
ભાવનગર.તા:૧૮
પ્રજાના પ્રશ્ને કામ કરવાને બદલે લોકોને ઉત્સવમાં રાખવામાં માહિર સરકાર હવે ભાવનગરમાં ત્રણ દિવસ જન્માષ્ટમીનો મેળો કરવા જઈ રહી છે, શનિવારે આ અંગે જાણકારી આપવા મંત્રી વિભાવરી દવેએ બોલાવેલી પત્રકાર પરિષદમાં પત્રકારોએ રાઈડઝને કલેકટર દ્વારા મંજુરી આપવામાં આવી નથી તેવો પ્રશ્ન કરતા મંત્રીએ મંજુરી આવી જશે તેમ કહી રાઈડઝના માલિક દ્વારા દોઢ કરોડનો વિમો લેવામાં આવ્યો હોવાનો જવાબ આપ્યો હતો.
કલેકટરનો મંજુરી માટે ઈન્કાર
રાજયના વિવિધ વિસ્તારમાં ચાલતી રાઈડઝના પરવાના અંગે તંત્ર બેદરકાર હોવાને કારણે એક મહિના પહેલા જ અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં રાઈડઝ તુટી પડી હતી જેના પગલે રાજયની તમામ રાઈડઝને બંધ કરી દેવાનો આદેશ આપ્યો હતો, ખાસ કરી મેળામા આ પ્રકારની રાઈડઝનો ઉપયોગ થાય છે. જેમાં પણ તંત્ર દ્વારા મંજુરી આપવામાં આવી રહી નથી. શ્રાવણ માસ દરમિયાન સૌરાષ્ટ્રમાં આ પ્રકારના અનેક મેળાઓ થાય છે જેમાં ધંધુકા અને રાજકોટમાં થનાર મેળામાં રાઈડઝને મંજુરી આપવાનો કલેકટર દ્વારા ઈન્કાર કરી દેવામાં આવ્યો છે. તેવી જ રીતે પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના કલેકટર હર્ષદ પટેલે પણ મંજુરી આપવાની ના પાડી છે.
મંજુરી વગર રાઈડઝ મુકવામા આવી રહી છે
જો કે ભાવનગરમાં તા 23થી 25 ઓગષ્ટના રોજ જવાહર મેદાનમાં યોજાઈ રહેલો જન્માષ્ટમી લોકમેળામાં વિવિધ પ્રકારની રાઈડઝ પણ મુકી દેવામાં આવી છે. આ બધી રાઈડઝ સ્થાનિક કક્ષાએ દેશી કારીગીરોએ તૈયાર કરી છે, આ રાઈડઝ બનાવનાર અને તેને ચલાવનાર કોઈ તાલીમ પામેલા એન્જીનિયર નથી, આમ છતાં પ્રજા માટે અમે ઘણુ કરીએ છીએ તેવુ બતાડવા માટે વિભાવરી દવે દ્વારા આ મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે, વિભાવરી દવેનો દાવો છે કે આ મેળો તંત્ર દ્વારા નહીં પણ ભાજપ દ્વારા થઈ રહ્યો છે જયારે ભાવનગરમાં લાગી ચુકેલા હોર્ડીંગમાં યુવક સેવા અને સાંસ્કતિક વિભાગ અને વિભાવરી દવેના નામનો ઉલ્લેખ છે, આમ એક તરફ રાજય સરકાર રાઈડઝ ઉપર પ્રતિબંધ મુકે છે ત્યારે બીજી તરફ રાજય અને મંત્રી પ્રેરીત મેળામાં મંજુરી વગર રાઈડઝ મુકવામાં આવી રહી છે.
મેળાનું ઉદ્ઘઘાટન ભાજપ પ્રદેશ અધ્યક્ષ કરશે
શનિવારે મંત્રી વિભાવરી દવે દ્વારા યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં જયારે રાઈડઝની મંજુરી અંગે પ્રશ્ન ઉપસ્થિત કર્યો ત્યારે તેમણે મંજુરી મળી જશે તેવુ જણાવી, રાઈડઝ સંચાલક દ્વારા દોઢ કરોડનો વિમો લીધો છે તેવુ જણાવ્યુ હતું આમ લોકોના જીવ કરતા વિમો કેટલો મોટો છે તેની જાહેરાંત મંત્રીએ કરી હતી, આ મેળાનું ઉદ્દઘાટન ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી કરવાના છે જયારે રાજયના મંત્રી મંડળના સભ્ય ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને કુવરજી બાવળીયા સહિત કેન્દ્રીય નેતા મનસુખ માંડવીયા અને પુરૂષોત્તમ રૂપાલા પણ આવવાના છે.
કલેકટર અને મંત્રીએ જવાબ જ આપ્યો નહીં.
મેળામાં રાઈડઝને મંજુરી મળી છે કે નહીં આ બાબતને સત્તાવાર રીતે જાણવા માટે ભાવનગરના કલેકટર હર્ષદ પટેલના સરકારી નંબર 9978406202 ઉપર ફોન કરવામાં આવતા તે નો રીપ્લાય થયો જયારે મંત્રી વિભાવરી દવેનો પણ તેમના સરકારી નંબર 9978407683 ઉપર ફોન કર્યો ત્યારે તે પણ કાયમ પ્રમાણે નો રીપ્લાય થયો., કલેકટર અને મંત્રી બંન્નેને મંજુરી આપવા અંગે પ્રશ્નનો મેસેજ કરવામાં આવ્યો આમ છતાં તેમના તરફથી મેસેજનો જવાબ પણ મળ્યો નથી. સામાન્ય રીતે આ પ્રકારના સમાચાર પ્રસિધ્ધ થયા બાદ સંબંધીત અધિકારી મંત્રી ખુલાસાઓ મોકલે છે પરંતુ સમાચાર પ્રસિધ્ધ થતાં પહેલા જયારે તેમનો મત જાણવા પ્રયત્ન થાય ત્યારે તેઓ સંપર્ક ટાળે છે.
ગુજરાતી
English



