ચર્ચાસ્પદ ભાનુશાળી હત્યાકાંડના ફરાર આરોપીઓ ઝડપાયા

ગાંધીનગર,તા.05

ભાજપના પુર્વ ધારાસભ્ય અને ઉપપ્રમુખ જયંતિ ભાનુશાળી કેસના લાંબા સમયથી ફરાર આરોપી મનિષા અને તેના સાથી સુજીત ભાઉને ઉત્તર પ્રદેશથી ઝડપી લેવામાં ગુજરાતની સીઆઈડી ક્રાઈમની રેલવે પોલીસને સફળતા મળી છે. ચાલુ વર્ષે જયંતિ ભાનુશાળી કચ્છથી અમદાવાદમાં ટ્રેનમાં આવી રહ્યા હતા ત્યારે તેમને રેલવે કોચમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. રેલવે પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે મનિષા અને જયંતિ ભાનુશાળીને મિત્રતા હતી. જે પૈસાને કારણે દુશ્મનાવટમાં બદલાઈ હતી. જ્યારે આ કેસના બીજા સુત્રધાર ભાજપના પુર્વ ધારાસભ્ય છબીલ પટેલ જયંતિના રાજકીય હરિફ હતા. આમ મનિષા અને છબીલ પટેલે જયંતિનો કાંટો કાઢી નાખવા માટે હાથ મીલાવ્યો હતો અને સાથે મળી મહારાષ્ટ્રના ભાડૂતી મારાઓ લાવી તેમની હત્યા કરાવી નાખી  હતી.  

ભાનુશાળીની હત્યાનો ઘટનાક્રમ

ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યા માટે ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે રૂ.30 લાખની સોપારી શંશીકાંત ઉર્ફે બિટિયા દાદાને આપી હતી. દાદા અને અશરફ શેખને સાપુતારાના તોરણ ગેસ્ટ હાઉસમાંથી ઝડપી લીધા બાદ વિગત ખુલી છે. સોપારી લેનાર શંશીકાત અને અશરફની ધરપકડ પરથી હત્યા કઈ રીતે થઈ અને કોણે શાર્પ શૂટરોને મદદ કરી તેની વિગતો મળી છે. બે શાર્પશૂટરો પકડાયા પણ તેઓનો ત્રીજો સાગરીત હજુ ફરાર છે. શાર્પશૂટરો ખરેખર તો 10 દિવસ પહેલાં પકડાયા હતા. તેમની પાસેથી જયંતી ભાનુશાળીનો મોબાઈલ ફોન મેળવી લીધા બાદ તેમની ધરપકડ એટલા માટે બતાવી કારણ કે મોબાઈલ ફોનમાં ગુજરાત ભાજપના અનેક જાણીતા નેતાઓની સેક્સ લીલાની વિડિયો ભાનુશાળી પાસે હતા. તે સગેવગે કરી દીધા બાદ મોબાઈલ જ ધરપકડ બતાવવામાં આવી હતી. બંને આરોપીઓ મૂળ મહારાષ્ટ્રના છે. હવે ભાજપના નેતાઓના સેક્સ વિડિયો કોની પાસે છે તે કાયમ માટે રહ્સ્ય રહેશે તે જાહેર થશે. જો જાહેર થશે તો તેમાં ભાજપના અનેક નેતાઓની રાજકીય કારકીર્દી  ખતમ થઈ જશે. કચ્છમાં ભાજપના નેતાઓના સામુહિક બળાત્કાર કેસ બાદ હવે ભાનુશાળીની પાસે રહેલી સેકસ સીડીનું મોટું પ્રકરણ બહાર આવ્યું છે.

મોલમાં હત્યા માટે નક્કી થયું હતું

જયંતી ભાનુશાળીની હત્યા થઈ તેના બે માસ પહેલા પૂણેના મોલમાં શંશીકાત અને અશરફને છબીલ પટેલ મળ્યો હતો. મોલમાં છબીલ પટેલે જયતી ભાનુશાળીના ફોટો બતાવી  રૂ.30 લાખમાં હત્યાની સોપારી આપી હતી. ભાનુશાળી ખોટા કેસો કરીને હેરાન કરતો હોવાની વિગતો પટેલે આરોપીઓને જણાવી હતી. આ પેટે રૂ.પાંચ લાખ મોલમાં આપ્યા હતા. જેમાંથી હત્યારાઓએ હથિયારોની ખરીદી અને વાહનની ખરીદી કરી હતી.

