લૉકડાઉન વચ્ચે દેશમાં ઘઉંની લણણીમાં ગુજરાત પાછળ

રવી 2020-21 મોસમમાં દાળ અને તેલીબિયા ખરીદીની કામગીરી પણ પ્રગતિમાં

દેશવ્યાપી લૉકડાઉન વચ્ચે પણ સમગ્ર દેશમાં ઘઉંની લણણીનું કામ એકધારી ઝડપથી આગળ વધી રહ્યું છે. રવી 2020 દરમિયાન ખેડૂતો તેમજ કામદારો પાકની લણણી અને થ્રેસિંગની કામગીરી સંબંધિત SOPનું ચુસ્ત પાલન કરી રહ્યા છે. કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટે અને ખેડૂતો તેમજ ખેતરમાં કામ કરતા શ્રમિકોના સ્વાસ્થ્ય અને સલામતીને ધ્યાનમાં રાખીને ભારત સરકારના કૃષિ, સહકારિતા અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા રાજ્યોને SOP મોકલવામાં આવ્યા છે જેનું ખેડૂતો અને શ્રમિકોએ કૃષિલક્ષી કોઇપણ કામગીરી દરમિયાન પાલન કરવું જરૂરી છે.

રાજ્યો દ્વારા આપવામાં આવેલા અહેવાલો અનુસાર મધ્યપ્રદેશમાં 98-99% ઘઉંના પાકની લણણી થઇ ગઇ છે જ્યારે, રાજસ્થાનમાં 92-95%, ઉત્તરપ્રદેશમાં 85-88%, હરિયાણામાં 55-60%, પંજાબમાં 60-65% અને અન્ય રાજ્યોમાં 87-88% ઘઉંના પાકની લણણી થઇ ગઇ છે. ગુજરાતના કોઈ આંકડા જાહેર થયા નથી.

રવી 2020-21ની મોસમમાં ટેકાના ભાવની યોજના (PSS) અંતર્ગત કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે (MSP) દાળ અને તેલીબિયાની ખરીદીની કામગીરી ચાલી રહી છે. લૉકડાઉન દરમિયાન આ પાકોની ખરીદીની સ્થિતિ નીચે દર્શાવ્યા અનુસાર છે:

72,415.82 MT ચણા આંધ્રપ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ એમ 5 રાજ્યમાંથી ખરીદવામાં આવ્યા છે.
1,20,023.29 MT તુવેરની દાળ તામિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત અને ઓડિશા એમ 7 રાજ્યમાંથી ખરીદવામાં આવી છે.
1,83,400.87 MT રાઇ રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને હરિયાણા એમ 3 રાજ્યમાંથી ખરીદવામાં આવી છે.

દરમિયાન, રાષ્ટ્રીય બાગાયત બોર્ડ (NHB) દ્વાર ફળ અને શાકભાજીની “ઉપલબ્ધ વાવેતર સામગ્રી”ની વિગતો દેશમાં 618 NHB સ્વીકૃત નર્સરીઓ પાસેથી મંગાવવામાં આવી છે. આ માહિતી કોન્ફેડેરેશન ઓફ ઇન્ડિયન હોર્ટિકલ્ચર (CIH), કોમોડિટી- આધારિત ઉછેર એસોસિએશન, રાજ્ય બાગાયત મિશન, NHBની રાજ્યની કચેરીઓ અને તમામ સંબંધિત હિતધારકો સુધી પહોંચાડવામાં આવી છે. ખેડૂતોને આવી રહેલી વાવેતરની મોસમમાં વાવેતરની સામગ્રીમાં વિકલ્પોની સુવિધા પૂરી પાડવા માટે NHBએ આ માહિતી વેબસાઇટ (www.nhb.gov.in) પર અપલોડ કરી છે.