હતી તે સર્વેએ અનામતની ટકાવારી દાખલ કરવા રાજ્યો પર દબાણ ઊભુ કર્યું. પરિણામે હવે બધી તક પછાત વર્ગના વિદ્યાર્થીઓને જ મળશે અને સવર્ણ વિદ્યાર્થી બેકાર બનશે એવો સવર્ણ વર્સિસ પછાતનો લોહિયાળ માહોલ બન્યો. હુલ્લડો થયાં. આગજની થઈ. આત્મવિલોપનો થયાં. છેવટે સુપ્રીમમાં રીટ થતાં આ બેઠક વધારો રદ થયો. ગુજરાત રાજ્યે આ બેઠક વધારો સ્વીકાર્યો ન હતો. વર્ષ 1977માં મોરરાજી દેસાઈની સરકાર વખતે મંડલ પંચ નીમવામાં આવ્યું હતું. રિપોર્ટ 1980ના ડિસેમ્બરમાં આવી ગયો હતો. પરંતુ ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ તેનો અમલ કર્યો ન હતો.

ભાજપની રથયાત્રા અને કોમી રમખાણો તારીખ 25 સપ્ટેમ્બર, 1990ના રોજ અડવાણીએ સોમનાથથી અયોધ્યાની રથયાત્રાનો આરંભ કર્યો. જોકે ભાજપના ટેકાથી સરકાર ચલાવતા ચીમનભાઈએ- જનતાદળે આ રથયાત્રાથી અંતર રાખ્યું હતું. રથયાત્રાને કારણે ગુજરાતભરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં. વડોદરા, ગોધરા, અમદાવાદ, પાલનપુર વગેરે સ્થળોએ કર્ફ્યૂ નાખવો પડ્યો. બિહારમાં અડવાણીની રથયાત્રાને અટકાવવામાં આવી. અડવાણીની ધરપકડ કરવામાં આવી. ભાજપે રાષ્ટ્રીય મોરચા સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો.

ગુજરાતમાં પણ ભાજપના પ્રધાનોએ ચીમનભાઈ સરકારમાંથી રાજીનામાં આપી દીધાં. ચીમનભાઈએ રાજીવ ગાંધીનો સાથ મેળવીને કોંગ્રેસનો સાથ મેળવી લીધો અને વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરી. જનતા દળના 70, કોંગ્રેસના 32 અને અપક્ષ સભ્યો મળીને 112 મતો ચીમનભાઈની તરફેણમાં પડ્યા. વી. પી. સિંહના રાજીનામા પછી કેન્દ્રમાં ચંદ્રશેખરની સરકાર બની. કોંગ્રેસની જેમ જનતાદળના બે ભાગ થયા: વી. પી. સિંહનું જનતા દળ અને ચંદ્રશેખરનું જનતા દળ (એસ). ગુજરાતમાં જનતાદળના પ્રધાન પ્રવીણસિંહ જાડેજા વી. પી. સિંહ તરફી હતા. પરિણામે ચીમનભાઈ અને પ્રવીણસિંહ વચ્ચે સંઘર્ષની પરિસ્થિતિ નિર્માણ પામી. પ્રવીણસિંહે રાજીનામું ધરી દીધું. આ બાજુ ચીમનભાઈ એવી રાજરમત રમ્યા કે ચંદ્રશેખર તરફી હોવા છતાં પોતાના જૂથનું નામ જનતા દળ (એસ) સાથે ન જોડ્યું. બીજી બાજુ વી. પી. સિંહની જનતા દળના પ્રમુખ એસ. આર. બોમ્માઈએ ચીમનભાઈ ચંદ્રશેખર તરફી હોવાનું કહી પક્ષમાંથી દૂર કર્યા. ચંદ્રશેખરે રાજીનામું આપ્યા પછી ચીમનભાઈએ જનતાદળ ગુજરાતની સ્થાપના કરી હતી. પાછળથી આ પક્ષ કોંગ્રેસમાં ભળી ગયો હતો અને ચીમનભાઈ મુખ્યપ્રધાન થયા હતા.

એક મત એવો છે કે માધવસિંહ સોલંકી-ઝીણાભાઈ દરજી જૂથ ચીમનભાઈ પટેલના કોંગ્રેસ પ્રવેશથી ખુશ નહોતું. અહેમદ પટેલે આ વિલીનીકરણને આવકાર આપ્યો હતો. કેન્દ્રીય કારોબારીની જ્યારે ચૂંટણી થઈ ત્યારે અહેમદ પટેલ રાષ્ટ્રીય સ્તરે મંત્રી બન્યા હતા. ચીમનભાઈએ અહેમદ પટેલને ટેકો આપ્યો હતો. વર્ષ 1994 સુધી ચીમનભાઈ ગુજરાતના મુખ્યપ્રધાન રહ્યા. તારીખ 17-02-1994ના રોજ હાર્ટ એટેકથી ચીમનભાઈનું અવસાન થયું. એમની અંતિમવિધિમાં દિલ્હીથી વડાપ્રધાન નરસિંહરાવ તથા અન્ય મોવડીઓ હાજર રહેલા.

એમ કહેવાય છે કે વર્ષ 1994ની રાજસભાની ચૂંટણી વખતે ચીમનભાઈએ ત્રણ-ત્રણ ઉમેદવારોને જીતાડવાની વ્યૂહરચના ગોઠવી હતી. એક હતા માધવસિંહ સોલંકી, રાજુ પરમાર અને જયંતીલાલ શાહ. ભાજપમાંથી ક્રોસ વોટિંગ કરાવીને પણ આ ત્રણેય ઉમેદવારોને વિજયી બનાવવાનો એમનો નિર્ધાર હતો. શતરંજના સોગઠાં તો બરાબર ગોઠવી નાખ્યાં, પણ રમત એવી કે ચીમનભાઈ સત્તત ટેન્શનમાં રહેતા હતા. ચૂંટણીની આગલી રાતે જ વધારે પડતા તણાવને કારણે તબિયત બગડી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા, પણ લોહીનું દબાણ વધતાં કરુણ અવસાન નિપજયું. રાજ્યસભા ચૂંટણી પાછી ઠેલાઈ. માધવસિંહ અને રાજુ પરમાર ચૂંટાયા. જયંતીલાલ શાહનો પરાજય થયો. ચીમનભાઈ હોત તો જીતી જાત. એક વ્યક્તિની ગુજરાતના રાજકારણ પર કેવી જબરજસ્ત પકડ હતી એની આ સાબિતી છે.