શશીકાંત બસ મારફતે પુનાથી અમદાવાદ આવતો હતો. જ્યાંથી ગાડીમાં છબીલ પટેલ તેને ભુજ રેકી કરવા લઈ જતો હતો. 24 ડીસેમ્બર 2018માં શશીકાંતને નારાયણી ફાર્મમાં બોલાવ્યો હતો.  27 ડિસેમ્બરે શશીકાન્ત આવ્યો હતો. પછી અશરફ પણ ફાર્મ હાઉસમાં પહોંચ્યો હતો. 10થી 12દિવસ ફાર્મ પર રોકાયેલા હત્યારાઓ ફોનનો ઉપયોગ કરતાં ન હતા. શાર્પશૂટરો આખો દિવસ મોબાઈલમાં યુટ્યુબ ઉપર વીડિયો જોઈ દિવસ પસાર કરતા હતા. ફાર્મ બહાર પણ નીકળતા ન હતા.

ભૂજમાં હત્યા કરવી શક્ય ન હતી

આરોપીઓએ પહેલા ભુજમાં હત્યા કરવાનો પ્લાન કર્યો હતો. પરંતુ ભાનુશાળીની હત્યા તેમના ઘર પાસે ગીચ વિસ્તાર હોવાથી ત્યાંથી નાસી છુટવા માટે યોગ્ય જગ્યા મળી શકે તેવું ન હોવાથી શાર્પશુટરેના હત્યાની ના પાડી હતી. ત્યારબાદ પ્લાન બદલીને ટ્રેનમાં હત્યા કરવાનું નક્કી થયું હતું.  છબીલ પટેલે ભાનુશાળીને ટ્રેનમાં પતાવી દેવાની શૂટરોની યોજના મૂજબ વ્યવસ્થા કરી હતી.

રેકી કરી તમામ વિગતો આપવામાં આવી

જયંતિ ભાનુશાળી એસી કોચમાં મુસાફરી કરે છે તેવી માહિતી પણ મેળવી હતી. હત્યારાઓએ સામખીયાળી સુધી મુસાફરી કરી ત્યાં જ હત્યા કરવાનું નક્કી કર્યું હતું. 7 જાન્યુઆરીએ ભાનુશાળીની માહિતી આપવામાં આવી કે ભાનુશાળી 10.30ની ટ્રેનમાં ભૂજથી ટ્રેનમાં બેસવાના છે, એસી કોચમાં છે. દરેક સ્ટેશન પર કેટલી વાર ટ્રેન ઉભી રહે છે, કેટલા દરવાજા ખુલે છે તેની માહિતી મેળવી હતી. છબીલ પટેલે ભુજથી સામખીયાળી વચ્ચે હત્યા કરી નાખવા કહ્યું હતું કેમ કે ત્યાં સુધી ટ્રેનમાં બહુ ઓછી અવરજવર રહે છે અને ત્યાંથી ભાગવા અનેક રસ્તા છે.

હત્યાની  તારીખ બદલી

પહેલા 31 ડિસેમ્બરે હત્યા કરવાની હતી. પરંતુ કોઈ માહિતી ન મળતા કામ ન કર્યું. પાકી માહિતી ન મળે ત્યાં સુધી તેઓ ભૂજમાં રોકાયા. 7 જાન્યુઆરી 2019એ રાત્રે આરોપીઓ ફાર્મમાં બહાર નીકળ્યા. હત્યા કરવા માટે છબીલે 7 જાન્યુઆરીએ રાતે ફોન કરી જાણ કરી હતી. તેને નંબર પ્લેટ વગરનું બાઈક આપ્યું હતું. શૂટરો બાઈક પર ભૂજ જવા નીકળ્યા ત્યાં પેટ્રોલ ખાલી થતાં અટવાયા હતા. રસ્તામાં વાહનચાલક પાસેથી પેટ્રોલ લઈ બાઈક પેટ્રોલપંપ સુધી પહોંચાડયું હતું. ટ્રેનનો સમય થઈ જતાં ભૂજ નહીં પહોંચાય તેવું લાગતાં શશીકાંતે ભચાઉથી ટ્રેનમાં બેસવાનું નક્કી કર્યું હતું. ત્રીજા સાથીને બાઈક સામખિયાળી પાસે મૂકવા કહ્યું હતું. ભાનુશાળી જે ટ્રેનમાં જવાના હતા, તેમાં જનરલ કોચની ટિકીટ લઈને ફર્સ્ટ કલાસના ડબ્બામાં ચડી ગયા હતા. ભચાઉમાં ટ્રેન આવી પરંતુ એચ વન કોચ બંધ હતો એટલે બાજુના કોચમાંથી હત્યારાઓએ અંદર પ્રવેશ કર્યો હતો. કોચમાં અન્ય કોઈ વ્યક્તિ જાગતા હોવાથી હત્યારાઓ બાથરૂમમાં જઈ હત્યા માટેની તૈયારી કરી લઈને એચ વન કોચ પાસે પહોંચ્યા હતા.શશીકાન્તે આ ટ્રેનમાં રેકી કરી, કોચના દરવાજા ક્યારે બંધ થાય છે, ક્યારે દરવાજા ખુલે છે, તે જોયું.

