મારા દિકરા જેવા કોંગ્રેસના કાર્યકરોની ટિકિટ કાપી છે, તેથી રાજીનામું આપવા માંગતો હતો -ભીખાભાઈ

જુનાગઢ મહાનગર પાલિકામાં ભાજપને હરાવવા માટે અમે છેલ્લાં દોઢ વર્ષથી સતત કામ કરી રહ્યાં હતા. ધારાસભ્ય ચૂંટાયા પછી શહેર પ્રમુખ પદે વિનુભાઈની નિમણૂક અપાવી, અમે બાપ દિકરા તરીકે કામ કરીને જૂનાગઢ મહાનગર પાલિકામાં ચૂંટાડવા માટે સતત પ્રયાસો કર્યા હતા. કાર્યકરોએ રાતદિવસ મહેનત કરી છે. પક્ષે નિરીક્ષકો સાથે ચર્ચા કરીને મારે પણ મેયર તરીકે ફોર્મ ભરવાનું નક્કી થયું હતું. નિરિક્ષકોએ અમે આપેલા નામો નકકી કરી લીધા અને તે જ નામો જાહેર કરવાના હતા. પણ રાતોરાત ઊમેદવાર બદલી નાંખવામાં આવ્યા હતા. અમને અંધારામાં રાખવામાં આવ્યા હતા. મારી સાથે કોંગ્રેસના નેતાએ રમત કરી છે. 25 વર્ષના રાજકારણમાં આવું તો ક્યારેય થયું નથી. મેં ભાજપનો ગઢ તોડી નાંખ્યો છતાં કોંગ્રેસ મને તોડી રહી છે.

જુનાગઢમાં મારા કાર્યકરોને ટિકિટ આપવાના બદલે હારે એવા કાર્યકરોને ટિકિટ આપી છે. જીતે તેમ હોય અને પક્ષને ફાયદો થતો હોય અને મારી અવગણના કરે તો તેનો મને કોઈ વાંધો ન હોય પણ હારે એવા ઉમેદવારો ન મૂકવા જોઈએ. તેથી હું ધારાસભ્ય પદે રાજીનામું આપવા માંગતો હતો. કારણ કે મારા દિકરા જેવા કોંગ્રેસના કાર્યકરોની ટિકિટ કાપી છે.

વિનુભાઈએ રાજીનામું આપી દીધું છે. હજી કોંગ્રેસના નેતાઓમાં સદબુદ્ધિ હોય તો વિનુભાઈને સમજાવીને રાજીનામું પરત મંજૂર ન કરે અને પ્રમુખ તરીકે ચાલુ રાખે. ટીમ વર્કથી કામ કર્યું છે.

દલિતને ત્યાં લગ્ન હોય અને આમંત્રણ આવે એટલે અવશ્ય જાવ છું. લોકો મને પસંદ કરે છે.  કોંગ્રેસ સાથે વાતચીત કરી લીધી છે. હવે પક્ષ સાથે વાત કરવાનો અર્થ નથી. મને અન્યાય થયો છતાં પ્રજાને કહું છું કે જુનાગઢમાં કોંગ્રેસને મત આપજો. કારણ કે મારા કાર્યકરો મારા દિકરા છે. બધાની ઈચ્છા હતી કે મને મેયર બનાવવો. પણ પક્ષના નેતાઓ તો ચૂંટણી હારવા બેઠા છે.

કોંગ્રેસના કારાવદરાએ ભાજપ પાસેથી પૈસા લઈને વિધાનસભાની ચૂંટણીમાં મને હરાવવા કામ કર્યું હતું. છતાં કોંગ્રેસે તેને ટિકિટ આપી છે. હું તો વ્યક્તિ છું. કોંગ્રેસ અહીં જીતતી હતી. તે તોડી છે. વિનુભાઈને પ્રમુખ તરીકે ચાલુ રાખવામાં આવે તો કોંગ્રેસ જીતે તેમ છે. સ્થિતી હજુ બગડી નથી સુધરી શકે તેમ છે. વાત બગડી નથી. હું પક્ષને નુકસાન કરવા માંગતો નથી. મેં પક્ષને કહ્યું છે. હવે પ્રદેશે કરવાનું છે.

પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં જૂથવાદ સપાટી પર આવ્યો છે.ધારાસભ્ય ભીખાભાઈ જોશીના સમર્થકો મિટીંગમાંથી અધવચ્ચે જ જતા રહ્યા હતા. જૂનાગઢની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે સર્કિટ હાઉસ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો હતો પ્રથમ બેઠકમાં જ કોંગ્રેસનો જૂથવાદ સામે આવ્યો હતો.

જેમાં પ્રદેશના નિરીક્ષકો બ્રિજેશ મેરજા હેમાંગ વસાવડા અને એમ.એ. બ્લોચ ની હાજરીમાં જૂનાગઢ ના કોંગ્રેસના આગેવાનો અને ધારાસભ્ય અને પ્રદેશ નિરીક્ષકો વચ્ચે બેઠક ચાલતી હતી તેવામાં મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા કેપ્ટન સતીષ વીરડા અને તેના સમર્થકો આવતા ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને તેના સમર્થકો મીટીંગ હોલમાં થી બહાર નીકળી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને તેના સમર્થકો અલગ એક હોલમાં બેસી ગયા હતા બાદમાં આ અંગે પ્રદેશ નીરક્ષકે જણાવ્યું હતું કે દરેક પાર્ટીઓમાં વિચાર ભેદ હોય છે અને તે ચૂંટણી પહેલા નિરાકરણ થઈ શકશે અને જુથવાદ હોવાનો આડકતરી રીતે સ્વીકાર પણ કરી રહ્યા છે.