ગાંધીનગરતા,૧૫
ગાંધીનગરમાં અધિકારીઓ તેમજ કર્મચારીઓને ફાળવવામાં આવતા સરકારી આવાસો જર્જરિત બન્યા હોવાથી તબક્કાવાર તેને તોડીને બહુમાળી ફ્લેટ બનાવવાની યોજના બનાવવામાં આવી છે. જૂના મકાનોને ઉતારીને તે જગ્યાએ ખુલ્લી જમીનમાં સરકારી બહુમાળી ઇમારતો બનાવાશે.ગાંધીનગરના જૂના સેક્ટરમાં વિવિધ કેટેગરીના 17000 જેટલા સરકારી આવાસો આવેલા છે. કુલ આવાસોમાં 30 ટકા આવાસો રહેવા યોગ્ય નથી તેથી તેને ઉતારી લેવામાં આવશે. શહેરમાં જ્યાં સરકારી સ્વતંત્ર બંગલા છે તેનું રિનોવેશન થયું છે, પરંતુ જ્યાં બે કે ત્રણ માળના આવાસ છે ત્યાં સેક્ટર પ્રમાણે તબક્કાવાર બહુમાળી ફ્લેટ બનાવવામાં આવશે.
ગાંધીનગરમાં જમીનની અછત હોવાથી હવે સરકારી બેથી ત્રણ માળના બનાવેલા સરકારી મકાનો ઉતારીને તેની જગ્યાએ મલ્ટિ સ્ટોરિડ સરકારી આવાસો બનાવવામાં આવશે તેવું માર્ગ-મકાનના અધિકારીએ કહ્યું છે. આ મકાનો 40 વર્ષથી બનાવેલાં અને તેમાં મરામત કામ પણ થયાં નથી પરિણામે સરકારી કર્મચારી પરિવારોને અનેક યાતના સહન કરવી પડે છે. ચોમાસામાં પાણી અને પોપડાં ખરવાની સમસ્યાથી કર્મચારીઓ ત્રાસી ગયા હતા.
પાટનગરના સેક્ટરોમાં બનાવવામાં આવેલા સરકારી મકાનોને તબક્કાવાર તોડીને તેના સ્થાને ફ્લેટ બનાવવામાં આવશે. હાલ સેક્ટર 15થી સેક્ટર 30માં સરકારનાં હજારો મકાનો આવેલાં છે. વર્ષોવર્ષ હજારો મકાનો રિનોવેટ કર્યાં છે, પરંતુ બે કે ત્રણ વર્ષ પછી પરિસ્થિતિ એવી ને એવી જણાતાં હવે ખખડધડ સરકારી આવાસોને તોડી પાડવાનું નક્કી કર્યું છે.
સરકારે મરામત કરેલાં આવાસો કે જે ખાલી હોય તે આવાસમાં કર્મચારીને ટેમ્પરરી રહેવાની વ્યવસ્થા કરાશે અને તેના જૂના મકાનને તોડીને જ્યારે ફ્લેટ બને ત્યારે ફરીથી ત્યાં આવાસ ફાળવી દેવાનું નક્કી કરવામાં આવ્યું છે.
રાજ્યના માર્ગમકાન મંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, શહેરમાં જમીનનો અભાવ હોવાથી સરકારી મકાનો જે જર્જરિત છે તેને રિનોવેટ કરવાની જગ્યાએ જમીનથી તોડીને ફ્લેટની સ્કીમ બનાવવામાં આવશે કે જેથી વધારે કર્મચારીઓને તેમાં સમાવી શકાય.
સરકારે સેક્ટર-6, 7 અને 13માં આવા આવાસ ઉતારી લેવાનું કામ પૂર્ણ કર્યું છે અને હવે સેક્ટર-20માં આ કામ ચાલી રહ્યું છે. નવા ફ્લેટ્સ બનાવવા માટે સરકાર નવી આવાસ યોજના જાહેર કરશે. સેક્ટર-20 અને સેક્ટર-9માં આ પ્રકારના 175 આવાસો છે કે જે રહેવાલાયક રહ્યાં નથી તેથી તેને જમીનદોસ્ત કરાશે.