પહેલી ગોળી અશરફે મારી

ભાનુશાળીના કમ્પાર્ટનો દરવાજો શશીકાંતે ખખડાવ્યો એટલે દરવાજો ભાનુશાળીએ ખોલ્યો. શશીકાંતે કહ્યુ ‘યહા હમારી સીટે હૈ’ ભાનુશાળીએ જણાવ્યું કે, જીસકી સીટ હૈ સબ યહા પૈ હે’ તેમ કહી દરવાજો બંધ કરતાં હતા. તે સમયે શશીકાંતે દરવાજાને ધક્કો માર્યો અને અશરફે છાતીમાં ગોળી મારતાં ભાનુશાળી ઢળી પડયા હતા. બીજી ગોળીઓ શશીકાંતે માથામાં મારીને ચેઈન પુલીગ કરી બંન્ને ફરાર થઈ ગયા હતા. શાર્પ શૂટર પ્રોફેશનલ હોવા છતાં બે મીસ ફાયર થયા હતા. 5 રાઉન્ડ ગોળીબાર કર્યા હતા. જેમાં એક શોર્ટ મિસ થયો હતો અને બે મિસફાયર થયા હતા. જ્યારે બે ગોળીઓ ભાનુશાળીને વાગી હતી.

સામખિયાળી રેલમાંથી ઉતર્યા, ગુગલ મેપનો ઉપયોગ

કચ્છ સૌરાષ્ટ્રની સરહદ પર કચ્છના નાના રણના કિનારે આવેલા શામખિયાળી પાસે રાત્રે 12.45 વાગ્યે રેલની સાંકળ ખેંચીને ઉતરી ગયા હતા. બંને સામખયાળી પાસે જ્યાં બાઈક મૂક્યું હતું તે જગ્યાએ જવા નીકળ્યા હતા. બાઈક મળ્યું ન હતું. જેથી તેમના સાગરીતને ફોન કરી તેઓએ બાઈક અંગે પૂછ્યું હતું. બાઈક મળી જતા બંને રાધનપુર અને પાલનપુર તરફ જવા નીકળ્યા હતા. રાધનપુર માર્ગેથી ભાગ્યા હતા. પોલીસનું વાહન ચેકીંગ શરૂ થશે તેવી જાણ હોવાથી હાઈવે તરફથી જવાની જગ્યાએ બંનેને ગુગલ મેપ પર લોકેશન અને રૂટ મોકલવામાં આવ્યો હતો. તે રૂટ પરથી અંદર અંદરના ગામડાના રસ્તાઓમાં થઈ પાલનપુર પહોંચ્યા હતા. જ્યાં બાઈક મૂકી અને આબુ રોડ ગયા હતા. આબુ રોડથી તેઓ ટ્રેનમાં બેસી મુંબઈ ગયા હતા. બાદ શાર્પશૂટરો  પછી ત્યાંથી રાધનપુર-પાલનપુર તરફ થઈ આબુથી પૂણે ટ્રેનમાં પહોંચી ગયા હતા. પોલીસ તપાસ અને તેમનું નામ જાહેર થયું હોવાનું ખબર પડતાં બે વખત કુંભ મેળામાં અને વૈષ્ણોદેવી મંદિર પણ ગયા હતા.

