પાટણથી અઘાર સુધી ફોરલેન નવીન હાઇવે બનાવવા માટે હાઈવેની બન્ને સાઈડ ઉભા વર્ષો જુના લીલાછમ વૃક્ષો કાપવાનું શરૂ કરાતા પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક ગ્રામજનોએ વૃક્ષોના ભોગે વિકાસ નહિ, તેવી માંગ સાથે કામગીરી અટકાવી દીધી અને જીવનના ભોગે વૃક્ષો કાપવા દેવાશે નહીં તેવી ચીમકી આપતા તંત્રએ હાલમાં વૃક્ષો કાપવાની કામગીરી અટકાવી દીધી છે. પાટણને જોડતા ત્રણ ફોર લેન હાઇવે બનાવવા માટે કુલ 7709 વૃક્ષો કાપવા માટે મંજૂરી અપાઈ છે.
પાટણથી અઘાર ગામ સુધી 5 કિમિનો નવીન ફોરલેન હાઇવે અંદાજે 9 કરોડના ખર્ચે મંજુર થયો છે. ટેન્ડર પ્રકિયા પૂર્ણ થયા બાદ આ રસ્તા પર આવેલ અંદાજે 100 વર્ષ જુના 500થી વધુ લીલાછમ લીમડા અને અન્ય વૃક્ષો ફોરલેન હાઇવે બનાવવામાં નડતર રૂપ હોય સરકાર દ્વારા વિકાસનાઓથા તળે વૃક્ષો કાપવા મંજૂરીની મોહર મારી દીધી છે. ત્યારે સોમવારના રોજ કોન્ટ્રાકટરના માણસો દ્વારા અઘાર ગામ નજીક પેટ્રોલ પંપની સામે બે લીલાછમ લીમડા કાપી નાખ્યા હતા અને ત્યારબાદ અન્ય લીમડા કાપતા સ્થાનિક લોકો દ્વારા પર્યાવરણ પ્રેમી નિલેશ રાજગોરને જાણ કરતા તેઓ અન્ય પર્યાવરણ પ્રેમીઓ સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને તેમની સાથે સ્થાનિક ગ્રામજનોએ મળી વૃક્ષો કાપવા સામે ભારે રોષ વ્યક્ત કરી વૃક્ષો કાપવાની કામગીરી અટકાવી હતી. જેને લઇ આરએનબી અને ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, ત્યારે પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિકો દ્વાર સખ્ત વિરોધ કરતા અંતે ઝાડ કાપવાની કામગરી અટકાવી ટીમ પરત ફરી હતી.
અઘાર ગામ નજીક બે લીમડાના વૃક્ષો કાપી નાખતા પર્યાવરણ પ્રેમીઓએ રોષ વ્યકત કરી કામગીરી અટકાવી હતી. હારીજ પાટણ બીલીયા હાઈવે પર 4997, પાટણ ઊંઝા હાઈવે પર 2440, પાટણ ડીસા હાઈવે પરથી 272 લીલાછમ વૃક્ષો કાપવા માટે પાટણ વન વિભાગ દ્વારા ગાંધીનગર વન વિભાગની વડી કચેરીએ દરખાસ્ત કરવામાં કાપવા માટે મંજૂરી આપવામાં આવી છે. અઘાર પાસે લોકોએ વિરોધ દર્શાવ્યો છે. કોઈ સંઘર્ષ ના થાય માટે હાલ કામગીરી અટકાવી છે. તેઓની માંગણી અને રજૂઆત આવશે તો તેમની સાથે ચર્ચા કરી યોગ્ય નિરાકરણ લાવીશું તેવું જિલ્લા વનવિભાગ અધિકારી જે.જે. રાજપૂતે જણાવ્યું હતું.
વૃક્ષો અમારા ગામ માટે ઘરેણાં સમાન છે
અઘાર ગામના ઠાકોર લેબાજીએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે, વર્ષોથી આ હાઇવે પર વૃક્ષો ઉભા છે, જે અમારા ગામ માટે ઘરેણાં સમાન છે, સરકારને રોડ બનાવો હોય તો બનાવે પણ વૃક્ષો કાપીને નહીં અમે સ્થાનિકો વૃક્ષો કાપવા આવશે તો આડા ઉભા રહીશું અને વૃક્ષો કાપતા પહેલા અમને કાપવા પડશે.
વૃક્ષોને કાપ્યા વિના ડિવાઈડર રાખીને બનાવે : નિલેશ રાજગોર
આર્યવર્ત નિર્માણ ટ્રસ્ટના પ્રમુખ નિલેશ રાજગોરે જણાવ્યું હતું કે, સરકાર એક બાજુ વૃક્ષો ઉગાડવા માટે કરોડો રૂપિયા વાપરી રહી છે, ત્યારે બીજું બાજુ વૃક્ષો બચાવવાના બદલે કાપવા મંજૂરી આપી રહી છે. આ રસ્તા પર વર્ષો જૂના ઝાડ કાપવાનું શરૂ કર્યુ છે. અમે જીવનના ભોગે પણ વૃક્ષો કાપવા દઈશું નહીં તંત્ર અને સરકારને હાઇવે બનાવો હોય તો આ વૃક્ષોને કાપ્યા વિના ડિવાઈડર વચ્ચે રાખીને બનાવે તે માટે અમે કલેકટર અને સરકારને ગ્રામજનો સાથે મળીને રજૂઆત કરીશું.