નખશિખ રાજકારણી ચીમનભાઈ પટેલ ગુજરાતની રાજનીતિનું એક વિચક્ષણ પાત્ર છે ચીમનભાઈ. એ ઇન્દિરાની સામે ચાલી શકતા. એ કેન્દ્રની મરજી વિરુદ્ધ નર્મદા પ્રોજેકટ માટે દિલ્હીમાં રેલી યોજી શકતા. રાજકારણના અજબ ખેલાડી હતા ચીમનભાઈ. એમનાં બે રૂપ હતાં. એ વિચક્ષણ પણ છે અને તકવાદી પણ છે. એ ક્યારેક સત્તા માટે ભાજપનો પણ સાથ લે, તો ક્યારેક સત્તા માટે કોંગ્રેસનો પણ સહકાર મેળવે. પોરબંદરથી અમદાવાદ સુધી ફૂલેલા-ફાલેલા માફિયારાજ- આ માફિયારાજને પ્રોત્સાહન આપીને રાજકારણનું અપરાધીકરણ કરવાનો આરોપ ચીમનભાઈ પર મૂકી શકાય. એમના પર સિદ્ધાંત કરતાં સગવડલક્ષી રાજકારણ રમીને યેન કેન પ્રકારે સત્તા હડપવાનો આરોપ પણ મૂકી શકાય. ગુજરાતમાં 1991-92માં ચીમનભાઇ પટેલે બે નાયબ મુખ્યપ્રધાનની પોસ્ટ ઊભી કરી હતી. એક હતા: નરહરિ અમીન અને બીજા હતા સી. ડી. પટેલ. ભારતભરમાં બે નાયબ મુખ્યપ્રધાનનો સંભવત: પહેલો પ્રયોગ ચીમનભાઈએ કર્યો હતો. ચીમનભાઈ અને સી. ડી. પટેલનો એક પ્રસંગ છે: ચીમનભાઈએ મતભેદને કારણે સી. ડી. પટેલ પાસેથી ગૃહખાતું લઈ લીધું. સી. ડી. પટેલે રાજીનામું આપી દીધું તો ચીમનભાઈએ એમના બંગલે જઇને મનામણાં કર્યાં. પરંતુ સી. ડી. પટેલ પોતાના નિર્ણયમાં અફર રહ્યા હતા. સિદ્ધાંત માટે સત્તાને ઠોકર મારનારા સાચા માણસની સત્તાપ્રેમી ચીમનભાઇને પરખ હતી એની સાબિતી આ પ્રસંગ આપે છે.

સરદાર સરોવર બંધ જેવી પરિયોજના આપનાર ચીમનભાઈને ઘનશ્યામ ઓઝા ‘કરપ્શનનું કેરિકેચર’ કહેતા.

ગુજરાતનો હાઈવોલ્ટેજ ડ્રામા ચીમનભાઈ વિશે એક વાક્યમાં કહેવું હોય તો કહી શકાય: એક એવો શક્તિશાળી અને વિચક્ષણ રાજનેતા કે જેણે સત્તા માટે ગાંધીમૂલ્યોનો હ્રાસ કર્યો! ચીમનભાઈના અવસાનથી ખાલી પડેલા મુખ્યપ્રધાન પદ પર છબીલદાસ મહેતા આવ્યા હતા.

ગુજરાતના રાજકારણમાં સૌથી વિવાદાસ્પદ પ્રકરણઃ CMની ગેરહાજરીમાં જ ખુરશી ગઈ, નરેન્દ્ર મોદીનો ઉદય કેવી રીતે થયો?
2 વર્ષ પેહલા
લેખક: વિક્રમ મહેતા

 

ગાંધીનગર પાસેનું વાસણ ગામનું મહાદેવનું મંદિર. તત્કાલીન સરકારથી સાંઇઠેક જેટલા અસંતુષ્ટ ધારાસભ્યો અહીં એકઠા થયા છે. આ છાવણી ગુજરાતના જ નહીં, પણ કેન્દ્રના રાજકારણનો પણ વિષય બની ગઈ છે. રમણલાલ દેસાઈની ક્લાસિક નવલકથાનું ટાઇટલ છે: ‘ભારેલો અગ્નિ’. બસ એવી જ સ્થિતિ છે. સૌ કોઈની નજર આ છાવણી પર છે. હવે કાફલો ઊપડે છે ચરાડા ગામ તરફ. તંગદિલીભર્યા માહોલમાં પોલીસ સુરક્ષાયુક્ત આ કાફલો ચરાડાથી એક જુદી જ દિશામાં વળે છે. ઉપરથી મળેલી સૂચનાને અનુસરતા ધારાસભ્યો અજાણ છે. રહસ્ય છે, રોમાંચ છે, કૌતુક છે. આખરે કાફલો અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચે છે. ‘દમણિયા એરલાઈન્સ’નું વિમાન એમની રાહ જોતું ઊભું છે. બધા જ ઉતાવળા પ્લેનમાં ગોઠવાઈ જાય છે. પ્લેનના દરવાજા બંધ થાય છે. સીડી ખસેડવામાં આવે છે. એર હોસ્ટેસ માઇક્રોફોન પર જાહેરાત કરે છે: આપણું પ્લેન અમદાવાદથી ઊપડીને ખજુરાહો જઈ રહ્યું છે! આ બાજુ પ્લેન ખજુરાહો તરફ ઉડાન ભરે છે અને કેશુભાઈ પટેલ બોલી ઊઠે છે: શંકરસિંહે મારી પીઠમાં ઘા કર્યો છે!

ફ્લેશબેક… વર્ષ 1995માં ચૂંટણીની જાહેરાત થઈ. ભાજપમાં આંતરિક સંઘર્ષનો અધ્યાય શરૂ થયો. શંકરસિંહ વાઘેલાએ, કાશીરામ રાણાએ અને અન્ય સાંસદોએ પણ વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી. કેશુભાઈને આ બિલકુલ માફક આવતી વાત નહોતી. કેન્દ્રીય નેતાગીરીનું ફરમાન છૂટ્યું: સંસદ સભ્યો વિધાનસભાની ચૂંટણી નહીં લડી શકે. પાર્ટી હાઈકમાન્ડ કેશુભાઈને જ મુખ્યપ્રધાન બનાવવા માગતી હોવાની વાત આ પ્રકારના નિર્દેશથી સાફ સાબિત થઈ રહી હતી. શંકરસિંહ અને કેશુભાઈને ટિકિટો આપવામાં ન આવી. ટિકિટો આપવાની બાબતમાં પાર્લામેન્ટરી બોર્ડમાં સંઘર્ષ થયો. દરેક નેતા પોતાના માણસને જ ટિકિટ આપવાના આગ્રહી.