ઓળખ છુપાવવા માટે કુંભના મેળામાં શશીકાંતે માથામાં મુંડન કરાવી ને મુછો કાઢી નાખી હતી

હત્યાનું આયોજન સફળ કરવા અને સંપર્કમાં રહેવા માટે છબીલ પટેલે બન્ને શાર્પ શૂટરોને મોબાઈલ આપ્યા હતા. જે મોબાઈલ હત્યારાઓએ હત્યા બાદ તોડીને ફેંકી દીધા હતા.

ઘટનાનું રીકંસટ્રક્શન કરાયું

ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જર તથા ટીટીની પોલીસે પૂછપરછ કરી હતી. ટ્રેનના ટીટી તથા અન્ય મુસાફરોએ હત્યારાઓને ભાગતા જોયા હોવાનું ખૂલ્યું હતું. ચેઈનપુલીંગ બાદ કેટલાક શખ્સો દરવાજા તરફ દોડ્યા હોવાનો અવાજ ટીટી અને મુસાફરોએ સાંભળ્યો હતો. કચ્છના એક ઉદ્યોગપતિની પૂછપરછ કરી હતી. તેમજ ગાંધીધામ રેલવે સ્ટેશન ઉપર પણ તપાસ કરી હતી. ભાનુશાળી જે કોચમાં મુસાફરી કરતા હતા તેનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. પોલીસે હત્યાના 36 કલાક બાદ વધારે પુરાવા એકત્ર કરવા માટે હત્યાના સ્થળ રેલમાં રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ભાનુશાળી ટ્રેનમાં કચ્છથી અમદાવાદ આવતા હતા. ત્યારે ચાલુ ટ્રેનમાં હત્યા કરાઈ હતી. હત્યા પહેલા ટ્રેન ક્યાં ક્યાં રોકાઇ હતી, તેની તપાસ કરી હતી. તેમજ નજીકના રેલ્વે સ્ટેશનના ફુટેજ મેળવવા માટે પ્રયાસ કર્યા હતા.

એક માત્ર સાક્ષી

ટ્રેનમાં કોચમાં પ્રવાસ કરનાર પવન મોરે એક માત્ર સાક્ષી હતા. જેણે આરોપીને જોયા હતા. સ્કેચ આર્ટિસ્ટની મદદથી પવનના વર્ણનના આધારે સ્કેચ બનાવવાનો પ્રયાસ કર્યા હતા. ઓળખ પત્ર માંગતા પવન મોરેએ મોબાઈલ ફોનમાં આધારકાર્ડ બતાવ્યું હતું. તેના વોટ્સએપ પર લાસ્ટ સીન 12.47 હતું. અગાઉ પવન મોરેએ પોલીસને જણાવ્યું હતું કે, 11.30 કલાક સૂઈ ગયો હતો. લગભગ 1.30 કલાકે ઉઠીને ટોયલેટ ગયો હતો. આમ પોલીસે તેનું જુઠ પકડી લઈને પૂછપરછ કરી હતી. જેમાં પોલીસને કેટલીક નક્કર માહિતી મળી હતી.

ભાજપના નેતા છબીલ પર ભીંસ

ભાનુશાળીની હત્યા બાદ મસ્કત ભાગી ગયેલા અને ઓડિયો ટેપમાં પોતે નિર્દોષ હોવાનો તથા કાવતરાનો ભોગ બનાવ્યા હોવાનો દાવો કરનારા છબીલ પટેલનું નામ મુખ્ય આરોપી તરીકે જાહેર થયું છે.  છબીલ પટેલની ધરપકડ માટે ચોતરફથી ભીંસ વધે તે નક્કી છે.

રેડ કોર્નર નોટિય ઈશ્યુ થશે

ભાગેડુ જાહેર કરાયેલા છબીલની વિરૂધ્ધ  રેડ કોર્નર નોટિસ ઈશ્યુ કરાશે. છબીલ પટેલની ધરપકડ માટે વોરન્ટ પણ ઇસ્યુ કરવાની કાયદાકિય પ્રક્રિયા આગળ ધપાવી દેવાઇ છે. વોરન્ટ ઇસ્યુ થયા બાદ છબીલ પોલીસ સમક્ષ હાજર નહીં થાય તો તેની સંપત્તિઓ ટાંચમાં લેવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં ભાજપના જ પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની સંડોવણી સામે આવતા પાર્ટીએ તેમને પ્રાથમિક સભ્ય પદેથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા. ચકચારી હત્યા કેસમાં ભાજપના જ પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની સંડોવણી સામે આવતા ભાજપએ ગંભીર નોંધ લીધી છે.

