સલાબતપુરા ભવાની માતા મંદિરમાં ૧૫૦૦ તોલા સુવર્ણનો શૃંગાર અર્પણ કરાયો

સુરત
કોટ વિસ્તારમાં સલાબતપુરા દોરિયાવાડમાં આવેલા પૌરાણિક ભવાની માતા મંદિરનો ૨૧૭મો સાલગીરી મહોત્સવ ચાલી રહ્યો છે. જેમાં સોમવારે માતાજીને ૧૫૦૦ તોલા સોનાના શૃંગારની સાથે વિશેષ આરતી અને કાર્યક્રમોનું આયોજન કરી મહોત્સવની પૂર્ણાહૂતી કરવામાં આવી છે.
સલાબતપુરામાં આવેલું અને ભૈરવનાથ મંદિર ટ્રસ્ટ સંચાલિત ભવાની માતા મંદિરનો ઈતિહાસ રોચક હોવાની સાથે જ દર વર્ષે ભવ્ય રીતે સાલગીરી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. મસ્તક પર શિવલિંગ ધરવાતા અનેસિંહ વાહીની તરીકે ઓળખાતા ભવાની માતા મંદિરના સાલગીરી મહોત્સવ બે દિવસનો યોજાયો જેમાં યજ્ઞની સાથે મોડીરાત સુધીના અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરાયું. દાયકાઓ પહેલા સુરતના નવાબે માતાજીને અઢી કિલો સોનાનું મુગટ ચડાવ્યું હતું. વર્ષમાં એકવાર આ માણેક,પન્ના,નિલમ જેવા અપ્રાપ્ય નંગોથી જડિત મુગટના દર્શન કરીશકાય છે. સોલગીરી નિમિતે મુગટના દર્શન કરાવવાની સાથે પાદુકા દર્શન અને મહાઆરતી સાથે સાંજે ભંડારાનું આયોજન કરાયું છે.