વળી પાછી એક બીજી જાહેરાત થઈ: ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી જ વિધાનસભા પક્ષના નેતાની વરણી થશે. મુખ્યપ્રધાન તરીકે શંકરસિંહનું પત્તું મૂળમાંથી જ કપાઈ ગયું. ધંધૂકા વિસ્તારમાંથી દિલીપ પરીખને, હમણાં જેણે ભાજપ સાથે 32 વર્ષનો છેડો ફાડ્યો એ જયનારાયણ વ્યાસ સિદ્ધપુરની બેઠક માટે પસંદ થયા. હિંદુત્વનો માહોલ તાજો હતો. દેશભરમાંથી સાધુસંતોનાં ટોળાં ગુજરાતમાં આવી રહ્યાં હતાં. ગુજરાત આવીને સાધ્વી ઉમા ભારતી પોતાની આક્રમક શૈલીમાં ભાષણ આપીને ભાજપ તરફી જુવાળ ઊભો કરી રહ્યાં હતાં.

પરિણામ આવ્યું. 1985માં ગુજરાતમાં જે ભાજપને 11 બેઠકો મળી એ જ ભાજપે 182માંથી 121 બેઠકો કબજે કરીને ઇતિહાસ સર્જી દીધો. રથયાત્રા, રામમંદિર, બાબરી ધ્વંસથી માંડીને અબ્દુલ લતીફ જેવા ગેંગસ્ટરના મુદ્દા આગળ કરીને ભાજપ બહુમતી હિંદુ મતદારોમાં મસીહા બની ગયો હતો. ગુજરાત હિંદુત્વની લેબોરેટરી ટેસ્ટ હતું. આ જ ગુજરાતમાં હિંદુત્વની રાજનીતિનાં સત્તારૂપી ફળ પહેલીવાર બહુમતીથી સરકાર બનાવીને ચાખી રહ્યો હતો.

શંકરસિંહ વર્સિસ નરેન્દ્ર મોદી ગાંધીનગરના ટાઉનહૉલમાં ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક મળી હતી. દિલ્હીથી અટલબિહારી વાજપેયી આવ્યા હતા. કેશુભાઈની સર્વાનુમતે પક્ષના નેતા તરીકે વરણી થઈ ગઈ. આભાર પ્રવચન એમણે પોતાની કાઠિયાવાડી તળપદી શૈલીમાં આપ્યું. સરકારના આગામી આયોજનની વાતો કરી. કોઈએ પૂછ્યું: આ માટેના પૈસા આવશે ક્યાંથી? સામે ગોંડલના આખા મરચાનાં ભજિયાં જેવો જવાબ આવ્યો: ‘તારા બાપના તબેલામાંથી.’ વાજપેયીજી કેશુભાઈ સામે જોઈ રહ્યા! આ કેશુભાઈની મુખ્યપ્રધાન તરીકેની શપથવિધિ થઈ. તારીખ 14 માર્ચ 1995ના રોજ બીજો દોર પ્રધાનમંડળની રચનાનો શરૂ થયો. પક્ષના વરિષ્ઠ નેતાઓ શંકરસિંહ વાઘેલા, સુરેશ મહેતા, કાશીરામ રાણા, ચીમનભાઈ શુક્લ અને નરેન્દ્ર મોદીની મિટિંગ થઈ. દરેક અગ્રણી પોતાના કહી શકાય એવાં નામો મૂકે. શંકરસિંહ વર્સિસ નરેન્દ્ર મોદીનો ખેલ પણ આ ચૂંટણીમાં મંડાયો હતો. બંનેએ એક સમયે સ્કૂટર પર સાથે બેસીને ભાજપનાં મૂળિયાં મજબૂત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. બંને ખાસ મિત્રો. બંને અતિમહત્ત્વાકાંક્ષી. બંનેની નજર સત્તાના સિંહાસન પર. બંને એકબીજાને ઓળખી ગયેલા. બંનેને બહુ જલદી સમજાઈ ગયેલું કે ભવિષ્યમાં જો કોઈ મુખ્યપ્રધાનની ખુરશી આડે આવે એમ હોય તો આ છે. બંને પાછલા બારણે એકબીજાનું પત્તું કાપવાની વેતરણમાં. કેન્દ્રીય મોવડીમંડળને મનાવીને શંકરસિંહનું મુખ્યપ્રધાન તરીકે પત્તું કપાવામાં નરેન્દ્ર મોદીએ પાછલા બારણે સૂત્રધારની ભૂમિકા ભજવી હોવાનું રાજકીય ગલિયારાઓમાં કહેવાય છે. કેશુભાઈની સરકારે ધુરા સંભાળી. પણ બધું સમુંસૂતરું પાર ઊતરે એ રાજકારણ શાનું? શંકરસિંહની મુખ્યપ્રધાન થવાની ઇચ્છા હજુ મરી નહોતી. તેઓ લાગ મળે કેશુભાઈ અને નરેન્દ્ર મોદીનો કાંટો કાઢી નાખવા માગતા હતા. ભાજપના ધારાસભ્યોમાં અંદરોઅંદર ગણગણાટ થવા માંડ્યો હતો. કેશુભાઈને મળવું હોય તો પક્ષના જ ધારાસભ્યોએ કલાકો સુધી રાહ જોવી પડે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ.

એકવાર દહેગામ વિસ્તારના ધારાસભ્ય વિઠ્ઠલભાઈ શાહ કેટલાક કાર્યકરો સાથે વીજળીના મુદ્દે રજૂઆત કરવા આવ્યા. ચારથી પાંચ કલાક રાહ જોઇ છતાં કેશુભાઈએ બોલાવ્યા જ નહીં. ગયા શંકરસિંહ પાસે. કરી કેશુભાઈ વિરુદ્ધ ફરિયાદ. આવા નાનામોટા પ્રશ્નો પેદા થવા માંડ્યા હતા. અસંતુષ્ટ ધારાસભ્યો શંકરસિંહ પાસે આવીને રાવ નાખતા. ભાજપમાં હવે બે જૂથ ઊભાં થઈ રહ્યાં હતાં: કેશુભાઈનું જૂથ અને કેશુભાઈથી અસંતુષ્ટ શંકરસિંહનું જૂથ. 17 સપ્ટેમ્બર 1995ના દિવસે તો ડૉ. મુકુલ શાહના નેજા હેઠળ ‘પક્ષ બચાવો આંદોલન’ પણ શરૂ કરવામાં આવ્યું હતું. આંદોલનમાં જોડાયેલા સભ્યોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી, કેટલાકને પક્ષમાંથી બરતરફ કરવામાં આવ્યા.