કુલ 4ની ધરપકડ

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં અત્યાર સુધી 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ રાહુલ અને નીતિન પટેલની ધરપકડ કરી હતી. ગઇકાલે બે શાર્પશુટરોની પણ ધરપકડ કરવામાં આવી છે. રાહુલ અને નીતિને શાર્પશુટરોને મદદ કરી હતી.

પોલીસ સામે શંકા અને સામસામે ફરિયાદ

કચ્છ લડાયક મંચ દ્વારા પત્ર લખીને ડીજીપીને રજૂઆત કરવામાં આવી હતી કે પોલીસની કામગીરી શંકાસ્પદ છે. સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની તપાસ પર સવાલ ઉઠાવામાં આવ્યા હતા. પોલીસ અંગત અદાવત, જમીન વિવાદ અને પૈસાની લેવડ-દેવડના કારણે હત્યા કરવામાં આવી હોય તેવુ માની રહી હતી.

ભાનુશાળી હત્યાકાંડના મુળ કારણો અને પડદા પાછળના ચહેરાઓ

રાજકીય દુશ્મની

જયંતી ભાનુશાળીની હત્યા થઈ ત્યારથી જ ભાનુશાળીના પરિવારજનોએ છબીલ પટેલ પર આંગળી ચીંધવા માંડી હતી.  હત્યાને અંજામ આપનારા ઘણા બધા રાજકીય ઘટનાક્રમ છબીલ પટેલ અને જયંતી ભાનુશાળી વચ્ચે સર્જાયા હતા. કેમકે છબીલ પટેલ કોંગ્રેસમાં હતા. ત્યારે ભાનુશાળીના રાજકીય હરિફ હતા. છબીલ પટેલ ભાજપમાં જોડાયા તો ભાનુશાળીની ટિકિટ કપાઈ હતી. તે ધારાસભ્ય ન બન્યા તેનો વસવસો હતો. તેથી તેણે છબીલને હરાવ્યો હતો. છબીલ પટેલને ભાજપમાંથી ટિકિટ મળતા બન્ને દુશ્મન બન્યા હતા. બન્ને નેતાઓ એકબીજાની રાજકીય કારકિર્દી ખતમ કરવા માગતા હતા.

છબીલ પટેલ સામે બળાત્કારની ફરિયાદ

જયંતિનું રાજકારણ પૂરું કરવા માટે છબીલ પટેલ દ્વારા એક યુવતીને તૈયાર કરી દુષ્કર્મનો કેસ જયંતિ ભાનુશાળી વિરુદ્ધ કરાવ્યો હતો. કેસ થતા જયંતિ ભાનુશાળી છબીલ પટેલના શરણે આવી ગયો હતો. સમાધાનની શરત પ્રમાણે કાયમ માટે રાજકારણ છોડી દેવાની ભાનુશાળીએ ખાતરી આપી હતી. સમાધાન ખરેખર સમાધાન નહોતું. જયંતિ ભાનુશાળી સામેની ફરિયાદ રદ થયા પછી જયંતિ ભાનશાળીએ નવો દાવ ખેલ્યો હતો. છબીલ પટેલ સામે દિલ્હીમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી. જેના કારણે છબીલ પટેલને દિવસો સુધી ભાગતા રહેવું પડ્યું હતું. આ ઘટના પછી છબીલ પટેલે નક્કી કર્યું હતું કે તે હવે જયંતિને જીવતો રહેવા દેશે નહીં અને ત્યારે હત્યા કરવાનો મનસૂબો બનાવી લીધો હતો.

ભાનુશાળીની દુશ્મન બનેલી સ્ત્રીમિત્ર મનીષાનો છબીલ પટેલે સાથ લીધો

છબીલ પટેલે બદલો લેવા માટે સાબરમતી જેલમાં રહેલી ભાનુશાળીની દુશ્મન બનેલી સ્ત્રીમિત્ર  મનીષા ગોસ્વામીનો સંપર્ક કર્યો હતો. જયંતિના ખોટા ધંધા અને કાળા કરતુતોની તમામ માહિતી મેળવી હતી. છબીલે આ બદલામાં મનીષાના જામીન થાય તે માટે મદદ પણ કરી હતી.મનીષા ગોસ્વામી દ્વારા ભાનુશાળી પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ. ફરિયાદ પાછળ છબીલ પટેલનો હાથ હોવાની ભાનુશાળીને શંકા ગઈ હતી અને મનીષા ગોસ્વામી સામે ભાનુશાળીએ બ્લેકમેઈલિંગની ફરિયાદ કરી હતી. આથી મનીષા અને છબીલ પટેલે શાર્પ શૂટરની મદદથી ભાનુશાળીને ખતમ કરવાનો પ્લાન ઘડ્યો હતો

