સ્વાઈન ફ્લુથી 8 વર્ષમાં ગુજરાતમાં 22 હજાર દર્દીઓ અને 1480ના મોત

રાજ્યમાં સ્વાઈન ફ્લુ સહિતના રોગચાળાએ માજા મૂકી છે. સ્વાઈન ફ્લુ અટકાવવા માટે હાઈકોર્ટ ફટકાર લગાડે ત્યારબાદ રાજ્ય સરકાર જાગે તે ઘણી જ ગંભીર બાબત છે. રાજ્યમાં સ્વાઈન ફ્લુમાં છેલ્લાં ૮ વર્ષમાં ૨૧૯૪૨ નાગરિકો સપડાયા જેમાં ૧૪૮૦ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે.

રાજ્યમાં પડી ભાંગેલી આરોગ્ય સેવા અને ખાસ કરીને સ્વાઈન ફ્લુ સહિતના બેફામ રોગચાળા નાથવામાં નિષ્ફળ ભાજપ સરકારનો જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યની છ સરકારી મેડીકલ કોલેજમાં ૬૪ પ્રોફેસરો, ૧૬૭ એસોસિએટ પ્રોફેસર અને ૨૪૦ આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. ભાજપ સરકારની ફિક્સ પગારની નીતિ અને આઉટસોર્શિંગના કારણે રાજ્યમાં સરકારી હોસ્પિટલોમાં હાલત કફોડી છે. રાજ્ય સરકાર હસ્તકની જનરલ હોસ્પિટલોમાં બાળરોગ નિષ્ણાતો ડોક્ટરોની ૭૫ મંજુર જગ્યાની સામે માત્ર ૨૩ જગ્યા જ ભરાયેલ છે અને ૫૨ જગ્યા ખાલી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ૭૩ સામુહિક આરોગ્ય કેન્દ્ર, ૨૧૯ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૯૪૮ પેટા આરોગ્ય કેન્દ્રની ઘટ છે. સાથે સાથે રાજ્યના ૩૦૦ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ૬૭ સરકારી હોસ્પિટલમાં ૧૬૫૩ જગ્યાઓ ખાલી એટલે કે, ૭૮ ટકા ડોક્ટરો વિના દવાખાનાઓમાં છેલ્લા પાંચ વર્ષ કરતા વધુ સમયછી દર્દીઓ હેરાન-પરેશાન થઈ રહ્યાં છે. રાજ્યમાં ૧૨૦૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ૩૦૦ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ૬૭ સરકારી હોસ્પિટલોમાં વર્ગ-૨ ના આરોગ્ય અધિકારી ૨૮૭૧ માંથી ૧૧૬૮ એટલે કે, ૪૫ ટકા જેટલી જગ્યાઓ પાંચ વર્ષ કરતા વધુ સમયથી ખાલી છે. મોટા ભાગના આરોગ્ય કેન્દ્રોમાં સામાન્ય દવાઓ પણ દર્દીઓને અપાતી નથી.
બહારના મેડીકલ સ્ટોર્સ સાથે ગોઠવણ હોવાથી સરકારી હોસ્પિટલોમાંથી આપવાની થતી મફત દવાઓ દર્દીઓને અપાતી નથી. બાળ મૃત્યુ ૦-૧ વર્ષના બાળમૃત્યુના દરમાં દર હજાર બાળકોએ ૫૦ બાળકોના મૃત્યુ સાથે ગુજરાત છેવાડાના સાતમાં સ્થાને આવે છે. જ્યારે કેરાલા ૧૨, તમિલનાડુમાં ૩૧, મહારાષ્ટ્રમાં ૩૩, પશ્ચિમ બંગાળમાં ૩૫, પંજાબમાં ૪૧ અને કર્ણાટકમાં ૪૫ બાળકો દર હજારે મૃત્યુ પામે છે. પ્રસુતા માતાના મૃત્યુમાં પણ દર દશ હજારે પ્રસૂતિઓએ માતાના મૃત્યુદર ૧૪.૮ સાથે ગુજરાત ૮ માં ક્રમે આવે છે. બાળકોના જન્મદરમાં પણ ગુજરાતમાં જન્મદર દર હજાર વ્યક્તિઓએ ૨૨.૬ સાથે ગુજરાત નવમાં ક્રમે વધારે વસ્તી વધારનારું રાજ્ય છે.
ભારત સરકાર બાળકો અને મહિલાઓના આરોગ્ય માટે અબજો રૂપિયાની ફાળવણી કરતી હોવા છતાં પણ ગુજરાતમાં હોસ્પિટલમાં ડીલીવરનું પ્રમાણ માત્ર ૫૬.૫ ટકા સાથે ગુજરાત છેવાડાના ૧૩માં ક્રમાંકે આવે છે અને સલામત ડીલીવરીમાં પણ ૬૨.૧ ટકા સાથે ૧૪માં ક્રમે આવે છે. બાળકીના જન્મદરમાં છેલ્લા ૨૦ વર્ષમાં ધ્યાને લેતા ગુજરાત ૮ માં ક્રમનું છેવાડાનું રાજ્ય બન્યું છે. ગુજરાતમાં દર હજાર દિકરીઓની સામે ૨૦૦૧ માં ૮૮૩ બાળકીઓ હતી, તેની સાથે વર્ષ ૨૦૧૫માં ૮૫૨ બાળકીઓનો જન્મ થયો છે.
રાજ્યની ૫૫.૩ ટકા મહિલાઓ એનીમીયાથી પીડાય છે. હોસ્પિટલમાં ડીલીવરી માત્ર ૫૬.૫ ટકા સાથે ગુજરાત ૧૩ માં ક્રમે, ૨૩.૫ ટકા બાળકો કુપોષિત તથા ૪૫ ટકા બાળકો ઓછું વજન ધરાવે છે. મહિલાઓની તંદુરસ્તીની બાબતમાં ગુજરાતનો ક્રમ છેવાડાનો ૧૭ મો ક્રમ છે.

વર્ષ સ્વાઈન ફ્લુના કેસ મોત
૨૦૧૨ – ૧૦૧ – ૩૦
૨૦૧૩ – ૯૮૯ – ૧૯૬
૨૦૧૪ – ૧૫૭ – ૫૫
૨૦૧૫ – ૭૧૮૦ – ૫૧૭
૨૦૧૬ – ૪૧૧ – ૫૫
૨૦૧૭ – ૭૭૦૯ – ૪૩૧
૨૦૧૮ – ૨૧૬૪ – ૯૭
૨૦૧૯ – ૩૨૩૧ – ૯૯
કુલ – ૨૧૯૪૨ – ૧૪૮૦