[:gj]GSFCના MD મુખ્ય સચિવને ખાતર કૌભાંડનો અહેવાલ આપશે[:]

[:gj]ખાતરમાં ઓછા વજન મામલે 2 દિવસમાં થયેલી તપાસનો રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. મુખ્ય સચિવ જે. એન સિંહ આજે સાંજે GSFCનાં MDની મુખ્યસચિવ સાથે બેઠક થશે. GSFCના MD આ અંગેનો વિસ્તૃત અહેવાલ રજૂ કરશે. રાજકોટનાં ડેપો મેનેજરે આ અંગે કહ્યું કે, ‘રાજકોટ બેડી યાર્ડમાં ખાતરનું વેચાણ આજે પણ બંધ રહેશે. વેચાણ કેન્દ્ર ખુલ્લા છે પણ વેચાણ બંધ છે. ઉપરથી આદેશ આવ્યા બાદ જ વેચાણ શરૂ કરવામાં આવશે.’

મગફળી, તુવેરકાંડ અને હવે ખાતરની બેગમાં વજન ઓછું આપવાનું કૌભાંડ બહાર આવતા સરકારને તાત્કાલિક તપાસ હાથ ધરવાની ફરજ પડી હતી. સમગ્ર કૌભાંડ જૂનાગઢ જિલ્લામાંથી બહાર આવ્યું હતું.

ખાતરની થેલીઓમાં વજન કરતા ઓછો જથ્થો હોવાની સમગ્ર રાજયમાં બુમરાણ મચી છે. જે બાદ મુખ્ય સચિવ ડો. જે.એન. સિંહે રાજ્યમાં જીએનએફસી અને જીએસએફસીનાં મેનેજિંગ ડિરેક્ટરને આ ખાતર વેચાણ બે દિવસ એટલે કે શનિવાર અને રવિવાર સુધી બંધ રાખવા સુચના આપી હતી. જો કે સરકાર દ્વારા કરાયેલા વજનમાં પણ ઓછું વજન આવતા બજારમાં વેચાણ માટે મુકાયેલા જથ્થાને પાછો ખેંચવાનું નક્કી કર્યું હતું. જયાં સુધી નવો જથ્થો બજારમાં મૂકી ન શકાય ત્યાં સુધી અચોક્કસ સમય મર્યાદા માટે ખાતરનું વેચાણ બંધ રહેશે તેવું પણ નક્કી કરવામાં આવ્યું હતું. દરમ્યાન, આજે વડોદરામાં આ અંગે વિરોધ કરતાં કોંગ્રેસનાં 40 કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે.

‘ખેડૂતોને વળતર આપો’

કોંગ્રેસનાં ધારાસભ્ય હર્ષદ રિબડિયા સચિવાલયમાં પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે આ અંગે પોતાનો રોષ જાહેર કરતાં કહ્યું કે, ‘હું આજે દોઢ વર્ષ પહેલાની ડીએપી ખાતરની થેલી લઇને આવ્યો છું, તેમાં 600 ગ્રામ વજન ઓછું આવ્યું છે. જ્યારે દોઢ વર્ષ પહેલાની થેલીમાં પણ વજન ઓછું છે તો આ વજન ઘટ્ટનું કૌભાંડ કેટલાય વર્ષોથી ચાલતું હશે તે તપાસનો વિષય છે. હું જે થેલી લાવ્ચો છું તેને ઉંદર કે નોળિયાએ કોતરી નથી. તો છેલ્લા પાંચ વર્ષથી જે ખાતરની થેલીઓમાં કૌભાંડ છે તેમાં ખેડૂતોને વળતર મળે.’

ખાતરની થેલી પર છપાયેલ તારીખ

 [:]