જયંતી ભાનુશાળી સામે ગંભીર ગુના

જયંતી ભાનુશાળી સામે આજ સુધી ત્રણ યુવતીએ ફરિયાદ કરી હતી. જે છબીલ પટેલે કરાવી હોવાનું તેઓ માનતાં હતા. અમદાવાદ તથા નલિયા કાંડમાં તેની સામે શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. સુરતની યુવતીએ ફરિયાદ પરત ખેંચી હોવાથી તેમનો બચાવ થયો છે. આવી માનસિકતા ધરાવતા નેતાને જે રીતે ભાજપ સાચવી રહ્યો હતો તે પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે, જયંતી ભાનુશાળી પાસે ભાજપના ટોચના નેતાની ચાવી હતી. એ ચાવી કઈ છે તે આ બચાવનામા પરથી ખ્યાલ આવે છે. વાપી, નડિયાદ, સુરત, નલિયા, અમદાવાદમાં દુષ્કર્મની સળંગ ઘટના બની અને હવે એક 21 વર્ષની વિદ્યાર્થિની પર ભાજપના ઉપપ્રમુખ જયંતી ભાનુશાળીએ અમદાવાદમાં ગુજારેલા બળાત્કાર અંગે ફરિયાદ કરી હતી. આ પ્રકરણ પણ નલિયાકાંડ કરતાં પણ વધુ વ્યાપક નીકળે એવું લાગી રહ્યું હતું.

ભાનુશાળીને પક્ષના નેતાઓ બચાવતા હતા

અમદાવાદના નરોડા વિસ્તારમાં જ્યારે જયંતિ ભાનુશાળી બારદાનનો ધંધો કરતા હતા. 2007મા જયંતિ ભાનુશાળીને ભાજપે અબડાસાની વિધાનસભાની ટિકિટ આપી હતી. ગંભીર આક્ષેપો થયા હોવા છતાં પણ પાર્ટીના નેતાઓ એવું કહ્યું હતું કે, જયંતિ ભાનુશાલી ભાજપમાં જ રહેશે. ભલે એમણે રાજીનામું આપ્યું હોય. જ્યાં સુધી એ દોષિત સાબિત થાય ત્યાં સુધી તે ભાજપમાં રહેશે.

રાજીનામું માંગી લેવાયું

ભાજપના રાષ્ટ્રીય નેતાની સાથે ભાનુશાળીને સારા સંબંધો હોવાથી તેને પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ બનાવાયા હતા. જો કે યુવતીના ગંભીર આરોપ પછી જયંતિ ભાનુશાળીએ પોતાને નિર્દોષ ગણાવીને પ્રદેશ પ્રમુખને રાજીનામું મોકલી આપ્યું હતું. ભાજપની બદનામી રોકવા માટે તેમનું રાજીનામું માંગી લેવામાં આવ્યું હતું.

સેક્સ સીડી બનાવી કરોડો કમાયા અને મનીષા ભડકી

રાજકારણમાં મહત્વના પદો પર પહોંચવા, ગાંધીનગરમાં મહત્વનું ખાતું તેઓ મેળવીને પ્રધાન બનવા માંગતા હતા. સત્તા અને શ્રીમંત થવાની દોડમાં ભાનુશાળીએ રાજકીય નૈતિકતા નેવે મૂકી હતી. વાપીની સ્ત્રી મિત્ર મનીષા ગોસ્વામીની મદદ લઇ અનેક અધિકારીઓ અને રાજનેતાની સીડીઓ બનાવી હતી અને કરોડો રુપિયા કમાયા હતા. ત્યારબાદ જો કે પોતાનો ઉપયોગ કરી ભાનુશાળી કરોડો કમાયા હતા. જેમાં થોડો ભાગ મળે એવું મનીષા માનતી હતી. તેથી  મનીષાએ ભાનુશાળીના ભત્રીજા સુનિલની સીડી બનાવી રુ.દસ કરોડ જેટલી મોટી રકમ માંગી હતી.