શિપબ્રેકર્સ ઉપર હુમલાની ઘટનામાં વાઘાણીએ દાનસંગ મોરી સામે દાવ લીધો

અમદાવાદ, તા. 15

ભાવનગરના બુધેલ ગામમાં જહાજ ભાંગવાના વેપારી સાથે ટકરાવવાની બોલાચાલીમાં પૂર્વ સરપંચ દાનસંગ મોરી અને તેના સરપંચ ભત્રીજા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં વેરની વસુલાત અને ઊભા કરેલા વેરની વાતો બહાર આવી રહી છે.

આ ઘટના બાદ દાનસંગ મોરી સામે એક જૂથ વિરોધ કરી રહ્યું છે તો બીજી બાજુ ભાજપના પ્રદેશ પ્રમુખ સામે ભારે વિરોધ ઊભો થયો છે. નાની ઘટનાને વિરાટ સ્વરૂપ આપવા પાછળ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીનો દોરીસંચાર છે. જહાજના સામાનના વેપારીને માર મારવાના વિરોધમાં નીકળેલી રેલીમાં કોંગ્રેસના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ભાજપના અગ્રણીઓની ગેરહાજરી હતી. જ્યાં વેરના વાવેતર દેખાતા હતા. જ્ઞાતિ વાદ અને વેરની વસુલાતમાં ભાવનગર ભાંગીને ભુક્કો થઈ ગયું છે. અલંગમાં જહાજ ભાંગવામાં આવે છે અને ભાવનગરને ભાજપે ભાંગી નાંખ્યું

દાનસંગની દાદાગીરી

ભાવનગરની જહાજ ભાંગતી કંપની શ્રીરામ ગ્રૂપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના માલિક બટુકભાઈ પટેલ બુધવારે અલંગ જઈ રહ્યા હતા ત્યારે બુધેલ ચોકડી પાસે તેમની કારને ટક્કર મારવાના મામલે બુધેલના સરપંચ ભવાનીસંગ ભૂપતસંગ મોરી અને પૂર્વ સરપંચ દાનસંગ મોરી સાથે બોલાચાલી થઈ હતી. જેમાં ભવાનીસંગ અને દાનસંગ મોરી સહિતના શખ્સોએ બટુકભાઈના ડ્રાઇવર અને બટુકભાઈ તેમજ તેના ભાઈ મુકેશ પટેલ ઉપરાંત અગ્રણી જહાજ ભાંગવાના વેપારી જીવરાજભાઈ પટેલને માર માર્યો હતો.

પોલીસ નહીં કલેક્ટર

ભોગ બનનારા લોકો પોલીસ ફરિયાદ કરવાના બદલે પહેલા કલેક્ટરને રજૂઆત કરવા ગયા હતા. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો કનુ બારૈયા અને પ્રવીણ મારૂ ઉપરાંત શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી અને જિલ્લા પ્રમુખ પ્રવીણ રાઠોડ જોડાયા હતા. મોડી રાત્રે વરતેજ પોલીસ મથકમાં ભવાનીસંગ ભૂપતસંગ મોરી, દાનસંગ મોરી સહિત 14 જેટલી વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી. તેની પાછળ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો દોરી સંચાર હોવાનું ભાજપના સૂત્રો માની રહ્યાં છે.

જીતુ અને દાનસંગ વચ્ચે વેર

વર્ષ 2017ની  વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગૌચરની જમીનના મામલે દાનસંગ મોરી અને જીતુ વાઘાણી વચ્ચેનો વિવાદ ચગ્યો હતો. ચૂંટણી પૂર્વે દાનસંગ મોરીએ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી સામે છેડેલા જંગના લીધે જીતુ વાઘાણી સામે મુશ્કેલીઓ ઊભી થઈ હતી. જેના કારણે જીતુ વાઘાણીને વિધાનસભાની ચૂંટણી જીતવા માટે દાનસંગ મોરી સાથે સમાધાન કરવા અમિત શાહે ભાવનગર આવવું પડ્યું હતું. પ્રદેશ ભાજપ પ્રમુખ હોવા છતાં પોતાના મતવિસ્તારના સરપંચ સાથેનો વિવાદ દૂર કરવામાં જીતુ વાઘાણી નિષ્ફળ રહ્યા હતા. ત્યારથી અમિત શાહ જીતુ વાઘાણી પર ખફા છે.

હુમલા વિરોધી રેલીમાં ભાજપ ગેરહાજર

શ્રીરામ ગ્રૂપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના માલિક બટુક પટેલ, મુકેશ પટેલ તેમજ શિપબ્રેકર્સ એસોસિએશનના પૂર્વ પ્રમુખ જીવરાજ પટેલ ઉપર હુમલો કરવાની ઘટનામાં ભાવનગરમાં રેલીમાં  ઉદ્યોગપતિઓ, ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણીઓ સહિતના લોકો જોડાયા હતા. કોંગ્રેસના નેતાઓએ રેલીને સમર્થન આપ્યું હતું, રેલીમાં ભાજપના એક પણ આગેવાન જોડાયા ન હતા. જેથી સ્થાનિક ઉદ્યોગપતિઓમાં એવી પણ ચર્ચા ચાલી હતી કે, ભાજપના અગ્રણીઓને જિલ્લામાં કોઈ ઉદ્યોગ ચાલે કે બંધ થઈ જાય તેમાં જરા રસ નથી.