એક તરફ કેશુભાઈની સરકારમાં નરેન્દ્ર મોદી સુપર સીએમ બની રહ્યા હતા, વિહિપ નેતા પ્રવીણ તોગડિયાનો દબદબો વધતો જતો હતો. આઇએએસ-આઈપીએસ અધિકારીઓની લાલબત્તીવાળી સરકારી ગાડીઓની બંનેના આવાસ બહાર લાઈનો થવા માંડી હતી. ભવિષ્યમાં સત્તાની મહત્ત્વાકાંક્ષા નરેન્દ્ર મોદી અને પ્રવીણ તોગડિયા વચ્ચે પણ ખટરાગ ઊભો કરવાની હતી. પણ અત્યારે તો નરેન્દ્ર મોદી- પ્રવીણ તોગડિયા એક હતા.

અને બીજી તરફ શંકરસિંહ-કાશીરામ રાણાની ઉપેક્ષા કરાતી હોવાનો સૂર ઊઠી રહ્યો હતો. એકવાર અડવાણીની સભા હતી. સભામાં આવકાર પ્રવચન તો શંકરસિંહે આપવાનું હતું, પણ નરેન્દ્ર મોદીએ આવકાર પ્રવચન પોતે જ કરવાનો હઠાગ્રહ કર્યો હોવાનું કહેવાય છે. કેશુભાઈની સરકારને પાંચ-છ મહિના પસાર થઈ ગયા હતા. દરમિયાન મુખ્યપ્રધાન અને બીજા નંબરનું પદ ધરાવતા સુરેશ મહેતા અન્ય મંત્રીઓ તથા કેટલાક ઉચ્ચ અધિકારીઓનું એક પ્રતિનિધિ મંડળ ઇંગ્લેન્ડ અને અમેરિકા જવા માટે તૈયારી કરી રહ્યું હતું. એકવીસ દિવસનો પ્રવાસ કાર્યક્રમ નક્કી થયો. પક્ષના આંતરિક અસંતોષને જોતાં આટલા લાંબા વિદેશનો પ્રવાસ રદ કરવાનાં સૂચનો આવ્યાં, પણ અવગણાયા. અશોક ભટ્ટે કાર્યકારી મુખ્યપ્રધાન તરીકે કારભાર સંભાળ્યો અને કેશુભાઈનો કાફલો ઊપડ્યો અમેરિકા ભણી.

કેશુભાઈ અમેરિકા ગયા અને ખુરશી ગઈ! અહીં કેશુભાઈ અમેરિકા ઊપડ્યા અને આ સાથે જ શંકરસિંહે ગુજરાતના રાજકારણમાં અતિચર્ચિત ‘ખજુરાહો કાંડ’ને અંજામ આપ્યો. ખજૂરાહો પહોંચ્યા પછી સૌ ધારાસભ્યોને ત્યાંની જાણીતી ‘ચંડેલા હોટેલ’માં રાખવામાં આવ્યા. ખજુરાહોની હોટેલમાં ધારાસભ્યો ભોજનના સમયે એકઠા થાય. ભોજન પછી આરામ, વાંચન, સ્વિમિંગ, ચેસ, ટેબલ ટેનિસ જેવી પ્રવૃત્તિઓ ધારાસભ્યો પોતપોતાનાં રસ-રુચિ અનુસાર કરે. જેમ જેમ વાત ફેલાતી ગઈ કે ગુજરાતના ધારાસભ્યોનું બળવાખોર જૂથ અહીં આવ્યું છે, એમ એમ સ્થાનિક ભાજપ કાર્યકરોનાં ટોળાં એકઠાં થવા માંડ્યાં. દુનિયાભરના પત્રકારો ચંડેલામાં આવીને ઇન્ટરવ્યૂ કરી રહ્યા હતા. એક દિવસ દિલીપ પરીખ સ્વિમિંગ પૂલમાં તરતા હતા. માથું બહાર હતું. એક પત્રકારે ફોટો પાડી લીધો. દેશભરનાં છાપાંઓમાં આ ફોટો છપાયો. એક અગ્રગણ્ય અંગ્રેજી અખબારે આ ફોટો પ્રથમ પાને છાપીને ટાઈટલ આપ્યું: ‘રિલેક્સિંગ ઈન ખજુરાહો’.

‘ખજુરિયા’ અને ‘હજુરિયા’ ગુજરાત ભાજપનો બળવો દેશના રાજકારણમાં ચર્ચાસ્પદ બની રહ્યો હતો અને શિસ્તબદ્ધ ગણાતા ભાજપની શાખ પર કાળી ટીલી સાબિત થઈ રહ્યો હતો. મોવડીમંડળ દોડતું થઈ ગયું. એક પછી એક રાષ્ટ્રીય નેતાઓ બળવાખોર ધારાસભ્યોને મળવા આવ્યા. ઉમા ભારતીજી આવ્યાં. કુશાભાઉ ઠાકરે આવ્યા. ખજુરાહોમાં ધારાસભ્યોને તોડવા માટે આર્થિક પ્રલોભનની પણ રમત અજમાવાઈ રહી હતી. અમદાવાદથી પૈસાના થેલાઓ ભરીને બે-ચાર વ્યક્તિઓ ખજુરાહોની એક બીજી હોટેલમાં પહોંચી હોવાની ખબર ફેલાઈ. અસંતુષ્ટ ધારાસભ્યો સાવધ થઈ ગયા.

બીજી તરફ ગાંધીનગરમાં શંકરસિંહ પર સમાધાન કરવા માટેનું દબાણ વધતું જતું હતું. પ્રમોદ મહાજન, કે. એલ. શર્મા, ભૈરવસિંહ શેખાવત, જશંવત સિંઘ અને છેલ્લે અટલ બિહારી વાજપેયી તારીખ 5 ઓક્ટોબર, 1995ના રોજ શંકરસિંહને મળ્યા. પક્ષની આબરૂનું ધોવાણ અટકાવવા, સરકાર તૂટતી બચાવવા અટલ બિહારી વાજપેયીએ એક ફોર્મ્યુલા શંકરસિંહ સમક્ષ મૂકી: કેશુભાઈ મુખ્યપ્રધાન, શંકરસિંહ વાઘેલા નાયબ મુખ્યપ્રધાન, કાશીરામ રાણા ગુજરાત પક્ષ પ્રમુખ તરીકે યથાવત્.

કેશુભાઈએ અને ભાજપાના કટ્ટર સમર્થકોએ વિરોધ નોંધાવ્યો. ખજુરાહોમાંથી પ્રતિક્રિયા આવી: કોઈ પણ સંજોગોમાં કેશુભાઈ પટેલ મુખ્યપ્રધાન તરીકે ન જોઈએ!

અટલ બિહારી વાજપેયી તરફથી શંકરસિંહને કહેણ આવ્યું. શંકરસિંહ અને વાજપેયી બંનેની આંખમાં આંસુ હતાં. વાજપેયીએ કહ્યું: તૈયાર થઈ જાવ. તમારી વાત સ્વીકારવામાં આવી છે. ખજુરાહોથી ધારાસભ્યોને પાછા બોલાવો.

