ગાંધીનગર, તા. 22
દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે અને છેલ્લાં બે મહિના દરમિયાન રાજ્યમાં મીઠાઈમાં નકલી માવા વગેરેનો ઉપયોગ વધી ગયો હતો ત્યારે હવે રહી રહીને જાગેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચોક્કસ ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી છે. રાજ્યમાં નાગરિકોને દિવાળીના તહેવારો દરમિયાન શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મીઠાઈ અને ફરસાણ મળી રહે એ માટે રાજ્ય સરકારે મીઠાઈ અને ફરસાણના વેપારીઓને ખાદ્ય ચીજવસ્તુઓ શેના દ્વારા બનાવવામાં આવી છે તેની માહિતી પ્રદર્શિત કરવાની તાકીદ કરી છે. સાથે તેની બનાવ્યા તારીખ અને કઈ તારીખ પહેલા ઉપયોગ કરવી તેની તારીખ પણ લખવા સૂચના આપી છે.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006નું કડક પાલન કરવાનો આદેશ
રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, મીઠાઈ તથા ફરસાણના વેપારીઓએ વેચવામાં આવતી ખાદ્યચીજ વસ્તુઓ કયા કૂકિંગ માધ્યમમાં બનાવવામાં આવી છે જેવા કે ઘી, ખાદ્યતેલનો પ્રકાર વનસ્પતિ અથવા અન્ય ફેટની જાણકારી નાગરિકો જોઈ શકે તે રીતે દુકાનના નોટીસ બોર્ડ પર પ્રદર્શિત કરવાની રહેશે. તેમણે વધુમાં કહ્યું કે, દિવાળીના તહેવારો દરમિયાન મીઠાઈ, ફરસાણ, ચોકલેટ, દૂધ, ઘી, માવો વગેરેની માંગ ખૂબ મોટા પ્રમાણમાં વધતી હોવાના કારણે ખાદ્યચીજવસ્તુઓનું ઉત્પાદન, સંગ્રહ, વેચાણ કરતા તમામ વેપારીઓએ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એકટ-2006 તથા તેના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
ખાદ્ય ચીજવસ્તુઓ બેસ્ટ બીફોર-યૂઝ્ડ બાય ડેટ લખવી પડશે
તેમણે એવું પણ જણાવ્યું કે, વેપારીઓ દ્વારા વેચાણ કરાતી ખાસ કરીને દૂધની બનાવટો માટે પેક તથા લૂઝમાં મીઠાઈમાં બેસ્ટ બીફોર-યૂઝડ બાય ડેટ અવશ્ય લખવાની રહેશે. તમામ વેપારીઓએ સ્વચ્છતા અને આરોગ્યપ્રદ સ્થિતિમાં જ ખાદ્યચીજવસ્તુ બનાવવાની, વેચાણ કરવાની તેમજ સંગ્રહ કરવાની રહેશે. કોઈપણ જાતના અમાન્ય કલર-સુગંધિત દ્રવ્યો કે એડિટિવ્સ વાપરવાના રહેશે નહિ. ખાદ્યતેલનો વારંવાર તળવા માટે ઉપયોગ કરવાનો રહેશે નહિ તમામ ખાદ્યચીજવસ્તુઓના પેકિંગ ઉપર યોગ્ય ટેબલ તથા શેલ્ફ લાઈફ અવશ્ય લખવાની રહેશે. જે મીઠાઈ કે ફરસાણનું લૂઝ અવસ્થામાં વેચાણ કરવામાં આવે છે તેના કન્ટેઈનર કે ટ્રે ઉપર બેસ્ટ બિફોર અથવા યૂઝ બાય ડેટ અવશ્ય લખવાના રહેશે તેમજ તે મીઠાઈ કે ફરસાણ જે ખાદ્યતેલ-ઘી કે વનસ્પતિમાંથી બનાવવામાં આવ્યું છે તેની વિગત અવશ્ય જાહેર કરવાની રહેશે એવી સૂચનાઓ પણ આપવામાં આવી હોવાનું કોશિયાએ કહ્યું હતું.
ડેરી આધારિત ઉત્પાદનોના સ્ત્રોતનો રેકર્ડ રાખવા સૂચના
ડેરી આધારિત ઉત્પાદનોના સ્ત્રોતનો રેકર્ડ અવશ્ય નિભાવવાનો રહેશે. એફએસએસએઆઈનું લાયસન્સ-રજિસ્ટ્રેશન નાગરિકો જોઈ શકે તે રીતે લગાવવાનું રહેશે. તેમજ હંગામી ધોરણે માંડવા-સામિયાણા બાંધીને વેચાણ કરતા વેપારીઓએ રજિસ્ટ્રેશન અવશ્ય કરવાનું રહેશે. આ અંગેની વિગતવાર ગાઈડ લાઈન એફએસએસએઆઇની વેબસાઇટ www.fssai.gov.in પર ઉપલબ્ધ હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.