ગુજરાતમાં 18 મહિનામાં 5300 કરોડનું ડ્રગ્સ પકડી 800 વિદ્યાર્થીઓને છોડી મુકાયા

અમદાવાદ, 17 માર્ચ 2023
ગુજરાતમાં ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. 15 માર્ચ 2023માં અમદાવાદમાં શ્રી શ્રી રવિશંકરજીના કર્ણાવતી કલબમાં 15 હજાર લોકો હાજર રહ્યાં હતા. તે પહેલાં એક યુનિવર્સિટીમાં 5 હજાર લોકો હાજર હતા. કર્ણાવતી ક્લબમાં હેપ્પીનેસ મહોત્સવ થયો હતો.
રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે દરિયાઈ માર્ગે થતી ડ્રગ્સની તસ્કરીને રોકીને, દોઢ વર્ષમાં 5300 કરોડનું ડ્રગ્સ સરકારે પકડીને યુવાનોની જિંદગી ધૂળ-ધાણી થતી અટકાવી છે. ગત વર્ષમાં ગુજરાત સરકારે 800 વિદ્યાર્થીઓને ડ્રગ્સ લેતા પકડ્યા છે. પરંતુ પોલીસને હવાલે કરવાને બદલે, તેમનાં માતા-પિતા સાથે બેસીને આ સમસ્યાનું નિરાકરણ કર્યું છે. નશાની ગંભીર અસરો વિષે તેમણે યુવાનોને સાવચેત કર્યા અને ડ્રગ્સ ફ્રી ઈન્ડિયા અભિયાનમાં જોડાઈ જવા પ્રેરણા આપી.
ઉદ્યોગ પ્રધાન બળવંત રાજપૂતએ કહ્યું કે, ગુજરાત સરકારે એક વર્ષની અંદર 32 હજાર કરોડથી વધારે કિમતનું ડ્રગ્સ કબ્જે કર્યું છે. (પ્રેસ નોટ પ્રમાણે) તે એક ઉપલબ્ધિ કહી શકાય, તે અંગે આનંદ વ્યક્ત કર્યો હતો.

ગયા વર્ષ કરતા 11 ગણું ડ્રગ્સ પકડાયું.
2022માં વિધાનસભામાં આપેલ આંકડા કરતા વર્ષ 2023માં ગુજરાત રાજ્યમાં 11 ગણું વધુ ડ્રગ્સ પકડાયું. ગુજરાત વિધાનસભા પ્રમાણે વર્ષ 2022ના બે વર્ષમાં 3700 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હતું.2023ના બે વર્ષમાં વધીને 4058 કરોડનું ડ્રગ્સ પકડાયું.
છેલ્લે એક વર્ષમાં રૂ. 3687કરોડનું ડ્રગ્સ પકડાયું છે.
ડ્રગ્સ અને નશીલા પદાર્થ ના ગુના માં સજા અપાવવા નો દર (કનવિકસન રેટ) ૨.૬૬% થી ઘટી 1% થયો ને ગુના નોંધાયા તે બમણા થયા.

ગુજરાતમાં 2018માં 150 ગુના સામે 4 ગુનામાં સજા થઈ હતી.
2019માં 289 ગુના સામે 3 ગુનામાં સજા થઈ હતી.
2020માં 308 ગુના સામે 4 ગુનામાં સજા થઈ હતી.
જે દર્શાવે છે ગુના નોંધાવાનો દર બમણો થયો છે અને સજા દર 2.5% થી ઘટી અને 1% થયો છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે દેશમાં ડ્રગ્સ અને નાર્કોટિક્સના ગુનામાં સજા દર 77.9% છે. ગુજરાતમાં ખુબ ઓછો છે.
કોંગ્રેસે માંગણી કરી હતી કે, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપવું જોઈએ. ગુજરાતમાં ડ્રગ્સ સંબધિત ગુનાખોરી થઈ રહી છે પણ સરકાર મોટા માથાને પકડવામાં સફળ નથી.

ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા અભિયાનમાં કહેવાયું હતું કે, એક સર્વે મુજબ ભારતમાં આજે 75% પરિવારોમાં, ઓછામાં ઓછો એક સભ્ય તો એવો છે જ કે જે કોઈ ને કોઈ નશાકીય વ્યસનથી ગ્રસિત છે. નશાખોરી ને કારણે, ભારતમાં પ્રતિદિન 10 વ્યક્તિ આત્મહત્યા કરે છે. આંકડા એક વિસ્ફોટક સત્ય રજૂ કરે છે. સમસ્યાનું તાત્કાલિક નિવારણ કરવું અનિવાર્ય છે. આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા, 2019 માં “ડ્રગ્સ-ફ્રી ઇન્ડિયા” કૅમ્પેઇન નો આરંભ કરવામાં આવ્યો હતો.
જયારે સ્ટ્રેસ ની માત્રા ખૂબ વધી જાય છે, ત્યારે આ અત્યાધિક સ્ટ્રેસથી મુક્ત થવા વ્યક્તિ નશાકીય પ્રવૃત્તિ તરફ વળે છે. પરંતુ જયારે તેમને યોગ, પ્રાણાયામ અને ધ્યાનનાં માધ્યમ દ્વારા સ્ટ્રેસ દૂર કરવાનું શિક્ષણ પ્રાપ્ત થાય છે ત્યારે જીવન પ્રત્યેનો તેમનો અભિગમ બદલાઈ જાય છે.

· નશાની આદત ને કારણે ભારતમાં પ્રતિદિન 10 વ્યક્તિઓ આત્મહત્યા કરે છે.

· 13 વર્ષની આયુમાં 50% જેટલા છોકરાઓએ નશાનું સેવન કર્યું હોય છે.

· ભારતના 75% પરિવારો નશા-વ્યસન નો ભોગ બનેલા છે.

· પ્રતિ 96 મિનિટે એક ભારતીયનું આલ્કોહોલ સેવનથી મૃત્યુ થાય છે.

· એક નેશનલ સર્વે અનુસાર 98% વ્યક્તિઓ: જેઓ આલ્કોહોલનું સેવન કરે છે અને 72% વ્યક્તિઓ જેઓ નશાકીય દ્રવ્યનું સેવન કરે છે, તેઓ કોઈ પણ પ્રકારની સારવાર લેવા માટે પ્રતિકાર કરે છે.

શ્રી શ્રી રવિશંકરજી એ ઉપસ્થિત બધા વિદ્યાર્થીઓને શપથ લેવડાવ્યા કે “નશા ના કરેંગે, ના કરને દેંગે” તેમણે જણાવ્યું કે પરિવારમાં થી એક વ્યક્તિ નશો કરે છે તો સમગ્ર પરિવાર દુખી થાય છે. તો આ દૂષણ દૂર થવું જ જોઈએ. આનંદની લહેર ઊઠવી જોઈએ. ભારતનું ઉજ્જવળ ભવિષ્ય યુવાનોના હાથમાં છે.

ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા અભિયાન અંતર્ગત, આ દૂષણ ને નાથવા માટે આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા દેશની અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં SWAT ( સોશ્યલ વેલનેસ, અવેરનેસ એન્ડ ટ્રેનિંગ) ક્લબ ની રચના કરવામાં આવી છે. છેલ્લા 15 વર્ષથી આર્ટ ઓફ લિવિંગ આ સમસ્યાનાં નિવારણ માટે સેવારત છે, 25000 જેટલી વ્યક્તિઓએ આર્ટ ઓફ લિવિંગના પ્રયત્નોથી નશાનો ત્યાગ કર્યો છે.