ત્રાસવાદથી ભાંગતું ભાવનગર

એશિયાનું સૌથી મોટું શીપ બ્રેકીંગ યાર્ડ, દેશનો હીરા ઉદ્યોગ સહિતના અનેક ઉદ્યોગો ધમધમતા હતા. પરંતુ સમયના ચક્રના ભરડામાં આ શહેરને નજર લાગી ગઈ હોય તેમ લુખ્ખાગીરી, કાયદાના રખેવાળોની લાચારીથી કંટાળી ભાવનગરમાંથી ચોક્કસ જ્ઞાતિના સમૃદ્ધ પરિવારો શહેર છોડીને દક્ષિણ ગુજરાતમાં હિજરત કરી ગયા છે. બાકી રહેલા લોકો ત્રાસવાદથી પીડાઈ રહ્યા છે.

વર્ગ વિગ્રહ, અસામાજિક તત્વો સામે પોલીસની રાજકીય કાર્યવાહી, પોલીસની રાજકીય ગુંડાઓને મદદ જેવી ભાવનગર વિરોધી પ્રવૃત્તિથી શહેરને જકડી રાખ્યું છે. કાશ્મીરના ત્રાસવાદ સામે બોલતાં કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ મૌન બનીને અસામાજિક તત્વો અને ભાજપને મદદ કરી રહ્યાં છે. કોંગ્રેસના લોકસભા હારી ગયેલા મનહર પટેલ બોલી રહ્યાં છે. તેમણે એક વિડિયો વાયરલ કરીને ભાજપના નેતા જીતુ વાઘાણી ભાવનગરને ભાંગવામાં એક માત્ર જવાબદાર હોવાનું જાહેર કર્યું છે.

રાજપુત અને વેપારીઓ સામ સામે

રાજપુતો અને વેપારી મહામંડળ આમને સામને આવી ગયા છે, આ કેસના મુખ્ય આરોપી રાજપુત આગેવાન દાનસંગ મોરી સામે ગુનો નોંધાવતા રાજપુત સમાજને રાજકીય બદલો માની રહ્યાં છે. ભાવનગર કલેક્ટર દ્વારા આ કેસના ફરાર આરોપીઓને ઝડપી લેવા એક ખાસ તપાસ ટીમની રચના કરવાની જાહેરાત કરી છે.

શું હતી ઘટના

કારની ઓવરટેક કરવાના મામલે ઝઘડો થયો હતો. આ ઘટના બુધેલ ગામની નજીક ઘટી હોવાને કારણે બુધેલ ગામના યુવાનો રસ્તા ઉપર દોડી આવ્યા હતા. અને સામાન્ય બોલાચાલીમાંથી શરૂ થયેલી વાત મારામારી સુધી પહોંચી હતી. જીવરાજ પટેલ ત્યાં પહોંચ્યા હતા અને તેમણે પોતાના ડ્રાઈવરને છોડાવવાનો પ્રયત્ન કરતા તેમની સાથે પણ મારામારી શરૂ થઈ હતી. જીવરાજ પટેલનો આરોપ છે કે દાનસંગ મોરી અને તેમના રાજપુત સાથીદારોએ માર માર્યો, કાર તોડી નાંખી અને ખીસ્સામાં રહેલી રોકડ લૂંટી લીધી હતી, આ ઘટનાની જાણકારી અલંગ પહોંચતા મોટી  સંખ્યામાં શીપબ્રેકરો ભાવનગર કલેક્ટર ઓફિસ દોડી આવ્યા હતા.

વેપારીઓ પરેશાન

વેપારીઓની માગણી હતી કે, દાનસંગ મોરી સહિત તમામની ધરપકડ થાય તેમજ તેમની સામે પાસા અને તડીપારની કાર્યવાહી કરવામાં આવે. જ્યારે ગુરૂવારના રોજ અલંગ શીપયાર્ડમાં પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે વેપારીઓએ બંધ પાળ્યો હતો અને એક વિશાળ રેલી ભાવનગરમાં નિકળી હતી. આરોપી સામે પાસાની કાર્યવાહી નહીં થાય તો તેમને ભાવનગરમાંથી હિજરત કરી જવી પડશે બીજી તરફ રાજપુત આગેવાનોનો દાવો છે કે મારા મારીની ઘટના ઘટી તે વાત સાચી છે.

રાજપુતોની સભા

રાજપુત સમાજ દ્વારા એક મીટીંગ બોલાવવામાં આવી છે. આ ફરિયાદ રાજકીય ઈશારે થઈ છે. હાલમાં આ મામલે તંગદીલી વ્યાપેલી છે. કારણ કે વેપારીઓ અને રાજપુતો લડી લેવાના મૂડમાં છે. ભાવનગરમાં ગુંડાગીરી વકરી છે. તેને રૂપાણી સરકાર કે વાઘાણી અંકૂશમાં લાવી શકતાં નથી. વેપારીઓ પર હુમલો કરનારાઓ સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી. ગુંડાગારીના કારણે વેપારીઓ ભાવનગરથી હિજરત કરીને બહાર જઈ રહ્યાં છે. વિશ્વનો સૌથી મજબૂત જહાજ ભાંગવાનો અને પ્લાસ્ટિક ઉદ્યોગ ભાંગી ગયો છે.