ચંડેલા હોટેલમાં ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી: તૈયાર થઈ જાવ. દમણિયા એરવેઝનું વિમાન તમને લેવા માટે આવે છે. છઠ્ઠી ઓક્ટોબર 1995ની મોડી રાત્રે ખજુરાહોથી અસંતુષ્ટ ધારાસભ્યોને લઈને પ્લેન અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયું. બધા ધારાસભ્યો પ્રસન્ન અને પ્રફુલ્લિત હતા. કુટુંબીજનોને મળવાની ઉત્સુકતા હતી.

બીજા દિવસે સવારે ધારાસભ્યો અને અટલ બિહારી વાજપેયી વચ્ચે મિટિંગ થઈ. ધારાસભ્યોએ પોતાનો પક્ષ રજૂ કર્યો, જેમાં કેશુભાઈને હટાવવાની અને એમના સ્થાને શંકરસિંહ વાઘેલાને મુખ્યપ્રધાન બનાવવાની માગ મુખ્ય હતી. આ સિવાય પક્ષમાંથી શિસ્તભંગને કારણે બરતરફ કરાયેલા સભ્યોને પાછા લેવા, નવા મંત્રીમંડળમાં શંકરસિંહ જૂથના 50 ટકા સભ્યો લેવા, જે બાકી રહી જાય એમનો સમાવેશ બોર્ડ કે નિગમોમાં કરવો…

અસંતુષ્ટ ધારાસભ્યોની આ માગણી અને ફોર્મ્યુલા અંગે ખૂબ ચર્ચા થઈ. છેવટે એવો નિર્ણય લેવામાં આવ્યો કે કેશુભાઈ અને શંકરસિંહને બદલે ત્રીજી વ્યક્તિની મુખ્યપ્રધાન તરીકે પસંદગી કરવામાં આવશે. કાશીરામ રાણાનું નામ મોખરે હતું. મંત્રીમંડળ તથા બોર્ડ કોર્પોરેશનોમાં શંકરસિંહ જૂથના એક તૃતીયાંશ લોકોને સ્થાન આપવાની વાજપેયીએ ખાતરી આપી. કેશુભાઈ પછી મુખ્યપ્રધાન કોણ? આ પ્રશ્ન વિકટ હતો. કારણ કે કેશુભાઈ તો છેલ્લે સુધી રાજીનામું નહીં આપવા પર અડગ હતા. જો સુરેશ મહેતાને મુખ્યપ્રધાન બનાવવામાં આવે તો જ રાજીનામું આપવાની શરત કેશુભાઈ તરફથી મૂકવામાં આવી. શંકરસિંહ જૂથ સુરેશ મહેતાના નામ સાથે સહમત થયું. જોકે ભાજપના સંઘ જૂથના હાર્ડકોર સભ્યોને આ સમજૂતી પસંદ ન આવી. અટલજી સાથે દલીલ કરવા ટોળું ધસી આવ્યું, પણ અટલજી મક્કમ હતા. વીઆઈપી ગેસ્ટહાઉસની બહાર ટોળાંએ શરમજનક સૂત્રો પોકાર્યાં.

આખરે કેશુભાઈએ રાજીનામું આપ્યું તારીખ 21 ઓક્ટોબર 1995ના રોજ ગાંધીનગર ટાઉનહૉલ ખાતે શપથવિધિ સમારંભ યોજાયો. સુરેશ મહેતાએ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા. રાજકારણની ડિક્શનરીમાં માફી નામનો શબ્દ નથી. ગુજરાતમાં નરેન્દ્ર મોદીનું હોવું ભવિષ્યમાં પોતાના માટે ખતરારૂપ છે એમ શંકરસિંહ સારી પેઠે સમજતા હતા. શંકરસિંહના દબાણથી નરેન્દ્ર મોદીને ગુજરાત સંગઠનમાંથી હટાવવામાં આવ્યા અને દિલ્હીમાં મહામંત્રી તરીકે મોકલી દેવામાં આવ્યા. અલબત્ત, નરેન્દ્ર મોદીની આંખ, કાન અને મગજ તો ગુજરાતની રાજનીતિ પર જ મંડાયેલાં રહ્યાં. સુરેશ મહેતાના મંત્રીમંડળમાં મહત્તમ શંકરસિંહ જૂથના ધારાસભ્યો લેવામાં આવ્યા. સુરેશ મહેતા અંદરથી આ વાતથી ખુશ નહીં પણ લાચાર હતા.

વિહિપ, આરએસએસને આ સમજૂતી હજુ પણ ખૂંચતી હતી. ભાજપમાં જૂથ પડી ગયાં. શંકરસિંહ જૂથના-ખજુરાહો ગયેલા ધારાસભ્યોને ‘ખજુરિયા’, પાર્ટીની સાથે રહેનારા ધારાસભ્યો ‘હજુરિયા’ કહેવાયા. સુરેશ મહેતા સીએમ હતા, પણ વર્ચસ્વ શંકરસિંહનું હતું.

10મી નવેમ્બરથી 12 નવેમ્બર 1995 દરમિયાન મુંબઈમાં ભાજપનું મહાઅધિવેશન યોજાયું હતું. અડવાણી, વાજપેયી સહિતના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ હતી. આ મહાઅધિવેશનમાં શંકરસિંહ આકર્ષણનું કેન્દ્ર હતા, કુતૂહલનો વિષય હતા. ભાજપના અન્યાય સામે અવાજ ઉઠાવનાર મર્દ માણસ તરીકે ભાજપનો એક વર્ગ એમને જોઈ રહ્યો હતો.

આ અધિવેશનમાં એક ઘટના બની. ‘ગુજરાત કી ઘટના કી સચ્ચાઈ ક્યા હૈ?’ નામની પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું. પત્રકારોની છાવણીમાં એ લેવા માટે ઝપાઝપી થઈ. મંચ પર બેઠેલા અટલજી, અડવાણીજી અને બીજા નેતાઓના હાથમાં પણ આ પુસ્તિકા પહોંચી ગઈ હતી. સંઘર્ષગાળા દરમિયાન શું બન્યું એનો ચિતાર આ પુસ્તિકામાં આપવામાં આવ્યો હતો. વરિષ્ઠ નેતાઓ ખિન્ન હતા. શિસ્તબદ્ધ ગણાતી ભાજપની આબરૂનું ફરીવાર ધોવાણ થયું હતું.

