એક તરફ જ્યારે અનેક જગ્યાએ દલિત યુવાનોના વરઘોડા રોકવામાં આવી રહ્યા છે અને રોજબરોજ જાતી-જાતી વચ્ચે ઘર્ષણ વધી રહ્યું છે ત્યારે બીજી તરફ ભાવનગર જિલ્લાના એક ગામમાં રાજપુતોએ સામે ચાલીને પોતાનો ઘોડો દલિતોને વરઘોડા માટે આપ્યો સાથે દલિતોના પ્રસંગમાં સામેલ પણ થયા અને વરઘોડો કાઢવામાં મદદ પણ કરી.
સમરસતાનો આ પ્રસંગ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના વેળાવદરમાં સામે આવ્યો છે. ગારિયાધારથી જિગ્નેશ ડી. વરઝારાની જાન લઇને વેળાવદર આવેલા દિનેશભાઇ અંજારીયાએ ફોન પર દિગરાજસિંહ ગોહિલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે ગારિયાધારથી જાન લઇને વેળાવદર જવાના હતા, વેળાવદરમાં રાજપુતોની વસતી આશરે 150 ઘર જેટલી છે જ્યારે 200 ઘર પટેલ સમાજના છે. દલિતો વસતી 10 ઘર જેટલી બહુ જ ઓછી છે.
દિનેશભાઇ જણાવે છે કે આ ગામના રાજપુતોને લગ્ન યોજાવાના હોવાની અમે જાણ કરતા તેઓએ અમને સામે ચાલીને પોતાનો ઘોડો આપ્યો. સાથે તેઓ લગ્ન પ્રસંગમાં અમારી સાથે પણ રહ્યા. ગામમાં અમે રાજપુત ભાઇઓની સાથે મળીને ડીજેના તાલે નાચતા નાચતા વરઘોડો કાઢ્યો, કોઇએ પણ અમને રોક્યા કે ટોક્યા નહીં, આ ગામમાં દલિતોના અગાઉ પણ વરઘોડા નિકળી ચુક્યા છે.
હું દિગરાજસિંહ ગોહિલ દરેક સમાજના લોકોને વિનંતી કરું છું કે કોઇનો વરઘોડો રોકીને હેરાન ન કરશો, લગ્નનો પ્રસંગ આ જુવાનીયાવ માટે જિંદગીમાં બહુ ખુશીની પળ હોય છે. તેને હેરાન કરીને પજવશો નહીં. ઉલટા જે રીતે વેળાવદર ગામના રાજપુતો આ લગ્ન પ્રસંગમાં સામેલ થયા અને દલિતોને મદદ કરી તેમ આવા સંજોગોમાં એકબીજાને મદદ કરતા રહો.
ગરીબી, બેરોજગારી, ખેડૂતોની આત્મહત્યા, પાક વિમા, ખાતર કૌભાંડ જેવા મુદ્દાઓમાં સરકાર સામે જનતા સવાલ કરી રહી છે, જેનાથી ધ્યાન ભટકાવવા માટે એક જાતીના લોકોનું બીજી જાતીના લોકો સાથે ઘર્ષણ થાય તેવુ જ આ સરકાર ઇચ્છી રહી હોય તેમ લાગે છે નહીં તો આ પ્રકારની ઘટનાઓને આગળ વધવા જ ન દેત. હજુ પણ સમય છે આવી કોઇ પણ ઘટનાને આગળ વધતી અટકાવો નહીં તો આવનારા દિવસોમાં આમ જ એકબીજાની સાથે લડતા રહેશો અને અંતે જેલમાં જશો, પરિણામ એ આવશે કે પરિવાર રજળી પડશે, બાદમાં તેની સંભાળ ન તો આ સરકાર લેશે ન તો અન્ય કોઇ…