ઊંઝાની જય વિજય સોસાયટીમાં રહેણાક વિસ્તારમાં પરવાનગી વગર બાંધવામાં આવેલું કોમર્શિયલ કોમ્પલેક્ષ ગણેશ આર્કેડ છેલ્લા કેટલાક સમયથી વિવાદોના વમળમાં ફસાયું છે ત્યારે આ ગણેશ આર્કેડ કોમર્શિયલ કોમ્પ્લેક્સ સાથે ઊંઝા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ની સાંઠગાંઠ હોવાના સમાચારો થી ઊંઝા ના સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે એટલું જ નહીં પરંતુ ચીફ ઓફિસરે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સરકારમાં દરખાસ્ત કરતા હડકંપ મચી ગયો છે.
અત્રે નોંધનીય છે કે સમય અગાઉ આ જ ગણેશ આર્કેડ ના બીજા માળે ધમા મિલન દ્વારા ચલાવવામાં આવતા જુગારધામ પર પોલીસે દરોડો પાડયા હોવાના સમાચારો જે તે સમયે સ્થાનિક અખબારમાં પ્રગટ થયા હતા ત્યારે હવે આ રહેણાંક વિસ્તારમાં બનાવેલ કોમ્પલેક્ષ પરવાનગી વગર બાંધી દેવામાં આવ્યું હોવાના સમાચારો ને લઈને ભારે વિવાદ સર્જાયો છે ત્યારે આ મુદ્દો સમગ્ર નગરમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.
બીજી બાજુ સમગ્ર નગરમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે જો જે તે સમયે આ કોમ્પલેક્ષ પરવાનગી વગર બાંધવામાં આવ્યું હોય તો નગરપાલિકા દ્વારા શા માટે અત્યાર સુધી કોઈ કાર્યવાહી ન થઈ ? આ પરવાનગી વગર બંધાયેલા કોમ્પ્લેકસના બાંધકામને કોના છૂપા આશીર્વાદ હતા ? નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ની સાંઠગાંઠ કોને ફાયદો કરાવવા માટે હતી ? આવા અનેક સવાલો નગરજનોમાં હવે ચર્ચાનો વિષય બન્યા છે. ત્યારે જોવું એ રહ્યું કે સ્થાનિક તંત્ર અને સરકાર આ મુદ્દે કેટલા અસરકારક સાબિત થશે કે પછી રાત ગઈ સો બાત ગઈ વાળી ઉક્તિ સાર્થક કરીને ધીમે ધીમે આ વાતને ભૂલાવી દેવામાં આવશે.?