આત્મારામ પટેલનો ‘ધોતિયાકાંડ’ વર્ષ 1996ની લોકસભાની ચૂંટણી આવી. શંકરસિંહને લોકસભાની ચૂંટણીની ટિકિટ આપવામાં આવી હતી. પરિણામ આવ્યું. શંકરસિંહ અને પાંચ સાથીદારો હાર્યા. હારનાં જવાબદાર પરિબળોમાં પક્ષના લોકોની, વિહિપ-આરએસએસની ભૂમિકા જવાબદાર હોવાનું મનાય છે. રાષ્ટ્રીય સ્તરે આ જોઈએ તો ભાજપ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે પ્રસ્થાપિત થયું હતું. સરકાર ચલાવવા તોડજોડ કરવી જરૂરી હતી. વાજપેયી ભાજપના નેતા હતા. વડાપ્રધાન પદ માટે દાવો રજૂ કર્યો. વડાપ્રધાન બન્યા પણ ખરા, પણ માત્ર તેર જ દિવસ. બહુમતી પુરવાર ન કરી શક્યા અને રાજીનામું આપવું પડ્યું. તેર દિવસના વડાપ્રધાનપદના કાર્યકાળ દરમિયાન વાજપેયીનું બહુમાન કરવા માટે અમદાવાદમાં તારીખ 20 મે 1996ના રોજ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપનું શંકરસિંહની વિરુદ્ધનું જૂથ બદલો લેવા આતુર હતું. અને આખરે સમારોહ પૂર્ણ થયા બાદ નક્કી થયેલી સ્ક્રિપ્ટ મુજબ શંકરસિંહ જૂથના નેતાઓ પર હુમલાઓ શરૂ થયા. સૌથી શરમજનક ઘટના એ ઘટી કે મહેસાણા જિલ્લાના મોવડી અને વડીલ નેતા-મંત્રી આત્મારામ પટેલ પર હુમલો થયો. હુમલાખોરો છેલ્લા સ્તરે આવી ગયા. એ વયોવૃદ્ધનું ધોતિયું ખેંચવામાં આવ્યું. રસ્તા પર દોડાવવામાં આવ્યા. આત્મારામ પટેલે પછી હૈયાની વેદના ઠાલવતાં કહ્યું હતું: ‘આના કરતાં તો હું મરી ગયો હોત તો સારું હોત!’ આત્મારામ પટેલ ઉપરાંત દત્તાજી ચિતરંજનદાસ પર પણ હુમલો થયો. આ હિચકારી ઘટના પછી તો જાહેર સમારંભો અને અધિવેશનોમાં ખજુરિયા અને હજુરિયા જૂથ સામસામા સૂત્રોચાર કરતા હતા. ‘જીન્હેં નાઝ હૈ હિંદ પર વો કહાં હૈ’ની માફક જેની શિસ્ત માટે ભારતીય રાજકારણમાં દાખલા દેવાતા હતા એ ભાજપ ક્યાં છે? આવો યક્ષ પ્રશ્ન ભાજપ મોવડીઓને-ભાજપ માટે રાત-દિવસ એક કરી નાખનારા વરિષ્ઠ અને સંનિષ્ઠ કાર્યકર્તાઓને વ્યથિત કરી રહ્યો હતો. (સ્ટેડિયમ કાંડમાં વિહિપ નેતા પ્રવીણ તોગડિયા સહિતના 39 લોકો સામે પછી અરેસ્ટ વોરંટ બહાર પાડવામાં આવ્યું હતું.)

દિલ્હીથી કુશાભાઉ ઠાકરે અને કે. એલ. શર્માની એક ટીમ સ્ટેડિયમ કાંડ અંગે જવાબદાર નક્કી કરવા આવી. રજૂઆતો સાંભળી પણ શંકરસિંહના જૂથને અપેક્ષિત કાર્યવાહી જવાબદારો સામે ન થઈ. શંકરસિંહે આ કામગીરીની ટીકા કરી અને ગુજરાત અસ્મિતા મંચની સ્થાપના કરી. સુરેશ મહેતા અતિનાજુક પરિસ્થિતિમાં મુકાયા. એમના વહીવટી નિર્ણયોમાં દખલઅંદાજી વધી. સ્ટેડિયમ કાંડની અસર હજુ શમી નહોતી ત્યાં વધુ એક રાજકીય ચિનગારી ચંપાઈ ગઈ. તત્કાલીન ગુજરાત ભાજપના પ્રમુખ પદેથી કાશીરામ રાણાને રાતોરાત ખસેડવામાં આવ્યા અને એમના સ્થાને વજુભાઈ વાળાને નીમવામાં આવ્યા. પ્રમુખપદે આવતાં જ વજુભાઈ વાળાએ શંકરસિંહને પક્ષમાંથી બરતરફ કર્યા. ગુજરાત રાજકારણમાં ભૂકંપ આવી ગયો હતો. પક્ષમાંથી બરતરફ થતાં જ શંકરસિંહ વાઘેલાએ તીવ્ર પ્રત્યાઘાતો આપતાં 20 ઓગસ્ટના રોજ રામલીલા મેદાનમાં વિશાળ રેલી યોજવાની જાહેરાત કરી. રેલીમાં સ્ટેડિયમમાં થયેલ ધોતિયાકાંડની ઘટનાની તપાસ કરવાની-જવાબદારો સામે એફઆઈઆર દાખલ કરવાની માગણી કરવામાં આવશે એમ શંકરસિંહે જણાવ્યું.

વજુભાઈ વાળા તરફથી જે બરતરફની નોટિસ મળી હતી એ સામે શંકરસિંહ વાઘેલાએ 10મી ઓગસ્ટના રોજ એમના સમર્થકો સરઘસ કાઢ્યું. અમદાવાદના નેહરુ બ્રિજના નાકે આવેલી ઇન્દુચાચાની પ્રતિમા પાસે શંકરસિંહે નોટિસના ચીરેચીરા કરી નાખ્યા અને હવામાં લીરા ઉડાડ્યા. શંકરસિંહે ભાજપ હાઈકમાન્ડ સામે ખુલ્લેઆમ મોરચો માંડી લીધો હતો.

20મી ઓગસ્ટે રામલીલા મેદાનમાં વિશાળ જાહેર સભાનું આયોજન થયું. પ્રચંડ લોકહાજરી હતી. વિશાળ સભાના કવરેજ માટે દેશભરમાંથી પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા. શંકરસિંહે પોતાની આગવી શૈલીમાં જોરદાર પ્રવચન આપ્યું. રાષ્ટ્રીય જનતા પાર્ટીની સ્થાપનાનો ઠરાવ પસાર થયો. સુરેશ મહેતાની સરકારને આપેલો ટેકો શંકરસિંહના જૂથના ધારાસભ્યો તરફથી પાછો ખેંચી લેવામાં આવ્યો. રાજ્યપાલ કૃષ્ણપાલજીના રિપોર્ટના આધારે કેન્દ્ર સરકારે 19મી સપ્ટેમ્બર,1996ના રોજ રાષ્ટ્રપતિ શાસન લાદી દીધું. 20 ઓક્ટોબર 1996ના રોજ રાજ્યપાલે ભાજપને બહુમતી પુરવાર કરવા બોલાવ્યા પણ ભાજપે આ કાર્યવાહીમાં ભાગ ન લીધો.

