આખા ગુજરાતમાં રાજ્યના ખેડૂતોને નકલી અને બનાવટી દવાઓ પકડાવી દેવામાં આવે છે અને તેમને લૂંટવામાં આવે છે, 259 નમૂના ફેઇલ થયા છે
ગાંધીનગર- ગુજરાતના ખેડૂતો ખેતી પણ કેવી રીતે કરે, કેમ કે તેમને બિયારણ તો ઠીક પણ જંતુનાશક દવાઓ પણ ભેળસેળ વાળી મળી રહી છે. ખેડૂતો તેમના પાકને જંતુઓથી બચાવવા માટે જે દવાનો છંટકાવ કરી રહ્યાં છે તે અસલી નથી તેવું સરકારી આંકડા પરથી સાબિત થાય છે.
કહેવાય છે કે હવે તો ઝેર પણ મોંઘુ થયું છે અને તેમાં પણ ભેળસેળ થાય છે. ખેડૂતો તેમના ખેતરમાં જંતુઓને મારવા માટે જે દવાઓનો છંટકાવ કરે છે તે દવાઓ બનાવટી અને નકલી જોવા મળી છે. આખા રાજ્યમાં ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા સ્ટાન્ડર્ડ દવાઓના લેબલમાં નકલી દવાઓ પધરાવી દેવામાં આવે છે. રાજ્યના કૃષિ વિભાગના અધિકારીઓએ વિવિધ જિલ્લાઓમાં જંતુનાશક દવાઓના નમૂના લીધા છે તેમાં મોટાભાગની દવાઓ નકલી અને બિન અસરકારક પૂરવાર થઇ છે.
રાજ્યમાં ખેડૂતો જંતુઓથી પાકને બચાવવા માટે જંતુનાશક દવાઓનો છંટકાવ કરતા હોય છે. મોંઘા ભાવે ખરીદવામાં આવતી બ્રાન્ડેડ દવાઓમાં પણ નકલી અને બનાવટી દવાઓ મળી રહી છે. ખેડૂતોને દવાઓ વેચતી કંપનીઓ અને વેપારીઓ ભેળસેળ વાળી દવાઓ પધરાવી રહ્યાં છે જેની અસર જંતુઓ ઉપર ઓછી પરંતુ ખેડૂતો પર વધારે થાય છે.
છેલ્લા બે વર્ષમાં જંતુનાશક દવાઓના લેવામાં આવેલા સેમ્પલૌ પેકી 259 જેટલા સેમ્પલો ફેઇલ થયા છે. એટલે કે આ દવાઓ નકલી અને બનાવટી પુરવાર થઇ છે છતાં ખેડૂતોને ઉંચા ભાવે પધરાવી દેવામાં આવે છે. આ દવાની પાક પર કોઇ અસર થતી નથી.
ગુજરાતમાં સૌથી વધુ જંતુનાશક દવાઓના નમૂના ફેઇલ થયા છે તે રાજકોટ જિલ્લો છે. આ જિલ્લામાં 23 દવાઓના નમૂના ફેઇલ થયા છે. બીજાક્રમે 18 નમૂના સાથે ગીર સોમનાથ જિલ્લો આવે છે. અરવલ્લી અને પંચમહાલમાં એકસરખા 16 નમૂના ફેઇલ થયા છે. ગાંધીનગરમાં 15, સાબરકાંઠામાં 13, નવસારીમાં 12, કચ્છ અને મહેસાણામાં 11 નમૂના ફેઇલ થયા છે.
એ ઉપરાંત અમદાવાદ અને નર્મદામાં એકસરખા 10 અને વડોદરા અને ભાવનગરમાં 9 તેમજ પોરબંદર અને બોટાદમાં આઠ-આઠ નમૂના ફેઇલ થયા છે. ગુજરાતના કુલ 33 જિલ્લામાં વધતા ઓછા પ્રમાણમાં જંતુનાશક દવાઓના નમૂના ફેઇલ થયા છે. રાજ્યમાં કુલ 259 દવાઓ ખેતરમાં છાંટવા યોગ્ય નથી છતાં ખેડૂતો પાસેથી કરોડો રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે.