ગાંધીનગર, તા.૦૭
ગાંધીનગર ખાતે એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આ વર્ષે ૯ હજાર કરોડથી વધુની કિંમતના મગફળી અને કપાસ સહિતના પાકોનો ટેકાના ભાવે ખરીદી કરી છે. આ વર્ષે પણ મગફળીને ૧૦૦૦ રૂપિયાના ટેકાના ભાવે ખરીદવાનું આયોજન કરાયું છે.
નવમાં એગ્રી એશિયા ટેક પ્રદર્શનના ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યની સરકારે ખેડૂતોને લંગડી વિજળીમાંથી મુકિત આપી છે. જ્યોતિગ્રામ યોજના અને હવે સૂર્ય ઊર્જાથી પોતાના ખેતરમાં સૌર વીજળી પેદા કરી શકે તેવો ઊર્જાવાન કિસાન સરકારે બનાવ્યો છે તેમ પણ તેમણે કહ્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા રૂ. ૯ હજાર કરોડથી વધુની કિંમતના પાકોની ટેકાના ભાવે ખરીદી કરી છે, તેની વિગતો આપતાં મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, આ વર્ષે પણ સરકાર ટેકાના ભાવે ખરીદી કરીને ખેડૂતોની મહેનત એળે નહીં જવા દેવામાં આવે. આ વર્ષે ખેડૂતોને મગફળી સહિતના પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
આ દરમિયાન મુખ્યમંત્રી રૂપાણીએ ધરતીપુત્રોને ખેતી પ્રત્યેનો માઇન્ડ સેટ બદલી ડ્રિપ ઇરીગેશન પધ્ધતિથી ‘પર ડ્રોપ મોર ડ્રોપ’થી ખેતી સમૃદ્ધિ માટે અપીલ કરી હતી. જે અંગે તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર ડ્રીપ ઇરીગેશન – ટપક સિંચાઇ માટે ૭૦ ટકા જેટલી સબસિડી આપે છે, ત્યારે ઓછા પાણીએ વિપૂલ પાક ઉત્પાદન મેળવવા ખેડૂતો સાથે મળીને સહકારી ખેતી ટપક સિંચાઇનો વિનિયોગ કરે તે સમયની માંગ છે.