શંકરસિંહ વાઘેલાની ‘ટનાટન સરકાર’ તારીખ 23 ઓક્ટોબર 1996ના રોજ શંકરસિંહ વાઘેલાની મુખ્યપ્રધાન તરીકે શપથવિધિ થઈ. ભાજપે સરકાર ગેરકાયદેસર ઠરાવી અને કોર્ટમાં શરણ લીધું. જોકે કોર્ટમાં શંકરસિંહની તરફેણમાં નિર્ણય આવ્યો. શંકરસિંહ અને એમનું પ્રધાનમંડળ પ્રસ્થાપિત થઈ ગયું હતું. તારીખ 29 ઓક્ટોબરના રોજ વિધાનસભાનું સત્ર બોલાવાયું અને વિશ્વાસનો મત લેવામાં આવ્યો. ભાજપના ધારાસભ્યોએ આ સરકાર ગેરકાયેદસર છે એમ કહીને વિધાનસભા સત્રનો બહિષ્કાર કર્યો. ખૂબ આસાનીથી શંકરસિંહ વિશ્વાસનો મત જીતી ગયા. કોંગ્રેસના ટેકાથી બનાવેલી શંકરસિંહની રાષ્ટ્રીય જનતા પાર્ટીની ‘ટનાટન સરકાર’નું આયુષ્ય બહુ ટૂંકુ રહ્યું. કોંગ્રેસે ટેકો પાછો ખેંચી લેતાં રાષ્ટ્રીય જનતા પાર્ટીની સરકાર લઘુમતીમાં મુકાઈ ગઈ. કિમલોપ, જનતા પરિષદ, રાષ્ટ્રીય કોંગ્રેસ બહુ જલદીથી ખલાસ થઈ ગયા હતા, પણ શંકરસિંહ વાઘેલાના રાજપાના કિસ્સામાં આમ ન બન્યું.

દિલીપ પરીખ મુખ્યપ્રધાન બન્યા રાજપા અને કોંગ્રેસનું જોડાણ તૂટવા માટેનાં કારણોમાં જોઈએ તો કોંગ્રેસ સાથેના જોડાણમાં નાના-મોટા વિવાદ ઊભા થતા હતા. સી. ડી. પટેલ, અમરસિંહ ચૌધરી અને શંકરસિંહ વાઘેલા વચ્ચે નાના મુદ્દાઓમાં પણ અંટસ પડી જતી અને અહમનો ટકરાવ થતો. કોંગ્રેસના ધારાસભ્યો શંકરસિંહની સરકારમાં પોતાનાં કામ પૂરાં થતાં ન હોવાનો આરોપ મૂકતા. બીજી બાજુ રાજપના મંત્રીમંડળમાં પણ પરસ્પર હુંસા-તુંસી શરૂ થઈ ગઈ હતી. શંકરસિંહના ચુસ્ત ટેકેદાર એવા આત્મારામ પટેલમાં મુખ્યપ્રધાન બનવાની મહેચ્છા જાગી હતી. દિલ્હીમાં મીડિયા પ્રતિનિધિઓ વચ્ચે આત્મારામે પોતાને મુખ્યપ્રધાનના દાવેદાર ગણાવ્યા હતા.

ગુજરાત કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમરસિંહે રાજપા સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લેવાનો કાગળ રાજ્યપાલને આપ્યો. આ પત્રમાં કોંગ્રેસે મુખ્યપ્રધાન શંકરસિંહની કાર્યપદ્ધતિ અંગે આકરા શબ્દોમાં નારાજગી દર્શાવી હતી. કોંગ્રેસને શંકરસિંહ મુખ્યપ્રધાન તરીકે જોઈતા ન હતા. શરત મૂકી: જો શંકરસિંહને બદલે બીજો કોઈ નેતા મુખ્યપ્રધાન તરીકે પસંદ કરવામાં આવે તો અમે ટેકો ચાલુ રાખીશું. રાજપાના ધારાસભ્યોની મિટિંગમાં મુખ્યપ્રધાન તરીકે દિલીપ પરીખનું નામ ફાઈનલ થયું અને 28 ઓક્ટોબર 1997ના રોજ રાજભવન ખાતે બંધાયેલા શામિયાણામાં દિલીપ પરીખની મુખ્યપ્રધાન તરીકેની શપથવિધિ થઈ. 13-11-1997ના રોજ વિશ્વાસનો મત મેળવીને એમણે પ્રધાનમંડળની રચના કરી. ઓક્ટોબરમાં બનેલી સરકાર હજુ તો સ્થિર થઇ ત્યાં ડિસેમ્બરમા એક નવો વળાંક આવ્યો. કેન્દ્રની ગુજરાલ સરકારને આપેલો ટેકો કોંગ્રેસે પાછો ખેંચી લીધો. સીતારામ કેસરી ત્યારે કોંગ્રેસના અધ્યક્ષ હતા. કેન્દ્રમાંથી ગુજરાલ સરકાર ગઈ. લોકસભાની મધ્યસત્ર ચૂંટણી આવતી હતી. આ રાજકીય વહેણ ગુજરાતને અસર કર્યા વિના રહી શકે ખરું?

તારીખ 24 ડિસેમ્બરના રોજ મુખ્યપ્રધાન દિલીપ પરીખ અને મંત્રીમંડળની કેવડિયા કોલોની ખાતે બેઠક મળી. બેઠકમાં શંકરસિંહના સૂચન મુજબ દિલ્હીમાં ઊભી થયેલી પરિસ્થિતિને પગલે સરકારના રાજીનામાનો નિર્ણય લેવાયો. દિલીપ પરીખ અને તત્કાલીન ગૃહમંત્રી વિપુલ ચૌધરી હેલિકોપ્ટરમાં ગાંધીનગર આવી પહોંચ્યા. સરકારના રાજીનામાનો પત્ર રાજ્યપાલને સુપરત કર્યો અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ લોકસભાની સાથે યોજવા માગણી કરી. સ્વાભાવિક છે કે સાથી રાજકીય પક્ષોને આ વાત ખટકે. રાજપાના રાજીનામાનો કોંગ્રેસ તરફથી વિરોધ થયો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સી. ડી. પટેલ અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમરસિંહ ચૌધરીને આ વાતની જાણ થતાં રાજભવન દોડી આવ્યા અને રાજ્યપાલ સાથે ચર્ચા કરી. રાજપાનો ઠરાવ નહીં સ્વીકારવા માગણી કરી. પણ રાજ્યપાલે રાજીનામાનો સ્વીકાર કર્યો અને દિલીપ પરીખ સરકારને કેરટેકર સરકાર જાહેર કરી દીધી.

13 જ દિવસમાં વાજપેયી સરકાર ગઈ વર્ષ 1998ની ચૂંટણીએ ટકોરા માર્યા. બેઠકોમાં સમજૂતી ન થવાથી રાજપા અને કોંગ્રેસે જોડાણ ન કર્યું. એક તરફ કોંગ્રેસ, બીજી તરફ ભાજપ અને અને ત્રીજી તરફ રાજપા એમ ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ હતો આ વખતે. જુવાળ ભાજપ તરફી હતો. પરિણામ આવ્યું ત્યારે આ ચિત્ર સર્જાયું: લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ રાજકીય પક્ષને ચોખ્ખી બહુમતી મળી ન હતી. કેન્દ્રમાં ભાજપે જયલલિતાના AIADMK પક્ષ, પંજાબનો અકાલી દળ, ઓરિસ્સાનો બિજુ જનતાદળ પક્ષ, મહારાષ્ટ્રની શિવસેના, આંધ્રપ્રદેશના ચંદ્રાબાબુ નાયડુનો TDP પક્ષ, યુપીનો બહુજન પક્ષના ટેકાથી સરકાર બનાવી અને આ પહેલાં જેની સરકાર માત્ર તેર જ દિવસમાં પડી ભાંગી હતી એ અટલબિહારી વાજપેયીએ ફરી દિલ્હીની ગાદી સંભાળી.

અહીં ગુજરાતમાં રાજપાને માત્ર ચાર, કોંગ્રેસને માત્ર 53 બેઠક મળી. ભાજપે 117 બેઠક મેળવીને સરકાર બનાવી. કેશુભાઈ પટેલ ફરી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે આરુઢ થયા.

કટ ટુ 2001 કચ્છના ભૂકંપે અગણિત માનવ જિંદગીઓનો ભોગ લીધો છે. ગુજરાતના ભૂકંપે રાજનીતિની ધરા પણ ધ્રુજાવી છે. કેશુભાઇની સરકાર ડગુમગુ થવા માંડી છે. દિલ્લી ખાતેની એક પ્રખ્યાત અંગ્રેજી મેગેઝિનની ઓફિસમાં એક ઝભ્ભાધારી માણસ દાખલ થાય છે. હાથમાં કેટલાક ડોક્યુમેન્ટ્સ-ફાઈલો છે. એડિટરની કેબિનના બારણે ટકોરા મારી અંદર પ્રવેશે છે અને એડિટરને હાથમાં રહેલા ડોક્યુમેન્ટ્સ બતાવે છે. એ ડોક્યુમેન્ટ્સમાં કેશુભાઈ સરકારની બિનકાર્યક્ષમતા પુરવાર કરતી વિગતો છે. કચ્છના ભૂકંપમાં દાખવેલી વહીવટી ઊણપની વિગતો છે. એ માણસનો આગ્રહ છે કે મેગેઝિનમાં આ વિગતો છપાય. મૂળ હેતુ કેશુભાઈની સરકારને પાડવાનો છે એ એડિટરની અનુભવી આંખ પારખી જાય છે. એડિટર પોતાનાં સંસ્મરણો ‘એડિટર અનપ્લગ્ડ: મીડિયા, મેગ્નેટ્સ, નેતાઝ એન્ડ મી’માં લખે છે ત્યારે આ પ્રસંગનો ઉલ્લેખ કરે છે.

આ એડિટર એટલે અંગ્રેજી પત્રકારત્વની ઓળખ સમા સ્વ. વિનોદ મહેતા. અને પેલા ભાઈ એટલે નરેન્દ્ર દામોદરદાસ મોદી! વિનોદ મહેતા તો હાલ હયાત નથી, પણ પેલો માણસ આજે હિન્દુસ્તાનની રાજનીતિનો પર્યાય બની ગયો છે. ગોધરાકાંડ જેવા અગ્નિપથ પાર કરીને એ માણસ આજે ભારતીય રાજકારણનો સુપરસ્ટાર બની ગયો છે. યુ કેન લવ હીમ ઓર હેટ હીમ બટ યુ કાન્ટ ઇગ્નોર હીમ!

નરેન્દ્ર મોદી યુગ નરેન્દ્ર મોદી કેશુભાઈને ખસેડીને સીએમ બન્યા. હેટ્રિક મારી. ત્રણ ટર્મ સુધી ગુજરાતની રાજનીતિમાં એમના વાવટા ફરકતા રહ્યા. સૌથી લાંબા કાર્યકાળનો વિક્રમ પોતાના નામે કર્યો. પછી કદ વધ્યું. મોવડીમંડળ ચાહવા છતાં અવગણી ન શકે એવું વધ્યું. સીએમ મોદી પીએમ મોદી થયા. ગાંધીનગરથી ઠેકાણું બદલાઈને દિલ્હી થઈ ગયું. નરેન્દ્ર મોદી પછી આનંદીબેન, વિજય રૂપાણી અને પછી ભૂપેન્દ્ર પટેલ.. ત્રણ ચહેરાઓ ગુજરાતે મુખ્યપ્રધાનના રૂપમાં જોયા… મુખ્યપ્રધાનના ચહેરા બદલાયા, પણ આજેય ગુજરાત માટે મત માગવા માટે એકમાત્ર ચહેરો નરેન્દ્ર મોદી જ છે!

નરેન્દ્ર મોદીથી ભૂપેન્દ્ર પટેલ વચ્ચેના ગાળામાં ઘણું બન્યું છે. ગોધરાના સિગ્નલ ફળિયામાં સાબરમતીનો ડબ્બો સળગવાથી માંડીને અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાંથી પાટીદાર અનામતની આગ પ્રસરવા સુધીની ઘટનાઓ ઘટી છે. ગુજરાતે આ બે દાયકામાં વાઈબ્રન્ટ મહોત્સવો પણ જોયા છે અને પેપરો ફૂટતાં પણ જોયા છે. હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણીથી માંડીને ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી જેવા યુવા ચહેરાઓને સિસ્ટમ- સરકાર સામે વિદ્રોહનું રણશિંગું ફૂંકીને ગુજરાત રાજકારણમાં પ્રવેશ કરતા જોયા છે. ગુજરાત રાજનીતિની ધરા પર ઘણું બધું બદલાઇ ચૂક્યું છે અને ઘણું બધું એનું એ જ છે! (સમાપ્ત)